પૃષ્ઠ:Vyajno Varas.pdf/૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ઉકરડેથી રતન જડ્યું
૧૩
 

 અમરતને સતાવી રહી હતી.

જીવણશા ડેલી બહાર ગયા કે તુરત અમરતે મોટો પટારો ઉઘાડ્યો અને અંદરના ડાબલામાંથી ડાબલો કાઢીને એમાં રહેલી ડાબલી, અને એ ડાબલીમાંથી એક ચીંથરી કાઢીને એમાં છુપાવેલો સાત ગાંઠવાળો દોરો લઈને ઓસરીને બારસાખને ટોડલે બાંધ્યો અને બોલી : ‘હવે નિરભય !’

માંડ કરીને જન્મેલા વ્યાજના વારસની જેટલી ચિંતા બાળકની જનેતા માનવંતીને નહોતી એથી વધારે ચિંતા તો અમરતને હતી. આટલા દિવસ આભાશાને કાંઈ વારસ નહોતો ત્યારે કેટલાક હિતૈષીઓ અમરતને સૂચન કરી જતા કે અમરતે પોતાના એકના એક પુત્ર દલુને મામાનો દત્તક પુત્ર બનાવવો, પણ તરત અમરત તાડૂકી ઊઠતી : ‘મારો ભાઈ વાંઝિયો થાય ત્યારે મારો દલુ એને ખોળે બેસે ને ? ભાઈને વાંઝિયો વાંચ્છું એવી સ્વારથી બેન હું નથી. હું તો કહું છું કે કાલ સવારે મારા ભાઈને ઘેર લીલી આડીવાડી થઈ જાશે. કોઈનો અવસર ચાર દી વહેલો આવે છે, ભાઈને ઘેર ચાર દી મોડો આવશે. એમાં શું બગડી ગ્યું ?’

‘બારસાખને ટોડલે દોરો બાંધી રહ્યા પછી અમરતને બાળકની રક્ષા કરવા માટે બીજો પણ એક નુસખો સૂઝ્યો. માનવંતીને લાંબા સમય પછી પુત્રજન્મ થયો છે, તેથી રખેને એ અભિમાનમાં ફુલાઈ જાય અને એના નસીબમાં પુત્ર ન શમાય એ બીકે અમરતે જરા હાસ્યાસ્પદ લાગે એવી પણ ઘણી ભાવનાસૂચક વિધિ કરી. ફળિયાની ગમાણને એક ખૂણે જરાક ઉકરડા જેવું હતું ત્યાં બાળકને ક્ષણ માટે સુવડાવીને પછી સવા પવાલું જુવાર ત્યાં મૂકીને બદલામાં બાળકને પાછું ઉપાડી લીધું. ‘આ તો અમને ઉકરડેથી રતન જડ્યું છે, બાઈ !’ એમ બોલતી, અમરત હાથમાં બાળકને લઈને માનવંતીના ખોળામાં મૂકી આવી.

*