માણસાઈના દીવા/એક હવાઇએ જલાવેલ જિંદગી

વિકિસ્રોતમાંથી
← 'હું આવ્યો છું, બહારવટું શીખવવા-' માણસાઈના દીવા
એક હવાઈએ જલાવેલ જિંદગી
ઝવેરચંદ મેઘાણી
હાજરી →
આ પ્રકરણને આપ અહીં સાંભળી પણ શકો છો.






એક હવાઈએ જલાવેલ જીંદગી


“ઓળખો છો?” પંચાવનેક વર્ષની ઉંમરનો, સુકાઈ ગયેલ એક કેદી-મુકાદમ સાબરમતી જેલમાં એક નવા આવેલ સાઠેક વર્ષના કેદીને ૧૯૪૨ની સાલમાં એક દિવસ આ પ્રશ્ન પૂછતે પૂછતે પગે લાગતો હતો.

“ના, ઓળખાણ પડતી નથી.” નવા કેદીએ પોતાનો સુક્કો ચહેરો હલાવીને એ મુકાદમ-કેદી પ્રત્યે અજાણપણું બતાવ્યું.

“યાદ તો કરોઃ ક્યાંક મને ભાળ્યો હશે !”

"યાદ આવતું નથી.” નવા કેદીએ ચહેરો ધારી ધારીને નિહાળ્યા પછી કહ્યું.

“યાદ નથી આવતું ! બસ ! તે દા'ડે રાત્રે વાત્રકકાંઠાના ખેતરામાં ઝાંપલી આડેથી કોઈ બંદૂકદાર ઊઠેલો...”

“હા!” વીસ વર્ષ પૂર્વે ભરકડા ગામથી સરસવણી ગામની મુસાફરીમાં બહારવટિયા ભેટેલા તે વાત યાદ આવતાં કેદીએ અચંબો અનુવ્યો, ને કહ્યુંઃ "એ...”

“એ બંદૂકદાર બહારવટિયો મોતી, હું પોતે!”

“ઓહો! મોતી! વીસ વર્ષ પૂર્વેનો તું...”

“હા, વીસ તો કાઢ્યાં ને હવે બત્રીસ બાકી છે!”

“ખરું મોતી, તને તો બાવન વર્ષની ટીપ પડી છે.”

એ વિચારથી આ નવા કેદીના હ્રદયમાં ઊંડી ગમગીની છવાઈ ગઈ.'૪૨ના ઑગસ્ટની ૯મીએ હિંદમાં બળવો જાગ્યો હતો, નવા કેદી તરીકે રવિશંકર મહારાજ સાબરમતી જેલમાં ઝડપાયા હતા. પણ '૨૨ અને '૪૨ વચ્ચેના ગાળામાં તો કંઈ કંઈ વાર સાબરમતી જેલમાં એમને વાસો મળ્યો હતો છતાં આ મોતીનો તેમને એકેય વાર ભેટો થયો ન હતો. '૨૨ની સાલની એક કાળી રાતે ખેતરની ઝાંપલી પાસેથી ખડો થયેલો બંદૂકધારી નવજુવાન એકાએક આજે બુઢ્ઢી વયે મળ્યો. જાણે કે એ કાળી રાતનો જુવાન મોતી તો મરી જ ગયો હતો; આ તો કોઈક બીજો હતો. મહારાજના દિલમાં પળવાર શારડી ફરી ગઈ કારણ કે પોતે મોતીને મળ્યા નહોતા, છતાં મોતીની જીવનકથા જાણતા હતા. એ કથા આવી છેઃ

દેવકી-વણસોલ કરીને મહેમદાવાદ તાલુકાનું એક ગામડું છે. મોતી એ ગામનો બારૈયો હતો. ખેડ-મજૂરી કરી ખાતો. પરણેલો હતો. એક નાનો દીકરો પણ વહુને ખોળે રમતો હતો. એક નાના ઘરમાં આ નાનો પરિવાર શાંતિથી રહેતો હતો.

દેવકી-વણસોલના સરકારી મુખી એક ગરાસીયા હતા. એક તો ગરાસિયા, અને પાછા મુખી, એટલે એમને ઘેર દીકરાનાં લગ્ન આવતાં, બીજા કરતાં હોય છે તે કરતાં કંઈક વિશેષ ધામધૂમ થઈ. રાતે વરઘોડો ચડ્યો તેમાં હવાઈઓ ફોડવામાં આવી. મોતીની બૈરી પોતાના નાના છૈયાને લઈને ફળિયામાં ઊભી ઊભી આકાશમાં અગ્નિનાં ફૂલ પાથરી મૂકતી હવાઈઓ જોતી હતી. તેમાં એક હવાઈ એના જ ઘરના છાપરા પર પડી. કાચું છજેલું ઘર જરીકે વાટ જોયા વગર સળગ્યું, અને ઠારવાનો સમય મળે તે પહેલાં તો ભભૂકીને ખંડિયેર બન્યું.

