મધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/યાકૂબ ઈબ્ને ઇશ્હાક અલ કિન્દી

વિકિસ્રોતમાંથી
← અબૂલ હસન અલ મવરદી મધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો
યાકૂબ ઈબ્ને ઇશ્હાક અલ કિન્દી
સઈદ શેખ
અબૂ મહમૂદ અલ ખુજન્દી  →



યાકુબ ઇબ્ને ઈશ્હાક અલ કિન્દી
પશ્ચિમી જગતમાં Alkindus તરીકે ઓળખાતા યાકુબ ઇબ્ને ઇશ્હાક અલ કિન્દી ઈ.સ. ૮૦૦ અથવા ઈ.સ. ૮૦૩માં ઈરાકના કુફામાં જન્મ્યા હતા. મધ્યયુગમાં 'આરબોના ફિલસૂફ'ના નામે જાણીતા હતા. કાર્ડાનોના મત મુજબ મધ્યયુગના ૧૨ મેધાવી પુરૂષોમાંથી એક હતા. અલ કિન્દી ઘણા ક્ષેત્રોમાં મૌલિક સંશોધનો કરનાર વૈજ્ઞાનિકોમાંથી એક હતા. તેઓ બહુમુખી પ્રતિભા ધરાવનાર એક ફિલસૂફ, ખગોળશાસ્ત્રી, તબીબ, ગણિતશાસ્ત્રી, ભૌતિક વિજ્ઞાની અને ભૂગોળવેત્તા હતા. તેઓ સંગીતમાં પણ નિષ્ણાંત હતા.

યાફૂબના પિતા ઇશ્હાક ખલીફા હારૂન અલ રશીદના દરબારમાં ફરજ બજાવતા હતા. જ્ઞાનપ્રિય ખલીફાના દરબારમાં એ વખતે હકીમ યહ્યા મન્સૂર, સનદ બિન અલી અબ્બાસ અલ જૌહરી, મુહમ્મદ બિન મૂસા ખ્વારિઝમી અને અલ ફરઘાની જેવા પ્રખર બુદ્ધિશાળી અને જ્ઞાની લોકોની હાજરી રહેતી. યાકૂબ અલ કિન્દી આ બધાના સમકાલીન હોવાથી દરબારમાં તેઓ પણ જ્ઞાનસભર ચર્ચાઓમાં ભાગ લેતા. યાકૂબ અલ કિન્દીએ પોતાની લાંબી કારકિર્દી બગદાદમાં પસાર કરી અને તેઓ અલ મુતવક્કીલ, અલ મામૂન અને અલ મુત્તસીમના પણ સમકાલીન હતા. અલ મુતમીદના સમયમાં ઈ.સ. ૮૭૩ માં યાકૂબ અલ કિન્દીનું અવસાન થયું.

અલ કિન્દીએ સૌ પ્રથમ તબીબ હતા જેમણે પદ્ધતિસર ઔષધિની માત્રા (ડોઝ) નક્કી કરી. આ બાબતે દર્દીઓના પ્રિસ્ક્રીપ્શનમાં કેટલી માત્રામાં ઓષધિ હોવી જોઈએ એ નક્કી કરવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો. રસાયણશાસ્ત્રમાં એમણે જાહેર કર્યું કે પાયાની ધાતુઓને કિંમતી ધાતુઓ (સોનું, ચાંદી, પ્લેટીનમ વગેરે)માં ફેરવી શકાય નહીં અને રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા પાયાના તત્ત્વોમાં ફેરફાર કરી શકાય નહીં. એમની આ જાહેરાતથી એ વખતની રૂઢિગત માન્યતાઓને જોરદાર ફટકો પડ્યો જેઓ કોઈપણ ધાતુને કિંમતી ધાતુમાં ફેરવી શકાય છે એવી માન્યતા ધરાવતા હતા.

ગણિતશાસ્ત્રમાં અલ કિન્દીએ અંક વિદ્યા (Numerology) વિષયમાં પધ્ધતિસરનું યોગદાન આપ્યું અને આ વિષે ચાર પુસ્તકો લખ્યા. અલ કિન્દીનું સૌથી મહત્વનું કાર્ય હતું આધુનિક અંકગણિતનો પાયો નાંખ્યો. જો કે ગણિતિક અંકોની અરબી પદ્ધતિનો વિકાસ મોટા ભાગે અલખ્વારિઝમીએ કર્યો હતો. આ ઉપરાંત એણે ગોળાકાર ભૂમિતિ અને ગોળાકાર ત્રિકોણમિતિમાં પણ યોગદાન આપ્યું.

