સોરઠી બહારવટીયા - ભાગ પહેલો/નાથો મોઢવાડીયો

વિકિસ્રોતમાંથી
← ચાંપરાજ વાળો સોરઠી બહારવટીયા - ભાગ પહેલો
3. નાથો મોઢવાડીયો
ઝવેરચંદ મેઘાણી
વાલો નામોરી →
આ પ્રકરણને આપ અહીં સાંભળી પણ શકો છો.


નાથો મોઢવાડીયો

મી સાંજરે, ગોધૂલીને સમયે, વાજોવાજ પોતાના ગોધલા હાંકતો એક ગાડાખેડુ બરડા મુલકના સીસલી નામે ગામડાના ઝાંપામાં દાખલ થયો. એનું નામ નાથો; મોઢવાડા ગામનો એ મેર હતો. ખેડ કરીને પેટ ભરતો. કદમાં બેઠી દડીનો, દેખાવે બૂડથલ, અને બોલવામાં કુહાડા જેવી જીભવાળો હતો.

ધણના ખુંટડા નાથાના નનકૂડા ગોધલાને ઢીંકે ચડાવ્યે જાય છે, અને ખુંટીયાના બરડા ઉપર પરોણાની પ્રાછટ બોલાવતો નાથો હેમખેમ ગાડું બહાર કાઢી એક શેરીમાં વાળે છે. પહોળા ફળીઆમાં ગાડું થોભાવીને નાથો ઠેક્યો અને હાથમાં રાશ હતી તે ગોધલાને માથે એમ ને એમ ઢળકતી મેલી દઈ એાસરીએ ગયો.

નાથાને દેખતાંની વાર જ ઘરમાંથી એક આધેડ મેરાણીએ બહાર આવીને ઓવારણાં લીધાં. “કાંઈ ફુઈ ! કાંવ કરવા બોલાવ્યો'તો મુને ? ઘઉંના કોસ છોડે મારે આવવું પડ્યું છે. કાલ થાહે તાં બધા ય ક્યારા બળીને રાખ થે જાહે. એવડી તે તારે કીવાની ઉતાવર હુતી ?”

"હા ભા ! તારે ઘઉંનાં વાવેતર ખેાટી થાય છે, ને આંહી મારાં છોકરાં પાવળું દૂધ વન્યા વીયાળુ કરે છે, અને ઈ બધુંય મારો નાથા જેવો જમદઢ ભત્રીજો બીઠે મારે ભોગવવું સરજેલ હશે ને ! આજ મારો ભા વાશીયાંગ હત ને, તો ઈ પીટ્યાઓનાં પેટમાંથી છઠ્ઠીનાં ધાવણ સોત ઓકાવે આવત.”

“પણ આટલાં બધાં મેણાં કીવાંની દઈ રહી છે ? કાંવ થીયું ઈ તો મેાંમાંથી ફાટ્ય ?”

“કાંવ ફાટાં ? ફાટેં ને કાંવ કરાં ? પાંચ કુંઢીયું, ને પાંચ નવચંદરીયું, દસે ય દૂઝણી ભીંસુને પીટ્યાઓ હાંકે ગો.”

“કાંથી ?”

“ડુંગરમાં ચરતી'તી તાંથી.”

“કુણ હાંકે ગા ?”

“જામના માણસુ : ધંતૂરીયાના ફાટલ આયર.”

“ઠીક, તી ઈમાં ઠાલી મોં કાંવ વારછ મારા બાપ વાશીયાંગનું ? હું અબઘડી જે ને લે આવાં.”

એટલું કહીને હાથમાં પરોણો ઉપાડી નાથો ઓસરીએથી ઉતર્યો, ફુઈએ સાદ કર્યો.

“નાથા ! અટાણે અસૂરો નેથ જાવું. વીયાળુ કરેં ને ચંદરમા ઉગ્યે ચાલજે.”

“ના. ના. વીયાળુ તો હવે ઈ દસ ભેંસ્યુંનાં દૂધ આવશે તે દિ'જ કરવાં છે.”

એટલું કહીને પાછો પતંગીઆ જેવો નાથો ગાડા માથે ઠેક્યો. ઢાંઢા તો ઘરમાં જ ઉભા હતા. જોતર છેાડ્યાં કે ઢીલાં પણ નહોતાં કર્યા. ગોધલાની પીઠ ઉપરથી ફુમકવાળી રાશ ખેંચી લઇને નાથાએ ડચકારો કર્યો, ગોધલાની પીઠ ઉપર જરાક હાથ દીધો ત્યાં તો સમતોલ પાણીની અંદર સમા પવનનું નાનું વ્હાણ વેગ કરે તેવી ચાલ્ય કાઢીને ગોધલા ઉપડ્યા. ધૂળની ડમરીઓ ચડાવતું ગાડું તોપના ગોળાની માફક ગડેડાટ કરતું જાય છે. થોડીક વારમાં તો જામનગરની સરહદના રાવલ ગામને પાદર આવીને નાથો અટક્યો.

થાણામાં ગયો. જે મળે એને પૂછે છે કે “ભાઈ, મારી ફુઈની દસ ભેસુ-પાંચ કુઢીયું ને પાંચ નવચંદરીયુ ” ....

એનું વેણ અધુરૂં રહી જાય છે, ને જવાબ આપ્યા વગર થાણાનાં માણસો આંખ કાઢીને સરી જાય છે. આખી રાત નાથો ભૂખ્યો ને તરસ્યો વાવડ કાઢતો રહ્યો. પોતાને રોટલો કે ગોધલાને કડબનું એક રાડું પણ નથી મળ્યું. બીજી વાતમાં એનું ચિત્ત જ નથી. સહુને ભેંસો વિષે પૂછે છે, સહુ એને ધક્કે ચડાવે છે, એમ કરતાં કરતાં નાથો મામલતદારના ઘરમાં પેઠો,

“કોણ છો એલા ?” મામલતદાર તાડુક્યો.

“મારી ફુઈની ભેસુ, પાંચ કુંઢીયું, પાંચ ”....

“તારી ફુઈ જામ સાહેબની પટરાણી તો નથી ને ? પ્રભાતના પહોરમાં પારકા મકાનમાં પૂછયા ગાછ્યા વગર પેસી જાછ તે કાંઈ ભાન છે કે નહિ ? બહાર ઉભો રે'.”

“પણ મારી ફુઈનાં છોકરાં વીયાળુ વગરનાં...”

“અરે કમબખત ! બહાર નીકળ, મોટા રાવળ જામ !”

“પણ મહેરબાન, તું ગાળ્યું કાંવ કાઢછ ? હું તો તારી પાંસળ અરજે આવ્યો છ !”

મેર લોકો હમેશાં સહુને – રાયથી રંક તમામને તુંકારે જ બોલાવે છે. પરંતુ એ તુંકારા કરતી વેળા યે પણ એ તો ગરીબડો થઈને જ બેાલે છે, આવી પ્રથાનું ભાન ન રાખનાર એ મામલતદારનો પિત્તો ગયો. એણે ધક્કો મારીને નાથાને ઉંચી પરસાળ ઉપરથી નીચે પછાડ્યો. જે માણસો હાજર હતાં એ સહુ સાહેબની હુશીયારી અને નાથાની હીણપ જોઇને હસવા લાગ્યાં. પડી ગયેલો નાથો ઉભો થઈને ધૂળ ખંખેરવા લાગ્યો.

“ઠીક સા'બ : રામ રામ ! ” કહીને નાથો ગાડે ચડી પાછો ત્યાંથી નીકળ્યો. ગામનાં લોકોએ વાવડ દીધા કે દસે ભેંસો હાંકીને આયરો રાણપરે લઈ ગયા છે. નાથાએ રાણપરડા ઉપર ગાડું રોડવી મેલ્યું. સીધે સીધો રાણપરડાના થાણામાં ગયો. ત્યાં પણ અમલદારે બરછીના ઘા જેવો જવાબ દીધો કે “તારી ફુઈની ભેસું ને ? હા, જામ સાહેબે હમણાં રાણપરાનો નવો ગઢ બંધાવ્યો ને, એમાં તારી ફુઈની ભેંસનાં શીંગ ચણાઈ ગયાં – ભૂલ ભૂલમાં હો ! સમજ્યો ને ભાઈ ? હવે કાંઈ ચણેલો ગઢ તારી ભેસું સાટુ પાડી થોડો નખાય છે ?”

“ના સા'બ ! ગઢ પાડજો માં. હજે બેવડો ચણજો. હું હવે મારો હિસાબ જામની હારે જ સમજી લેશ.”

“ઓય મારો બેટો... ! તું શું બારવટુ કરીશ ?”

પડખેથી એક આયર બેાલ્યો, “હા હા સાહેબ, એનો દાદો કાંધો મેર બારવટે નીકળ્યો'તો અને એનો બાપ વાશીયાંગ પણ આપણા રાજની સામે બારવટું કરતો'તો. આશીઆવદરથી ખડનો ભર ભરીને લઈ જતો'તો એટલે ઇજારદારે એનો ભર આંચકી લીધો તો.”

“તી મારે બાપે તો પડી જમીનમાંથી ખડ લીધુ'તું, કાંઇ કોઈના ખેતરમાંથી નુતું લીધુ -” ભોળો નાથો આજ પચાસ વર્ષે પોતાના બાપનો બચાવ કરવા લાગ્યો.

“ઓહોહો ! ત્યારે તો આ બીજી પેઢીનો પાકેલ શૂરવીર નગરના રાજને ઉંધું ચતું જ કરી મેલશે હો !”

