પૃષ્ઠ:Vyajno Varas.pdf/૩૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.




[૩૯]


અજર–અમર

મેઘલી રાત ગટાટોપ જામી હતી. સારી પેઠે રેડો પાણી પડી ગયા પછી દેડકાના ડ્રાંઉ ડ્રાંઉ અવાજો સાથે તમરાંના તમતમ સ્વર ખાળ–પરનાળોમાંથી પડતા પાણીના ધોરિયાઓ સાથે મળી જતા હતા.

‘સરુપકુમાર’નુ ચિત્ર લગભગ પૂરું કરીને ઊભી થયેલી સુલેખાની આંખમાં નીંદ નહોતી.

દૂર દૂરથી શરણાઈના ઘૂંટાયેલા અવાજો આવતા હતા.

‘રઘી, આ આ આડે દિવસે શરણાઈ શાની વાગે છે ?’

‘બહેન !’ રઘીએ સુલેખા સાથે બહેનનો જ વ્યવહાર રાખ્યો હતો : ‘એ તો પછવાડે કણબીવાડમાં ડાકલાં બેઠાં છે. એક માણસને ધુણાવવા સારુ લગનનાં ગીત ગાઈને સામૈયાની શરણાઈ વગાડવી પડે છે.’

‘ધુણાવવા માટે શરણાઈ ?’ સુલેખા માટે આ અનુભવ નવો જ હતો : ‘કોને ધુણાવવાનું છે ? અને કોણ...!’

‘એક છોકરીને ધુણાવવી છે. ને એના પિતરુને સરમાં લાવવા છે. એના પિતરુને શરણાઈ બવ વા’લી છે. શરણાઈ સાંભળે કે ઝટ સરમાં આવી જાય.’

‘એનું કારણ શું ?’