યાકુબ કિન્દીએ ભૌતિક વિજ્ઞાનની પ્રકાશ સંબંધી ભૂમિતિ લક્ષી શાખા ભૌમિતિક પ્રકાશ વિજ્ઞાન (optics)માં પણ મહત્વપૂર્ણ સંશોધનો કર્યા હતા અને પોતાના પ્રયોગોના તારણોનું સંપાદન કરી પુસ્તક રૂપે બહાર પાડ્યું હતું. એના આ કાર્યથી પ્રસિદ્ધ વૈજ્ઞાનિક રોજર બેકન પણ પ્રભાવિત થયો હતો.

અલ કિન્દીએ સંગીત વિશે વૈજ્ઞાનિક સંશોધન કર્યું હતું. એમણે કથન કર્યું હતું કે સૂરોની એકરૂપતા (હાર્મની) માટે વિવિધ સૂરો ખાસ તીવ્રતા ધરાવે છે અને સૂરોની આવૃત્તિ ઉપર પણ આધાર રાખે છે. વધુમાં તેમણે સ્વરની તીવ્રતા શોધવા માટેની પદ્ધતિ પણ આપી. અલ કિન્દીએ જણાવ્યું કે જ્યારે અવાજ ઉત્પન્ન થાય છે ત્યારે હવામાં મોજા ઉત્પન્ન કરે છે જે કાનના પડદા સાથે અફળાય છે. અલ કિન્દીએ સંગીતના નવા નવા સૂરો પણ શોધ્યા હતા અને એમનું વ્યવસ્થિત વર્ગીકરણ પણ કર્યું હતું.

અલ કિન્દીએ વિવિધ વિષયોમાં ૨૪૦થી પણ વધુ પુસ્તકો લખ્યા હતા. જેમાંથી ૧૬ ખગોળશાસ્ત્ર વિશે, બાવીસ-બાવીસ તબીબ શાસ્ત્ર અને ફિલસૂફી વિશે, બાર ભૌતિક વિજ્ઞાન વિશે, ૩ર ભૂમિતિ વિશે, અગિયાર અંકગણિત વિશે, નવ તર્કશાસ્ત્ર વિશે, ચાર અંકપદ્ધતિ વિશે, સાત સંગીત વિશે અને પાંચ માનસશાસ્ત્ર વિશેનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત અલ કિન્દીએ ખગોળીય સાધનો સમુદ્રી મોજા, ખડકો અને કિંમતી પથ્થરો વિશે પ્રબંધો લખ્યા.

અલ કિન્દીના મોટાભાગના પુસ્તકોનું લેટીન ભાષામાં ક્રેમોનાના જેરોર્ડ અનુવાદ કર્યા. જેમાં 'ઇખ્તિયાર અલ ઐય્યામ, અલ મોશિકી, રિસાલા દર તન્જીમ, ઈલાહિયાતે અરસ્તૂ, મદોજઝર અને અદવીયહ મુરકબ્બાનો સમાવેશ થાય છે.

આમ, જ્ઞાન વિજ્ઞાન ક્ષેત્રે અલ કિન્દીએ આપેલો ફાળો સદીઓ સુધી વિભિન્ન વિજ્ઞાનો ખાસ કરીને ભૌતિકશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર, ઔષધ વિજ્ઞાન અને સંગીતશાસ્ત્રમાં આપેલો ફાળાનો હંમેશા પ્રભાવ રહેશે.

અલ કિન્દીએ તત્વચિંતન ક્ષેત્રે 'પ્રથમ દર્શન વિશે' (On first philosophy) લખ્યું, જેમાં ઇસ્લામી તત્વચિંતનનો પાયો નાંખ્યો ગણાય છે. ઇસ્લામની સાચી આત્મામાં પદાર્થોનાં સાચા રૂપને ઓળખવા અને ઐક્યની શોધમાં તથા વૈશ્વિકસત્ય - એકમાત્ર સર્જક (અલ્લાહ) કે જેણે બધીજ વસ્તુઓનું સર્જન કર્યું છે એના રૂપમાં જોવાની ભાવના વિકસાવી.

પ્રસિદ્ધ ઇતિહાસ લેખક વિલ ડુરાં નોંધે છે તેમ અલ કિન્દી પ્લેટોની જેમ માનતા હતા કે ગણિતના જ્ઞાન વિના કોઈ ફિલસૂફ બની શકે નહીં. તેમણે ‘થિયોલોજી ઑફ એરિસ્ટોટલ' નો અનુવાદ પણ કર્યો હતો.