સાંભળીને નાથો ચાલ્યો. ભાણવડ ગયો. જામનગર ગયો. વધુ તો બોલતાં ન આવડે, એટલે “મારી ફુઈની ભેંસું ! પાંચ કુઢીયું, પાંચ નવચંદરીયુ.…….” એવાં મેર-ભાષાનાં ભાંગ્યાં ત્રુટ્યાં વેણ બાલે છે. પણ નગરની દોમ દોમ બાદશાહીમાં પોરબંદર તાબાના મોઢવાડા ગામના નાથા મેર નામે ખેડુને ઉભવાનું ઠેકાણું જ નહોતું. રંગમતીને કાંઠે ભૂખ્યા ગોધલાને રાત બધી ચારો કરાવી, રૂપમતીનાં પાણી પાઈ, ગાડું પાછું હાંકી મેલ્યું. પણ હાંકતાં હાંકતાં જામના દરબારગઢના કાંગરા ઉપર, પાછું જોઈને કરડી નજર ઠેરવતો ગયો. જાણે કેમ પોતાની દૃષ્ટિથી જ એ કાંગરાને તોડવા મથતો હોય, એવા જોરથી નજર નોંધતો ગયો.

કાળભર્યો આવ્યો પાછો રાણપરડાની સીમમાં. બપોર તપે છે. સાંતીડાં છોડીને ખેડુતો આડા અવળા થયા છે. ફક્ત બે ગોવાળીયા ગામનું ખાડું ચારે છે. એક સો જેટલી હાથણી સમાન ભગરી ને કુંઢી ને નવચંદરી ભેંસોએ ગાડાની ધણેણાટી સાંભળી કાન માંડ્યાં. ડોક ઉંચી કરી. ગોવાળીયા પોતાના ગોબા લઈને ઉભા થઈ ગયા. ત્યાં તો ગાડું હાંકીને ઠેઠ સુધી નાથો ધસી આવ્યો. આવીને પડકાર્યું કે.

“એલા આયડુ, આ ક્યાંનો માલ ?”

“રાણપરડાનો.”

“મારી ફુઈનાં છોકરાં વીયાળુ વન્યા સુવે છે ઈ ખબર છે ને ?”

“તે શું છે?”

“અને મારે ય ત્રણ દિ'થી વીયાળુ અગરાજ થયું છે.”

“તે પણ છે શું ?”

“આ ભેંસુને દૂધે આજ સીસલી જઈને વીયાળુ કરવું છે.”

“ભેંસુંનાં મૂતરે વીયાળુ કર્ય, મૂતરે. જો ગગો જામસા'બની ભેંસું દોવા આવ્યો છે.”

“માલને છાનામુના મોઢા આગળ કરી દીયો છો, કે હું જ હાંકે લાં?"

"હવે હાલતો થા હાલતો, રોંચા !”

“કોઈ વાતે નથે સમજવું ના ?” “લે જા જા, આ એક ગોબા ભેળી ખોપરી ઉડી પડશે.”

“ઠીક ત્યારે, ઈ બે ગોબા મોટા ? કે આ એક પરોણો મોટો ? એનું પારખું કરીએ.”

એમ કહીને ગોધલાની પીઠ ઉપર રાશ ઉલાળીને ફક્ત એક પરોણાભર નાથો નીચે ઠેક્યો. દોડીને પરોણાની પ્રાછટ બોલાવવા માંડ્યો. રબારીઓના હાથમાં ગોબા ઉપડે તે પહેલાં તે બન્નેનાં જમણાં કાંડાં ખેડવી નાખ્યાં. ફડાફડી બોલાવીને બન્ને પહાડ જેવા પડછંદ ગોવાળેાને ધરતી ઉપર ઢાળી દીધા. આખું યે ખાડું સીસલીના કેડા ઉપર ધોળીને વ્હેતું કર્યું. પાછળ ગોધલા હાંક્યા. દોટાવતો દોટાવતો સો યે ભેંસોને ઉપાડી ગયો. ગોધુલિ વખતે ગયો હતો ને ગેાધુલિને વખતે જ પાછો સીસલીના ઝાંપામાં પેઠો. એક સો ભેંસોની ધકમક ચાલી તે સીસલીનાં માણસ જોઈ રહ્યાં. નાથાએ ડેલીએ જઈને સાદ કર્યો કે “ફુઈ ! વાડો વાળ્ય,”

ફુઈ બહાર નીકળી. વારણાં લઈને કહ્યું કે “ખમ્મા ! ખમ્મા મારા વાશીયાંગના પૂતરને ! પણ માડી ! આ કવણીયું ?”

ફુઈ, તારીયું તો ન મળીયું, પણ આમાંથી તારૂં મન માને ઈ દોવે લે.”

“અરે મારા બાપ ! પણ આ તો સરપ બાંડો કર્યો ! જામની સામુ વેર માંડ્યું.”

“તું તારે મેાજ કર. જામને જવાબ દેનારો હું જીવતો બેઠો છું. અટાણે તો મુને ઝટ વીયાળુ પિરસ્ય. ત્રણ દિ'નો ભૂખ્યો ડાંસ છું. લાવ્ય, ઝટ આ સો માયલી એક નવચંદરીનું બેાઘરૂં ભરીને મેલી દે મારા મો આગળ અને ઠાવકી ભાત્ય પાડીને ઉના ઉના રોટલા બે ટીપી નાખ્ય તાં ! આજ તાં જામને માથે બથીય દાઝ કાઢીને વિયાળું કરવું છે.”

નાથાની ફુઈ હેબત ખાઈને ઉભી થઈ રહી છે. “અરે મારા બાપ ! તુંને ભો નથી ? અબઘડી જામની ફોજનાં ભાલાં વરતાશે. માટે તું ઝટ નીકળી જા.”

“એ ના ના, ખાધા વિના તો આજ નહિ નીકળું. તુંને જો તારા ઘરમાં ચોર સંઘરવાનો ભો હોય તો ભલે, હું ભૂખ્યો તરસ્યો ભાગી જાઉં.”

રોટલા તૈયાર થયા. જામની ભેંસો દોહવાઈ રહી. નાથાએ લીલવણી બાજરાના બે ધડસા જેવા રોટલા પટકાવ્યા. પછી ઓડકાર ખાઈને કહ્યું “લે ફુઈ હું જાઉં છું, પણ ભેંસુને ખીલે ય જો જામનાં માણસ અડવા આવે તો સંભળાવી દેજે કે વીણે વીણેને હું એનાં માથાં વાઢે લેશ.”

નાથો ગોધલા હાંકીને બહાર નીકળ્યો. એટલે પાદરમાં સીસલી ગામના કોઠા ઉપર ચડીને ઉભેલા આદમીએ કહ્યું કે “ભાભા ! વાર વહી આવે છે. અને તને ભેટ્યા વગર નહિ રહે.”

ગાડા ઉપર ઉભા થઈને નાથાએ કોઠા તરફ હાથ લંબાવી કહ્યું “ફકર નહિ ભા ! લાવજે તારી તરવાર કાલ્ય પાછી દઇ મેલીશ. સાથે એક તરવાર જ બસ છે.”

કોઠાવાળા આદમીએ તરવાર લાંબી કરી, લઈને નાથો ઉપડ્યો. સીમાડે પોતાનું ગાડું રોકી ઉભો રહ્યો. ત્યાં તો અસવારો ભાલે આભ ઉપાડતા આવી પહોંચ્યા. આઘેથી નાથાએ પડકાર્યું “એ ઉતાવળા થાવ મા. ઘોડાંને પેટપીડ ઉપડશે. અને હું તાં તમારી વાટ્ય જોઈને જ ઉભો છાં. નીકર કાંઈ તમને મારા આ ગોધલા આંબવા દે ખરા કે ?”

એક જ તરવાર લઈને નાથો ઉતર્યો. સાત અસવારને સોરી નાખ્યા. એટલે પછી બાકીની વાર પાછી વળી. વારમાંથી માણસો વાત કરવા માંડ્યા કે "આ તો મારૂં બેટું કૌતક જેવું ?”

"શું?"

“અમે બરાબર એના અંગ ઉપર ઝાટકા માર્યા. એને એકેય ઘા ફુટ્યો જ નહિ.”

“ભાઈ, એને વરદાન છે. આભપરા વાળા બુઢ્ઢા બાવાનું." “શું ?"

“બુઢ્ઢો બાવો એક જોગંદર છે. નાનપણમાં નાથે એની ભારી ચાકરી કરી. તે બાવો પરસન થયા. બે વાનાં આપ્યાં : એક શિયાળશીંગી, ને બીજી મોણવેલ : બેયને નાથે સાથળ ચીરીને શરીરમાં નાખી, ઉપર ટેભા લઈ સીવી લીધેલ છે. ત્યારથી એને તરવાર કે બંદૂકની ગલોલી, બેમાંથી એકેયનો ઘા નથી ફુટતો.”

“અને હવે કાલ્યથી જ એ બારવટે નીકળશે ! અને આપણને ધમરોળી નાખશે.”

બેટા માલદે ! આ લે, આ ગોધલ્યાની રાશ અને તારી માની લાજ તારા હાથમાં સુંપેને જાછ. મારી વાટ જોજો મા. મારે તો જામને માપી જોવો છે. એટલે હવે રામ રામ છે. અને મોઢવાડીયા ભાઈયું !

આખા બરડાના મેરૂંને કહી દેજો કે મને પોલે પાણે રોજ રોજનાં ભાત પોગાડે. અને હું એટલે કેટલા માણસ ખબર છે ને ? બસો મકરાણી ને એક હું : એમ બસો ને એકનાં ભાત : દિ' માં ત્રણ ટાણાં પોગાડજો. નીકર મેરનાં માથાનું ખળું કરીશ.”

