પૃષ્ઠ:Vyajno Varas.pdf/૨૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
'જિંદગીઓના કબાલા
૨૧૩
 

 જીરવાતો નહોતો.

‘હા રે હા, તું જોજે તો ખરી આ અમરતના સપાટા ! તને આ ઘરની શેઠાણી બનાવીને સંધાયને પાંસરા દોર કરી દઈશ. પણ પછી આ નણંદને જશ સાટે જોડાં તો નહિ જડે ને ?’ અમરતે અગાઉથી ખાતરી માગી.

‘એવું તે બને બહેન ? તમે જ મને નવો અવતાર આપો છો. તમ થકી તો હું ઉજળી છું. તમારા ઉપકાર તો ભવોભવ સાંભરશે. હું તમારી જનમભર ઓશિયાળી રહીશ.’

‘તો ઠીક ! તારી મોટી બહેન જેવી ન–ગુણી ને નૂઘરી થઈશ મા. માનવંતીનું તો મેં વાંઝિયામેણું ખોટું ઠરાવ્યું. દીકરાની આશા નહોતી. ત્યાં મેં રિખવ જેવો દીકરો અપાવ્યો. પણ એ તો બધાય ઉપકાર ભૂલી ગઈ…’

‘પણ એમ કરતાં એ શું સુખી થઈ ?’ નંદને કહ્યું : ‘અહીંનાં કર્યાં અહી જ ભોગવવાનાં છે’

‘તને ભગવાને એટલી સદ્‌બુદ્ધિ આપી છે, તો તું સુખી થઈશ’ અમરતે આશીર્વાદ આપ્યા.

‘તો બહેન, ત્રીજો મહિનો જાય છે. એમ વાત તો બહાર પાડું; પણ પછી મારે કરવું શું ? ફજેતો થાય તો... તો…’

ઓ...હો...હો ! ડાહ્યલી કાંઈ ડાહ્યલી ! તારે તો અટાણથી જ બધી પંચાત માંડવી છે ! એ બધી ચિંતા ને ગોઠવણ કરનારી તો અમરત બેઠી છે બાર વરસની ! હું કહેતી જાઉં એમ કરતી રહીશ તો બેડો પાર છે.’

તે રાતે નંદને મીઠો અજંપો અનુભવ્યો. વખતોવખત એના કાનમાં ‘બેડો પાર !’ ‘બેડો પાર !’ના ભણકારા વાગતા હતા.

*