બુદ્ધ અને મહાવીર/પ્રસ્તાવના

વિકિસ્રોતમાંથી
બુદ્ધ અને મહાવીર
કિશોરલાલ ઘનશ્યામલાલ મશરૂવાળા




પ્રસ્તાવના


નાનકડી પુસ્તકમાળામાં કેટલાક અવતારી પુરુષોનો ટુંકો જીવનપરિચય કરાવવા ધાર્યું છે. આ પરિચય કરાવવામાં જે દૃષ્ટિબિંદુ ધ્યાનમાં રાખ્યું છે એ વિષે બે શબ્દ લખવા આવશ્યક છે.

અવતારી પુરુષ એટલે શું? હિન્દુઓ માને છે કે, જ્યારે પૃથ્વી પરથી ધર્મનો લોપ થાય છે, અધર્મ વધી પડે છે, અસુરોના ઉપદ્રવથી સમાજ પીડાય છે, સંતતાનો તિરસ્કાર થાય છે, નિર્બળનું રક્ષણ થતું નથી, ત્યારે પરમાત્માના અવતારો પ્રકટ થાય છે. પણ અવતારો કેવી રીતે પ્રકટ થાય છે, એ પ્રકટ થાય ત્યારે એમને કેવે લક્ષણે ઓળખવા, અને એમને ઓળખીને અથવા એમની ભક્તિ કરીને આપણા જીવનમાં કેવા ફેરફાર કરવા, એ જાણવું જરૂરનું છે.

સર્વત્ર એક પરમાત્માની શક્તિ - સત્તા - જ કાર્ય કરી રહી છે. મારામાં - તમારામાં - સર્વેમાં એક જ પ્રભુ વ્યાપી રહ્યો છે. એની જ શક્તિથી સર્વેનું હલન-ચલન-વલણ છે. રામ, કૃષ્ણ, બુદ્ધ, ઈશુ વગેરેમાં પણ એ જ પરમાત્માની શક્તિ હતી. ત્યારે આપણામાં અને રામ-કૃષ્ણાદિકમાં શો ફેર? એ પણ મારા તમારા જેવા મનુષ્ય દેખાતા હતા; એમને પણ મારી-તમારી માફક દુઃખો વેઠવાં પડ્યાં હતાં અને પુરુષાર્થ કરવો પડ્યો હતો; છતાં આપણે એમને અવતાર શા માટે કહીએ છીયે? હજારો વર્ષ વીતી ગયાં છતાં શું કામ આપણે એમને પૂજીયે છીએ?

'આત્મા સત્યકામ - સત્યસંકલ્પ છે,' એવું વેદવચન છે. જે આપણે ધારીયે, ઇચ્છીએ તે પ્રાપ્ત કરી શકીએ એવો એનો અર્થ થાય છે. જે શક્તિને લીધે આપણી કામનાઓ સિદ્ધ થાય છે એને જ આપણે પરમેશ્વર - પરમાત્મા - બ્રહ્મ કહીયે છીયે. જાણેઅજાણે પણ એ જ પરમાત્માની શક્તિનું આલમ્બન - શરણ - લઈ આપણે જે સ્થિતિમાં આજે છીયે તે સ્થિતિ પ્રાપ્ત કરી છે; અને ભવિષ્યમાં જે સ્થિતિ પ્રાપ્ત કરીશું તે પણ એ જ શક્તિનું આલમ્બન લઇને કરીશું. રામ-કૃષ્ણે પણ એ જ શક્તિનું આલમ્બન લઈ સર્વેશ્વરપદ - અવતારપદ - પ્રાપ્ત કર્યું હતું. હવે પછી જે અવતારો થશે તે પણ એજ શક્તિનું આલમ્બન લઇને. આપણામાં અને એમનામાં ફરક એટલો કે આપણે મૂઢપણે - અજાણપણે એ શક્તિનો ઉપયોગ કરીએ છીયે; એમણે બુદ્ધિપૂર્વક - શક્તિને પૂર્ણપણે ઓળખીને - એનું અવલમ્બન લીધેલું.

બીજો ફરક એ કે, આપણે આપણી ક્ષુદ્ર વાસનાઓને તૃપ્ત કરવા પ્રભુનો ઉપયોગ કરીએ છીયે. અવતારી પુરુષની આકાંક્ષાઓ, એમના આશયો મહાન અને ઉદાર હોય છે; એને જ માટે એ આત્મબળનો આશ્રય લે છે.