એમ બસો મકરાણીને ત્રીસ ત્રીસ કોરીને પગારે રાખી લઈને બારવટાના નેજા સાથે નાથે બરડા ડુંગર ઉપર ચડી ગયો અને પોલે પાણે પોતે પોતાની ટચલી આંગળીના લોહીથી ત્રિશુળ તાણીને વાસ્તુ લીધું. પોલો પાણો નામની એક ગુફા છે. જાણે બારવટીયાને ઓથ લેવા માટે જ પ્રભુએ સગે હાથે બાંધેલી એ જગ્યા બરડા ડુંગરમાં છે. રાણાવાવ ગામને સીમાડેથી ઉપડેલો આ બરડો હાલતો હાલતો, ધરતી માતાના બરડાની કરોડ સરખો, અને કોઇ કોઇવા૨ પરોડીએ તો જાણે સોડ્ય તાણીને સુતેલા ઘોર મહાકાળ સરખો દેખાવ ધારણ કરતો, પોતાની મહા કાયા લંબાવીને પોરબંદર અને નગર, બન્ને રાજની હદમાં પડ્યો છે. પ્રેમ અને શૂરાતનની અલૌકિક વાતો હજુ પણ આભને કહી રહેલો આભપરો ડુંગર પણ ત્યાં જ ઉભો છે. ઘુમલીનાં દેવતાઇ ખંડેરો પણ હજી ત્યાં પડ્યાં પાથર્યાં દેખાય છે. હલામણની સોનનાં આંસુડાં ત્યાં જ છંટાણા છે. સોન કંસારી નામની વીર રાખાયશ બાબરીયાની અંખડ કુમારી રાણીને જેઠવા રાજાના કામાગ્નિમાંથી ઉગારવા માટે કતલ થઈ જઈને સવા શેર જનોઈના ત્રાગડા ઉતારી દેનાર થાનકી બ્રાહ્મણો પણ પૂર્વે ત્યાં જ પોઢ્યા છે. પ્રથમ તો એ આખો ય દેવતાઇ પહાડ જેઠવાને આંગણે હતો. પણ કહેવાય છે કે ડુંગરમાં કોઈક ગોરાનાં ખુન થયાં, જેઠવા રાજાને માથે ગોરી સરકારનું દબાણ આવ્યું. જેઠવા રાજાએ ઢીલા પોચા કારભારીની સલાહને વશ થઈ જવાબ દીધો કે “જ્યાં ખુન થયાં તે સીમાડો મારો નહિ; નગરનો.” નગરનો જામ છાતીવાળો હતો. એણે જોખમ માથે લઈને કબુલી લીધું કે “હા હા ! એ ડુંગર મારો છે.” ત્યારથી બરડાનો અમુલખ ભાગ નગરને ઘેર ગયો, પોરબંદરના હાથમાં નાનકડી પાંખ રહી.

એ પાંખ ઉપર, થોડાં થોડાં ઝાડવાંની ઘટા વચ્ચે, બહુ ઉંચેરો નહિ, કે બહુ નીચેરો પણ નહિ, એમ “પોલો પાણો” આવેલ છે. ૩૨ ફુટ લાંબુ ને ૧૬ ફુટ પહેાળું એ પોલાણ છે. બેઠકથી સાડા ત્રણ ફુટ ઉપર, છજાવાળી જબરદસ્ત શિલા છે. પણ નાથા બારવયાની ઘોડીને ઉભી રાખવા માટે, વચ્ચોવચ્ચ એ છજાની શિલા થોડાક ભાગમાં કોરી કાઢી છે. છાપરાની શિલા ઉપર, બરાબર ઓથ લઈને માણસ બેસી શકે એવી ચાડિકાની બેઠક છે. એ બેઠકમાં આખો દિવસ એકકેક આદમી ચોકી કરતો અને અંદર પોલાણમાં નાથા ભાભાનો દાયરો મળતો. પડખે ઘોડાંને પાણી પાવાની તળાવડી પણ અત્યારે 'નાથા તળાવડી' નામે એાળખાય છે. ત્યાર પછીના વાઘેર બહારવટીયા જ્યાં રહીને દાંડીયા રાસ લેતા તે 'માણેક ચોક' નામની જગ્યા પણ પોલા પાણાથી ઝાઝી દૂર નથી. પોલા પાણાને 'ડોકામરડો' પણ કહે છે દુશ્મનની મોટી ફોજોની પણ કારી ન ફાવે એવી આ વંકી જગ્યાનો ઓથ લઈને નાથો મેર જામના બારાડી પરગણાનાં ગામડાં ભાંગવા માંડ્યો. ગુંદુ ભાંગ્યું, આસીયાવદર ભાંગ્યું, અને જામશાહી કોરીઓના ખણખણાટથી પોલો પાણો રણકારા દેવા લાગ્યો. પછી તો રાવણહથ્થાના તાર ઉપર નાથાના રાસડા ચડી ગયા. આસપાસના મેરોનાં ગામનો જબ્બર વસીલો નાથાના સાથમાં હતો અને રૂડાં રૂડાં રૂપવાળી મેરાણીઓ ઓઢણાંને ચારે છેડે મોકળાં મેલી, ઝુલ્યોથી શોભતી હાથણીઓ જેવી, રાત પડતાં પોતાની પાતળી જીભે ગામડે ગામડે નાથા ભગતનાં વીરત્વના રાસડા લેવા લાગી, તેમ તેમ નાથાની નસોમાંથી શૂરાતન છલકાઈ જવા લાગ્યું, અને સોરઠમાં અમરેલી સુધી 'નાથા મેર'નું નામ ગાજતું થયું. બારવટીયો હતો છતાં, 'ભગત' નામની એની છાપ ભુંસાઈ નહોતી.

ક દિવસને આથમતે પહોરે ચાડિકાની નજર ચૂકવીને પાછળની કેડીઓમાંથી એક ઘોડેસ્વાર ચડી આવ્યો, અને ઠેઠ પોલે પાણે પહોંચ્યો. રાંગમાં રૂમઝુમતી ઘોડી છે. હાથમાં ભાલો, કેડે તરવાર, ખભે ઢાલ, મ્હેાંયે દાઢીમૂછના ભરાવ અને કરડી આંખો છે. આવીને આખો દાયરો બેઠો હતો તેને ઘોડી પર બેઠાં બેઠાં કહ્યું કે “એ બા રામ રામ !”

સો જણાએ સામા કહ્યું “ રામ !”

પોલો પાણો પણ પડઘો દઈને બોલ્યો કે “રામ ?”

“આમાં નાથા ભગત કોણ ?”

“ન ઓળખ્યો આપા ? તેં રામ રામ કર્યા ને ?”

“એ તો અજાણમાં સહુની હાર્યે રામ રામ કર્યા ?”

સાવઝ જેવું ગળું ગુંજી ઉઠ્યું કે “હું નાથો, હું. લે ભા, હવે કર ફરી વાર રામ રામ, અને ઉતર હેઠો.” “ના ના, હવે તો પ્રથમ વેણ દે, ત્યાર પછી જ ઉતરાય એમ છે.”

“અરે ભલા આદમી, ચડ્યે ઘોડે કાંઈ વેણ લેવાતાં હશે ? કાંઈ વાત, કાંઈ વગત્ય !”

"વાત ને વગત્ય બધુંય પછી કાં તો નાથો ભગત કોલ આપે, ને કાં રજા આપે.”

“રજા તો ભાઈ, હેતુમિત્રને ય નથી મળતી, કે શત્રુને ય નથી મળતી. બેય એકવાર પોલે પાણે આવ્યા પછી ઠાલે હાથે પાછા વળતા નથી. આ લે, જા, વચન છે.”

ચાર પલ્લા ઝાટકીને ભગત ઉભા થયા અસવારનો હાથ ઝાલીને એણે તાળી દીધી. ઘોર અવાજે પોલા પાણાએ પણ જાણે એ કોલમાં સાક્ષી પૂરી. બાવડું ઝાલીને અસવારને હેઠો ઉતાર્યો. બેય જણા ભેટ્યા. ને પછી નાથાએ પૂછ્યું કે “કોણ તું ?”

“હું ચાંપરાજ વાળેા, ચરખાનો.”

“અરે ! તું પોતે જ ચાંપરાજ વાળો !”

ઘોડાને પાખર ઘૂઘરા સાવ સોનેરી સાજ
લાલ કસુંબલ લૂગડે ચરખાનો ચાંપરાજ.

“ઈ પોતે જ તું ? ગાયકવાડનો કાળ તું ? આવ ભા, આવ. પોલો પાણો આજ પોરસથી અરધી તસુ ફુલશે. ભાઈ ચાંપરાજ ! બોલ, તારે શું કહેવું છે ? આંહી સુધી શીદ આંટો ખાધો ?”

“નાથા ભગત ! અમરેલી ભાંગ્યાના કોડ પૂરા થયા નથી. એ પૂરા કરનાર તો તું એક જ દેખાછ. માટે તુંને તેડવા આવ્યો છું”.

“હાલ્ય. હમણાં જ નીકળીયે. એમાં શું ? મલકમાં મિત્રમિત્રની મોજું રહી જવાની છે. આ કાયાને તો ક્યાં અમરપટો લખી દીધો છે ? હાલ્ય, પણ બે દિ' આ પહાડની બાદશાહી તો માણી લે ચાંપરાજ વાળા ! બરડાના ઠાઠ વરે કે દુ જોવા આવીશ ?" ચાંપરાજ વાળાને થોડા દિવસ રોક્યો. હીલેાળા કરાવ્યા. પછી બન્ને જણા અમરેલી ઉપર ચડ્યા. અમરેલી ભાંગ્યું, ભાંગીને ચાંપરાજની સાથે નાથાએ સોરઠી ગિરની સાહેબી દીઠી. પછી પોલે પાણે આવ્યો.

