વસુંધરાનાં વહાલાં દવલાં/૧૩.તીર્થક્ષેત્રે

વિકિસ્રોતમાંથી
←  ૧૨.નવીનતાને દ્વારે વસુંધરાનાં વહાલાં દવલાં
૧૩. તીર્થક્ષેત્રે
ઝવેરચંદ મેઘાણી
૧૪.એ ક્યાં છે? →
આ પ્રકરણને આપ અહીં સાંભળી પણ શકો છો.


13

તીર્થક્ષેત્રે


આટલી જ પ્રાર્થના કરીને સૂતેલું મન નીંદરના ખોળામાં હવું ફૂલ બની ઢળ્યું હતું. ઘરની બાઈ એ સૂતેલા ફૂલ-દેહ ઉપર રમતા દીવાના કિરણો જાણે કે ગણતી હતી. એની આખો એક કાંટાના બે ત્રાજવા જેવી બની હતી – એક છાબડામાં આ સૂતેલું શરીર હતું ને બીજા પલ્લામાં જાણે કે રૂપિયાની થેલી પછી થેલી ફેલ્વાતી હતી. સૂતેલું શરીર બહુ બહુ તો એક સો રતલ હશે, ને સામા પલ્લાની અંદર ચાર હજાર રૂપિયાનું વજન થઇ ચૂક્યું હતું, છતાં હજુ આ શરીરવાળું પલ્લું ધરતીથી ઉંચું આવતું નહોતું. બાઈ જાણે કે એ દેહને ખરીદવા આવનાર ઘરાકને કહેતી હતી : “નાખો હજુ નાખો, હજુ તો ઘણી વાર છે.”

તિલકધારી પુરુષે બિલ્લી-પગે આવીને આ સૂતેલા શરીરને નીરખતી ઊભેલી બાઈ નિહાળી, બનેએ એકબીજાની નજરનું ત્રાટક બાંધ્યું. બંને બીજા ઓરડામાં જઈને બેઠા. ભીતો પણ ન સાંભળી જાય એવી ધીરી વાત ચલાવી :

“પાછળથી કજિયો-ટટો નહિ, અત્યારથી જ નક્કી કરો”

“તને જેમ ગમે તેમ કરી આપવા તૈયાર છું.”

“ના, ગયે વખતે રૂડકીના કામમાં તે મને મોટો રેસ આપેલ છે.”

“અરધોઅરધ”

“બહુ વધુ પડતી વાત કરો છો.”

“ચાલાકી કર માં.”

“તારી જીભે કબૂલ, બસ?”

“ઉતાવળ કરવી નથી. જોઈ તો છે ને બરાબર? સસ્તી નથી કાઢી નાખવી.”

“ના, તમે ઝાઝો વખત પણ નથી જવા દેવો. ક્યાંક મરી રે’શુ?”

“હા, ને આને કાઈ રૂડકી-કંકુડીની જેમ કેસરિયા દૂધના કઢા પાવામાં પંદર દી – મહિનો વિતાવાનીય જરૂર નથી. વાન જ ઉજળો છે.”

“આ મકાનવાળા વકીલનું કેટલું ઠરાવ્યું છે. ?”

“જે આપશું તે લઇ લેશે, બોલે એવો નથી. ધંધાપાણી વગરનો બેઠો છે.”

“ઠીક ત્યારે, આ છાબિયું તો ઉતારી લે.”

“હા, ઠીક યાદ કર્યું. હું તો ભૂલી જ જાત ને પુરાવો કોઈકના હાથમાં પડત.”

તિલાક્ધારી પુરુષે એ મેડીની દીવાલો પરથી દેવમૂર્તિઓનો ને ચાબીઓનો બધો સરંજામ સમ્તેઈ લીધો, અને એની જગ્યાએ એક સંદી વકીલની સંનદ જ ફ્રેમમાં મઢેલી લટકતી રહી. વાઘરીઓએ નહોતો જોયો, ને જોયા તોપણ ન ઓળખી શકત, એવો એક કબાટ ત્યાં પડ્યો હતો, ને એમાં કાયદાની પચીસેક ચોપડીઓ સોનેરી પીઠની પાછળ કાળા અક્ષરોને સંતાડતી વેશ્યાઓ સમી બેઠી હતી.

છબીઓ સમેટતે પુરૂષ સ્ત્રીને કહેતો હતો : “નંદુડી, તારા જુના ને જુના ધંધામાં પડી રહી હોત તો કદીએ ઊંચે આવી શકત આટલી ?”

