બીરબલ વિનોદ/હથેલીમાં વાળ

વિકિસ્રોતમાંથી
← આકાશમાં તારા કેટલા? બીરબલ વિનોદ
હથેલીમાં વાળ
બદ્રનિઝામી–રાહતી
ચાતુર્યની પરિસીમા →


વાર્તા ૨૨.

હથેલીમાં વાળ.

એક વખતે બાદશાહ અને બીરબલ એકાંતમાં બેસીને વાર્તાલાપ કરતા હતા એવામાં બાદશાહને એક સવાલ સૂઝી આવ્યો. બીરબલની ખ્યાતિ ચોદિશ પ્રસરી ચૂકી હતી અને બાદશાહ પણ વારંવાર તેની પાસેથી નવું નવું જાણવાની મતલબે અનેક પ્રકારના સવાલ પૂછયા કરતો હતો. તેણે કહ્યું “બીરબલ ! (પોતાની હથેળી દેખાડી) આ હથેલીમાં વાળ કેમ નથી ઉગતા, એનું શું કારણ હશે?”

બીરબલ તરતજ બોલી ઉઠયો “જહાંપનાહ ! એનું કારણ તો ખુલ્લું જ છે. આપ ગરીબ ગુરબા અને વિદ્વાનો આદિને રાત દિવસ બક્ષીસ આપો છો, જેમ કરતાં હથેલીમાં વાળ ઉગવા પામતા નથી.”

આ જવાબ સાંભળી બાદશાહે તેને એનાજ જવાબમાં બાંધવા માટે બીજો સવાલ કર્યો “ ત્યારે તારી હથેલીમાં વાળ શા માટે નથી ઉગતા ?"

બીરબલ ઝટ બોલી ઉઠ્યો “ખુદાવિંદ! આપ મને બક્ષિસ આપો છો તે હું હાથ વડે લઉં છું એટલે વાળ શેના ઉગે ?"

આ સાંભળી બાદશાહ વિચારમાં પડી ગયો. થોડીવાર વિચાર કર્યા પછી બોલ્યો “ બીરબલ ! તેં મારા બે સવાલોના જવાબ તો બરાબર સચોટ આપ્યા, હવે ફક્ત એક સવાલ બાકી છે એનો પણ બરાબર જવાબ આપે એટલે બસ, મારો સવાલ એ છે કે મારા હાથમાં બક્ષિસો આપવાથી અને તારા હાથમાં બક્ષિસ લેવાથી વાળ ઉગતા નથી તો પછી મારા અન્ય દરબારીઓની હથેલીયો ઉપર કેમ નથી ઉગતા ?”

બીરબલ ઝટ બોલી ઉઠ્યો “નેકનામ ! એનું કારણ પણ છુપું નથી. જ્યારે આપ નામદાર મને અથવા બીજા કોઈને બક્ષિસ આપો છો એટલે અન્ય દરબારીઓ તે સાંખી શકતા નથી અને ઈર્ષાને કારણે પોતાના હાથ ઘસે છે. એજ કારણે એમની હથેલીમાં વાળ રહેતા નથી.”

આવો બંધ બેસ્તો પ્રત્યુત્તર સાંભળી બાદશાહ અત્યંત ખુશ થયો અને તેને ભારે ઈનામ આપ્યું.