સરસ્વતીચંદ્ર ભાગ ૪/સખીકૃત્ય.

વિકિસ્રોતમાંથી
← મધુરી માટે મધુરી ચિન્તા. સરસ્વતીચંદ્ર ભાગ ૪
સખીકૃત્ય.
ગોવર્ધનરામ ત્રિપાઠી
હૃદયચિકિત્સા અને ઔષધ. →


પ્રકરણ ૨૦.
સખીકૃત્ય.*[૧]
“ Silence in love bewrays more woe,
“ Than words, though ne'er so witty.”
Sir W. Raleigh

પ્રાત:કાળ થયા પ્હેલાં પરિવ્રાજિકામઠનું સર્વ મંડળ જાગૃત થઈ ગયું હતું અને દંતધાવન (દાતણ) અને પ્રાતઃસ્નાન સર્વેયે સૂર્યોદય પ્હેલાં કરી લીધાં. ધોયેલાં ભગવાં વસ્ત્ર પ્હેરી સર્વ સાધુસ્ત્રીઓ પોતપોતાના પ્રાતઃ-કર્મમાં ભળી ગઈ. ભક્તિમૈયા વગેરે આપણું ઓળખીતું મંડળ “મધુરી”ને લેઈ વિહારમઠના કુન્જવનોમાં જવા


  1. *वैश्वासिकाज्जनाद्रहसि प्रयोगाञ्छास्त्रमेकदशं वा स्त्री गृह्नीयात् ॥ आचार्यास्तु कन्यानां प्रवृत्तपुरुषसंप्रयोग सहसंप्रवृद्धा धात्रेयिका तथाभूता वा सखी सवयाश्च मतृश्वसा विस्त्रव्धा तत्स्थानीया वृद्धदासी पूर्वसंसृष्टा वा भिक्षुकी स्वसा च । विश्वासप्रयोगात ॥ કન્યાએ કામતંત્રનો ઉપદેશ કેવાકેવા ગુરુપાસે લેવો તેમને આમાં ગણાવ્યા છે, એવા ઉપદેશ કરવાનો “સખી ” ને અધિકાર એમાં અપાયો છે।

નીકળ્યું અને રાત્રે ત્યાં રચવા ધારેલી રાસલીલા વગેરેની પરિપાટી ૧.[૧] ત્યાંનાં મંડળ પાસેથી જાણી લેવા લાગી અને કુમુદને સમજાવવા લાગી.

પર્વતના એક મહાન શૈલને મથાળે પૂર્વરાત્રે ચન્દ્ર પરિપૂર્ણ પ્રકાશ નાંખી શકે અને દક્ષિણના અને પશ્ચિમના પવન આવી શકે એવે સ્થાને એક ખુલો ચોક હતો. ત્રણે મઠ કરતાં એ સ્થાન ઉંચું હતું. ત્રણે મઠોઉપર ત્યાંથી દૃષ્ટિ પડતી અને મઠોમાંથી આ સ્થાન દેખાતું. તેની વચ્ચોવચ એક મહાન્ કદમ્બ વૃક્ષ રોપેલો હતો અને ચારેપાસ છેટે છેટે ન્હાના પણ રમણીય સુવાસિત પુષ્પના રોપાઓ પોષીને ઉછેર્યા હતા. ચોકની ચારે પાસ મનુષ્ય જઈ શકે નહી એવાં ન્હાનાં પણ ઉંચાં ઉભાં શૈલાગ્ર હતાં અને પૃથ્વીઉપર અપ્રસિદ્ધ પણ અનેકરંગી સુન્દર પક્ષિયો ત્યાં બેસતાં, માળા બાંધતાં, અને મધુર કોમળ ગાન કરી ર્‌હેતાં. આ ચોક ઉપર મધ્યે યમુનાકુંડ હતો ત્યાં આગળ રાત્રે રાસલીલાની યોજના હતી. સમુદ્રનો પટ ત્યાંથી શુદ્ધ દેખાતો અને એના તરંગની લેખાઓ અને તેમાંના ફીણના ચળકાટ કોઈ ગૌર યુવતિના ઉદરભાગની રોમાવલીઓ જેવા આટલે છેટેથી લાગતા હતા. એ ભાગ ઉપર દૃષ્ટિ નાંખી સઉ ઉભાં અને એ સૃષ્ટિની સુન્દરતાની સ્તુતિ કરવી તે એ સુન્દરતાના ઉપભોગમાં વિધ્ન જેવી લાગી. સર્વ બોલ્યાચાલ્યા વિના, હાલ્યા વિના, કેટલીક વાર માત્ર સમુદ્રનાં અને આકાશનાં દર્શન કરી રહ્યાં અને શાંત આનંદ તેમનાં હૃદયમાં પવનની પેઠે પેસવા લાગ્યો.