“પણ એ કસબમાં તાલીમ લીધી એટલે તો આ નવા પાઠ કરવામાં ક્યાય ચૂક પડતી નથી ને, શિવલા ! ખાનદાન કુળની શેઠાણીનો, ને તેમાય પાછો ભગતરાણીનો વેશ કાઢવો તો કાઢવો, પણ દિવસના દિવસ ટકાવી રાખવો સહેલ નથી – શિવલા, સહેલ નથી ! પરખાઈ જતા વાર ન લાગે !”

“તારે ક્યાં વેશ કરવાપણું છે ? તું તો ખાનદાનનું છોરું હતી ને ?”

“હતી, વરસો વહ્યા ગયા. ભૂલી પ ગઈ. કાકાએ બટકું રોટલોય બાંધી દીધો હોત તો રંડાપો પાળતી શા માટે ન બેઠી રે’ત ?”

“એવો અફસોસ હવે આટલા વર્ષે ?”

“કોઈ કોઈ વાર યાદ આવી જાય છે. શિવા ! કાકાને યાદ આવી હોત છો અત્યારે નરસ બની ને ને ક મેં’તીજીનું ભણીને પારકી બેન-દીકરીઓની આશિષો લેતી હોત – આજ નિસાસા લેવા પડે છે.”

“સૌનું એમ જ છે, નંદુ ! મનેય આ ધંધે ચડાવનાર મારા ન્યાતીલા જ છે ને ? માં બાપના કારજ કરવા બેનને વેચવી પડી અને પાંચ કોથળી છોડ્યા વાબર જન્મારો આખો કુવારો રહેવાની અવદશા દેખી એટલે જ ઊંડી દાઝનો માર્યો આ માર્ગે વળ્યો છું ને ?”

“ઠીક છે, મારા ભાઈ, આ જ ઠીક છે. આપણા બેના કસબમાંથી બીજા પાચ-સાતનો પેટગુજારો તો થાય છે ને ? વાઘરીથી લઇ વકીલ સુધી સૌને ધંધો તો પકડાવ્યો ને આપણે !”

“બસ, બસ ! ઉદ્યમ કરને ખાવું છે ને ? મારેય જુના કરજ ભરપાઈ કરતા આરોવારો નથી આવતો. દીનદયાળ શેઠનું લેણું એ તો પઠાણનું લેણું છે, બાઈ ! પૂરું કર્યે જ ઉગાર છે.”

“ને વળી આપને તો એક અચૂક નીતિ રાખી છે ને, કે વેશ્યાને હાથે આ બચાડી વાઘરણને ને વેચવી. આપણે પણ ઈશ્વરને માથે જ રાખ્યો છે, ભાઈ!”

એવી વાતોએ આ નંદુ અને શિવલાની જીવન-કથા તાજી કરાવી. બંનેના અંતરમાં જલતા જુના સામાજિક વૈર યાદ કરાવ્યા. ત્રણ વાગ્યાની ટ્રેનમાં સોનાની પૂતળી તેજુને ડાકોરની યાત્રા કરાવવા બંને ભાગીદારોએ રણછોડરાયના ઈશ્વરી ધામનો રસ્તો લીધો.

‘રણછોડ.....રાયકી......જે ! ‘ એવા લહેકાદાર જયકારોએ ડાકોરની ગાડીનો ડબ્બો ગુંજાવી મૂક્યો હતો. યાત્રાળુઓના ટોળા ઉછળી ઉછળી ગાતા હતા –

રણછોડરાય; રણછોડરાય બીજું નૈ નૈ નૈ નૈ !

કાગડા ઢેઢગરોળીઓને ચાંચમાં પકડે એવા પ્રકારે તીર્થગોરો યજમાનોના કાંડા ઝાલી રહ્યા હતા. ગોમતીના પાણી પર માનવશરીરોના મેલ તરતા હતા. ગોમતીના ઘાટ ઉપર વૃદ્ધાઓ અને યુવતીઓના માથામાંથી હજામના પુનીત અસ્તરાઓ લાંબા વાળનું છેલ્લું સૌંદર્ય પણ ઉતારી લઈને પરલોકગામી પતિઓને જંપવા ન દેતી ઈર્ષ્યા-ઝાળોનું શમન કરતા હતા.

તેમની વચ્ચે વિચાર્નારી આ ત્રિપુટી સર્વની નજરબધી સાધી રહી. તેજબાના રૂપ-ઢગલા પર શંકાઓના ટોળા જેવી યાત્રાળુ-આંખો રમખાણ મચાવી રહી. તારના સંદેશાથી હાજર રહેલો એક ઝાઝાંમાં ઝાઝા ટીલાટપકાવાળો તીર્થગોર આ ત્રણેને પોતાના મુકામ પર લઇ ચાલ્યો ત્યારે બેકાર રઝળતા કેટલાય ગોરો પર એના પ્રતાપની શેહ પથરાતી ગઈ.

