રસિકવલ્લભ/પદ-૯૯

વિકિસ્રોતમાંથી
← પદ-૯૮ રસિકવલ્લભ
પદ-૯૯
દયારામ
પદ-૧૦૦ →


પદ ૯૮ મું

રચી રાખ્યું છે હરિએ જેહજી, ટળે ન કોથી નિપજે તેહજી;
ફેર પડે નહીં કોટિ ઉપાયજી, યત્ન ન ચાલે શિવ બ્રહ્માયજી.
હરિકૃતિમાં જીવ હુંપદ તેવુંજી શ્વાન શકટને તાણે જેવુંજી;
જીવનું કીધું તેટલું થાયજી, મળતું આવે હરિ ઇચ્છાયજી.

ઢાળ

ઇચ્છા હરિ અનુસરતું આવે, તે બને લહે જાણ;
ત્યમ નિત્ય નથી બનતું જુએ છે પ્રકટ શું પ્રણામ.
જ્યમ જે સમય જેટલું જેને લખ્યું નંદકુમાર;
ત્યમ તે સમે તેટલું તેને, પ્રાપ્ત હોય નિર્ધાર.
દુઃખ મૃત્યુ કો માગે ન પણ સહજે સમય સદ્ય આવે,

તે રીત સુખ સમજુ લહે, સર્વને સમજણ નાવે.
કર્માદિબલ ત્યાં લગી ખરું, હરિ જ્યાં લગી મન નાણે;
નહી તો કહે ઈશ્વર કૃપાકર વેદ શિદ વખાણે.
સૌ તજી હરિ શરણે પડ્યા તેનું સર્વ નિજ ઇચ્છાય;
ત્યમ નહીં જગતના જીવને કર્માદિ વશ કહેવાય.
સુખ દુઃખ હાનિ લાભાદિક, સહુ વણ કરે પણ થાય;
તે ચિંતા તજી ચાનક ધરી, ભજ દયા પ્રીતમ વ્રજરાય.