પ્રભાતના પહોરમાં મુખીને ખબર પડી કે મોતી બારૈયો તો મહેમદાવાદ ફરિયાદ કરવા ચાલ્યો છે. મુખીએ ગામ લોકોને મોકલી મોતીને પાછો વાળ્યોઃ અને આવતી દિવાળીએ મુખી મોતીનું ઘર ચણાવી નવો કાટમાળ ચડાવી આપે એમ ઠર્યું.

સામે પક્ષે મુખી હતા, એટલે મોતી બારૈયાનું મન ધરપત ધરતું નહોતું. એણે માન્યું નહીં.

કાઠિયાવાડ તરફનો એક વાણિયો દેવકી-વણસોલમાં જઈ બે પાંદડે થયેલો. પારકું કામ પાર પાડનારા ચોવટિયાઓને મોટાઈ ખાવાની ટેવ હોય છે, તે પ્રમાણે એણે મોતીને કહ્યુંઃ"હું - હું જામીન થાઉં છું. મુખી જો ચણાવી ન આપે,તો મારે ચણાવી આપવું- જા મેલ્ય વાત પડતી, ને કર તું તારે હિલોળા!”

કાઠિયાવાડીના મોંમાંથી જ્યારે 'હિલોળા' શબ્દ પડે છે ત્યારે સાંભળનાર પોતાની ચારે બાજુ કોઈ અજબ મુલાયમપણું અનુભવે છે. શેઠિયો જમાન બન્યો, એટલે મોતી બારૈયાને પોતાનું માથું ઈશ્વરને ખોળે ઢળેલું લાગ્યું એ ઊઠીને ચાલ્યો ગયો.

ઘર વગર ઉઘાડી જમીન ઉપર રહેતા એ ત્રણેય જીવોએ દિવાળી ખેંચી કાઢી. અષાઢ-શ્રાવણના ગાંડા વરસાદ અને ભાદરવાના ભડકા જેવા તડકા તેમણે કોઈક ને કોઈક ઓથે વટાવ્યા; પણ ખંડિયેર બનેલ ખોરડાંએ નવા કાટવાળાનાં દર્શન કર્યા નહીં. મોતી બારૈયો બીતો-શરમાતો કોઈ કોઈ વાર મુખીના મોં સુધી જઈ આવતો અને મધમાં ઝબોળેલો એક જ જવાબ ગરાસિયા અમલદારની જીભેથી લઈ આવતો કે,'હા, હવે જલદી કરાવી આલશું, 'હવે વાર નથી', આ મહેમદાવાદ જઈ ગાડું કાટ્વાળો ભરી આવે તેટલી જ વાર છે'.

મહેમદાવાદથી કાટવાળાનું ગાડું આવી પહોંચે તેની વાટ જોતાં જોતાં તો બીજા વર્ષના માસ પછી માસ આવી આવી હાથતાળી દઈ નાસવા લાગ્યા. વાત ટાઢી પડી, મુખીને કોઠે પણ ટાઢશ વળી. અને ચૈત્રવૈશાખ ઉપર બીજા ચોમાસાની પણ ઠંડક વળી. પાછો ભાદરવો તપ્યો, ને દિવાળી- આતો બીજી દિવાળી- લગોલગ આવીને પછી તો મુખીની જીભ પણ કંઈક ટટ્ટાર બનીઃ "એવી ઉતાવળ હોય તો પછી જા, તું તારે ફરિયાદ કર. કરાવી દેશું સગવડ થશે ત્યારે.”

મોતી બારૈયો જુવાન હતો, અઢાર મહિનાથી ઓથ વગરનો હતો અને વળી હાથમાં ધારિયું પણ રાખતો, એટલે આવા જવાબ સામે ગરમ બનવાનો એને હક્ક હતો. પણ એણે ગમ ખાધી, અને જમાન બનેલ કાઠિયાવાડી વાણિયાને કહ્યું. શેઠે એને જવાબ આપ્યોઃ" હું કાંઈ એવો જમાન નથી થયો કે ઘરના પૈસા ખરચીને તારું ખોરડું કરાવી આપું. એ તો મુખી પૈસા આપે તો જ કરાવી આપવાનો જમાન બન્યો છું.”