ગોરને ઘેર એક બીજા પણ યાત્રાળુનો ઉતારો પડ્યો હતો. પેટીઓ, ટ્રંકો અને બેગોના એ અસબાબ ઉપર અંગ્રેજી અક્ષરે સફેદ નામો લખાયા હતા. તેની વચ્ચે એક ધર્મશ્રદ્ધાળુ સજ્જનતાની સદેહ ભાવના સમો પચાસેક વર્ષનો પુરૂષ લલાટે તિલકોની છાપો ચોડતો હતો. વણિકપુત્રીની સ્વાંગમાં શોભતી તેજુને તીરછી નજરે નખશિખ નિહાળી લીધી. એના મો પર તેજુનું રૂપ ગલીપચીનો મીઠો સિતમ ગુજારવા લાગ્યું. તેજુને તો આ સર્વ સૃષ્ટિનો એક પણ એક જોવા જેવો અંશ હતો. એથી વધુ એ પુરૂષની મીઠી આંખો ને પોતાની જગ-નીખરતી નજર વચ્ચેના તાર કોઈ ભાવિ કસબનો વણાટ કરનારાં હતા તેવું જરી કે ભાન એને નહોતું. પછી તીર્થગોર જયારે તેજુના બનાવટી માતા-પિતાને આ યાત્રાળુ પાસે મિલાપ માટે લઇ આવ્યા ત્યારે યાત્રાળુ સજ્જનની સમક્ષ એક ઉઘાડી નાની પેટી પડી હતી. પેટીમાં નાની-મોટી દાબડીઓ ખોલી ખોલીને એ યાત્રાળુ સજ્જન સોના-રૂપા તેમ જ હીરા-મોતીના સુંદર દગીનાઓનો પોતાની નોંધ-પોથીની ટીપ જોડે નંગમેલ મેળવતા હતા.

“આવો, પધારો, શેઠિયા !” એવો એને તેજુના ‘પિતા’ને આદર આપ્યો. ‘જે રણછોડ !’ ઉચ્ચારી એણે તેજુના ‘માતા’ પ્રત્યે હાથજોડ કરી.

તીર્થગોરનું કામ ભક્ત ને સંત વચ્ચે, પતિત અને પ્રભુ વચ્ચે, તેમ ભાવિકો ભાવિકો વચ્ચે માત્ર મેળાપની કડી મેળવી દેવાનું છે. એટલું કરીને ગોર વિનયભાવે ઉઠી ગયા. તે પછી બંને પક્ષો વચ્ચે લાંબો વાર્તાલાપ થયો. વાર્તાલાપને અંતે પ્રસન્ન વદને તેજુના પિતા બોલ્યાં : “બીજું તો બધું ઠીક છે, શેઠિયા ! અમારે તો અમારી ચંપા સુખમાં પડે છે એ જ મોટો સંતોષ છે !”

“મારી પણ એ જ અભિલાષા છે, ભાઈ !” યાત્રાળુ સજ્જને મુખ-રેખાઓમાં કોઈ અદભૂત માર્દવ મૂકીને કહ્યું : “કે ત્રણ-ત્રણ પત્નીઓના પ્રારબ્ધમાંથી ખાદી પડેલી મારી સંપતિ સુપાત્રના હાથમાં સોપાય, તે તમને વાંધો ન હોય તો આજે જ ઉકેલી લઈએ.”

“અમારી પણ એ જ મનકામના છે. ફક્ત જરા કુનેહથી કામ લેવું પડશે આપને.”

“કહો.”

“અમારો જુવાનજોધ દીકરો એક વર્ષ પર અનમે રડતા મૂકીને વૈકુંઠ વળ્યો છે. અમે તો દીકરીની સામે દેખીને આંખોના પાણી સમાવી લીધા છે, પણ ચંપાને એનો ભાઈ અતિશય વહાલો હતો. વળી એ એક જુવાન વિધવાને મૂકીને ગયો છે એટલે ચંપા દીકરીના વલોપાતનો કોઈ પાર નથી રહ્યો. એણે તો વિધવા ભાભીની જોડે કુવારું વૈધવ્ય ખેંચવાનો નિશ્ચય કરી લીધો હતો. એણે બાપડીએ દુનિયાની મીઠાશ ચાખી નથી ને ત્યાં સુધી જ આ હઠાગ્રહ પકડીને બેઠી છે. માંડમાંડ માનવી છે. એટલે એને આઘાત ન લાગી જાય એવી સરળતાથી લગ્ન ઉકેલવા પડશે.”

