પૃષ્ઠ:Vyajno Varas.pdf/૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૦
વ્યાજનો વારસ
 


થઈ ગઈ હોય તો આલોયણા……’

‘નહિ નહિ શાહ ! હું તો સાવ બીજી જ વાત વિચારતો હતો.’

‘શી છે એ બીજી વાત, પ્રભુ ?’ આભાશાના અવાજમાં આર્દ્રતા હતી.

કાંઠે બેઠેલો મરજીવો મોંમાં તેલનો કોગળો ભરીને મોતીની શોધમાં ડૂબકી મારી જાય એમ ફરી વિમલસૂરી એ જ ધીરગંભીર ભાવે ધ્યાનસ્થ થઈ ગયા. થોડી વારે, સાગરના પેટાળમાંથી એક મહામૂલું મોતી બહાર આવે એમ વિમલસૂરીના વિચારમંથનમાંથી, આભાશાના પ્રશ્નના ઉત્તર રૂપે એક મોતી જેવો શબ્દ રણક્યો :

‘ઋણાનુબંધ !’

‘કોની કોની વચ્ચે, ગુરુદેવ ?’ આભાશાથી પૂછ્યા વિના ન રહેવાયું.

પ્રશ્ન તેમ જ એનો અપાનાર ઉત્તર બન્ને જ સરખા ગંભીર હતા છતાં વિમલસૂરીએ સહેજ હસીને ઉત્તર આપ્યો :

‘રિખવ અને એમીની વચ્ચે !’

ઉત્તર સાંભળીને આભાશા ડધાઈ ગયા.

એમના મોં ઉપરની તંગ રેખાઓ જાણે કે દીનભાવે પૂછી હતી : ‘મશ્કરી કરો છો, ગુરુદેવ ?’

વિચક્ષણ નિરીક્ષણ શક્તિવાળા વિમલસૂરી શ્રાવકની આ મૂકવાણી વાંચી ગયા અને બોલ્યા :

‘તમે તો જૈનદર્શનનું સારી પેઠે શ્રવણ કર્યું છે, શાહ ! જીવનાં સંચિત તેમ જ પૂર્વભવના લેણદેણ પ્રમાણે એકબીજાના યોગ થાય છે એમ પણ તમે તો સમજો છો. કર્મબંધનમાંથી મનુષ્ય કોઈ કાળે પણ મુક્ત થઈ શકતો નથી.’

‘એ તો હું સમજ્યો, ગુરુદેવ ! પણ રિખવ અને એમી વચ્ચે આ પ્રકારનો યોગ સંભવી શકે ખરો !’