પૃષ્ઠ:Vyajno Varas.pdf/૨૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જિદગીઓના કબાલા
૨૦૭
 

 ‘બહેન, એ બધા કરમના ખેલ....’

‘કરમબરમ શું, તમે બેય જડ–કઢી બહેનોએ આવીને આ ઘરની જડ કાઢી. બિચારા ભાઈને કોઈ દી સુખે રોટલો ખાવા ન દીધો. રોજ ઊઠીને કંકાસ, કંકાસ ને કંકાસ સિવાય બીજી વાત જ નહિ. ક્લેશ હોય ત્યાંથી લક્ષ્મીનો વાસો ચાલ્યો જાય, તમે બેય જણીઓએ આવીને આ ઘરની રિધિસધિ ટાળી.....’

‘બહેન, તમારે એક પડખે જ ખતવ્યે જવું છે એમાં હું શું બોલું ? તમારે જેમ કહેવું હોય એમ કહી લિયો.’

અમરત વધારે ઉશ્કેરાઈ ગઈ. બોલી :

‘આ બધુંય હું નથી કહેતી પણ તમારાં કરેલાં કામો જ કહી દિયે છે. આવા મજાના ઘાટીલા ઘરની પરસાળ ને ફળિયા વચ્ચોવચ્ચ બેય બહેનોએ બાપના હજીરા જેવો ઊભો વંડો ચણાવ્યો એ જ તમારાં કરેલાં કામોની સાક્ષી દિયે છે.’

‘બહેન, જે થવાનું હતું એ તો થઈ ગયું. હવે કહેતા હો તો વંડો પડાવી નાખીએ.’

નંદન વધારે ને વધારે વિનમ્ર બન્યે જતી હતી, ત્યારે અમરત વધારે ને વધારે ઉગ્ર બનતી જતી હતી.

‘હા, હવે ખાટલો ઉખેડીને વાણ ભરવા જેવું કરો. વંડીને પાડીને પાણા નીકળશે એ તમને બેય બહેનોને સામસામી છાતી ફૂટવા કામ લાગશે. પછી એકબીજીનાં છાજિયાં લીધા કરજો....’

મહેણાંના આટલા મારા ખમ્યા પછી નંદન ૨ડી પડી. એ વધારે કશું ન બોલી શકી.

અમરતની કાળવાણી અસ્ખલિત વહેતી હતી.

‘હવે તો આંખમાંથી પીલૂડાં પડશે પીલૂડાં. પોતાનાં જ કર્યાં પોતાને જ ભોગવવાનાં છે....’

આવી આગાહીથી નંદન વધારે ગભરાઈ ગઈ. તદ્દન નિખાલસતાથી એણે પૂછ્યું :