“કહો, કેવી રીતે ?”

“અમે એને જાત્રાને બહાને જ ખેંચી લાવેલ છીએ, એટલે લગ્નવિધિ પણ યાત્રક્રિયાની સાથે જ સમેટી લઈએ.”

“સુખેથી !”

“ને પછી અમે છાનામાના વિખૂટા પડી જઈએ તો આપ એને સાચવી લેજો. અમારે ઘેર જુવાન વિધવા છે, શેઠ ! સાપનો ભારો સાચવવાનો છે.”

“કઈ મોટી વાત છે ? “

“કશો જ આડંબર કરવો નથી.”

“મને પણ હવે ચોથી વારના લગ્નનો ઢોલ પિટાવવો ગમે તેમ નથી. “

“ત્યારે તો આપણે સમાન વિચારોવાળા સંબધી બનીએ છીએ ! ભગવતી !” તેજુના ‘પિતા’ નંદુડી પ્રત્યે વળ્યા : “પાડ માનીએ રણછોડરાય દેવનો !”

“મારે તો એ જ એક વિસામો છે !” નંદુએ ગાળામાં ડૂમો આણ્યો. “એટલું જ વીનવું છું જમાઈ ને કે, બેટા, મારી ચંપાના ખુશખબરનો કાગળ હમણા તો રોજ ને રોજ નાખતા રેજો.”

“આ અમારું સરનામું.” ‘પિતા’ એ કાગળમાં નામઠામ ટપકાવી આપ્યા.

પછી ગોમતીના તટની હેઠેવાશને એક એકાંત ખૂણે તેજુની જોડમાં એ યાત્રાળુને તેમજ ચંપાના ‘માતાપિતા’ને બેસાડી તીર્થગોરે જે ક્રિયાઓ કરાવી તેને તેજુએ માની પ્રાયશ્ચિતની ધર્મક્રિયા, યાત્રિકે ગણી લગ્નની ક્રિયા, અને શિવલા-નંદુની જોડેલી તેમ જ તીર્થગોરે ત્રણએ સાચી પીચાની પારકી છોકરીની વિક્રય-ક્રિયા.

જંગલની જાઈ તેજુને લગ્ન અને સરાવણાના લેબાસો તેમ જ વિધિ વચ્ચેનો તફાવત અજાણ્યો હતો.

રાતે ફરીવાર રેલગાડીની સવારી થઇ ત્યારે સેકન્ડ ક્લાસના ડબામાં યાત્રાળુ પોતાની કાયદેસર પત્નીની સાથે ચડી બેઠો. તેજુને એના માવતરે કહી રાખ્યુ હતું કે આહીથી આ યાત્રિકની સંગાથે આપણે નાશકના તીર્થમાં જઈ રહ્યા છીએ. “બધો સામાન આવી ગયો, ભગવતી ? તમે નંગમેળ ગણી લીધા ?” “હા જી” ‘દીકરી નો સામાન, ઓલ્યો દાબડો વગેરે બધું ગોઠવાઈ ગયું ?” હા જુ, આ રહ્યું બધું જ.” “આપણો સામાન ?” “એ પડ્યો રહ્યો છે, ચાલો લઇ આવીએ.” “પણ ગાડી ઉપડશે તો ?” “તો પાછલે ડબે ચડી બેસશુ, ચિંતા કરશો નહિ “ વગેરે વાતો કરીને બેઉ ઉતરી ગયા ને ગાડી ઉપડી ત્યારે આભી બને તેજુએ સ્ટેશનના દીવાને એક પછી એક કોઈ કાવતરાખોરોની માફક મૂગામોએ ને કુટિલ નેત્રે સરી જતા જોયા . બીજી ક્ષણે એ ચકચકિત ગાદલિયાળા અરીસાભર્યા ખાનામાં યાત્રિક ની સગાથે પોતે એકલી જ હતી તેનું ભાન આવ્યું.

“બીજું સ્ટેશન એક કલાકે આવ્યું. પુરૂષ તપાસ કરીને પાછો આવ્યો.

“ક્યાં ગયા ?” તેજુએ પૂછ્યું.

“ગાડી ચૂક્યા જણાય છે. આપણે બીજા જ સ્ટેશનથી તાર દેશું.”

“આવી પહોચશે ?”

“ચોક્કસ. ટાણે આપેલા દાગીનાની પેટી લાવ, આપને મૂકી દઈએ.”

“દાગીના ? દાગીના શેના ?”

“તારા લગનનાં.”

“મારું લગન ? શુ બોલો છો ?”