આ શાન્તિ વામનીએ તોડી.

“મધુરીમૈયા, સમુદ્રની લહરી અને તે ઉપર થઈ આવતા આ પવનથી તને આનંદ થતો દેખાતો નથી ! તને એ રમણીય પદાર્થોથી કંઈક ઉલટી જ અસર થાય છે.”

કુમુદ – એ સમુદ્ર મ્હારા ભૂતકાળનું સ્મરણ કરાવે છે. મ્હારા હૃદયના સ્વામીએ મને ચન્દ્રિકાની ઉપમા આપી અને પોતાને સમુદ્રની ઉપમા આપી જુઠું જુઠું લખ્યું હતું કે સમુદ્રના તરંગ ઉછાળવાની શક્તિવાળી


  1. ૧. કાર્યક્રમ. Programme.
ચન્દ્રિકાને ધન્ય છે. ચન્દ્રિકા દેખાતી નથી અને સમુદ્ર તો જાતે જ

ઉછળ્યાં કરે છે.

વામની – ચન્દ્રિકાના યોગથી તે વધારે ઉછળશે.

કુમુદ – એ ચન્દ્રિકા ઉદય પામશે, અમારી ચન્દ્રિકા તો શિવજીના જટાજૂટમાં ડબાઈ ગઈ છે.

બંસરી – અલખ મદનની નટકળા એ સંતાયલી ચંદ્રિકા અને ગંભીર સમુદ્ર ઉભયને સર્વાવસ્થામાં વશ કરનારી છે; માટે મુગ્ધ મધુરી, એ નટકળા અમાવાસ્યાએ પણ સમુદ્ર પાસે પરોક્ષ ચન્દ્રિકાનું સ્મરણ કરાવે છે. ત્હારા હૃદયની ભીરુતા તને અવિશ્વાસથી કંપાવે છે. પણ તમારાં જેવાં હૃદય–યુગના યોગ મ્હેં ઘણા દીઠા છે.

કુમુદ – જેને નિરાશા જ પ્રિય છે તેને વિષરૂપ આશા આપવાનો પ્રયત્ન શા માટે માંડે છે ?

વામની – તું શું એમ સમજે છે કે નવીનચંદ્રના હૃદયમાંથી પારા પેઠે તું સરી ગઈ છે? મુગ્ધ મધુરી, મહં તમારું તારામૈત્રક સ્પષ્ટ દીઠું છે – જેવો ત્હારાં નેત્રમાં રાગ હતો તેવો જ તેનામાં હતો. શું તું એમ કહી શકે છે કે આ મ્હારું બોલવું અસત્ય છે?

કુમુદના હૃદયકીલ્લા ઉપર આ પ્રશ્રે સફળ છાપો માર્યો. તેને ગઈકાલનું ભાન આવ્યું, પોતાની અંતર્દશા અન્યજનને પારદર્શક થઈ લાગી, એ પ્રશ્નનો પ્રત્યુત્તર કરાયો નહી. તે ખિન્ન થઈ, લજજાવશ થઈ અને નીચું જોઈ રહી.

