પૃષ્ઠ:Vyajno Varas.pdf/૨૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬૮
વ્યાજનો વારસ
 

 ટપાટપી થઈ જતી.

આ બધા અહેવાલો રોજ રાતે દલુ ઘેરે આવીને અમરત સમક્ષ રજૂ કરતો ત્યારે ઓધિયા પ્રત્યેનો અમરતનો અણગમો અનેકગણો વધી જતો. આ અણગમતા મુનીમને પેઢીમાં પેસવા દીધા બદલ, છછૂંદર ગળ્યા જેટલી અકળામણ અમરત અનુભવી રહેતી. અને પોતે ચતરભજ સાથે ખેલેલા આંધળુકિયા જુગાર બદલ પશ્ચાત્તાપ પણ અનુભવતી.

એક બનાવે અમરતની વિમાસણ અને પશ્ચાત્તાપ બધુંય ટાળ્યું.

દલુ અને ઓધિયા વચ્ચે રાબેતા મુજબની ચકમક ઝરી અને એમાં દલુએ પોતાની સત્તાની રૂએ રોફ માર્યો.

‘હું કોણ છું, એ તું જાણે છે ?’

‘હા, હા, જાણું છું; પગથી માથા સુધી જાણું છું.’ ઓધિયે જવાબ આપ્યો.

‘હું...’

‘હા, હા, તું, તને હું સારી પેઠે જાણું છું. મારે મોઢેથી બધું બોલાવવાનું મન થયું છે ?’

‘હું પેઢીનો શેઠ…’

‘જોયો હવે મોટો શેઠ ? કેવી રીતે શેઠ થયો છે, એ મારાથી અજાણ્યું હોય તો ને !…’

‘કેવી રીતે એટલે શું વળી ?’ દલુનો રોફ વધતો જતો હતો.

‘મામાના દીકરા – રિખવને મારીને શેઠ થયો એમાં કઈ મોટી મોથ મારી નાખી ! એવી રીતે તો...’

‘શું બોલ્યો ? તારી જીભ...’

‘હવે બેસ, જીભવાળી ! સગા મામાના દીકરાને કાળી રાતે મેળામાંથી પાછા વળતાં વઢાવી નાખ્યો અને...’

‘કોણે ?’ દલુથી આ વાત અજાણ જ હતી.

‘તારી માએ – અમરતે. બીજા કોણે !’