“લગન નહિ ત્યારે ગોરે શુ કરાવ્યું, ગાંડી ! ભાઈ મૂઓ છે એમાં ભરથાર પણ ભૂલી જઈશ ? એ વલોપાત હવે તો છોડ. તને લગનની મીઠાશ સમજાઈ નથી ત્યાં સુધી જ ગભરાય છે તું ! “

“તેમે કોણે કહો છો, શેઠ ? મારે ભાઈ કેવો ? કોનો ભાઈ મરી ગયો ? એ બે જણા ક્યાં ગયા ?”

“દાગીના ક્યાં ગયા ? તારા માબાપને શા માટે આપતી આવી ?”

“મારા માબાપ કોણ ?”

“તું ભાન ભૂલી ગઈ છે, કે મને લગ્નની પ્રથમ રાત્રિએ ટળવળાવે છે ? ગામડાના બૈરાની ગુહ્ય રજની-વિદ્યા મને નથી આવડતી, હો બાપુ !”

“તમે શેઠ ... કેફ કર્યો છે કે શુ ?”

“કેફ તો કર્યો જ કહેવાય ને ? ચાર હજારની રોકડી નોટો ગણી આપીને તારા સમી વિજયા-કટોરી હાથ કરી, જેનું પાન તો દૂર રહ્યું – નર્યું દર્શન જ કેફમાં દોલાવ્નારું છે !”

“શેઠ, એ મારા માવતર નહોતા, હું એની દીકરી નથી.”

“જ્ઞાનદ્રષ્ટિ તો યાત્રાધામમાં હોઈએ ત્યાં સુધી જ શોભે. પાછા આપણે સંસારમાં આવ્યા, હવે પ્રેમદ્રષ્ટિની વાતો કરીએ.”

“ભાઈ...”

“હા, એક દ્રષ્ટિએ તો પ્રત્યેક પતિ-પત્ની ભાઈ-બહેન જ છે.”

“તમને એ છેતરી ગયા. એ મારા માં-બાપ નથી. હું તો, શેઠ હલકા કુલની અસ્ર્ત્રી છું. મને તો એ જાત્રા કરવા લાવેલા. હું તો હજી પરમ દિવસે ઇન્દ્રનગરની જેલમાંથી છૂટી.”

આગગાડીના પીડા યાત્રાળુના કલેજા પરથી પસાર થતા હોય તેવી અસર તેજુના આ સમાચારે તેના અંતર પર પાડી. એનું ચાલત તો એ ટ્રેન ઊભી રખાવત.

“તું જેલમાંથી છુંટી ?”

“હા હા, હું તેજુડી, અસલ તો અડોડીયાના દંગામાં ભમ્નારી, પછી વાઘરીઓના વાસમાં રહેનારી, મારે એક છોકરો હતો. મારા પાતક ધોવા આ બે જણા મને ઇન્દ્રનગરથી આહી લાવેલા.”

“ઇન્દ્રનગર ?” યાત્રાળુએ પોતાની પાસેનું શિવલા ગોરે આપેલું સરનામું કાઢીને વાંચ્યું. નામ લખ્યું હતું : શેઠ ચતુર્ભુજદાસ દ્વારકાદાસ, નવાનગર.

“એનું નામ શુ છે ?” વરરાજાએ આભા બની જઈને પૂછ્યું.

“મને ખબર નથી. મેં નામ પૂછ્યું નથી.”

“તું વાણિયાની દીકરી નથી ?”

“ના શેઠ, મારા પ્રારબ્ધ એવા નથી !”

“બધી જ વાત બનાવટ છે ?”

“મને કાઈ ખબર નથી. મને પ્રાછત કરાવવા આણી’તી. મને હવે છોડો.”

“તું ક્યાં રહે છે ? ક્યાં જઈશ ?”

“મારે ઘર નથી, સગુંવહાલું કોઈ નથી.”

સંસાર-જીવનના ભીતડાને પહેલી-છેલ્લી વાર ઊભાં કરવાનો અભિલાષું આ વરલાડો આગગાડીના વધતા જતા વેગે વેગે વિચાર વંટોળે ચડ્યો. એ ધનવાન નહોતો. એણે આજ પચાસ વર્ષની ઉમર સુધી પરણવાની – ફક્ત એક વાર લગ્ન કરવાની – શક્તિનો ટીપે ટીપે સંચય કર્યો હતો. એણે અરધો રોટલો ખાઈને આનો-બે આના બચાવ્યા હતા. કૂડ, દગો, છેતરપીંડી અને પ્રપંચ કરવાની જ્યાં પાઈ પાઈની કમાણી માટે પણ જરૂર પડી રહી છે તેવા સમાજનો એ માનવી હતો. ગુજરાતનો એ ગ્રામ-વેપારી હતો. એને એક વાર લગ્ન-સુખ લેવું હતું. એના બે મોટા ભાઈઓ પરણ્યા વિના અરધા અરધા સૈકાના જીવન-જોતરા ખેચીને ખતમ થઇ ગયા હતા. પણ એનો ગુનો ઊજળા વર્ણમાં અવતાર લીધાનો હતો. ત્રણ-ત્રણ અપરણિત ભાઈઓના ઘરમાં દામ ચૂકવવા ચાત પણ કોઈ જ્ઞાતિજન પોતાની કન્યાને મોકલવા હામ ભીડતો નહોતો. એ ભાઈઓના નામ ચેરાઇ ગયા હતા.