વામની – “શા માટે લજવાય છે? શા માટે કર્તવ્યસિદ્ધિમાં શંકિત ર્‌હે છે? અમે ત્હારું સખીકૃત્ય કરવા તૈયાર છીએ. અમે ત્હારું દૂતીકૃત્ય કરવા તૈયાર છીયે. ત્હારા ઇષ્ટજનના હૃદયવીશે તો રજ પણ શંકા રાખીશ નહીં. મ્હેં તેનાં નયન ધ્યાનથી જોયાં છે. આ ગિરિરાજઉપર ત્હારાં ચરણ ચ્હડતા જોઈ તેને નક્કી નવી આશા આવી છે તે મ્હેં જાણી. શાથી જાણી ? મ્હેં તે જનને જોયો તેથી જાણી. તેને કેવો જોયો ?

  • [૧]राधावदनविलोचनविकसितविविधविकारवुभंगम्
जलनिधिमिव विधुमंडलदर्शनतरलिततुङ्गतरङ्गम्

  1. *“ખળભળી ર્‌હે જ્યમ ઊર્મિ અનંકથી સાગર શશી ઝળકંતાં,
    ત્યમ પ્રિયવદનની અળપઝળપથીજ વિધવિધ ભાવ ભજતાં
    નીરખ્યા રસમય હરિને રતિ તલસંતા. ”
    ગીતગોવિન્દ (રા. કે. હ. ધ્રુવના ભાષાંતર) ઉપરથી.
हरिमेकरसं चिर मभिलषितविलासम् ॥

–એવો ત્હારા ઇષ્ટ જનને મ્હેં તેના દૃષ્ટિપાતથી જોઈ લીધો છે. માટે આશા નિરર્થક ગણી બેસી ર્‌હેવું એ તને યોગ્ય નથી. ત્હારો ઇષ્ટ આવા જલનિધિ જેવો જ છે ને તું તેની ચંદ્રિકાજ છે તે તેણે તને જ પ્રથમ ક્હેલું હતું તે હજીય સત્ય છે.

કુમુદ કંઈક સ્મિત કરી બેલી “ વામનીમૈયા, તમારા કામતન્ત્રના સંપ્રદાય નથી મને આવડતા ને નથી મ્હારા ચંદ્રને, તમે ક્‌હો છો કે કર્તવ્ય ભુલી બેસી ર્‌હેવું નહીં પણ અમ સંસારી જનને તો તે બેસી ર્‌હેતાંજ આવડે છે, તમ સાધુજનનાં ઉચ્ચ જીવનમાં અમે ખારાં જળનાં મત્સ્ય ભળીયે તો અમારું મરણ થાય.”

બંસરી – નિરાશાએ ત્હારી આશાનું આવરણ કરેલું છે. પણ સ્ત્રીઓની હૃદયગુહા ઉપર જેમ લજજાનો પટ છે તેમ પુરુષની હૃદયગુહા ઉપર ગમ્ભીરતાનો કર્કશ લાગતો પટ છે, તે પટ ફાડી નાંખીશ તો પછી તને જણાશે કે તેના આભ્યંતર ભાગમાં તેનો સત્ય અગ્નિકુંડ હોલાયો નથી એ અગ્નિ તે એનો કામ, એની જવાળા તે એની ભાષા – એ સર્વે હાલ પ્રચ્છન્ન છે તે ઉઘાડ, એટલે ત્યાં ત્હારા હૃદયને પ્રતિધ્વનિ સંભળાશે, ત્હારા હૃદયના બિમ્બનું પ્રતિબિમ્બ દેખાશે, અને ત્હારું હૃદય જેના પ્રતિબિમ્બરૂપ છે તે બિમ્બ પણ દેખાશે. ત્હારા અને એના હૃદયના મર્મગ્રન્થિ ગુંચવાયા છે તે તે કાળે ઉકલશે. માટે તેમ કરવાનો માર્ગ લે.