ચલાળું ધારી ચુંથીયાં,લીધી હાકમરી લાજ
ચાંપે હળ ચલાવીયાં (તે દિ') નર મોઢો નથરાજ.

ગત ! માધવપુર ઉપર હાથ મારવા જેવું છે હો ! આવું તરતું ગામ બીજું નહિ મળે.”

“પણ ઈ ગામ તો 'પોર'નું : 'પોર'નો રાણો તો આપણો માથાનો મુગટ. એના ગામ માથે જાવું ઈ તો બેઠાની ડાળ્ય ભાંગ્યા જેવું કહેવાય.”

એમ વાતો કરતો બારવટીયો નાથો પોરબંદર તાબાના મેરીયાં ગામામાં આંટો દેવા જાય છે. માધવપુરની રસાળી સીમમાં ઉંટ ઓરાઈ જાય એવી જુવાર ઉભી છે. રસ્તે આવતાં કેડાને કાંઠેથી જુવારના જૂથની ઓથે નાથાએ હાકલા પડકારા સાંભળ્યા. કોઈ અમલદારની દમદાટીનો અવાજ લાગતાં જ નાથાએ લગામ ખેંચીને ઘોડીને રોકી. એક ખેડુત શેઢે વાછડા ચારતો હતો એને પૂછ્યું કે “એલા, આમ ફાટતે મોઢે ઈ કુણ બેાલે છે ?"

“અમારો કાળ બોલે છે ભાઈ ! કરપારામ મહેતા !"

“શું કરે છે ?”

“બીજું શું કરે ? જુલમ. હજી આ જાર ઉભી છે, ત્યાંજ ઈ અમારી પાસેથી વસુલાત કઢાવશે. વેપારીને અમારે પાણીને મૂલે માલ માંડી દેવા પડશે. રાણાના રાજમાં તો હવે ગળાફાંસો ખાવાના દિ' આવ્યા છે ભાઈ ! ”

“જઈને જરા એને કાનમાં કહી દે ભાઈ, કે નાથા મોઢવાડી એ ચેતવણી મોકલી છે. ભલો થઈને ખેડુતો સંતાપવા રેવા દે, કહીએં.” “અરે બાપા ! નાથાના નામનો તો શું, ઈને ભગવાનનો ય ભેા નથી. નાથાને તો પકડવાના પડકારા કરે છે.”

“ઇં છે ? તાર તાં આપણે એને મળીએ.”

બહારવટીયાએ ઘોડી ચડાવી, જુવાર વીંધીને સામી બાજુ નીકળ્યો. ત્યાં મૂછના આંકડા ચડાવીને મ્હોંમાંથી બબ્બે કટકા ગાળો કાઢતો મહેતા કૃપારામ ઢોલીઓ ઢાળીને બેઠો છે. બાજરાનો પોંક પાડી રહ્યો છે. ઉના ઉના પોંકને ખાંડમાં ભેળવીને ખાતો ખાતો કૃપારામ ગલેફાં હલાવે છે. નાથાએ છેટેથી કૃપારામને હાકલ દીધી “એ પોતડીદાસ ! ઉભો થા. માટી થઈ જા. આ લે તરવાર.”

“કોણ છે તું ? ” કૃપારામ ઢીલો થઈ ગયો,

“હું નાથો. તું જેની વાટ્ય જોતો'તો ઇ. ખેડુનાં લોહી ઘણાં દિ' પીધાં માટી થા હવે.”

આટલું કહીને નાથાએ કૃપારામને પકડ્યો, માણસોને હુકમ કર્યો કે “દોડો ઝટ, ચમારવાડેથી કોઈ ઢોરનું આળું ચામડું લઈ આવો.”

ચામડું આવ્યું.

“હવે ઈ આળા ચામડાના ઢીંઢામાં આને જીવતો ને જીવતો સીવે લ્યો.”

સીવી લઈને મહેતાને જીવતો ગુંગળાવી મારી નાખ્યો.

મેતો માધવપર તણો ગજરે ખાતો ગામ
કુંદે કરપારામ નેત૨ કીધો નાથીઆ.

આવું મોત સાંભળીને મહાલે મહાલના મહેતાઓને શરીરે થરરાટી વછૂટી ગઈ. ખેડુતોના સંતાપ આપોઆપ ઓછા થઈ

ગયા. વહીવટદારોને નાથો સ્વપ્નામાં આવવા લાગ્યો.

મોઢવાડા ગામમાં મૂળુ મેરના દીકરા વણગા પટેલને ઘેર જેઠવા રાણાની હડ્ય રહેતી. ભલભલાના પગ એ વણગા પટેલની હડ્યમાં કેદ બનતા. વણગો તો રાણાની મૂછનો બાલ લેખાતો. એક દિવસ વણગાને ઘેરે છત્રાવા ગામનો રાણો ખુંટી નામનો મેર એક સો માણસને લઈને દ્વારિકાની જાત્રાએ જતાં જતાં માર્ગે રાત રોકાયો છે. વાળુ કરીને રાતે ચંદ્રમાને અજવાળે મહેમાનો ખાટલા ઢાળીને બેઠા છે. નાથા ભાભાની વાત નીકળી છે. એમાં રાણાએ વાત ઉચ્ચારી કે “વણગા પટેલ, સાંભળ્યું છે કે તમારા ગામનો બારોટ નાથા ભાભાના દુહા બોલે છે ને !”

“કોણ રાજો બારોટ ?”

“હા, રાજો, તેડાવને ઈણે; દુહા તાં સાંભળીએ !”

“રાણા, ઈ બારોટ જરાક બટકબોલો છે. તું એને બોલ્યે કાંઈ ધોખો તો નહિ ધર ને ?”

“ના ના, દુહા સાંભળવામાં ધોખો વળી કીવાનો ? ઇ તો જીવાં કામાં ઇવાં નામાં. ”

રાજા બારોટને તેડાવવામાં આવ્યો.

“કાં બારોટ ! નાથા ભાભાના દુહાની તેં ઓલી 'વીશી' બનાવી છે ઈ અમારા મહેમાનને સાંભળવાનું મન છે. સંભળાવીશ ને ?”

“પણ બાપ, કોઈને વધું ઘટું લાગે તો ઠાલો દઃખધોખો થાય. માટે મારી જીભને આળ આવે એવું શીદ કરાવો છો ?”

“ના, ના, તું તારે મન મોકળું મેલીને બોલ. શુરવીરની તારીફ નહિ સાંભળીએ તો બીજુ સાંભળશું કાંવ ? ”

“ઠીક ત્યારે. લ્યો બાપ !”

એમ કહીને રાજા બારોટે હોકો પડતો મૂકીને નાથા બારવટીયાની

'વીશી' બુલંદ અવાજે શરૂ કરી :

એકે તેં ઉથાપીયા ટીંબા જામ તણા
(તેનીયું) સુણીયું સીસોદરા! નવખંડ વાતું નાથીઆ !

[હે સીસોદીયા રજપૂતના વંશમાંથી ઉતરેલા નાથા મેર ! પ્રથમ તો તેં જામ રાજાનાં કૈંક ગામડાં ઉજ્જડ કર્યાં, તેની કીર્તિની વાતો ચોમેર પ્રસરી ગઇ છે.]

બીજે નાનાં બાળ રોતાં પણ છાનાં રહે
પંચમુખ જે પ્રોંચાળ નાખછ ગડકું નાથીઆ !

[તારી ખ્યાતિ તો એવી છે કે તું સાવઝ સરીખો, એવી તો ગર્જના કરે છે, કે રોતાં છોકરાં પણ એ ત્રાડ સાંભળી ચુપ થઇ જાય છે.]

ત્રીજે જાડેજા તણું મોહ છોડાવ્યું માણ,
ખંડ રમીયો ખુમાણ તું નવતેરી નાથીઆ !

[ત્રીજી વાત: તેં જાડેજા વંશના જામ રાજાનું માન મૂકાવ્યું છે. ભીમ જેમ એક હાથમાં નવ અને બીજા હાથમાં તેર હાથી લઈને રમતો હતો તેમ તું પણ, એક સામટાં શત્રુ દલને રમાડતો યુદ્ધની રમત રમ્યો છે.]

ચારે દાઢે ચાવ બારાડી લીધી બધી,
હવ લેવા હાલાર નાખછ ધાડાં નાથીઆ !

[ચોથું: તેં તો જામનો બારાડી નામનો આખો પ્રદેશ દાઢમાં લઇને ચાવી નાખ્યો. અને હવે તે તું એની હાલારની ધરતી હાથ કરવા હલ્લા લઇ જાય છે.]

પાંચે તું પડતાલ કછીયુંને કીધાં કડે,
મોઢા ડુંગર મુવાડ નત ગોકીરા નાથીઆ !


[પાંચમુ : તેં તો કચ્છી લોકોને પણ સપાટામાં લઇ લઇ કબજે કર્યા છે અને હે મોઢવાડીયા ! ડુંગરના ગાળામાં તારા નાદ નિરંતર થયા જ કરે છે.]

છઠ્ઠે બોલે ઓટ (કોઈ) નાથાની ઝાલે નહિ
ક૨મી ભેળ્યો કોટ, તરત જ દેવળીયા તણો.

[નાથા બહારવટીયાની ચોટ કોઈ ખમી શકતા નથી. દેવળીયાનો કોટ

તો તેં હે ભાગ્યવંત ! ઘડીવારમાં તોડી નાખ્યો.]

સાતે તું ડણકછ સુવ્રણ, મોઢા ! ડુંગર માય,
(ત્યાં તો) થરથર જાંગું થાય, ૨જપૂતાંને રાત દિ !

