સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ ચોથો:૧. કરી કમાણી એળે ગઈ?

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← ભાગ ત્રીજો:૨૩. પાછો દક્ષિણ આફ્રિકા સત્યના પ્રયોગો અથવા આત્મકથા
૧. કરી કમાણી એળે ગઈ?
મોહનદાસ કરમચંદ ગાંધી
૨. એશિયાઈ નવાબશાહી →


આત્મ કથા : ભાગ ૪


૧. કરી કમાણી એળે ગઈ?

મિ. ચેમ્બરલેન સાડા ત્રણ કરોડ પાઉંડ દક્ષિણ આફ્રિકાથી લેવા આવ્યા હતા, અંગ્રેજોનું અને બની શકે તો બોઅરોનું મન હરણ કરવા આવ્યા હતા. એટલે હિંદી પ્રતિનિધિઓને ઠંડો જવાબ મળ્યો.

'તમે જાણો છો કે જવાબદાર સંસ્થાઓની ઉપર વડી સરકારનો માત્ર નામનો અંકુશ છે. તમારી ફરિયાદો સાચી લાગે છે. હું મારાથી બનતું કરીશ, પણ તમારાથે બને તેવી રીતે અહીંના ગોરાઓને રીઝવીને રહેવાનું છે.'

પ્રતિનિધિઓ જવાબ સાંભલી ટાઢાબોળ થઈ ગયા. મેં હાથ ધોયા. 'જાગ્યા ત્યાંથી સવાર' ગણી ફરી એકદો ઘૂંટવા બેસવું એમ સમજ્યો. સાથીઓને સમજાવ્યા.

મિ. ચેમ્બરલેનનો જવાબ શું ખોટો હતો? ગોળ ગોળ કહેવાને બદલે તેઓ સીધું બોલ્યા. 'મારે તેની તલવાર'નો કાયદો તેમણે કંઈક મધુર શબ્દોમાં સમજાવી દીધો.

પણ અમારી પાસે તલવાર જ ક્યાં હતી? અમારી પાસે તો તલવારના ઘા ઝીલવાના શરીરોય ભાગ્યે હતાં.

મિ. ચેમ્બરલેન થોડાં અઠવાડિયાં જ રહેવાના હતા. દક્ષિણ આફ્રિકા એક નાનકડો પ્રાંત નથી. એ એક દેશ છે, ખંડ છે. આફ્રિકામાં ઘણાં પેટા ખંડો સમાયા છે. કન્યાકુમરીથી શ્રી નગર જો ૧૯૦૦ માઈલ છે, તો ડરબનથી કેપટાઊન ૧૧૦૦ માઈલથી ઓછું નથી. આ ખંડમાં મિ. ચેમ્બરલેનને પવનવેગે ફરવું હતું. તેઓ ટ્રાન્સવાલ ખાતે ઉપડ્યા. મારે ત્યાંનો કેસ તૈયાર કરી રજૂ કરવો રહ્યો. પ્રિટોરિયા કઈ રીતે પહોંચવું? ત્યાં હું વખતસર પહોંચીશકું એ માટે પરવાનગી મેળવવાનું આપણા લોકોથી બની શકે તેમ નહોતું.

લડાઈ પછી ટ્રાન્સવાલ ઊજડ જેવું થઈ ગયું અહ્તું. ત્યાં ખાવા પીવા અનાજ નહોતું. પહેરવા-ઓઢવા કપડાં નહોતાં. ખાલી અને બંધ થઈ ગયેલી દુકાનો ભરવી અને ઊઘાડવી રહી. તે તો ધીમે ધીમે થાય. જેમ મલ ભરાતો જાય તેમ ઘરબાર છોડી ભાગી ગયેલા માણસોને આવવા દેવાય. આથી દરેક ટ્રાન્સવાલવાસીને પાસ લેવો પડતો. ગોરાઓને તો પરવાનો માગ્યો મળતો. હિંદીઓને મુસીબત હતી.

