પૃષ્ઠ:Vyajno Varas.pdf/૨૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.




[૨૯]


ત્રણ તાંસળી

નંદન અને અમરત આ ઘરનો સઘળો વારસો પચાવી પાડવા મથી રહ્યાં હતાં. દુનિયાની આંખમાં ધૂળ નાખવાના કીમિયાઓ યોજાઈ રહ્યા હતા. ચલાવેલો ગપગોળો સાચો પાડવાની તરકીબો અજમાવાઈ રહી હતી.

આભાશાને ત્યાં બહોળાં ઠામવાસણો એક અલાયદા ઓરડામાં ભરવામાં આવતાં. જાતજાતના ને ભાતભાતનાં વાસણોનો આ ભંડાર નાનાસરખા સંગ્રહસ્થાન જેવો બની ગયો હતો. એમાં શિહોરી થાળી, તાંસળી અને વાટકાઓ સાથે દક્ષિણી ઘાટઘૂટની ચીજો પણ નજરે પડતી, મારવાડી પ્યાલાઓ સાથે મુરાદાબાદી લોટા પણ દેખાતા. આટલું જાથુકનું વાસણ ગામ આખામાં ક્યાંય નહોતું. કોઈને ઘેર જમણવાર હોય ત્યારે આભાશાના ભંડારમાંથી ચીજો માગી જવામાં આવતી. આડે દિવસે તાળાકૂંચીએ રહેતો આ વાસણભંડાર સરઅવસરે જ ઉઘાડવામાં આવતો. આજે એવો કશો પ્રસંગ ન હોવા છતાં અમરત ચોરની પેઠે એ ભંડારમાં દાખલ થઈ તેથી તો નંદનને પણ નવાઈ લાગી.

આ ઓરડો એટલો તો અંધારિયેયો હતા કે ધોળે દિવસે પણ એમાં દાખલ થતાં બીક લાગે. અત્યારે રાત હોવા છતાં અમરતા બેધડક અંદર પ્રવેશી હતી. અમરતનું કાળજું લોઢાનું હતું.

દીવાના ઝાંખા ઉજાસમાં એ અવવારું વાસણો વધારે બિહામણાં લાગતાં હતાં. એક ખૂણે મોટી મોટી દેગો, કઢાઈઓ, ચાકીઓ