[૧]"शृणु रमणीयतरं तरुणीजनमोहनमधुरिपुरावम्
कुसुमशरासनशासनबन्दिनि पिकनिकरे भज भावम् ॥
अनिलतरलकिसलयनिकरेण करेण लतानिकुरम्बम्
प्रेरणमिव करभोरु करोति गतिं प्रति मुञ्च विलम्बम् ॥

“ત્હારી પોતાની હૃદયગુહા પણ અનેક આવરણથી છવાઈ છે અને નવીનચંદ્રથી થયેલા અપ્રિયનો ડાઘ મધુરીના મધુર હૃદયના મર્મભાગમાંથી લ્હોવાતો નથી. તે લ્હોવાતો નથી અને પ્રકટ કરાતો નથી ત્યારે ત્હારી


  1. તરૂણીજનમનમોહન મધુરી જે પીયુ બંસી બજાવે;
    મદનની આણ, મદે કોયલડી ગજવે શુણ, સહી, ભાવે.
    ચંચલપલ્લવ પાણિથી તુજને પ્રેરે આ વનવેલી;
    માટે મેલી વિલમ્બ,સસંભ્રમ ચાલ અપટ અલબેલી,
    ગીતગોવિંદ.( રા. કે. હ. ધ્રુવ.)
જિવ્હા ઉપર અનેક નિમિત્તો ચ્હડી આવે છે તેથી તું જાતે પણ ઠગાય

છે, પણ સત્ય વાત સાંભળી લે. અંતર્માં કોપેલી ચંડી ! સાંભળી લે ને કોપ ઉતારી શાણી થા.

[૧]"अधिगतमखिलसखीभिरिदं तव वपुरपि रतिरणसज्जम्
चण्डि रसितरशनारवडिण्डिममभिसर सरसमलज्जम् ॥
स्मरशरसुभगनखेन सखीमवलम्ब्य करेण सलीलम्
चल वलयक्वणितैरवबोधय हरिमपि निजगतिशीलम् ॥

કુમુદે દીર્ઘ નિઃશ્વાસ મુક્યો. તેની આંખમાં પળવાર આંસુ આવ્યાં, પળવાર રતાશ ચ્હડી આવી, અને વળી આંસુ ઉભરાયાં, “બંસરીમૈયા, આ હૃદયના અગ્નિને તેના ભસ્મમાં છવાયેલો જ રહેવા દ્યો. તમને જે ક્રિયા માંગલિક અને સુખરૂપ લાગે છે તે મને અધર્મ અને દુઃખરૂપ થઈ પડે છે– વિપરીત થઈ પડે છે નક્કી, તમારા હૃદયમાં મ્હારી વિડમ્બના ઇષ્ટ નહીજ હોય !”

સાધુસ્ત્રીઓને આ સાંભળી હસવું આવ્યું. પણ ભક્તિમૈયા દયા દર્શાવી બોલી.

“બેટા મધુરી, સુખમાર્ગ દુઃખરૂપ લાગવાનાં ઘણાં કારણ હોય છે, અને સ્ત્રીયોને વિશેષ હોય છે. તેમાં તું જેવીમાં તો તે આમ અતિશયપણું પામે તેમાં કાંઈ નવાઈ નથી. આપણ સ્ત્રીજાતનાં હૃદય કોમળ કહીયે છીયે તે એટલા માટે કે તેમાં ઘાત પડતાં જેવી વાર લાગતી નથી તેવીજ તેમાંથી પ્રત્યાઘાત થતાં પણ વાર લાગતી નથી. ત્હારી પાસે સુખ દુ:ખરૂપ થાય છે તેની ચિકિત્સા પણ અમારા શાસ્ત્રમાં છે. અને ત્હારે તેથી કોઈ જાતની ભીતિ રાખવી નહી. તેમજ અમે તે નવીનચન્દ્રજીના હૃદયમાં ત્હારે માટે પ્રેમ જ કલ્પીએ છીએ તેના પ્રેમનો તું તિરસ્કાર કરતી દેખાય છે તે પણ તિરસ્કાર નથી પણ તિરસ્કારાભાસ છે – એવી અમારી ચિકિત્સા છે.