સાંભળીને મોતી બારૈયો જમાન કોને કહેવાય તેના નવા વિચારે પડ્યો. પણ વાણિયાએ જમાન બનતી વખતે પેટમાં ને પેટમાં એ જમાનિયતનો જે પ્રકાર સંઘરી રાખેલો તેની ખબર મોતી બારૈયાને છેક દોઢ વર્ષે પડી, એથી એનું શરીર તપ્યું. એણે કહ્યું કે "એમ પાણીમાં બેસી ગયે ન ચાલે.”

“તો પછી તારાથી થાય તે કરી લેજે.” વાણિયાએ પોતાની સેંકડો ઓલાદો જે બોલીને પછી પસ્તાઈ છે તે બોલ કાઢી નાખ્યા.

એક દિવસ સવારે મોતી બારૈયો ભાગોળે, તળાવને કાંઠે, વાણિયો ખરચુ જઈને આવીને લોટો માંજતો હતો. મોતીએ ખોરડા વિશેની ઉઘરાણી કરી. પ્રભાતે તો કોઈ પોતાના સાચા લેણાની ઊઘરાણી કરે તે પણ માથાના ઘા જેવી બને તો પછી આ મોતી બારૈયાની ઉઘરાણી,જેનું વાણિયા કને કશું માગણું નહોતું તેવા માણસની ઉઘરાણી, ઊગીને હજુ તો સમા થતા સૂરજ મહારાજની સામે ઉઘરાણીઃ શેઠને કેટલી અકારી લાગી હશે તે તો શેઠનો જીવ જ જાણે. મોતી બારૈયો એને 'ઊઠ પાણા, પગ ઉપર' જેવી લપ સમાન જણાયો. ઉપરાંત, અઢાર મહિના સુધી કશું જોર ન કરી શકનાર મોતી એને માલ વગરનો જણાયો હશે તેથી, કે કોણ જાણે શાથી, પણ વાણિયે તળાવને કાંઠે ધડ દેતોક નાગો જવાબ પકડાવી દીધોઃ "જા, તારાથી થાય તે કરજે.”

મોતી બારૈયાને ખભે ધારિયું હતું. એક જ ઘાએ વાણિયાનું માથું ધડથી નોખું પાડીને એ નાસી ગયો. અઢી વરસ સુધી એ સગાવહાલાંમાં સંતાઈ રહ્યો અને પછી ડાકુ નામદારિયાની ટોળી બંધાઈ ત્યારે તેનો સાગરીત બન્યો.

વાત્રક-કાંઠાના એક ખેતરની અંદર તે રાત્રિએ જ્યારે નામદારિયાની ટોળી અંધકારમાં પડી હતી ત્યારે બહારવટિયાને મળવા જનાર રવિશંકર મહારાજની સામે ખેતરની ઝાંપલીએ ખડો થનાર એ બંદુકધારી બહારવટિયો આ મોતી હતો, તેની તો મહારાજને પહેલી જાણ ૧૯૪૨માં મોતીએ પોતે કરી ત્યારે જ થઈ. પણ મોતી નામનો બારૈયો વાણિયાનું ખૂન કરીને પછી બહારવટિયામાં ભળેલો, અને પકડાઈ જઈ બાવન વર્ષની ટીપ પામેલો, તેટલી તો એમને ખબર હતી.

વિશેષ ખબર હવે જેલમાં પડીઃ જુવાન મોતીએ જેલમાં દાખલ થઈને પહેલું પરાક્રમ એ કર્યું કે જેલનું કોઈ પણ કામ કરવાની એણે ચોખ્ખી ના સંભળાવી દીધીઃ સાદી મજૂરી, મધ્યમ મજૂરી, ભારે મજૂરી-કંઈ જ નહીં! ના, નહીં. ચક્કી પીસવાની- તો કહે ના. ઘાણીએ જૂત – તો કહે કે, કદી નહીં. કોસ ખેંચીશ? નહીં. સૌ કોઈને લલચાવનારું વીશીનું કામ કરીશ? નહીં કરું. છેવટે ઝાડું જેવું સાદું કામ? ના, ના, ના.

કામ કરવાની ના સંભળાવવા બદલ મોતીને એક પછી એક જેલ-સજા મળવા લાગી, એ મોતી મૂંગે મોઢે ભોગવવા લાગ્યો. જેલ 'મેન્યુઅલ'ના ભાથામાં સજાઓનો પાર ન્હોતોઃ મોતીની તાકાતનો પણ તાગ ન આવ્યો. ડંડાબેડી, ઊભીબેડી, તાટકપડાં... એમ કરતાં કરતાં આખરે એકસામટા તેર દિવસની ખોરાકી બંધ! અગિયારમે દિવસે મોતી બેભાન બનીને પડી ગયો ત્યારે દાકતરે આવીને એને ખોરાક આપવાનો હુકમ કર્યો; પૂછ્યુંઃ" હવે કામ કરવું છે ?”

