પૃષ્ઠ:Vyajno Varas.pdf/૨૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જિંદગીઓના કબાલા
૨૦૯
 

 અમરતને લાગ્યું કે તપાવેલ લોઢા ઉપર પોતે જે પહેલો ઘણ માર્યો હતો એની કામગીરી પૂરી થઈ છે. એણે બીજો ઘા ઝીંક્યો

‘અમરતને નાણાંની નહિ પણ માણસની ભૂખ છે – માણસની ખોટ છે...’

‘બહેન, તમે મારા કરતાં નસીબદાર છો. તમારે તો દલુભાઈ જેવા દીકરા છે તો કાલ સવારે સંધુય સારું થઈ રહેશે. માણસની ખોટ તો મને અભાગણીને છે. મારી જેમ તમારે ખાલી કુખ તો નથી !’

અમરતને લાગ્યું કે પોતાના કથનનો મર્મ હજી નંદન સમજી નથી અને સહેજ આડા ઊતરવા જેવું થઈ ગયું છે. એણે વધારે સ્ફોટ કર્યો :

‘હું મારી વાત નથી કરતી, તારા ભાણેજ દલુની વાત કરું છું. દલુને માણસની ખોટ રહી ગઈ છે એ તું ક્યાં નથી જાણતી ?’

‘બહેન, કોઈનું બે વરસ વેલું તો કોઈનું બે વરસ મોડું ઘર બંધાય. એના ઓરતા ન હોય. દીકરા કોઈના કુંવારા રહે છે ?’

‘પણ મારો દલુ તો કુંવારો નહિ, વાંઢો રહી ગયો. પાંચમાં પુછાતા દેશ – પટેલ જેવા મામાએ પોતે બે ઘર કર્યાં પણ ભાણેજને આછુંપાતળું એક ઘર પણ ન બંધાવ્યું. સગા ભાઈને મારું પેટમાં ન બળ્યું પછી ભોજાઈના ક્યાં દખધોખા કરવા ? દલુનાં પુણ્ય એટલાં ઓછાં...’ અમરતે આછું ડૂસકું પણ ખાઈ બતાવ્યું.

‘સમતા રાખો બહેન ! દલુભાઈની પણ હજી જિંદગી વહી નથી ગઈ. ગોતશું તો કોક જડી રહેશે. દીકરા કોઈના કુંવારા ન રહે...’

અમરતને લાગ્યું કે ત્રીજો ઘણ લગાવવાનો સમય થઈ ગયો છે. બોલી :

‘એમ તો ગોતવા જાવું પડે એમેય નથી. નજર સામે જ છે.’

‘સાચું કહો છો ?’