પૃષ્ઠ:Vyajno Varas.pdf/૨૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.




[૨૭]


જિંદગીઓના કબાલા

બીજે દિવસથી જ અમરતે નંદનનું પડખું સેવવા માંડ્યું. આજ દિવસ સુધી જે અમરત આ ભોજાઈને માટે ‘નૂગરી નંદુડી’ સિવાય બીજું સંબોધન વાપરતી નહિ એ જ અમરત ચોવીસે કલાક ‘ભાભી !’ ‘ભાભી !’ કરીને મોં ભરી દેવા લાગી..

નણંદમાં ઊભરાઈ આવેલા આટલા બધા વહાલથી ખુદ નંદનને પણ ભય લાગવા માંડ્યો.

પતિના મૃત્યુનો ઘા માનવંતી કરતાં નંદનને માટે વધારે દુ:ખકર હતો. માનવંતી ગમે તેમ તોય ખાઈ–પી ઊતરેલ હતી. પાંચ વર્ષ એણે સુખનાં માણ્યાં હતાં. ત્યારે નંદનના નસીબમાં તો સુખનો અલ્પાંશ પણ નહોતો. એના પરિણીત જીવનનાં બધાં જ વર્ષો ક્લેશ અને કકળાટમાં જ વીત્યાં હતાં. પરિણામે, બળઝળી નંદનને અમરતનો સહવાસ ધીમે ધીમે શાતારૂપ લાગવા માંડ્યો.

પોતે નિ:સંતાન હોવાથી બધી માલમિલકત સુલેખાને જશે એ જાણીને નંદન નિરાશામાં ડૂબી ગઈ હતી. આ સ્થિતિનો અમરત લાભ લઈને નંદનને એક આશાકિરણ આપ્યું.

‘બેન, મારા જીવતરમાંય હવે શું સ્વાદ રહ્યો છે ? હું તો જિંદગી હારી બેઠી છું.’ નંદન હાલતાં ને ચાલતાં આમ બોલ્યા કરતી.

એક દિવસ અમરતે એ વાક્ય પકડીને પોતાની સોગઠી અજમાવા માંડી.

‘હજી કાંઈ હારી બેઠી નથી. હારશે હારવાવાળા. તારામાં રતિ