લડાઈ દરમ્યાન હિંદુસ્તાનથી અને લંકાથી ઘણા અમલદારોને સિપાહીઓ દક્ષિણ આફ્રિકામાં આવી પહોંચ્યા હતા. તેમાંના જેઓ ત્યાં જ વસવા માગતા હોય તેમને સારુ સગવડ કરી દેવાની બ્રિટિશ રાજ્યાધિકારીઓની ફરજ મનાઈ હતી. અમલદારોનું નવું મંડળ બનાવવાનું તો તેમને હતું જ. તેમાં આ અનુભવી અમલદારો સહેજે ખપ લાગ્યા. આ અમલદારોની તીવ્ર બુદ્ધિએ એક નવું જ ખાતું શોધી કાઢ્યું. તેમાં તેમની આવડત પણ વધારે તો ખરી જ! હબસીઓને લાગતું નોખું ખાતું તો હતું જ. ત્યારે એશિયા વાસીઓને સારુ કાં નહીં? દલીલ બરોબર ગણાઈ. આ નવું ખાતું, હું પહોંચ્યો ત્યારે, ખૂલી ચૂક્યું હતું, તે ધીમે ધીમે પોતાની જાળ પાથરી રહ્યું હતું. જે અમલદર ભાગેલાઓને પરવાના આપતા તે જ ભલે બધાને આપે. પણ એશિયાવાસીને તેને શી ખબર પડે? જો આ નવા ખાતાની ભલામણથી જ એને પરવાનો મળે તો પેલા અમલદારની જવાબદારી ઓછી થાય ને તેના કામનો બોજો પણ કંઈક ઘટે, એવી દલીલ થઈ. હકીકત તો એ હતી કે, નવા ખાતાને કંઈક કામની ને કંઈક દામની જરૂર હતી. કામ ન હોયતો આ ખાતાની જરૂરિયાત સિદ્ધ ન થાય ને છેવટે તે નીકળી જાય. એટલે આ કામ સહેજે જડ્યું.

આ ખાતાને હિંદી અરજી કરે. પછી ઘણે દિવસે જવાબ મળે. ટ્રાન્સવાલ જવા ઈચ્છનારા ઘણા, એટલે તેઅમ્ને સારુ દલાલો ઊભા થયા. આ દલાલો ને અમલદારો વચ્ચે ગરીબ હિંદીઓના હજારો રૂપિયા લૂંટાયા. મને કહેવામાં આવ્યું હતું કે વગ વિના પરવાનાની રજા મળતી જ નથી ને વગ છતામ્ કેટલીક વાર તો જણ દીથ સો સો પાઉંડ જેટલો ખર્ચ થાય છે. આમં મારો પત્તો ક્યાં લાગે?

હું મારા જૂના મિત્ર ડરબનના પોલીસ સુઓપરિન્ટેન્ડેન્ટને ત્યાં પહોંચ્યો ને તેમને કહ્યું, 'તમે અમરી ઓળખાન પરવાના અમલદારને આપો ને મને પરવાનો કઢાવી આપો. હું ટ્રાન્સવાલમાં રહ્યો છું એ તો તમે જાણો છો.' તેઓ તરત માથે ટોપી ઘાલી મારી સાથે આવ્યા ને મારો પરવાનો કઢાવી આપ્યો. મારી ટ્રેનને ભાગ્યે જ એક કલક બાકી હશે. મેંસામાન વગેરે તૈયાર રાખ્યું હતું. મિ. અલેક્ઝાંડરનો ઉપકાર માની હું પ્રિટોરિયા જવા ઉપડ્યો.

મુશ્કેલીઓનો ચિતાર મને ઠીક ઠીક આવી ગયો હતો. પ્રિટોરિયા પહોંચ્યો. અરજી ઘડી. ડરબનમાં પ્રતિનિધિઓનાં નામ કોઈને પૂછ્યાનું મને યાદ નથી. અહેં તો નવું ખતું ચાલતું હતું તેથી પ્રતિન્ધિના નામ પહેલેથી પુછાયાં. મતલબ મને દૂર રાખવાની અહ્તી એમ પ્રિટોરિયાના હિંદીઓને ખબર પડી ગઈ હતી.

આ દુઃખ દાયક છતાં રમૂજી કિસ્સો હવે પછી.