"स्निग्धे यत्परुषासि यत्प्रणमति स्तब्धासि यद्रागिणि
द्वेषस्थासि यदुन्मुखे विमुखतां यातासि तस्मिन् प्रिये ।।

  1. ૧. ચણ્ડી ! તું રતિરણધીર ધુરંધર ધાયડમલ્લ ગવાયે ;
    માટે રશનાદુંદુભિ દમકવી, ચલ, ત્યજી લાજ, ત્રિયા હે !
    મન્મથમદમીણા મનમોહનને રસીલી ! રસભેરે
    જગવ જગવ જઈને કરકંકણને રણકારે ઘેરે.
    ગીતગાવિદ, (રા, કે. હ. ધ્રુવ. )
तद्रुक्तं विपरीतकारिणि तव श्रीखण्डचर्चा विषम्
शीतांशुस्तपनो हिमं हुतवहः क्रीडा मुदो यातनाः ॥ "

મોહની દયાર્દ્ર મુખ કરી પાસે આવી અને કુમુદને વાંસે હાથ ફેરવતી બોલી: “ મધુરી, ત્હારી ચિકિત્સા અમે સશસ્ત્ર કરી છે અને ત્હારું ૌઔષધ પણ સશસ્ત્ર જ કરીશું. ત્હારે અમારા ઉપર અને અમારા શાસ્ત્ર ઉપર શ્રદ્ધા રાખવી. જે સુખ અત્યારે નિરાશાથી તને દુ:ખરૂપ થાય છે તે સુખસમયે પાછાં સુખરૂપ થશે. માટે મ્હારું કહ્યું માન, નવીનચન્દ્રજીના ત્યાગના વિચારનો ત્યાગ કર, અને આવશ્યક હશે અને ત્હારા પગ નહી ઉપડે તો અમે એ પુરુષને ત્હારી પાસે આણીશું એટલી – તેમની દયાર્દ્રતા ઉપર – અમારી શ્રદ્ધા છે.

[૧][૨]हरिरभिसरति वहति मधुपवने
किमपरमधिकसुखं सखि भवने ॥
कति न कथितमिदमनुपदमचिरम्
मा परिहर हरिमतिशयरुचिरम् ॥
किमिति विषीदसि रोदिषि विकला
विहसति युवतिसभा तव सकला ॥
जनयसि मनसि किमिति गुरु खेदम्
शृणु मम वचनमनीहितभेदम् ॥
हरिरुपयातु वदतु बहुमधुरम्
किमिति करोषि हृदयमतिविधुरम् ॥

  1. રાગીશું અણરાગ ને વળગતા આવંતશું વામતા,
    મીઠાશું કટુતા, તથા પડી પગે લોટંતશું રુસણાં,
    રાખે ઉલટી, તે તુંને ઘટતું કે શીતાંશું ભાનુ બને,
    બાળે હિમ, વલોવતાં વળી ક્રીડાસુખો મુઝાવી તને! (રા. કે. હ. ધ્રુવનાભાષાન્તર ઉપરથી ગીતગોવિન્દ.)
  2. મધુનો પવન વહે, હરિ આવે !
    શું સુખ, સુખ ઘરમાં પછી લાગે?
    હરિ સુન્દર છે, હરિને પરિહર માં !?
    લવી કેટલું એ હું ગણતી તુજ પગલાં?
    લવી એવું ઘડી ઘડી પ્રથમથકી હું !
    હઠીલી ! હઠછોડી ન, સમજી નહી તું,
    રોતી નિરાશ અનાથ તું શાને?

