મુંને લહેર રે લાગી

વિકિસ્રોતમાંથી
મુંને લહેર રે લાગી
મીરાંબાઈ



મુંને લહેર રે લાગી


મુંને લહેર રે લાગી હરિના નામની રે,
હું તો ટળી રે સંસારીયાના કામની રે ... મુંને.
ચોટ લાગી તે ટાળી કદી નહીં ટળે રે,
ભલે કોટિ પ્રયત્ન દુર્જન કરે રે ... મુંને.
હું તો બાવરી ફરું છું મારા હૃદયમાં રે,
મારી સૂરતી શામળિયાના પદમાં રે ... મુંને
મહામંત્ર સુણાવ્યો મારા કાનમાં રે,
હું તો સમજી મોહનજીને સાનમાં રે ... મુંને
મીરાંબાઈને ગુરુજી મળ્યા વાટમાં રે,
એણે છોડી દીધેલ રાજ પાટના રે ... મુંને