“ના રે!” અવાજ બદલ્યો હતો, જવાબ નહીં.

“અચ્છા, ડાલો અંધારીમેં!”

એ અંધારી ખોલીની એકલતુરંગમાં બંધ બારણાં પાછળ, મોતી બારૈયા પૂરાઈ ગયો.

એક દિવસ – બે દિવસ – સાત દિવસ –

એક મહિનો – બે મહિના – છ મહિના –

ડરો નહીં, કલમ! જરા હિંમત રાખી લખો -

એક વર્ષ – બે વર્ષ – ત્રણ -ચાર પાંચ – અને છ વર્ષ....

અંધારી એક ખોલીમાં.

છઠ્ઠે વર્ષે ઈલાકાની જેલોના ઉપરી અધિકારી કર્નલ ભંડારી જેલતપાસે આવે છે, અંધારી ખોલી પર જઈ ખડા રહે છે અને કહે છે,"ખોલ દો!"

અંધારી ઊઘડે છે- જાણે જીવતી સમાધ ઊઘડે છે.

અંદર જીવતો ઊભો છે .. બારૈયો મોતી.

“તારે કામ કરવું છે ?” ઊપરી પૂછે છે.

“ના.” મોતીનો ઉત્તર બદલ્યો નથી.

“અચ્છા, નહીં કરના કામ. લે જાવ ઉસ કો ચક્કરમેં. કુછ કામ નહીં દેના. મજે સે રહેને દો. બિલકુલ મત સતાઓ.”

અને મોતીનું શરીર છ વર્ષે ફરીથી સર્વ કેદીઓ સાથેના મોકળા રહેઠાણમાં રહેવા ચાલ્યું ગયું.

ત્રીજે જ દિવસે મોતી બારૈયો ઉપરી અમલદારની સામે ખડો થયોઃ “સા'બ, અરજ કરવી છે.” “બોલો.” “મને કામ આલો.” “ક્યોં?” “કામ વગર ફાવે નંઈ. કામ આલો.”

કર્નલ ભંડારીએ વધુ કશી પૂછપરછ કરી નહીં. 'આટલા દા'ડા કેમ ના કહેતો હતો? આજે એકાએક શું થઈ ગયું?” કશું જ નહીંઃ એક શબ્દ પણ નહીં. કહ્યું કેવળ આટલું જ: "તારી મરજી હોય તો કર, ન મરજી હોય તો કંઈ નહીં.”

અને મોતી કામે લાગ્યો. અવલ દરજ્જાનો ઉદ્યમી કેદી નીવડ્યો. આખરે મોતી મુકાદમ બન્યો. એને માથે પીળી પાઘડી મૂકાઈ, જુદી જુદી જેલોમાં એની બદલીઓ પણ થઈ.

એક દિવસ રત્નાગિરી જેલમાં એને ખબર મળ્યા કે ગાંધીવાળા નવા આવેલા કેદીઓમાં એક ઓરત કેદી છે, અને એ કોઈક 'મહારાજ' નામે ઓળખાતા ગુજરાતી માણસની દીકરી છે.

“મહારાજ!”

પંદર–વીસ વર્ષો પરનો એ પવિત્ર શબ્દ કાને પડ્યોઃ 'મહારાજની દીકરી!” એ દોડયો સ્ત્રી કેદીઓની ખોલીઓ તરફ. ત્યાં એણે રવિશંકર મહારાજની પુત્રીને શોધી કાઢી. પગે લાગ્યો, અને બોલ્યોઃ"બૂન, તારા બાપા તો મારા ગુરુ છે. તું લગીરે મૂંઝાતી ના. તારી જે જોઈએ તે મને કહેજે. કશી વાતે તું અહીં મૂઝાતી ના, હોં બૂન.”

જેલ-બદલીઓમાંથી અંતે મોતી જુવાન મટી, આધેડ મટી, બુઢાપાને ખોળે બેસી પાછો સાબરમતી જેલમાં આવીને ઠરીઠામ થયો અને મહારાજ આવ્યા ત્યારે, ઉપર જણાવ્યા પ્રમાણે, વાત્રક-કાંઠાના ખેતરમાંની એ ભયાનક રાતના ઝાંપલી આડેથી ઊઠેલ બંદૂકધારી જુવાનનું સ્મરણ દેવરાવીને મળ્યો.