    હસતી યુવતિ સઉ તુજને આજે !
    ખેદ મહા મન લાવતી શો તું?
    યોગ કરાવું ! વચન મુજ શુણ તું.
    મધુર વદતા હરિ આવે !
    એવું કરું ! શીદ હૃદય ઝુર્રાવે ?
    ગીતગોવિન્દ

કુમુદે કંઈજ ઉત્તર દીધો નહી, પણ તેની આંખમાં આંસુની છાલકો ઉભરાવા લાગી. સામેના સમુદ્રનાં મોજાંની છાલકો આ આંખોને સુખ દેતી મટી અને એમાં કંઈક નવું સત્વ પ્રવેશ પામતું હોય તેમ એ હૃદયને ધરનારીની આકૃતિ થઈ ગઈ તેનું દુ:ખ ઘટવાને બદલે વધતું જોઈ આશાના ઉત્સાહને સટે મર્મસ્થાનમાંથી ઉભરાતો ક્ષોભ જોઈ સાધુસ્ત્રીઓ દુ:ખી થઈ. તેમને પોતાની ચિકિત્સામાં દોષ લાગ્યો. અને ઐાષધ તો તે પછીનું જ. તેમને આ ગુંચવારો થાય છે એટલામાં કુમુદને પાછળથી કોઈએ ખેંચી. તેણે ચમકીને ઉચું જોવા પ્રયત્ન કર્યો. તે પ્રયત્ન સફળ થયાં પ્હેલાં તો તેનું દુ:ખી રોતું મુખારવિંદ ચન્દ્રાવલીની વત્સલ છાતીમાં સમાઈ ગયું અને ચંદ્રાવલીના બે હાથ એના હૃદયને અને શિરને પોતાની છાતી સરસા ચાંપવા લાગ્યા.

“દુલારી, મધુરી, દુલારી ! મ્હારો જીવ રહ્યો નહી તે હું હવે આવી છું અને ત્હારા હૃદયની શાન્તિ પાછી આપીશું. મોહનીમૈયા, તમારાં વચન મ્હેં સાંભળ્યાં છે. પણ આની ચિકિત્સા ઘણી વિકટ છે. એક પાસથી શુદ્ધ આભિમાનિકી અને આભ્યાસિકી પ્રીતિ એક ઉપર અને બીજી પાસથી બીજા ઉપરની સંપ્રત્યયાત્મિકા પ્રીતિ – અને એ ઉભયપ્રીતિ પણ કેવળ સ્થૂલ નહી પણ સૂક્ષ્મ - અતિસૂક્ષ્મ – છે. એના સંપ્રત્યયનું શું કરવું અને અભિમાન અને અભ્યાસનું શું કરવું એ તો ચિકિત્સા પછીની વાત. એના સંપ્રત્યયનું રક્ષણ કરી, એના અભિમાન અને અભ્યાસને શાંત વિસ્મૃત કરાવી, શ્રી જગદમ્બાના કલ્યાણકારક હૃદયપાવન કૃપાપ્રસાદનું એને અાસ્વાદન કરાવીશું તો શું એને વૈરાગ્યનું શમસુખ પ્રાપ્ત નહી થાય ?”

ચંદ્રાવલીની અને પોતાની છાતીઓ વચ્ચેથી પોતાના હાથ બહાર ક્‌હાડી ચંદ્રાવલીની કેડ પાછળ એ હાથ વીંટી કુમુદ બોલી ઉઠી: “મ્હારે હવે એ જ જોઈએ છીએ – ચંદ્રાવલી મૈયા, મ્હારે એ જ જોઈએ છીયે. જુવો, આટલું સાંભળતાં મ્હારાં આંસુ ઉડી ગયાં.” કુમુદ આઘી ખસી અને ચંદ્રાવલીના સામું જોઈ વગર આંસુએ જેઈ રહી.

મોહની – ચંદ્રાવલી મૈયા, એની નાડી - પરીક્ષા તમે પુરી કરી નથી.