નામનું ચેરાવું એ એક ભયંકર વસ્તુ હતી. સમાજ વાંદરાના કટક જેવો હતો : એક વાંદરાને શરીરે એક જ નાનો ઉઝરડો પડે છે, ને એક પછી એક વાંદરું બાધવતાની લાગણી લઈને એને મળવા આવે છે. એક પછી એક એ પ્રાણીઓના નહોર મૂળ નાનકડા ઉઝરાડાને સહાનુભૂતિના ભાવે વધુ ને વધુ પહોળો કરતા પાછા વળે છે. માનવ-સમાજે આ ત્રણ ભાઈઓના નામ પરના કોઈ નાનકડા ચેરા પર પણ એવી જ સહાનુભૂતિના નહોર-પ્રયોગ કાર્ય હતા. એ નામોમાંથી આબરૂના ત્રાગડાને એક પછી એક ગણી ગણી દુનિયાએ ખેંચી કાઢ્યા હતા. મારનારા બે ભાઈઓની છેલ્લી પળનો એક જ પ્રકાર હતો : નાનેરા ભાઈનું કોઈ પણ વાતે ઘર બંધાય ! તે પછી દસ વર્ષે નાનેરો ત્રણેની કમાણીના સમસ્ત સરવાળાની એકસામટી બાદબાકી રમીને આજે ગોમતીજીના તટેથી પાછો વળતો હતો. ગુસ્સો કરી લેવાની એ પણ એક જીવન-ઘડી હતી. ચાર-છ હજાર રૂપિયાનું મુલ્ય માગનારી એ ગુસ્સાની ઘડીએ આ માણસને ઉકાળી નાખ્યો. એણે તેજુને ધમકાવી : “હું તને પોલીસમાં સોપીશ. તું પણ આ કાવતરામાં સામેલ છો. “

“સુખેથી સોપો, ભાઈ !” તેજુએ એ વાતની નવાઈ નહોતી. “મારે જાવા ઠેકાણું તો હવે એક જેલ જ રહી છે – ચાય તોય એ ઘરતી તો મને સંઘરશે !”

વરરાજાને બીજો વિચાર આવ્યો. હવે આને જેલમાં મોકલ્યે પણ શો સાર કાઢવાનો છું. ? આને રવાના જ કરી દઉં ? ના, ના, એ સિવાય પણ બીજો માર્ગ છે એ કાં ન લઉં ?

એને તેજુને પૂછ્યું : “તું વાણિયાણી બની શકીશ ? મારું ઘર ચલાવીશ ? મારે પણ ધરતીમાં કોઈ નથી.”

“કાકા, તમે પૈસાદાર અને આબરૂદાર છો. તમારા કુળનું કલંક બનવા મારે નથી આવવું. તમે મારા બાપ જેવા લાગો છો.”

“તું સમજી લે – મારે આબરૂ નથી. પૈસા હતા તે તમામથી નાહી પરવાર્યો છું. દુનિયામાં હું એકલો છું. હું ટાણે ને તું મને – એમ બેઉ એકબીજાને ઢાંકીને રહેશું. તું વાઘરણ હો, હલકી હો, જે હો તે હો, પણ તારા બોલ પર મને ભરોસો બેસે છે. તું એકલી છો. એકવાર મારે સંસાર ચલાવવાની અબળખા હતી. અમે ત્રણ ભાઈઓ હતા – બે તો ઘર ઘર ઝંખતા મૂંઆ, હું ત્રીજો.........મારી દયા નથી આવતી ?”

