વાલ્યમનાં વેણ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
વાલ્યમનાં વેણ
દામોદર બોટાદકર
(મારી માને કે'જો તે આણાં મોકલે રે - ઢાળ)


ગાજે વડલો વિહંગતણા ગાનથી રે,
માંહે ટહુકે કળાયલ મોર,
મને વહાલાં વાલ્યમજીનાં વેણલાં રે;

એવો ઉરને આનન્દ એક બોલડે રે,
એ તો લાગે કાળજડાની કોર, મને૦

એને અમૃત તો એક-એક અક્ષરે રે,
સખિ ! શીળા-શીળા એના સૂર. મને૦

રોમે-રોમે રૂડો રાસ રાજતો રે,
ચડે હૈયામાં પ્રેમતણાં પૂર. મને૦

જાણે વરસે કો મન્દ મન્દ મેહુલો રે,
સરે આછી સલિલકેરી સેર. મને૦

જાણે ફૂલડાં ઝરે ફોરતાં રે,
લળી આવે સાગરતણી લહેર. મને૦

દીસે જાદુ જરૂર એની જીભમાં રે,
હું તો ભૂલી ગઈ તનભાન. મને૦

રહે મનને નચાવી એની મોરલી રે,
મારા ઉરનો કોડીલો એ કા'ન. મને૦

ભલે વરસે અંગાર કોઈ આભથી રે,
ભલે કરવતથી કાળજું કપાય. મને૦

રહે રસની સરિત ઉરે રેલતી રે,

પડી જૂઠા સંતાપ સહુ જાય. મને૦