[હે મોઢવાડીયા ! તું સિંહ સરીખો ડુંગરમાં ત્રાડો દઇ રહ્યો છે, તેથી દિવસ અને રાત રજપૂતોનાં પગ થર થર કાંપે છે. ]

આઠે આળું જે કરે વેંડા મૂકે વાણ,
તળ નગરે ગરજાણ નાખે મૂતર નાથીઆ !

નવે સારીતો નહિ, હાકમને હંસરાજ,
વશ તેં કીધો વંકડા, રંગ મૂછે નથરાજ !

[અમરેલીનો સૂબો હંસરાજ, મોટા મોટા રાજાઓને પણ ન ગાંઠતો તેને હે નાથા, તેં વશ કર્યો, તારી મૂછો ને રંગ છે.]

દસમે એક દહીવાણ, દોરંગો આછાણી દલી
(તેમ) ખંડ બરડે ખુમાણ ન૨ તું બીજો નાથીઆ !

[જેમ દિલ્હી પર આક્રમણ કરનારા વીર દુરગાદાસજી રાજપૂતાનામાં પાક્યા હતા. તેવો બીજો મર્દ તું બરડામાં નીવડ્યો.]

અગીઆરે મેર અભંગ, લોકુંમાં લેખાત,
નાથા જલમ ન થાત (જો) વંશમાં વાશીયાંગરાઉત

[અને હે નાથા ! જો તારો જન્મ મેરોના વંશમાં ન થયો હોત તો સાચેસાચ આખી મેર જાતિ 'લોક' જેવી, એટલે કે ખેડૂત જેવી અથવા શુદ્ર જેવી લેખાત હે વાશીયાંગના પુત્ર !]

{{મધ્ય ખંડ|“બારોટ, ઈ દુહો જરા ફરીવાર બોલજો તાં !” રાણા ખુંટીએ વચ્ચે બોલીને વેગમાં ચડેલા બારોટને થંભાવી દીધો.

“હા, લ્યો બાપ !”

અગીઆરે મેર અભંગ, લોકુંમાં લેખાત,
નાથા જલમ ન થાત (જો) વંશમાં વાશીયાંગરાઉત

“હં, હજી ફરી એક વાર કહો તો !”

ફરીવાર બારોટે દુહો ગાયો. પછી આગળ ચલાવ્યું: –

બારે બીલેસર તણું, ઉપર મોઢા એક
ત્રેપરજાંની ડેક, નાથા તેં રાખી નકુ!

તેરે તેં તરવાર, કછીયું હું બાંધી કડ્યે,
હવ્ય લેવા હાલાર નાખછ ધાડાં નાથીઆ !

[અત્યાર સુધી તો તેં આ કચ્છમાંથી આવેલા જામને માટે કમ્મરે ત૨વા૨ બાંધી હતી. પણ હવે તો આખો હાલાર લેવા તું હલ્લા કરી રહ્યો છે.

ચૌદે ધર લેવા ચડે : ખુમારા ! ખરસાણ,
(એને) ભારે પડે ભમાણ નગ૨ લગણ નાથીઆ !

[દુશ્મનોની સેના તારા ઉપર ચડાઇ કરે છે, પણ પાછું એને જામનગર સુધી નાસી જવાનું પણ મુશ્કિલ પડે છે.]

પંદરે તું ને પાળ, ભડ મોટા આવી ભરે,
ખત્રી હવ્ય ખાંધાળ, ન કરે તારી નાથીઆ !

[મોટા મોટા સમર્થ ગામધણીઓ પાતાનાં ગામોના રક્ષણ બદલ તને પૈસા ભરે છે. તારી છેડ હવે કોઇ ક્ષત્રિય કરતો નથી.]

સોળે નવ સરઠું તણા બળીઆ દંડ છ બાન,
કછીયું તોથી કાન નો રે ઝાલ્યા નાથીઆ !

[આખા સોરઠના મોટા મોટા માણસોને કેદ પકડીને તું દંડ વસુલ કરે છે.]

સતરે શૂરાતન તણો આંટો વળ્યો અછે
બાબી ને ઝાડો બે (તેને) તેં નમાવ્યા નાથીઆ !

[શુરાતન એવું તો તને આંટો લઇ ગયું છે, કે તેં જૂનાગઢના નવાબ

બાબીને, તથા નગરના જામ જાડેજાને, બન્નેને તોબાહ પોકરાવી છે. ]

અઢારે ઇડર તણો નકલંક ભેરે નાથ
હાકમ પેટે હાથ તેં નખાવ્યા નાથીઆ !

[તારી સહાયમાં તો ઇડરનો ગો૨ખનાથજી અવધૂત ઉભો છે. તેથી જ તું મોટા રાજાઓને લાચાર બનાવી રહ્યો છે.]

ઓગણીસે ઓસારીયા ઝાડો ને બાબી જે
કેસવ ભૂપત કે (તુંને) નમીયા પખેણો નાથીઆ !

[જાડેજા અને બાબી જેવાને તેં નમાવ્યા. માત્ર કૃષ્ણપ્રભુ તને નમ્યા વિનાનો રહ્યો છે.]

વીસે તું સામા વડીંગ ધરપત થાકા ધ્રોડ,
ચાડ્યું ગઢ ચિત્રોડ, નર તેં પાણી નાથીઆ !

[તારી સામે ઘોડાં દોડાવીને રાજાઓ હવે થાક્યા છે. તેં તો તારા અસલના પૂર્વજ સીસોદીયાઓના ધામ ચિતોડને પાણી ચડાવ્યું.]

“લ્યો બાપ ! આ નાથા ભાભાની વીશી.” એમ કહીને રાજા બારોટે ફરીવાર હોકો હાથમાં લીધો. એની મુખમુદ્રા પર લાલ ચુમકીઓ ઉપડી ગઈ છે.

“વાહ બારોટ ! વાહ !” એમ સહુ માણસોએ ધન્યવાદ દીધા.

“હું તો બાપ, મારા પાલણહારનાં કાલાં ઘેલાં આવડયાં તેવાં કાવ્ય કરૂં છું. હું કાંઈ મોટો કવેસર નથી.”

જ્યારે બહુ વાહ વાહ બોલાઈ, ત્યારે રાણો ખુંટી મર્મમાં હસવા લાગ્યો.

“કેમ બાપ હસવું આવ્યું ?” રાજા બારોટે પૂછ્યું.

“હસવું તો આવે જ ના બારોટ ! અટાણે તો નાથો ભાભો આખી મેર ભોમનો શિરોમણી છે. ને તમે એના આશ્રિત છો એટલે તમે એને સોને મઢો, હીરે ય મઢો, રાજા કહો, કે ભગવાન કહો. પણ ઓલ્યા અગીઆરમાં દુહામાં જરાક હદ છાંડી જવાણી છે, બારોટ !”

“શું બાપ ?” “નાથો ન જનમ્યો હોત તો મેર - તમામ લોકુંમાં લેખાત ! બસ ? એક નાથો જ કાંવ શેર લોઢું બાંધી જાણે છે ? બીજા બધા કાંવ રાંડી રાંડના દીકરા છે ?”

બીજા બે ચાર મેરો પણ બોલી ઉઠ્યા કે , “હા સાચું, બારોટે ઈ જગ્યાએ બહુ વધુ પડતું કે નાખ્યું છ. કેમકે એમાં બીજા સહુ મેરૂંને રેહ દીધો છે.”

“તે વળી એની ખરે ખબરૂં પડશે બાપ !” એટલું બોલીને બારોટ ચુપ રહ્યો. પણ પોતાને ભોંઠામણ બહુ જ લાગી ગયું.

બીજે દિવસે પ્રભાતે ઉઠીને રાણો ખુંટી તો પોતાના એક સો સંગાથીનો સંઘ લઈને દ્વારિકાજીને પંથે પડી ગયો. થોડા દિવસ પછી સંઘ પાછો વળ્યો. અને એણે વળતાં પણ મોઢવાડામાં જ વણગા પટેલને ઘેરે ઉતારો કર્યો. રાજો બારોટ તો તે દિવસના ભોંઠામણને લીધે મહેમાનને મળવા નહોતો ગયો, પણ મોડી રાતે વણગા પટેલની ડેલીએથી દાયરો વીંખાયો ત્યારે કોઈકે આવીને રાજા બારોટને ખબર દીધા કે “બારોટ ! રાણો ખુંટી જાત્રાએ ગયો ત્યાં એને દાણ ભરવું પડ્યું. ”

“કોણે દાણ લીધું ?”

“ જામનગરના ચીલાવાળાએ ભોગાત ગામને પાદર દાણ પડાવ્યું. કહે કે તે વિના જાત્રાએ જાવા જ ન દઈએ.”

“કેટલું દાણ ?”

“ત્રણસો કોરી રોકડી.”

“ અરર ! ગઝબ કે'વાય. મારો સાવઝ નાથો જીવતો હોય, ને જામના ચાકર મેરોની પાસેથી દાણ મેલાવે ?”

સૂતો હતો ત્યાંથી રાજો બારોટ ઉઠ્યો. માથા પરથી પાઘડી, કાઢી નાખીને સોગીયું લાઠીયું બાંધ્યું. સાબદો થઈને અધરાતે ઉપડ્યો. વણગા પટેલની ડેલી પાસે થઈને નીકળ્યો. ટોકો કર્યો કે “વણગા ભાભા !”

“હો ! કોણ ઈ ? બારોટ ?” "હા!"

“કેમ અસૂરા ?”

“મારે અટાણે ગામતરે જવું પડે છે. પણ મારા આવતાં પહેલાં મે'માનને હાલવા દેશો મા. સવારને પહોર મારે મે'માનને કસુંબો પાવો છે. જોગમાયાની દુહાઈ દઉં છું હો કે ! ”

“એ ઠીક ”

રાજો બારોટ ઉપડ્યો. પગપાળા પંથ કાપવા મંડ્યો. અંધારામાં ગોથાં ખાતો ખાતો રાતોરાત પોલે પાણે પહોંચ્યો. પરોડીયે મ્હોંસુઝણું થાતાં નાથા બારવટીયાએ પથારીમાંથી ઉઠતાં જ બારોટને દીઠો.