તેજુના કાને આખા જીવનની અંદર આજ પહેલી જ વાર ‘દયાની યાચના’ પડી. સેકન્ડ ક્લાસની રોશનીમાં મુસાફરી કરતો એક માણસ તેજુ જેવી દીન-ઉતાર આનાથીની પાસે દયા માગીને નેત્રોમાં જલજલિયા ઉભરાવતો હતો. પારકા પર અહેશાન કરવાની હજારો ર્હદયોમાં પડેલી, વાંઝણી ને વાંઝણી અવસાન પામી જતી વૃતિ પોતાની સાર્થકતાની એકાદ ગર્વ-ઘડીને માટે તલસાટ કરતી હોય છે, ભર દુનિયામાં આવી દયામણી રીતે લૂંટાયેલો ઉજળિયાત આદમી તેજુ જેવી નપાવટ ઠરેલી છોકરીની દીલોસોજી માંગતો હતો. એ એક મોટો બનાવ બની ગયો. નાના માનવીના જીવનમાં બનતો એ મહાન અવસર : સમાજ જેને લલચાવવા, ફસાવવા, બગાડવા, ગાળો ને મારપીટ કરવા સોદાસાટા કરવાનો સહજ જ હક્ક સમજે છે, ને બહુ બહુ તો જેની પામરતા પર ડાયા ખાય છે ને સુંદરતા પર ગુપ્ત હિંસાવૃતિ મોકળી મૂકે છે, ‘રાંડ’ કહીને જ જેના જોબનની મીઠાશ મેળવવા માગે છે, તે જ સમાજનો એક માનવી તેજુની દયા માગતો પોતાનું ઘર ચલાવવા વીનવતો હતો.

“કાકા !” તેજુએ એની સામે ટીકી ટીકીને ઘણી વારે એની ઉત્સુકતા પર પ્રહાર કર્યો : “હું તમારી દીકરી થઈને રહેવા જોગ છું. તમને દેખીને મને મારો બાપ સાંભરે છે, કાકા !”

‘કાકા’ ના મો પરથી છેલ્લી અભિલાષા રજા લઇ ગઈ. એ અભિલાષા તો દુનિયાની એકાદ કોઈ સ્ત્રીના દાંપત્ય-ભાવની રાહ જોતી જલતી હતી. વિધિસર લગ્ન કરીને આણેલી એક રઝળું ઓરત, જગતની ફેકી દીઠેલી એઠ આ ઓરત, તે પણ એને સ્વામી તરીકેના હક્ક આપવા તૈયાર નહોતી. વેદનાની જીવાત એના કલેજાને ખૂણેખૂણેથી સળવળી ઉઠી. પણ હવે બીજો માર્ગ નહોતો. હવે તો મૃત્યુનું તેડું આવતા સુધીની એકલતાને જ ખેંચી કાઢવાની વાત હતી. તાવ આવે ત્યારે કોઈ પથારી કરી પાણીનો પ્યાલો મોએ ધરનાર, દુખતા માથા પર લવિગ વાટીને ચોપડનાર, પગના કળતરને કોઈક ચાંપી દેનાર અને બીજું તો કાઈ નહિ પણ સૂનકાર ઘરમાં સાંજનો એક દીવો પેટાવીને પાટલા ઢાળી વાટ જોનાર પુત્રીના જ ફાંફાં મારવા રહ્યા હતા.

“તારો બાપ મારા જેવો જ દખીયારો અને એકલવાયો હતો ?”

તેજુએ ડોકુ હલાવ્યું : “એનેય સંસારમાં કોઈ નહોતું.”

“તારી માં ?”

“ મારી માની વાત એણે મને કહી જ નથી. તાવમાં પડ્યો પડ્યો બાપ એક વાર લવતો હતો : મારી માના ને એના મેળા તો માના મોતટાણે જ થયા’તા.”

પુરૂષને કઈ સમજ ન પડી.

“એ મારો બાપ નહિ હોય એમ મને લાગે છે. એણે મને ઉજેરી મોટી કરી’તી.”

“તારો બાપ કોણ ?”

“હું જાણતી નથી. મેં તો એને જ બાપ કરી માન્યો, ને એ મારો દીકરો હોય તેવી રીતે મારા ખોળાને ઓશીકે જ મોઓં.”

“તો હું ય તારા ખોળાનું મરણ-ઓશીકું માગું છું. બીજું કશુય તારી કને નહિ માગું. મારું ઘર સાચવીને રે’જે, ને જગતની નજરે જ ફક્ત મારી આ નાટક-લીલા ચાલુ રે’વા દેજે, બાઈ, કે ટુ મારી પરણેતર વાણીયણ છો.”

“મને દગો તો નહિ દ્યો ને, કાકા ?”

“દગો શીદ દેત ? આગલે જ સ્ટેશને પોલીસમાં ન સોપી દેત ?”

તેજુને ગળે ઘૂટડો ઉતર્યો.

“સવાલ તો મારો છે, બાઈ, કે તું મને દગો દઈને ચાલી નહિ જા ને કોઈ દા’ડો ?”

