સોરઠ, તારાં વહેતાં પાણી/૪૫. ઉજળિયાતોનાં રુદન

વિકિસ્રોતમાંથી
← ૪૪. બધાં એનાં દુશ્મનો સોરઠ, તારાં વહેતાં પાણી
૪૫.ઉજળિયાતોનાં રુદન
ઝવેરચંદ મેઘાણી
૪૬. એ બહાદુરો ક્યાં છે? →


45 ઉજળિયાતોનાં રુદન

પિનાકી પ્રભાતે પાછો રાજકોટ પહોંચ્યો ત્યારે ઘરના આંગણે એક ગવલણ ઊભી હતી. એના હાથમાં ખોળનો કાળો ટુકડો અને કપાસિયાની ટોપલી હતાં. મોટીબા ખીલેથી ગાયને છોડતાં હતા, પણ ગાય મોટીબાને છોડતી નહોતી. ઊભેલી ગવાલણના ખોળ-કપાસિયા ગાયને આકર્ષી શક્યા નહોતા. ગવલણ 'આવ! આવ! બા..પો! બા...પો! આલે ! આલે!' એવા મીઠા મીઠા બોલે ગાયને બોલાવતી હતી.

"કેમ મોટીબા! આ શું?" પિનાકીએ પૂછ્યું.

"ગાય વેચી નાખી આ ગવલણને, ભાણા! મોટીબાનું બોખું મોં જાણે કે ડાકલી બજાવતું હતું.

"કોઇ જાતની ચિંતા ન કરજો, બા!" ગવલણે કહ્યું: "મારે ઘેર એક ગાદલા ને ખાટલા સિવાય આ ગાય સારુ બધી જ વાતની જોગવાઇ છે. કોઇ વાતે તમારી ગાયને હું દુઃખી નહિ થવા દઉં."

"એ તો હું આઠ-આઠ દા'ડે જઇને જોઇ આવીશ ને, બેટા!" મોટીબાએ પિનાકીનું પડી ગયેલું મોઢું જોઇ દિલાસો દીધો.

"ને તમે મારું જ દૂધ બંધાવજો ને, બા; એટલે ભાઇને દૂધ પણ ઇ-ની ઇ જ ગા'નું ખાવું ભાવે." ગવલણે પણ ભાણાની ઊર્મિઓ ઓળખી લીધી.

"ભલે-ભલે; જાવ, માતાજી! હવે સુખેથી જાવ!" એમ કહીને મોટીબાએ ગાયને થાબડ મારી.

પણ ગાય ન ખસી. કપાસિયાની સૂંડીમાં એણે મોઢું પણ ન નાખ્યું. આખરે ગવલણે જ્યારે એક મહિનાની નાની વાછડીને હાથમાં ઉઠાવી તેડી લીધી, ત્યારે પછી ગાય 'ભાં-ભાં' કરતી પછવાડે ચાલી ગઇ.

ઘરમાં બેસીને પિનાકીએ નાના બાળકની માફક રડવા માંડ્યું. એણે પોકો મૂકી. મોટાબાપુજી ગયા. એની પોતાની બા પણ ગઇ. ઘોડી ગઇ - તેમાંના કોઇ પણ પ્રસંગે એને એટલું નહોતું લાગ્યું - જેટલું આજ ગાય જતાં લાગ્યું.

"એલા, આ ભેંકડા કોણ તાણે છે?" કરતો એક પડોશી ખેડૂત ખંપાળી લઇને ખડકીએ ડોકાયો. એ ગાડામાં બહારનો ઉકરડો ભરતો હતો. એને મોંએ મોહરિયું બાંધી લીધું હતું. એના ફાટેલા કપડાં વાંદરાને શરીરે રુંછા હોય છે તેના કરતાં જરી પણ વધુ રક્ષણ શરીરને આપતાં નહોતાં.

"કેમ રોવો છો ભાઇ? કોણ - કોઇ..." ખેડૂતને કોઇક સગુંવહાલું મરી ગયું હોવાનો વહેમ આવ્યો, કેમકે તે સિવાયનો કોઇ જીવન-પ્રસંગ ખેડૂતને રોવા જેટલો વિસામો આપતો નથી.