રાજદ્વારી કેદીઓના રહેઠાણમાં મોતી મુકાદમ છૂટથી અવરજવર કરતો, વાતો કરતો ને વાતો સાંભળતો ઊભો હોય એમાં એકાએક સીટી સાંભળે, એટલે બોલી ઊઠેઃ "જૈશ ત્યારે; મા બોલાવે છે.”

મા બોલાવે છે? મા કોણ! રાજકેદીઓ આશ્ચર્ય પામતા, એટલે મોતી કહેતોઃ મા બોલાવે છે-એટલે વીશી બોલાવે છે. અહીંની વીશી અમારી સાચી મા છે કારણ કે ત્યાં જઈએ એટલે રોટલો-શાક પામીએ. મા છે વીશી તો.”

એક દિવસ રાજકેદીઓ માટે મહારાજ પર બહારથી કોઈકે મકાઈના ડોડા મોકલ્યા. એમાંથી એક લઈને મહારાજે મોતીને આપ્યો.

ઘડીક તો મોતી મકાઈના ડોડાને જોઈ રહ્યો, એની આંખોમાં ઝળઝળિયાં આવી ગયાં. એ કશું બોલી શકયો નહીં.

મકાઈનો ડોડો મોતીએ જમીન પર મૂકયો. પછી પોતે એની ફરતો પ્રદક્ષિણા ફરીને પગે લાગી બોલ્યોઃ "માતાજી! આજે બાવીસ વર્ષે તો તારાં દર્શન પામ્યો! ખાવાની તો શી વાત! પહેલા દર્શન જ આજ પામ્યો.”

એ પ્રદક્ષિણા સૌએ નિહાળી. શબ્દો પણ સૌએ સાંભળ્યા. એ કંઈ ટીખળ ન્હોતું. સૌનાં મોં ગમગીન બન્યાં. ગુજરાતની ધરતીનો પુત્ર બાવીસ વર્ષે મકાઈના થોડા દાણાનાં દર્શન પામીને ધન્યતા અનુભવતો હતો.

“ભાઈઓ!”મહારાજે સાથીઓને પૂછયુંઃ "હવે આ ડોડા આપણાથી ખવાશે ખરા?”

સૌએ ડોકું ધુણાવ્યું. મકાઈ ચાખવાની કોઈની હિંમત નહોતી.

“લે મોતી ! આ બધા જ ડોડા લઈ જા. શેકીને સૌ કેદીઓ ચાખજો.”

“ના રે, બાપજી! અમે એ શેકીને ક્યાં જઈને !”

એક દિવસ મોતીનો આખો ઈતિહાસ રવિશંકર મહારાજે સંગાથી રાજકેદી દાદા ગણેશ વાસુદેવ માવળંકરની આગળ ધરી દીધો. ગુજરાતના રાષ્ટ્રભકત ધારાશાસ્ત્રી શ્રી માવળંકરનું હૃદય દ્રવી પડયું. એમણે સરકારને એક દયાની અરજી મોકલી તેમાં આખો ઈતિહાસ આલેખ્યો કે આ માણસની યુવાની કેવા સંજોગોમાંથી ગુનાને માર્ગે ચડીઃ આ માણસને બાવીસ વર્ષથી વાટ જોતી એક ઓરત અને એક બેટો બેઠેલ છેઃ એની જુવાની તો ભાંગી ભુકકો બની ગઈ છે, પણ એને અવશેષ આવરદાનાં બે-પાંચ વર્ષ તો બૈરી-દીકરાની જોડે જીવવા આપો! અરજીની તાત્કાલિક અસર થઈ. એક દિવસ સરકારી કેદનાં બાકીના ત્રીસ વર્ષની માફી પામીને મોતી સાબરમતી જેલનાં બારણાંની બહાર નીકળ્યો.

પણ –

પણ ઘેર જવા માટે નહીં, વડોદરા રાજને સોંપાવા માટે, કારણ કે હજુ તો વડોદરા રાજમાં કરેલા ગુનાઓ બદલ મોતીને ત્યાં લાંબી ટીપ ભોગવવાની બાકી હતી.

અત્યારે હજુ મોતી વડોદરાની જેલમાં છે.[૧]

  1. *ત્યાંથી પણ દસ વરસની સજામાંથી ત્રણની જ ભોગવીને છૂટીનેમોતી ૧૯૪૬માં ઘેર આવી ગયો છે.