ત્રીજો ફરક એ છે કે, સામાન્ય જનસમાજ મહાપુરુષોનાં વચનોને અનુસરનારો અને એમના આશ્રયથી તથા એમના ઉપરની શ્રદ્ધાથી પોતાનો ઉદ્ધાર માનનારો હોય છે. જૂનાં શાસ્ત્રો એ જ એમનો આધાર હોય છે. અવતારી પુરુષો કેવળ શાસ્ત્રોને અનુસરનારા નથી હોતા; એ શાસ્ત્રોના રચનારા અને ફેરવનારા પણ થયા છે. એમનાં વચનો એ જ શાસ્ત્રો થાય છે અને એમનાં આચરણો એ જ અન્યને દીવાદાંડીરૂપ થાય છે. એમણે પરમતત્ત્વ જાણી લીધું છે. એમણે પોતાનું અન્તઃકરણ શુદ્ધ કર્યું છે. એવા સજ્ઞાન, સવિવેક અને શુદ્ધ ચિત્તને જે વિચાર સૂઝે, જે આચરણ યોગ્ય લાગે તે જે સચ્છાસ્ત્ર, તે જ સદ્ધર્મ. કોઈ પણ, બીજાં શાસ્ત્રો એમને બાંધી શકતાં નથી કે એમના નિર્ણયમાં ફરક પાડી શકતાં નથી.

આપણે આપણા આશયોને ઉદાર બનાવીએ, આપણે આકાંક્ષાઓને ઉચ્ચ બાંધીયે અને પ્રભુની શક્તિનું જ્ઞાનપૂર્વક અવલંબન લઇયે તો પ્રભુ આપણામાંયે અવતાર રૂપે પ્રકટ થવા મહેર કરે. વીજળીની શક્તિ ઘરમાં ગોઠવાયેલી છે; એનો ઉપયોગ આપણે એક ક્ષુદ્ર ઘંટડી વગાડવામાં કરી શકીએ, તેમજ તે વડે દીવાની પંક્તિથી આખા ઘરને શણગારી શકીએ. તે જ પ્રમાણે પ્રભુ આપણા પ્રત્યેકના હૃદયમાં વિરાજી રહ્યો છે; એની સત્તા વડે આપણે એક ક્ષુદ્ર વાસનાની તૃપ્તિ કરી શકીએ, અથવા મહાન અને ચારિત્રવાન થઈ સંસારને તરી જઈએ અને બીજાને તારવામાં મદદગાર થઈયે.

અવતારોએ પોતાની રગેરગમાં અનુભવાતા પરમાત્માના બળથી પવિત્ર થવા, પરાક્રમી થવા, પરદુઃખ ભંજન થવા ચાહ્યું. એમણે એ બળ વડે સુખદુઃખથી પર, કરુણહૃદયી, વૈરાગ્યવાન, જ્ઞાનવાન અને પ્રાણીમાત્રના મિત્ર થવા ઇચ્છ્યું. સ્વાર્થના ત્યાગથી, ઇંદ્રિયોના જયથી, મનના સંયમથી, ચિત્તની પવિત્રતાથી, કરુણાની અતિશયતાથી, પ્રાણીમાત્ર તરફના અત્યંત પ્રેમથી, બીજાનાં દુઃખનો નાશ કરવા પોતાની સર્વ શક્તિ અર્પણ કરવા માટેની નિરન્તર તત્પરતાથી, પોતાની અત્યંત કર્તવ્યપરાયણતાથી, નિષ્કામતાથી, અનાસક્તિથી અને નિરહંકારીપણાથી, ગુરુજનોને સેવી તેમના કૃપાપાત્ર થવાથી એ અવતારો ગણાયા, મનુષ્યમાત્રને પૂજનીય થયા.

આપણે ધારીએ તો આપણે પણ એવા પવિત્ર થઇ શકીયે, એવા કર્તવ્યપરાયણ થઇ શકીયે, એટલી કરુણાવૃત્તિ કેળવી શકીયે, એવા નિષ્કામ, અનાસક્ત અને નિરહંકારી થઈ શકીયે. એવા થવાનો આપણો નિરન્તર પ્રયત્ન રહે એ જ અવતારોની ભક્તિ કરવાનો હેતુ. જેટલે અંશે આપણે એમના જેવા થઇયે તેટલે અંશે જ આપણે એમનું અક્ષરધામ મેળવ્યું કહેવાય, જો આપણો એમના જેવા થવા પ્રયત્ન ન હોય તો આપણે કરેલું એમનું નામસ્મરણ પણ વૃથા છે, અને એ નામસ્મરણથી એમની સમીપ જવાની આશા રાખવી પણવૃથા છે.

ત્યારે આપણે પરમેશ્વરની ઉપાસના કેવી રીતે કરવી? આપણા જન્મથી આપણે પહેલો સંબંધ માતા જોડે થાય છે, બીજો પિતા સાથે છે, ત્રીજો બંધુઓ જોડે છે, ચોથો ગુરુ સાથે થાય છે અને પાંચમો મિત્રનો છે. આપણે વિવાહિત હોઇયે તો આપણો સંબંધ પત્ની જોડે થાય અને કુટુંબી હોઇયે તો બાળકો સાથે પણ બંધાય.

