બોધકથા:સમય નથી !

વિકિસ્રોતમાંથી
બોધકથા:સમય નથી !
[[સર્જક:|]]



બોધકથા:સમય નથી !

એક વખતે એક મનુષ્ય એક મહાત્મા પાસે ગાયો અને બોલ્યો : “ આ અલ્પ જીવનમાં શું શું કરી શકીએ ? બાલયાવસ્થામાં ભાન હોતું નથી, વૃદ્ધાવસ્થામાં શરીર સાથ નથી આપતું. યુવાવસ્થામાં કુટુંબનું પાલન પોષણ કરવાનું. સગાસંબંધીમાં હળવામળવાના વ્યવહારો સાચવવા પડે છે. વળી ઊંઘ તો બધીજ સ્થિતિમાં જોડાયેલી જ હોય. રોગનો ઉપદ્રવ આવા-જા કર્યા કરે છે. આવામાં ભક્તિ ક્યારે કરીએ ? જ્ઞાન ક્યારે મેળવીએ ? આ જિંદગીમાંતો તેને માટે વખત દેખાતો નથી. “ આ પ્રમાણે ખિન્ન થઈ તે રોવા લાગ્યો.

તેને રોતો જોઈ મહાત્માએ પણ રોવા માંડ્યુ. પેલાએ પૂછ્યું “ તમારે વળી શું દુઃખ છે?” મહાત્મા બોલ્યા: “ શું કરું ? મારી પાસે તો મારા પૂરતું અનાજ પકવીને ખાઉં તેવડી જમીન પણ ક્યાં છે ? હું ભૂખથી મારી જાઉં છું. પરમાત્માનો એક અંશમાં માયા છે. માયાના અંશમાં ત્રણ ગુણ છે, ગુણોના કોઈ ખૂણામાં આકાશ છે. એના કરતાં અલ્પ વાયુ છે. તેમાં બહુજ થોડો આગ્નિ છે. અગ્નિના એક ભાગમાં પાણી છે. પાણીના સોમાં ભાગામાં પૃથ્વી છે. તેમાં અર્ધો ભાગા પર્વતોએ રોક્યો છે. વળી નદીઓ, જંગલો, જ્યાં જુઓ ત્યાં ઉગેલાં છે. મારે માટે નાનો ટુકડો પણ રહેવા દીધો નથી. થોડી ઘણી પૃથ્વી રહી તેમાં અબજો મનુષ્યો છે. બીજા અનેક પ્રાણીઓ રહે છે. આ બધામાં હું ભૂખે નહિ મારી જાઉં?” પેલો મનુષ્ય બોલ્યો : “એમ છે; છતાં તમે જીવો છો તો ખરા ! તો શા માટે રડો છો  ?” મહાત્મા બોલ્યા: “તો પછી વખત નથી, વખત નથી, એમ કહી શા માટે બુમારણ કરી મૂકે છે ? જા, અબઘડી કામે લાગ, નકામું સમયનું બહાનું કાઢીશ નહિ.”