બીરબલ વિનોદ/વખત તેવાં વાજાં

વિકિસ્રોતમાંથી
← ચોર પકડવાની કળા બીરબલ વિનોદ
વખત તેવાં વાજાં
બદ્રનિઝામી–રાહતી
બખ્તરની પરિક્ષા →


વાર્તા ૮૫.

વખત તેવાં વાજાં.

એક દિવસે બાદશાહની માતા મરણ પામી. એક બાજુ તેના કફન દફનની તૈયારી કરવામાં આવતી ત્યારે બીજી તરફ એજ પળે પટરાણીએ કુંવરને જન્મ આપ્યો. આ બંને ખબરો શહેરમાં ફેલાતાં શહેરીઓ ભારે મુંઝવણમાં પડયા, કેમકે રાજમાતાનો શોક પ્રદશિત કરવો કે કુંવરના જન્મનો હર્ષ જાહેર કરવો, એ મહા ધર્મસંકટ એમને માથે આવી પડયું હતું, શોક અને હર્ષ એકી સાથે જાહેર નજ થઈ શકે એમ હોવાથી છેવટે થાકીને તેઓ બીરબલ પાસે ગયા અને તેની સલાહ માગી. બીરબલે કહ્યું “ભાઈયો ! આજે તમે સઘળા એકી સાથે દરબારમાં જાવ અને જ્યારે બાદશાહની નઝર તમારા તરફ વળે એટલે તમે બધા ઉઘાડે માથે ઉભા થજો. એ બનાવ જોઈને જો શાહ હસે તો તમે પણ હસજો અને ૨ડે તો તમે પણ તેમ કરજો.”

બીરબલના કહેવા પ્રમાણે બધા શહેરીઓએ કર્યું. બાદશાહ આ પ્રજાજનોનો વિચિત્ર દેખાવ જોઈ હસવા લાગ્યો એટલે પ્રજાજનોએ પણ હસીને રાજકુમારના જન્મનો હર્ષ પ્રદર્શિત કર્યો.

બાદશાહે જાણી લીધું કે, આ યુક્તિ બીરબલનીજ બનાવેલી હોવી જોઈય એટલે તેણે પ્રજાજનોને તે વિશે પૂછી જોતાં તેનું અનુમાન ખરૂં પડ્યું.