“ઓહોહોહો ! બારોટ ! તું અટાણે કીવો ? અને આ માથે લાંઠીયુ કીં બાંધ્યું ? કાંઈ માઠા સમાચાર લાવ્યો છે ? "

“હા બાપ, બહુજ માઠા !”

“કુંણ પાછું થયું ?”

“નાથો ભાભો પંડ્યે જ પાછો થયો, બાપ !”

“કેમ બારોટ, અવળાં વેણ ?”

“અવળાં નથી. સાચે જ નાથો મેર મરી ગયો. નીકર દુવારકાની જાત્રાએ જાતાં મેરની પાસેથી જામના ચાકર ૩૦૦ કોરીનું દાણ કઢાવે ? પણ આજ મારો નાથીઓ સાવઝ મરી ગયો ! "

નાથાએ રાજા બારોટ પાસેથી બધી વાત સાંભળી. - એની છાતીમાં પણ ઘા પડ્યો. એણે માણસને કહ્યું કે “ભાઈ, કોક દોત કલમ લાવજો તો ! "

ખડીયો કલમ ને કાગળની ચબરખી રાજાની પાસે મેલીને કહ્યું: “લે બારોટ, હું લખાવાં ઇ તું લખ. લખ કે

“ભોગાટના દાણ લેવા વાળાઓ ! છત્રાવાના મેર રાણા ખુંટી પાસેથી તમે જે ત્રણસો કોરીનું દાણ લીધું છે, તેમાં ત્રણસો કોરી દંડની ભેળવીને કુલ છસો કોરી તમારા જ ગામોટની સાથે પરબારી મોઢવાડે પાછી મોકલી દેજો. નીકર નાથા મોઢવાડીયાનું સામૈયુ કરવાની સાબદાઇમાં રેજો.”

ચબરખી આપીને એક સાંઢીઆ-સવારને ભોગાત રવાના કર્યો અને રાજ બારોટને કહ્યું કે “બારોટ, તું તારે જા, પરબારી કોરીયું મોઢવાડે આજ બપોર સુધીમાં પોગે નહિ તો પછી ખુશીથી માથે ફાળીયું ઓઢેને મારૂં સ્નાન કરી નાખજે.”

   • • •

બપોરે મોઢવાડામાં વણગા પટેલની ડેલીએ સહુ ડાયરો બેઠેલ છે. તે વખતે એક ખેભર્યો સાંઢીયો સામે આવીને ઝુકી પડ્યો. સાંઢીયાના અસવારે આવીને કોરીઓની પોટલી રાણા ખુંટીની સન્મુખ ધરી દીધી.

“આ શું છે ભાઈ ?”

“આ ત્રણસો કોરી, તમારા દાણની ને બીજી ત્રણસો નાથા ભાભાએ નગર પાસેથી લીધેલ દંડની. સંભાળી લ્યો. ”

“પણ ક્યાંથી ?”

“ભોગાતથી; જામના ચીલાવાળા પાસેથી.”

રાણા ખુંટીને ભરદાયરા વચ્ચે આખી વાતની જાણ થઈ. રાણો નીચું જોઈ ગયો. આખી યે પોટલી રાજા બારોટની સામે ધરીને હાથ જોડ્યા : “આ લે દેવ ! આ તુને સમરપણ છે. "

“ઈ કોરીયુંની વાત પછી; પ્રથમ તો મને કહી દે કે હવે અગીઆરમો દુહો બોલવાની રજા છે બાપ ?”

“ભલે ભાઈ, તારી મરજી ! સો વાર કબૂલ છે.”

તૂર્તજ બારોટે ગોઠણભર થઈને, બરડા ડુંગર તરફ બન્ને હાથ લંબાવી વારણાં લેતાં લેતાં દુહો લલકાર્યા કે

અગીયારે મેર અભંગ લોકુમાં લેખાત
(જો) નાથા જલમ ન થાત વંશમાં વાશીયાંગરાઉત !

“નાથા ભાભા ! રામ રામ ! "

“રામ ! આવો આવો, લીલા જોશી, ને પુજા ચાંઉ ! આજ પોલે પાણે તમે કયાંથી ભૂલા પડ્યા ?”

“આ તમારાં રાજ સિંહાસન ને તમારા રાજવૈભવ જોવા નાથા ભાભા ! બાકી તમારૂં કામ તો આજ મોટા ચમરબંધીનેય પડે એવું ખરૂં ને ? લ્યો, આ રૂપાળીબાએ એના ધર્મના માનેલ વીરને રાખડી દઈ મોકલી છે.”

એટલું કહીને બે પરોણાઓએ સોનાની મુઠવાલી એક તરવાર, ખભે પહેરવાની સોનાની હમેલ, અને સાચો કીનખાપનો પોશાક થાળમાં ભરીને બહારવટીયાની સમક્ષ ધરી દીધો.

“વાહ વાહ ! જેઠવાની જનેતાને તો એમજ શોભે ને ભાઈ ? રાજમાતા તો રાજમાતા જ છે. એની કાંવ વાત ? મારે માથે ઘણાં ઘણાં હેતપ્રીત રાખે છે, રૂપાળીબાને પેટ તો અવતાર લીધે પાપ ટળે એવી એ જોગમાયા છે, ભાઈ !”

નાથો બેાલતો ગયો ને બન્ને પરોણા એને રૂપાળીબાના મોકલેલા પોશાક પહેરાવતા ગયા. રાજભક્તિના પોરસ વડે નાથાની છાતી ફુલાઈને દોઢી બની ગઈ, ઉમળકા આણીને એણે પૂછ્યું “માને કે'જો, મારા સરખું કામ સુંપતા રહે. મા તો આપણાં હાડ ચામડીનાં ખાળુ કહેવાય.”

“નાથા ભાભા ! માનાં દુઃખની વાત તો એક મા જાણે છે ને બીજા જાણે છે બજરંગ ! બાકી માને માથે તો ગુજારવી બાકી નથી રાખી !”

“કુણે ? ”

“કામદારે : ઓતા ગાંધીએ : બીજા કોણે ! મલકમાં બીજા કોની મૂછે બબ્બે લીંબુ લટકે છે ભાઈ ?”

“પણ વાત તો કરો ભાઈ, શી શી વાતું બની ગઇ છે ?" “વાત શું ? જે દિ'નું મોટા રાણાનું ગામતરૂં થયું, ને કુંવર ભોજરાજજી ઘોડીએ હતા, તે દિ'નો ઓતો ગાંધી માને સારતો નથી. રાજમાં પોતાનું ધાર્યું જ કરતો આવે છે. માનો તો વકર જ કાઢી નાખ્યો. માને ખાસડા બરાબર કરી મેલ્યાં. માને લાગી ભે'..કે ઓતો ગાંધી ક્યાંક કુંવરને મારી દેશે. એટલે માએ અમારો ઓથ લીધો. અમે માને અને કુંવરને ભાણવડ લઈ ગયા. આજ એ વાતને બાર વરસ વીત્યાં. હવે તો એજન્સીમાં પણ ઓતા ગાંધીને મુતરે જ દીવા બળે છે. એટલે રાણો તો ગાદીએ આવે ત્યારે ખરા ! કોને ખબર, દેશવટે જ મા-દીકરાની આવરદા પૂરી થશે, કેમકે જેઠવાના ભાયાતો પણ એ વાણીયાની ભેરે થઈ ગયા છે ભાઈ !”

“ઠીક ! લાલા જોશી ! અને પુંજા ચાંઉ ! ઝાઝી વાતુંનાં ગાડાં ભરાય. માને જઈને સાબદાં કરો, કુંવરને પણ તૈયાર રાખો. બેનની રાખડીના બદલામાં નાથીયાનો કોલ છે કે જો મોઢવાડીયાના પેટનો જ સાચેસાચ પાકયો હોઉં, તો તો આજથી એક મહિને ઓતા ગાંધીનાં હાંડલાં અભડાવે દઈને, અને ભાયાતુંને મોઢે ચુનાના પાવરા ચડાવેને પોરબંદરના તખતને માથે આપણા બાળા રાણાને મારે સગે હાથે ટીલાવું છું. નીકર પછી. નાથીયાને બે બાપનો જાણજો.”

બન્ને રાજદૂતોએ બારવટીયાના અંગનાં રૂંવે રૂંવે પોતાની બાજીની મનધારી અસર નજરોનજર દીઠી. ને બન્ને જણા બરડા ઉપરથી ઉતરીને ભાણવડ પહોંચી ગયા. આ બાજુ નાથાએ સોરઠમાંથી વીણી વીણીને એક હજાર મકરાણીઓને ભેળા કર્યા. અને ઓતા ગાંધીને સંદેશો મોકલ્યો કે “રાજકુંવર અને રાજમાતાને સંતાપતા આળસી જઈ રાણાને ગાદીએ બેસારજે. નીકર દીઠો ની મેલાં.”

'''*'''

પોરબંદરનું જેના હાથમાં કડે ધડે કારભારૂં, અને જેની અણીશુદ્ધ નીતિની એજન્સીમાં પણ છાપ, એવા ઓતા ગાંધીને તો નાથીયા જેવા બરડા ડુંગરના કાકીડાની શી ધાસ્તી ? ઓતો ગાંધી ગફલતમાં રહ્યા અને નાથો પોરબંદરના દરવાજા ભાંગી, ચોકીદારોને ઠાર મારી, શહેરમાં આગળ વધ્યો. તોપખાને જઈ હાકલ દીધી કે “રાણાની આજ્ઞા સંભળાવાં છં કે આ ઘડીએ જ ઓતા કામદારના મકાન સામે તોપું માંડી દ્યો. નીકર હમણાં મારા એક હજાર મકરાણી તમારાં શરીરનાં શાક રાંધેને જમી જાશે.”

