યુગવંદના/છેલ્લી સલામ

વિકિસ્રોતમાંથી
← માતા. તારો બેટડો આવે ! યુગવંદના
છેલ્લી સલામ
ઝવેરચંદ મેઘાણી
૧૯૩૧
ઝંડાવંદન →


છેલ્લી સલામ
[હરિજનો માટે પૂના ખાતે મંડાયેલા મહાત્મા ગાંધીજીના

પહેલાં અનશનવ્રતના સપ્તાહ વખતે.]

[ઢાળઃ ભૂલ્યો રે ભૂલ્યો રાજા સત રે ગોપીચંદણ]


સો સો રે સલામું મારાં ભાંડુડાંને કે'જો રે,
ઝાઝેરા જુહાર જગને દેજો હો...જી !
મળાયું ન તેને સહુને માફામાફ કે'જો, ને
રુદિયામાં રાખી અમને રે'જો હો...જી !

ટીપેટીપે શોણિત મારાં તોળી તોળી આપું તોયે,
પૂરાં જેનાં પ્રાછત કદીયે જડશે ન જી –
એવા પા૫દાવાનલમાં જલે છે જનેતા મારી,
દિલડાના ડુંગર સળગ્યા – ઠરશે ન જી !
— સો સો રે સલામુંo

કીધાં ખાખ ખાંડવવનને[૧] પાંડુ તણા પુત્ર તે દી
નિરદોષી નાગાં લાખો ભુંજાણાં હો...જી :
આદુનાં નિવાસી એ તો આ રે આ ભોમ કેરાં,
પૂર્વજ મારાને પાપે ઓરાણાં હો...જી.
— સો સો રે સલામુંo

રઘુપતિ[૨] રામ મારા રુદાનો વિસામો – એણે
ઋષિઓને વચને ખાધેલ ખોટું હો...જી :
પ્રભુનામ ભજતો એણે પારાધી સંહારિયો રે
એનું ઘોર પાતક આજે ઊમટ્યું હો...જી !
— સો સો રે સલામુંo


  1. ૧. અર્જુને ખાંડવવન સળગાવીને સર્પોને નહિ પણ 'નાગ' નામની અનાર્ય માવનજાતિને ભસ્મીભૂત કરી હતી – કેવળ એ આદિ-નિવાસીઓનો પ્રદેશ પચાવી પાડવા સારુ જ.
  2. ૨. બ્રાહ્મણે આવીને રામચંદ્ર પાસે પોકાર કર્યો કે, શમ્બૂક નામના એક શૂદ્રે તપશ્ચય માંડી છે તે કારણે મારો પુત્ર મૃત્યુ પામે છે ! તે પરથી રામચંદ્રે એ તપસ્વીનો શિરચ્છેદ કર્યો હતો.


છેદ્યાં, બાળ્યાં, ગારદ કીધાં પૃથ્વીના પેટમાં, ને
અસૂરો કહીને કાઢ્યા વનવાસ જી :
જીવતાંને કાજે જુદી નરકું બંધાવિયું, ને
સદાનાં નરાધમ રાખ્યાં દાસીદાસ જી.
— સો સો રે સલામુંo

સમર્થોની સત્તા સંતો, ધુતારાની ધૂતણબાજી,
કુડિયા ગુરુની કૈં કૈં કરામત જી :
એની[૧] તો વણાવી ધીંગી ધરમધજાઓ, એને
ભાંડું કરે રગતે રંગી ભલી ભાત જી.
— સો સો રે સલામુંo

એવી એવી ઝડીઓ મારાં સહોદરો ઝીલતાં, ને
ધરમધજાઓ કેરે ક્યારે સિંચાણાં હો...જી :
રુદામાં સમાવી સરવે રુદનપિયાલા, વા'લાં
હરિ કેરા રથડા હેઠળ પિલાણાં હો...જી.
— સો સો રે સલામુંo

રથના સારથિડા – સુણજો, સાધુ ને ગુંસાઈ સરવે,
કડાકા કરે છે રથની ધરીઓ હો...જી :
જુઓ જુઓ જુગનો ભેરવ ઊભો વાટ ખાળી આજે,
ભીતર તો નિહાળો : હરિ ક્યાં પળિયો હો...જી.
— સો સો રે સલામુંo

જુગનો મહારાજા આજે મહાકાળ જાગિયો, ને
ધરમ કેરા ધારણ-કાંટા માંડે હો...જી :
સતને ત્રાજવડે[૨] મારાં કલેજાં ચડાવિયાં મેં,
શીશ તો નમાવ્યું શાસનદડે હો...જી.
— સો સો રે સલામુંo



  1. ૧. આ બધા જુલમો ધર્મને નામે થઈ રહેલ છે – એ ભાવાર્થ.
  2. ૨. મહાત્માજીના શબ્દો: ‘આઈ હેવ લેઇડ ડાઉન માય લાઇફ ઇન ધ સ્કેઈલ્સ ઑફ જસ્ટિસ'.


હરિ કેરાં તેડાં અમને – આવી છે વધામણી રે,
દલિતોને ઉત્સવ હાકલ પડી છે હો...જી;
હસતાં મુખડાંની અમને વિદાયું દિયો રે, વા'લાં !
રખે કોઈ રોકે નયણાં રડીને હો...જી !
 — સો સો રે સલામુંo