બંસરી – અમે એની હૃદયગુહામાં કંઈક ઉતરેલાં છીયે.

વામની – તમારી પરીક્ષા સત્ય હોય તો બેટ છોડી, યદુશુંગ ઉપર આવવાની ઉતાવળી ઈચ્છા ન થાય.

કુમુદ – સર્વ આરોપને પાત્ર છું, પતિત છું, પણ ઔષધ તો એક જ ચન્દ્રાવલીમૈયાવાળું જોઈએ છીયે. મોહની – તેની શક્તિ ક્યાં અને ત્હારી ક્યાં? જે ઐાષધ એકથી જીરવાય છે તે બીજાને મૃત્યુરૂપ થઈ પડે છે.

ચંદ્રાવલી – મધુરી, તને પ્રિય, હિત, અને પથ્ય હશે તે જ માર્ગ શોધીશું, ત્હારી જે ચિકિત્સા કરી આ કૃપાળુ સાધુજનોએ ત્હારું સખીકૃત્ય કરવા માંડ્યું છે તે ગભરાયા વિના કે ક્ષોભ વિના તેમને કરવા દે કે અમારી ચિકિત્સા શુદ્ધ અને સંપૂર્ણ થાય. તેનું ઔષધ કરતી વેળા ત્હારી સંમતિ વિના કંઈ પણ નહી કરીયે એ સત્ય સમજજે. વિવાસિત અદૃશ્ય સીતાએ રામનું દર્શન કર્યું અને રામનો સ્પર્શ કર્યો તે કાળે જેમ સીતાની પાસે તમસા હતી તેવી જ મને સમજજે. ભક્તિમૈયા, તમે જે સાધનથી ચિકિત્સા આરંભી છે તે કંઈક જાણું છું, અને બાકીનાં સાધન પછી જણવજો. પણ તે ચિકિત્સાની વેળાએ મ્હારી દુલારીને રજ પણ વ્યથા થાય એમ ન કરશો.

એની પાછળથી બિન્દુમતી આગળ આવી બોલી. “મધુરીમૈયા, તું ગભરાઈશ નહી. ત્હારી અનેક પડવાળી પ્રીતિ જેવી સૂક્ષ્મ તેવી પવિત્ર છે ને તેવીજ રમણીય ઐન્દ્રજાલિક છે.

[૧]"तटस्थं नैराश्‍यादपि च कलुषं विप्रियवशात्
वियोगे दीर्घेऽस्मिन् झटिति घटनोत्तम्भितमिव ।।
प्रसन्नं सौजन्यादपि च करुणैर्गाढकरुणम्
द्रवीभूतं प्रेम्णा तव हृदयमस्मिन् क्षण इव ॥

“કેમ બંસરીમૈયા, સત્ય કે નહી? મને તે દૃષ્ટાંત વાંચેલું સુઝયું બાકી અનુભવ તો તમને.”

બંસરી - ત્હારી મેધાના તર્ક આગળ અમારા અનુભવનાં અનુમાન પાછાં પડે છે. માટે ત્હારી વાત સાંભળીશું પણ ઔષધકાળે તે અનુભવને જ આગળ આણવો પડશે.


  1. ૧. છે આશ તજી બનીયું ઉદાસી, રોષ ભર્યું તજવા થકી,
    ટમટમી રહ્યું આ દીર્ધ કાળ વિયોગમાં મળવા મથી,
    સૌજન્યથી સુપ્રસન્ન, બળી પ્રિયજનદુખે અનુકમ્પથી,
    આ ક્ષણ ગળ્યું રસમય હૃદય તુજ પ્રેમ ઉદય થયા થકી.
    ઉત્તરરામ “રા. મણિલાલના ભાષાંતર ઉપરથી. વળી જુવો આ
    ગ્રંથ ભાગ. ૧ પૃષ્ઠ ૩૦૯.