પૃષ્ઠ:Vyajno Varas.pdf/૨૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૬
વ્યાજનો વારસ
 


‘કાં ?’ નંદન કશું ન સમજતાં બોલી ઊઠી.

‘કાગડાની જેમ કાં કાં શું કરે છે ?’ અમરતે ફરી મિજાજ ગુમાવ્યો. હમણાં હમણાંનું એનું વર્તન સરમુખત્યાર જેવું થતું જતું હતું. બોલીઃ ‘ત્રણ તાંસળી લઈ જઈને તારે પિયર પડી રહેજે. કહેવું કે, મને સાસરિયાના ઘરની સુવાવડ સદતી નથી…’

‘હા, એમ જ કહીશ.’

‘ને પછી સુવાવડ કરવાને બહાને મને તેડાવજે…’

‘તમારા આવ્યા વિના તો સુવાવડ થશે જ ક્યાંથી ?’ વાતનો વિષય હસવા જેવો નહોતો છતાં નંદનથી હસાઈ ગયું.

‘ને ખબરદાર, જો ઘરના ઉંબરાની બહાર પગ મેલ્યો છે તો ?’

‘હું શું છ મહિનાની કીકલી છું કે એટલું પણ ન સમજું ?’

‘જોઈ હવે મોટી સમજવાવાળી ! સમજતી હોત તો તો મારા કીધા વિના જ તને આ કોઠું કરવાનું ન સૂઝી ગયું હોત ?’ અમરતે નંદનને ચૂપ કરી દીધી.

‘બીજુ કાંઈ ?’ નંદને નરમાશથી વધારે સલાહ–સૂચનો માગી જોયાં.

‘બીજાની વાત પછી. આ ઉપાડ્યું છે એ એક પૂરું કરીશ તોય તારો બેડો પાર છે. ત્રણ તાંસળીએ તો તું ભવસાગર તરી જઈશ.’

જીવનમાં પહેલી જ વાર નંદનની છાતીએ ઉછાળો અનુભવ્યો.

*