ઓતા ગાંધીની મેડી સામે તોપોના મોરચા મંડાઈ ગયા, કામદાર પોતાના જ ઘરમાં કેદી બન્યા. રાજકચેરીમાં દરબાર ભરીને નાથાએ રાણા વિકમાજીત (ભેાજરાજ)ને ટીલાવ્યા, અને જેટલા જેઠવા ભાયાતો રાજની ચાકરીમાં રહીને રાણાને કનડગત કરતા હતા, તેને ચૂનાના પાવરા ચડાવ્યા. પોરબંદરમાં તો ઉડતાં પંખીડાં થંભી જાય એવી ધાક બેસી ગઈ. ઓતા ગાંધીને પોરબંદર છોડવું પડ્યું એમ પણ કહેવાય છે.

રાણાનો સાચો 'મામો' બનીને બહારવટીયો પાછો પોલે પાણે ચાલ્યો ગયો,


*એવો પણ મત છે કે આ કૃત્ય નાથાએ નહિ પણ એના મૃત્યુ પછી બહારવટે ચડેલા એના ભાણેજ હરભમે કરેલું.

ગત ! આજ તો તેં કાળો કામો કર્યો. મલક આખામાંથી ઘોડાં શું મરી ગયાં હતાં કે તેં શીંગડાની દેવતાઇ જગ્યામાંથી મહંતની બે શીંગાળીયું કાઢી ?”

"હવે રાખ્ય રાખ્ય મેરાણી ! બારવટાં શું ઘોડાં વગર થાતાં હશે ? અને ત્યાં જગ્યામાં કાં ઘોડાંની ખેાટ્ય છે ? પડ્યાં પડ્યાં ખાતાં'તાં તે કરતાં હું કાં વાપરાં નીં ?”

“અરે પુરષ ! તે દિ' જામની ફોજ વાંસે થઈ'તી ને તું ભાગીને હરજી ભુટાણી મારા'જના પગું માં પડી ગયો'તો તે વેળાનાં વેણ સંભા૨, સંભાર એણે તને વચને બાંધ્યો'તો કે જોજે હો, શીંગડા માથે ગઝબ કરતો નીં અને બીજું કહ્યું'તું કે મોઢવાડા માથે હાથ કરતો નીં ! પણ તેં તો આપણી જનમભોમની પણ એબ ઉઘાડી કરી ! લુવાણાના છોકરાને બાન પકડીને ચાર હજાર કોરીયું પડાવી ! ભગત, બારવટું આથમવાનું ટાણું થે ગું લાગે છ.”

“વાંધો નહિ, ઇવાં તી વેણ કાંઈ પળાતાં હશે ? ધરમની ને દેવસ્થાનાની વાતુ કરવા બેસીએ તો માળા લઈને બેસી જાવું પડે. જોતી નથી, આજ હું જામની સામે ઝુઝી રહ્યો છે ?”

“અધરમને માર્ગે કોઈનાં બારવટાં ઉગ્યાં નથી. ને તેં મેાટી ખોટ્ય ખાધી છે. હજે કાં છ કે શીંગડે જઈને જગ્યામાં શીંગાળીયું પાછી મે લે આવ, ને આપણા ગામમાં ઈ લુવાણાની ચાર હજાર કોરીયું પાછી ચુકવે દે. નીકર મારી નજરૂં માં આજ પોલો પાણો ડોલતો દેખાય છે હો ભગત !”

“મેરાણી ! તું ગાંડુડી થે ગી લાગે છ !”

મોઢવાડે પોતાના કુટુંબને મળવા ગયેલો નાથો પોતાની સ્ત્રી સાથે આટલો કલહ કરીને સ્ત્રીના અબોલા દેખી અધરાતે બહાર નીકલી ગયો. અને કાળભર્યો પોલે પાણે ચડ્યો. તે વખતે જ આભમાંથી એક તારો ખર્યો. મોટી કોઈ જ્યોત જાણે ઓલવાઈ ગઈ. એનું મોત ઢૂકડું આવ્યું હતું. પોતાની બાયડીએ ઉપર વર્ણવેલ બે વિશ્વાસઘાતો કરવાથી એના 'ભગત' નામને લાંછન લાગ્યું હતું. બહારવટે બહુ ફાવ્યો તેથી એની બુદ્ધિ બગડી ચૂકી હતી, બેફિકર બનીને એણે ઉંધ કરી. સવાર પડ્યું, હજુ તો નાથાના હાથમાં દાતણ છે, ત્યાં માર્ગે મેરોનું એક જૂથ આવતું દેખાયું. આવીને એણે નાથાને કહ્યું “ભાભા ! ભોમ ભેળી થઈ છે. તે તમને બોલાવે છે.”

"ક્યાં ભાઈ !”

“રીણાવાડાને પાદર.”

“બહુ સારૂં હાલો.” રીણાવાડા ગામને પાદર, મેરોનાં સોળે ગામોમાંથી, ઓડદરા, કેશવાલા, મોઢવાડીયા, રાજસખા, એમ ચારે વંશના, પાઘડીનો આંટો લેનારા તમામ મેર ભેળા થયા છે. નાથો પરબારો ગામમાં જઈને ગામની એક ગુપ્ત મેડીમાં સંતાયો. મેર કોમના થોડાએક આગેવાનોએ એ મેડી ઉપર બેસીને નાથા પાસે વાત મૂકી:–

“ભાભા ! તારે એકને કારણે અટાણે રાણાએ આખી નાતને ભરડો લીધો છે.”

“કીવી રીતે ?”

“નગર થાક્યું, સરકાર ખીજાણી, અને રાણાને માથે દબાણ થાય છે કે કાં તો બારવટીયાને પકડી લ્યો, નીકર રાજપાટ મેલી દ્યો.”

“પછી ?”

“પછી કાંવ ! આપણી ભોમ ભેળી કરીને રૂપાળીબાએ કહ્યું છે કે નાથાને સુંપી દ્યો નીકર અમારી ગાદી જાશે.”

“ને રાણે કાંવ કહ્યું ?”

“કહ્યું કે નાથાને જીવતો ઝાલે દ્યો તો જ મારાં પરીયાં પાણી પીવે.”

“પછી તમે કાંવ જવાબ દીધો છે ?”

“અમે તો આઠ દિ'ની અવધ દઈને આવ્યા છીએ.”

“તો ભલે ! આખી નાતને સંતાપ થાતો હોય તો હું સુંપાઈ જવા રાજી છે. આજથી ચોથે જમણે તમે આવો. હું મારૂં કામ આટોપે લઈ, ખુશીથી તમ સાથે ચાલે નીકળાં.”

“ઠીક ત્યારે, અમે ચોથે દિએ આવીએ છીએ.”

મેરોનું મંડળ ચાલી નીકળ્યું. અર્ધો એક ખેતરવા ગયા, ત્યાં તો પરબત કુછડીઓ નામે મેર એકદમ ઉભો થઈ રહ્યો. સહુએ ચમકીને પૂછ્યું “કાંઈ બા?" “કાંઈ કાંવ ? તમે બધા દાઢી મૂછના ધણી થઈને હાથે કરેને નાથાને સુંપે દેવા હાલ્યા છો ? અંતરમાં કાંઈ લાજ શરમ ઉઠતી નથી ! મેરાણીને પેટ પાક્યા છો !”

“તી કાંવ કરવું ?”

“તમારે કરવું હોય તી કરજો. હું તાં તમારી નામરદાઈમાં નહિ ભળું.”

એટલું બોલીને પરબત નોખો તર્યો. પાછો મરડીને નાથા પાસે ગયો. કહ્યું કે

“ભાભા ! અમારો સહુનો મત નથી મળતો. માટે તું તારે કરતો હોય તી કરજે.”

એટલું કહી પાછા વળીને પરબતે બધા વષ્ટિવાળા મેરોની મંડળીને આંબી લીધી. સહુને છૂટા પડવાનું ટાણું થયું તે વખતે આખા મંડળમાંથી પાજી પૂંજો ખસ્તરીઓ બોલ્યો કે “ભાઈ ! હાલો, રાણાને જેવો હોય તેવો જવાબ તો દેં આવીએ !”

“હાલો. કાં રાણાની બીક લાગે છ ?”

પોરબંદર જઈને પૂંજા ખસ્તરીઆએ રાજમાતાની અને રાણાની પાસે ખાનગી વાત ફોડી કે “માડી ! તમે જે પરબતને 'ભાઈ' કહેલો છે, એણે જ જઈને નાથાને ચડાવ્યો છે. અમારી વષ્ટિ એણે ધૂળ મેળવી છે. એની સાથે લાધવો, રાણો છાડવો વગેરે સાત જણ પણ ભળ્યે ગા છ. માથે રે'ને નાથાને લૂંટ કરાવનારા એ ચાર જણા જ છે. હવે તો ઈ જાણે ને તમે જાણો.”