તે માટે આપણે પ્રથમ પ્રભુનું માતાપિતા તરીકે ધ્યાન ધરીયે અને સાથે સાથે આપણાં પ્રત્યક્ષ માતાપિતાને પ્રભુ ગણી તેમની એક ચિત્તે સેવા કરીએ તો આપણામાં આદર્શ પુત્રના ગુણો ઊતરે અને સાથે સાથે આદર્શ માતાપિતાના ગુણોનું ધ્યાન થઈ જાય. જે ગુણોનું ધ્યાન થાય તે ગુણો પણ આપણામાં ઉતરે જ, એટલે માતાપિતાનો વાત્સલ્યગુણ આપણામાં આવતો જ રહે. આપણે પ્રભુનું બંધુ તરીકે ધ્યાન ધરીયે અને બંધુની પ્રભુ પ્રમાણે સેવા કરીએ, તો આપણે લક્ષ્મણ અને ભરતની બંધુભક્તિ પ્રાપ્ત કરીયે અને રામનો બંધુપ્રેમ સહજ આવી જાય.

એ જ પ્રમાણે પ્રભુની મિત્ર તરીકે, ગુરુ તરીકે વગેરે ઉપાસના કરવી ઘટે, અને એ ઉપાસના પ્રત્યક્ષ મિત્ર, ગુરુ ઈત્યાદિકમાં ઉતારવી ઘટે.

પત્ની પરની આપણી પવિત્ર દૃષ્ટિ તો મિત્ર તરીકે જ હોય, એટલે મિત્રભાવનાને વધારવી એ જ પત્નીવ્રત ગણાય. પુત્રભાવનાનો વિસ્તાર શિષ્યમાં થાય, બંધુભાવનાનો મનુષ્યમાત્રમાં, માતાપિતાનો વડીલો પ્રત્યે. આપણી પરમેશ્વર પ્રત્યેની ભાવના પ્રત્યક્ષ મનુષ્યમાં ન ઉતરે તો એ ભક્તિ જડ જ છે.

એક જ ચેતવણી આ ઉપાસનાવિધિમાં આપવી ઘટે છે. રામકૃષ્ણ જેવા થવું એટલે રામ-કૃષ્ણની કીર્તિના ઈર્ષ્યાળુ થવું એમ નહિ. આપણા ઉપર કોઈ વાલ્મીકિ કે વ્યાસ કાવ્ય કરે, આપણી મૂર્તિઓ ઘેર ઘેર પૂજાય, આપણા નામના સંપ્રદાયો ચાલે, આપણી જય બોલાતી રહે, એવી જો આપણે આકાંક્ષા ધરી તો રામ-કૃષ્ણ જેવા કદી થવાશે નહિ. આ જીવન પરિચય વાંચી, વાંચનાર અવતારોને પૂજતો થાય એટલું બસ નથી. એ અવતરોને પારખવા શક્તિમાન થાય અને અવતારો જેવા થવા પ્રયત્નશીલ થાય તો જ આ પુસ્તક વાંચવાનો શ્રમ સફળ થયો ગણાશે.

છેવટમાં એક વાક્ય લખવું ઘટે છે. આમાં જે કાંઇ નવું છે તે વિચારો મને પ્રથમ સૂઝ્યા છે એમ નથી કહી શકતો. મારા જીવનના ધ્યેયમાં ઉપાસનાના દૃષ્ટિબિંદુમાં પરિવર્તન કરી નાખનાર, મને અંધારામાંથી અજવાળામાં લઈ જનારા મારા પૂજ્યપાદ ગુરુદેવ જ મારે નામે બોલે છે, એમ કહેવામાં અતિશયોક્તિ નથી. છતાં એમાં જે ખામી હોય તે મારા જ વિચાર અને ગ્રહણશક્તિની સમજવી.

રામ અને કૃષ્ણના લેખો માટે હું રા. બા. ચિન્તામણ વિનાયક વૈદ્યનાં અવતારોનાં ચરિત્રોના ગુજરાતી અનુવાદકોનો અને બુદ્ધદેવના ચરિત્ર માટે શ્રી ર્માનંદ કોસામ્બીના 'બુદ્ધ-લીલા-સારસંગ્રહ' અને 'બુદ્ધ, ધર્મ અને સંઘ'નો ઋણી છું. મહાવીરની વસ્તુ બહુધા હેમાચાર્ય કૃત 'ત્રિષષ્ઠિ શલાકા પુરુષ' ને આધારે છે અને ઈશુ માટે 'બાઈબલ'નો ઉપયોગ કર્યો છે.


રામ નવમી
સં ૧૯૭૯
}
કિશોરલાલ ઘનશ્યામલાલ મશરૂવાળા