“હું ચાલી જઈ શકી હોત તો મારી આ દશા ન થાત, કાકા ! મારું અંતર જૂની ગાંઠ ન છેડી શક્યું તેના જ આ ફળ ભોગવું છું. “ બોલતા બોલતા તેજુની આંખો ચકળવકળ થઇ રહી.

બાકીનો રસ્તો તેજુની જીવનકથાના અથ-ઇતિ વૃતાતે જયારે પૂરો કર્યો ત્યારે બુઢાપાના ‘વન’ના પ્રવેશ કરનાર પચાસ વર્ષના પુરૂષને વિશ્વાસ બેસી ગયો કે તેજુ એને દગો નથી દેવાની.

આગગાડી છોડીને લાડા-લાડીનો ઢોંગ કરતા એ કાકો-ભત્રીજી ઘરની ધરતીની કોર નિહાળતા હતા ને સૂર્ય એ ધરતીની કોર પરથી સિદૂરવરણું ડોકું કાઢતો હતો.

તીર્થ-વિધિનું બહાનું આપીને તેજુને જે લગ્ન-શણગાર પહેરાવેલા હતા તેની ઝલક સૂર્યે નિર્દયપણે ઉઘાડી પાડી દીધી. તેજુના કપાળમાં કંકુની જે પીળ કાઢેલી હતી તે આખી રાતના જાગરણને પ્રતાપે અખંડિત હતી. તેજુ નહોતી જાણતી કે પોતાનું રૂપ એ પ્રાત:કાળની એક સુરજ-પાંદડી સમું પ્રકૃતિના અરૂણ-ઉઘાડમાં કેટલું એકરસ બની રહ્યું હતું. પોતાનો તો પ્રાયક્ષિતનો પહેરવેશ છે એવી મીઠી ભ્રાંતિ એને આટલા બધા રૂપના મદમાંથી બચાવી રહી હતી.

પુરુષે પોતાને ગામ તાર તો આગલા દિવસે જ દઈ રાખ્યો હતો. સ્ટેશન પર એના બે-ત્રણ સગાં હાજર હતા. એમણે ‘લાલાકાકા’ ને કોણ જાણે કેવીય વાંદરી જોડે ઉતરતા જોવાની ઉમેદ સેવી હતી. તેજુનું રૂપ અને એની મુખમુદ્રાએ ભત્રીજાઓને ચકરી ખવરાવી : કુળવાનનું ફરજદ જણાય છે : મો પર સંસ્કારની વેલ્યો ચડી છે : આવું બૈરું લાલાકાકાના ઘરમાં ? મારો બેટો, ચ્યોથી ઉઠાઈ લાયો ?

ભત્રીજાઓને ઈશારે એક મોટર આગળ ગાજતી ગઈ ને આખી બજારને એણે ખુશખબર આપ્યા : લાલકાકો પરણીને આયો ! મારો બેટો, બૈરું લાયો તો લાયો, પણ ગામ આખા પર આટલા વરસનું વેર વાળે તેવું લાયો !

લાલકાકાએ પ તે દિવસ ગામના ઉપર પૂરી દાઝ કાઢી, એને બજાર સોંસરી જ મોટરગાડીની સવારી કાઢી.

દુકાને દુકાને ને હાટડે હાટડે વકરી-ખરીદી થંભી રહ્યા. લાલકાકાના તો લગભગ બધા જ વેપારીઓ ભત્રીજાઓ હતા, એટલે તેજુને લાજ કાઢવાની જરૂર નહોતી.

પ્રત્યેક દુકાનેથી વ્યાપારીઓએ લાલકાકાને પૂછ્યું : “આવી ગયા ? વારુ ! વારુ ! શુભસ્ય શીઘ્રમ ભલું !”

સૌની સામે લાલકાકાએ હાથ જોડ્યા : “ભાઈઓના આશીર્વાદે ! તમારા સૌના રૂડા પ્રતાપે !”

એ શબ્દો હાથીદાત-શા હતા. પ્રત્યેક ભત્રીજાને નજરમાં સોયમાં પરોવતા લાલકાકા યાદ કરતા હતા કે –

‘હા, બચ્ચાઓ ! તમને એકએકને ઓળખું છું ! તમે મારી ઉમર ચાલીસ હતી તે દિવસથી છાપામાં મારી ઉમર પચાસની ઠેરવીને મારા થઉં થઉં થઇ રહેલા વેવિશાળને તોડાવ્યા છે ! આજ તમારા ઘરેઘરને અભડાવી મારીશ – સગવડ કરીને આયો છું. !’