રૂપાળીબાએ એ સાતેના હાથમાં હાથકડી ચડાવી દીધી સાત કેદીઓ દરબારગઢના ચોકમાં ઉભા છે. સાતમાંથી સિંહ સરખા જોરાવર લાધવાએ હાથકડી મરડીને તોડી નાખી, “આ લે તારી ચુડલીયું !” એમ કહીને ચોકીપહેરા વચ્ચેથી વકરેલ પાડા જેવા એ વછૂટ્યો. છુટીને દોડ્યો દરબારગઢની મેડી માથે. દિલમાં હતું કે પારણે હીંચતા કુંવરને મારા ખોળામાં લઈ લઉં ! તો જ મને કુંવરના જીવના જોખમ ખાતર જીવતદાન દેશે ! પણ ઠેકીને મેડીએ ચડવા જાય ત્યાં તો દોટ કાઢીને પૂંજા ખસ્તરીઆએ એના પગ ઝાલી લીધા. આરબે આવીને લાધવાને જમૈયો માર્યો, બીજા છયેને તોપે ઉડાવ્યા. મરતા મરતા છ યે જણ બોલ્યા કે “ફકર નહિ. નાથા ભગત સામે ખુટલાઈ કરીને જીવવા કરતાં તોપને મોઢે મરવું કાંવ ખાટું છે ?” રમતા રમતા છયે જણા તોપને મોઢે બંધાઈ ગયા. પોરબંદરમાં વીરડીને નાકે એ તમામની ખાંભીઓ છે.

રૂપાળીબાએ પૂંજા ખસ્તરીઆને બોલાવીને પૂછ્યું “ પૂંજા ભાઈ ! હવે નાથાનું શું કરશું ? એજન્સી બહુ અકળાઈ ગઈ છે. અને આપણા રાજને જફા લાગશે.”

“માડી ! મને રાજનું ઉંચા માયલું ઝેર આપો, એટલે હમણાં નાથાનું મડું લે આવેને હાજર કરાં. બાકી તમારી ફોજના તો એ ફાકડા જ કરે જાશે. મરને વલ્યાતમાંથી તોપું ઉતરે !”

“એનું શું કારણ છે ?”

“માડી, ઇના સાથળની માલીકોર શિયાળશીંગી ને મોણવેલ ભરી છે. એના અંગ માથે તોપનોયે કાર ન ફાવે, હથીઆરે તો એ મરે રીયો, માટે લાવો ઝેર. હમણાં ઈનો ઘડો લાડવો કરે, નાંખાં છે.”

ઉંચી જાતનું ઝેર રૂપાળીબાના ગુપ્તમાં ગુપ્ત ડાબલામાંથી મેળવીને પુંજો ચાલતો થઈ ગયો.

આડે ડુંગરથી ઉતર્યો નાથો, માઠાં શુકન થાય
ડાબી તે ભેરવ કકળે નાથા ! જમણાં જાંગર જાય


મોઢાને મારવો નો'તો!
ભગત તો સાગનો સોટો!

કહ્યે કટારાં વાંકડાં નાથા, ખંભે ગેંડાની ઢાલ,
માથે મેવાડાં મોળીયાં નાથા ! ખંભે ખાંતીલી ત૨વા૨

મોઢાને મારવો નો'તો
ભગત તો સાગનો સોટો !


"ભગત ! આજ એક વાર ભાઈબંધોનું કહેવું માન્ય, માઠાં શકન થાય છે. અને આજ ભલો થઈને ઘોડી પાછી વાળ્ય.”

“અરે ભાઈ ! બેનને ઘેરે જાવામાં કાંવ બીક હુતી ? અને શુકન અપશુકન કોઈ દિ' નથી જોયાં તે આજ કાંવ જોવાં ?”

“ભગત ! અમારૂં હૈયું તો આજ કબૂલતું નથી.”

“તો તમારે વળવું હોય તો વળી જાવ. બાકી મારે તો આજ હાથલે પોગીને હરજી ગોરને ઘેરે ખાધા વિના છૂટકો નેથ. મને રોટલા ખાવાનું નોતરૂં છે. અપશુકન ભાળીને નાથો પાછો વળ્યો, ઇ વાત જો બેનને કાને જાય તો બચાડી જીભ કરડેને મરે ! માટે તમને ભરોસો ન હોય તો ખુશીથી વળે જાવ.”

બે જણા પાછા વળ્યા. બાકીનાને લઈ બહારવટીયાએ બ્હેનને ઘેર જમવાના ઉલ્લાસમાં બરડાની ગાળીમાંથી ઘોડીને ઉતારી. હાથલા ગામમાં હરજી થાનકી નામે મેરનો ગોર હતો, તેને ઘેર જે બાઇ હતી (બનતાં સુધી તો દીકરાની વહુ હતી) તેને બહારવટીયાએ ધર્મની બ્હેન કહી હતી. હરજી થાનકીના ઘરમાં નાથાએ થોકે થોક લૂંટની કમાણી દીધી હતી. આજ એના ઘરમાં જ પૂંજાએ ઝેર ભેળવેલી રસોઈ કરાવીને તૈયાર રખાવી છે. કાગને ડોળે નાથાની વાટ જોવાય છે.

જ્યાં નાથો હાથલા ગામના નેરામાં આવ્યો ત્યાં આડો કાળો એરૂ ઉતર્યો, સાથીઓએ ફરીવાર ચેતાવ્યો કે “ભગત ! આ બીજી વાર માઠું ભળાય છે. હજી કોઈ રીતે વળવું છે?" “જો વળું તો તો મારો જન્મારો લાજે. અને જગદંબા જેવી બે'ન ગળાટુંપો ખાય.”

ચાલ્યો. ઘોડીએ હરજી મહારાજની ડેલીએ આવીને હેતની હાવળ નાખી. છેવાડા ઘરની એાસરીની થાંભલીએ પોતાની ધર્મની બહેન ઉભી છે. એનાં મ્હોં ઉપર મશ ઢળી ગઈ છે. નાથાએ સાદ કર્યો “કાં બેન, પોગ્યા છીએ હો કે !”

બાઇએ હાથની ઇસારત કરીને હળવેથી કહ્યું “ ભાઇ ! આંહી જરીક આવી જાજો !” -

“અબધડી ઉતારો કરેને આવીએ છીએ બાપા !"

“પછી તો આવી રહ્યા મારા વીરા ! ”

એ વેણ બોલાયું પણ બારવટીયાને કાને પહોંચ્યું જ નહિ. નાથો મહેમાનને ઓરડે ઉતારો કરવા ગયો. પરબારા હરજી થાનકીએ પરોણાઓને થાળી ઉપર બેસાર્યા, રંગભરી વાતો કરતાં કરતાં ગોરે મીઠી મીઠી રસોઈ જમાડી. ચાર ચાર કોળીયા ખાધા ત્યાં તો ચારેની રગેરગમાં ઝેર ચડી ગયું. નાથાની જીભ ઝલાવા લાગી. થાળીને બે હાથ જોડી નાથો પગે લાગ્યો, એટલું જ બોલ્યો “હરજી ગોર ! બસ ! આવડું જ પેટ હુતું ? બીજું કાંઈ નહિ, પણ મને ઝેર દઈને નુતો મારવો. મારે હથીઆરે મરવું હુતું !”

ત્યાં તો નાથો ઢળી પડ્યો. પુંજો ખસ્તરીઓ વગેરે ચાર જણાએ દોડીને એના મરતા દેહ ઉપર એક સામટી બંદૂકો વછોડી. પણ ગોળીઓ કોઈ પણ રીતે લાગી જ નહિ ત્યારે અવાચક બનેલા નાથાએ પોતાના સાથળ સામે આંગળી ચીંધાડી અને લોચા વળતી જીભ વડે મહેનત કરીને સમશ્યામાં સમજાવ્યું.

“હાં હાં ! શિયાળશીંગી ને મોણવેલ ત્યાં સંતાડ્યાં છે ખરૂં ને?"

મરતાં મરતાં બહારવટીયાએ “હા” કહેવા માટે ડોકું ધુણાવ્યું. હત્યારાઓએ એનો સાથળ ચીરીને બન્ને ચીજો બહાર કાઢી ફેંકી દીધી. તૂર્ત જ નાથાનું શરીર લીલું કાચ સરીખું બની ગયું. જીવ ચાલ્યો ગયા પછી એના નિર્જીવ શરીરને ઘસડીને દુશ્મનો દૂર લઈ ગયા. એનું માથુ કાપ્યું. પુંજો એ માથું ઉપાડીને પોરબંદર ઇનામ લેવા પહોંચ્યો. સરકારે નાથાનું માથું લાવનાર માટે ઇનામ કાઢ્યું હતું. એજન્સીનો ગોરો સાહેબ ત્યાં હાજર હતો. એણે તો નજર કરીને જ સમજી લીધું કે જવાંમર્દોથી નહિ, પણ ઝેરથી જ આ બારવટીયાને માર્યો દેખાય છે !

પુંજાને ઇનામ ન મળ્યું. રાજ્યોએ એ રીતે નાથાના પ્રાણ લેવરાવ્યા. મેરાણીઓ આજ પણ ગામેગામ ગાય છે કે

મોઢાને મારવો નો'તો
ભગત તો, સાગનો સોઠો!"


'નાથા મોઢવાડીયા'ની કથામાં મેર લોકોની બોલીના જે પ્રયેાગો પહેલી બે આવૃત્તિમાં થયા હતા. તે તરફ એક મેર ભાઈએ ધ્યાન ખેંચતાં આ વખતે એ પ્રયોગો શુદ્ધ કરી લેવામાં આવ્યા છે. એની સમજ નીચે મુજબ છે :-


ગુજરાતી ભાષા
ક્યાંથી
શું
શાની
હતી
તો
હવે
હજી
કેની
જેવાં
એમ
ગયો


મેર-ભાષા
કાંથી
કાંવ
કીવાની
હુતી
તાં
હેવ
હજે
કીણી
જીવા

ગો


ગુજરાતી ભાષા
કાં
શીદ
છોડીને
બધું
નથી
છું
લઉં
કેદિ
એને
કહું છું


મેર-ભાષા
કાંઈ
કાંવ કરવા
છોડેને
બધું
નેથ

લાં
કેદુ
ઈણે
કાંછ