પૃષ્ઠ:Vyajno Varas.pdf/૨૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
એનું પેટ પહોંચ્યું
૨૮૩
 

 હોવાથી એ મુખદર્શનની યાતનામાંથી પણ એ ઊગરી ગયો.

છેલ્લે છેલ્લે અમરત એટલું સમજતી થઈ હતી કે જિંદગી આખી મેં આડા વહેરની જે ધોકાપંથી નીતિ ચલાવી હતી, એમાંનો છેલ્લો આડો વહેર મને આકરો પડી ગયો ! પણ એ નીતિ અંગે તો એ વિમાસણ અનુભવે એ પહેલાં જ ગાંડપણે આવીને એને સઘળી વિમાસણમાંથી મુક્તિ બક્ષી દીધી હતી.

અમરત પ્રત્યે દલુના કરતાંય ચંપાને વધારે તિરસ્કાર હતો. પોતાની બે મોટી બહેનો —માનવંતી તેમ જ નંદનની જિંદગીઓ બરબાદ કરવા માટે પોતાની સાસુ જવાબદાર છે એમ જાણ્યા પછી એને કદી પણ અમરત પ્રત્યે આદરભાવનો ઉમળકો થયો જ નહોતો. અને હવે એના ગાંડપણના દિવસેમાં તો ચંપાનો તિરસ્કાર અનેકગણો વધી ગયો હતો.

અમરતને એના અંગત ઓરડામાં જ પૂરી રાખવામાં આવી હતી, ત્યાં રોજ બેય ટાણાં રઘી એને જમવાનું નીરી આવતી. આ એ જ ઓરડો હતો, જેમાં એક વખત રઘીને પૂરીને અમરતે એના વાંસા ઉપર ચાબુકના સોળ પાડ્યા હતા. અમરતની થાળી લઈને જતી રઘીને બેય ટાણે એ પ્રસંગ યાદ આવી જતો અને એ દિવસે પોતે જેના ચાબુકની દયા ઉપર હતી, એ પ્રાણી આજે મારી દયા ઉપર છે, મારા નીર્યા રોટલા ખાય છે એ જાણીને રઘી અનાયાસે સહેજ મલકી જતી પણ ખરી.

રઘી ઉપરાંત પણ, અમરતના આડા વહેરના સપાટામાં જે જે લોકો આવ્યા હતા એ સહુ એ નીતિના પુરસ્કર્તાની થયેલી આવી ભૂંડી વલે માટે આનંદી રહ્યા હતા. અને એ અંગેના સઘળા જશના અધિકારી દલુને જાણે કે અભિનંદન આપતા હોય એવી રીતે એક મીઠું આશ્વાસન અનુભવતા હતા.

‘જેને કોઈ ન પહોંચી શક્યું એને એનું પેટ પહોંચ્યું !’

*