"ના રે, નરસીભાઇ," મોટીબા પણ ભીની પાપણે જ બોલ્યાં: " એ તો ગાય વેચી ખરી ને, તે.. એમ કે ભાણાને ગાય જરા વા'લી હતી."

"ઓય ભાણાભાઇ!" ખેડૂતને આ ઉજળિયાત આપત્તિમાં રમૂજ લાગી. "સગી બાયડી અને છોકરાં વેચી નાખનારાને કે'દી જોયાં કે સાંભળ્યાં નથી લાગતાં! રોવે જ ને!"

ભણેલા પિનાકીને આ ચીંથરેહાલ માણસની મશ્કરી લજ્જાપદ લાગી. બાયડી અને છોકરાંના વેચાણની કોઇક પરીકથા સાંભળવા એના કાન ઊંચા થયા.

"શું કહો છો, નરસીભાઇ?" મોટીબાએ વાત કઢાવવાનું બહાનું ઊભું કર્યું. એનો શોકનો કાળો સાડલો આગમાંથી સળગીને ઊભી થયેલી સ્ત્રીના શરીરની ખોળ સરખો લાગતો હતો. કણબીએ લાંબા હાથ કરીને કહ્યું: "શું કહો છો, શું કહો છો' શું? આ પરમ દા'ડે જ અમારા દેવરાજીયાની બાયડીને ઉપાડીને કબાલાવાળા સંધીઓ હાલ્યા ગયા. ને મારી જ દસ વરસની છોકરીને વીરચંદ શેઠના મારી કનેના લેણા પેટે શેઠને ઘેર મારે મૂકવી પડી છે. મળવા જાઉં છું. તો મોઢુંય જોવા નથી પામતો."

"કેમ?"

"શેઠાણી કામમાંથી માથું ઊંચું કરવા જ દીયે નહિ. મારો છોકરો માંદો હતો ત્યારેય ન મોકલી ને!" એમ કહેતાં નરસી પટેલે પોતાના કાંડા વતી નાકનાં પાણી લાંબે લસરકે લૂછ્યાં.

પિનાકી જોતો હતો કે આવી વાતો કરનાર માણસના કંઠમાં કોઇ વેદનાનો ઝંકાર પણ નહોતો: એ જાણે મેથી અને રીગણાંની વાતો કરતો હતો.

"છોકરી ગજાદાર છે?" મોટીબાએ પૂછ્યું.

"ગજાદાર તો ક્યાંથી હોય? એની માને મૂએ ને મારી ભેંસને મૂએ આજે પાંચ વરસ થયાં. પણ દસ વરસની છોકરી ગજાદાર હોય કે ન હોય, કાંઇ નાની ન કહેવાય, બા? એનો સસરો રાડ્યેરાડ્યું દીયે છે, કે ઝટ વિવા કર! - વિવા કર!"

"વિવા? અત્યારથી?"

"તયે નહીં? એમાં એના સસરાનોય શું વાંક? દસ વરસની વહુ ઘરમાં હોય તો રોટલા ટીપ્યા કરે ને! વાસીદાંબાસીદાંય કરવા લાગે ને! એની બચાડાની દૂબળી ખેડ્યમાં દસ વરસની વહુ સો રુપિયા બચાવી દીયે ને! પણ આંહીંથી એને વીરચંદ વાણિયો શેનો છોડે? એને છોડાવું તો વીરચંદ લેણું વસુલ કરવા કોરટે ધોડે. દઃખ કાંઇ થોડાં છે?"

એમ બોલીને ખેડુત હસ્યો. પિનાકીના સ્થિર બનેલા મોં પરથી આંસુ સુકાઇને લપેડા રહ્યા હતા. વહાલી ગાયની જુદાઇ એને સતાવતી ઓછી થઇ હતી, કેમકે એણે વહાલી વહુ -દીકરીઓનાં વેચાણોની કથા સાંભળી. એવી કથાનો કહેનારો ઊલટાનો હસતો હસ્તો પાછો ચાલ્યો ગયો. એની વેદના ઉકરડાની ધૂળ ભેગી ધૂળ થઇ ગઇ.