રાજમાતા જીજાબાઈ અને બીજાં સ્ત્રી રત્નો/સુંદરી

વિકિસ્રોતમાંથી
← શિવા રાજમાતા જીજાબાઈ અને બીજાં સ્ત્રીરત્નો
સુંદરી
શિવપ્રસાદ દલપતરામ પંડિત
રતિસુંદરી →


१३–सुंदरी

સન્નારી પણ જૈન મહાત્મા આદિનાથ શ્રીઋષભદેવની પુત્રી હતી. આગળ વર્ણવેલી સતી બ્રાહ્મીની તે ઓરમાન બહેન થાય. તેની માતાનું નામ સુનંદા હતું. એ બાળા પણ ઘણી તીવ્ર બુદ્ધિની હતી. તેના પિતાએ તેને ગણિતવિદ્યાનું સારૂં જ્ઞાન આપ્યું હતું. ગણિત વિદ્યામાં તેની પારદર્શિતા જોઈને એ સમયના મોટા મોટા વિદ્વાનો પણ આશ્ચર્યચકિત થઈ જતા હતા.

એ જેવી બુદ્ધિશાળી હતી તેવી જ સુશીલ અને પરોપકારી હતી. તેનું સૌંદર્ય પણ અનુપમ હતું. એ પોતાનો સમય વિદ્યાભ્યાસમાં અને પોતાથી ઓછું ભણેલી બહેનોને સદ્‌વિદ્યાનો બોધ આપવામાં ગાળતી.

સુંદરીએ પણ પાછળથી પોતાના પિતા પાસેથી જૈનધર્મની દીક્ષા લીધી હતી. તેણે તપસ્યા કરીને પિતાના શુદ્ધ ચારિત્ર્યને વધારે ઉજ્જવલ બનાવ્યું હતું. તેણે પોતાના જીવનમાં ઘણાં સત્કર્મો કર્યાં હતાં. શહેરશહેર અને ગામેગામ પ્રવાસ કરીને તેણે દેશની ભગિનીઓને સારો બોધ આપ્યો હતો. તેનું ચરિત્ર આજદિન સુધી જૈન લોકોમાં આદર અને ભક્તિપૂર્વક ગવાય છે.