રસિકવલ્લભ/પદ-૯૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← પદ-૯૫ રસિકવલ્લભ
પદ-૯૬
દયારામ
પદ-૯૭ →


પદ-૯૬ મું

ગોપીચંદન માહાત્મ્ય

છે ગોપીચંદન શુચિ અત્યજી, કરે અગતિ જંતુની ગત્યજી;
જે કો શ્રદ્ધાથી પણ હીનજી, કાલ ક્રિયામાત્રે કરિ ક્ષીણજી. ૧

પણ જો ગોપીચંદન ભાલજી, તો નિજ પદ આપે ગોપાલજી;
ગોપીચંદન શિરભુજ ભાલેજી, લેપ્યું હૃદય પણ હોય અંતકાલેજી. ૨

ઢાળ

અંતકાલ લેપ્યું પાપી જો, ગૌબાલઘાતી વિપ્ર;
તદપિ કહ્યું હરિ તે વસે, મમ લોક આવી ક્ષિપ્ર. ૩

કોઈ કૃતઘ્ની સહુ પાપ કર્તા, અધમ કૃતિ નિત્ય ટેવ;
તે પણ પુનિત હોય, ગોપીચંદન સંબંધે તતખેવ. ૪

યાવત શરીરે ગોપીચંદન, તિલક છાપ જણાય;
પ્રતિ નિમિષિ ફલ દશ ધેનુ દાન કર્યા તણું ધ્રુવ થાય. ૫

કરે ગોપીચંદન દાન ટૂંક, કો સંતકરમાં જેહ;
કુલ એકોતેર શત તારિયાં, તેણે જ નહિ સંદેહ. ૬

મહા પાપી મૃત્યુ પામિયો, સ્મશાન મ્લેચ્છ સમીપ.
જો ગોપીચંદન લલાટે તો, હોય મોક્ષ અધિપ. ૭

જો ગોપીચંદન મૃદા સંતત, હોય જેને અવાસ;
ત્યાં દ્વારિકા સહ દયાપ્રીતમ, કૃષ્ણ નિત્ય નિવાસ. ૮
-૦-