બાપુનાં પારણાં/એ ત્રણસોને

વિકિસ્રોતમાંથી
← આગેવાન આંધળા જેના બાપુનાં પારણાં
એ ત્રણસોને
ઝવેરચંદ મેઘાણી
૧૯૪૩
જન્મભોગના અનુતાપ →


એ ત્રણસોને –
ઢાળ– 'હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ.'

તમારું સ્થાન ત્યાં ન્હોતું—ન દિલ્હીની દિશામાં
ન ચર્ચા કે દલીલો કાકલૂદી વેરવામાં.
અરે એ પાયતખ્તોની કબર પર ઝૂકવામાં
અને લોબાન મોંઘો બાળવામાં સ્થાન ન્હોતું.

અરેરે ઉત્તરે ચાલ્યા ગયા દક્ષિણ ભૂલી ! પ
દિશા સાચી હતી, પાસે હતી, તેને જ ભૂલી,
અહીં આત્મા હતો, ત્યાં ખોળીઉં એ વાત ભૂલી,
કદમ ભૂલી પ્રભુના મસ્તકે ચડવા ગયા શું !

તહીં બેઠા રહી થપ્પડ સહી, વક્કર ગુમાવ્યો,
ખસમ બે આઈ ઘેલી ! ક્યાંઈ બેટો હાથ ના'વ્યો, ૧૦
વલોવ્યાં નીર યમુનાનાં ન પીંડો બ્હાર આવ્યો,
ન સામો સાદ આવ્યો તો ય શું બેઠા રહ્યા ત્યાં ?

કહ્યું જો હોત કે 'થાનક અમોએ ફેરવ્યાં છે,
અમારો ધાન-થાળી ને પથારો ત્યાંજ ત્યાં છે,

'અમારાં કરબલા કાશી અને કૈલાસ ત્યાં છે, ૧૫
'હૃદય ત્યાં છે, મગજ ત્યાં છે, સમુચ્ચો પ્રાણ ત્યાં છે –

અમે એ ધૂળમાં બેસી ભજન ગાશું પ્રભુનાં,
'હશે જો આંખમાં તો ખેરશું બે આંસુ ઊનાં;
'ચડ્યા છે થાક તે ખંખેરશું અમ કાળજૂના:,
અરે જો એટલું કહેવા હતે બળ વાપર્યું ના ! ૨૦

તો —

બચત કાગળ કલમ રૂશનાઈ, થોડાં થૂક મોંના,
બચત ઈજજત અને અરમાન ઘરની ઓરતોનાં,
ઉકાળા લોહીના પણ ઉગર્યા હત આપના સૌના;
વળી પરખાત પણ નૈ, છો કથીર કે શુદ્ધ સોનાં !