સૌરાષ્ટ્રની રસધાર ૧/નિવેદન

વિકિસ્રોતમાંથી
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
સૌરાષ્ટ્રની રસધાર ૧
નિવેદન
ઝવેરચંદ મેઘાણી
નવે અવતારે →
આ પ્રકરણને આપ અહીં સાંભળી પણ શકો છો.


પહેલી આવૃત્તિ

મુંબઈના કોઈ એક સાક્ષરે એવો નિ:શ્વાસ નાખેલો કે 'કાઠિયાવાડ-ગુજરાતની ભૂમિમાં પ્રેરણા સ્ફૂરે એવું કશું રહ્યું નથી એટલે આપણે એ પ્રેરણાની શોધમાં કાશ્મીરમાં જવું પડે છે?'

એવું આકરું મેણું પામેલા કાઠિયાવાડની - આ સૌરાષ્ટ્રની - પૂરી તો નહિ, પણ બની તેટલી પિછાન આપવાનો 'રસધાર'નો અભિલાષ છે.

સૌરાષ્ટ્રના મર્મભાવો આજે કાંઈ પહેલવહેલા પ્રકાશમાં આવે છે એવું નથી. દસદસ વરસ થયાં, કે કદાચ તેથી ય વધુ સમયથી, 'ગુજરાતી' પત્રના અંકોમાં સૌરાષ્ટ્રની પ્રાચીન કવિતાનો ઝરો ચાલુ જ રહ્યો છે. એનાં બિન્દુઓ ચાખ્યા પછી જ ઘણેભાગે એ રસ-માધુરીનો વધુ સ્વાદ બીજાઓને લાગ્યો હતો.

ત્યાર પછી 'કાઠિયાવાડી જવાહિર'ના પ્રયોજક સદ્ગત ખીમજી વસનજીએ પણ એ પ્રવાહની અંદર પોતાની નાની-શી નીક મિલાવી હતી. પણ નવા સાહિત્યના પ્રચંડ વેગમાં તે વખતે આપણો લોકસમુદાય તણાતો હતો. પ્રાચીનતા પ્રત્યે અતિશય અણગમો વ્યાપેલો હતો. પુનરુત્થાનનો યુગ હજુ નહોતો બેઠો.

ત્યાર પછી શ્રી કહાનજી ધર્મસિંહે 'કાઠિયાવાડી સાહિત્ય' નામના કાઠિયાવાડી દુહાઓના બે સંગ્રહો વાટે એ વહેણને જોશ દીધું. કમભાગ્યે એ સુંદર સંગ્રહની અંદર અર્થો સમજાવવનું રહી ગયું છે.

ત્યાર પછી શ્રી હરગોવિંદ પ્રેમશંકરે 'કાઠિયાવાડની જૂની વાર્તાઓ' પ્રગટ કરી. 'ગુજરાતી'માં પ્રસિદ્ધ થયેલી થોડીક વાર્તાઓ ઉપરાંત પોતાની પાસેનો ઘણો સંગ્રહ તેમણે ગુજરાતી આલમને ધરી પોતાના અનેક વર્ષોના સાહિત્ય-પરિશ્રમને સફળ કર્યો.

પોરબંદરને તીરેથી પણ સુંદર ને સુવ્યવસ્થિત પ્રયાસ થયો. શ્રી જગજીવન પાઠકે 'મકરધ્વજવંશી મહીપમાળા' નામના નાનકડા પુસ્તકમાં 'જેઠવા વંશ'ના અતિ પ્રાચીન પૂર્વજોની હકીકતો ઇતિહાસનાં દટાયેલાં ખંડેરોમાંથી ખોદી કાઢી. ઘણે સ્પષ્ટરૂપે પ્રગટ કરી, એ માટીના પડેપડમાં બાઝેલું મનોહર સાહિત્ય સંક્ષેપમાં સાફ કરીને અજવાળે આણ્યું, છતાં જેઠવાઓની અદ્ભુત પ્રેમ-શૌર્ય કથાઓ હજુ પૂરેપૂરી પ્રગટ નથી થઈ. બરડાની બખોલોમાં કંઈ કંઈ મીઠા ઝરાઓ હજુ સંતાતા સંતાતા વહેતા હશે. એક દિવસ કોઈ ભોમીઓ આપણને એ બતાવશે.

આ 'રસધાર'ની અંદર જરા જુદો માર્ગ પણ લેવાયો છે. સૌરાષ્ટ્રની કેટલીએક કવિતા કેટલીએક શૌર્યવંત વ્યક્તિઓના ઇતિહાસની સાથે આલિંગીને ઊભી છે. બધીજ કવિતાઓ કોઈ નાલાયક પુરુષોની નથી. ગોહિલકુળ, જેઠવાકુળ, ઝાલાકુળ અથવા ખાચર ખુમાણ વગેરે નામાંકિત કાઠી-કુળોના એ બધા પુરુષો મહાન હતા. તેઓની જીવનકથાઓ, વિના-કવિતાએ પણ કવિતા સરખી જ રસવતી છે. જ્યાં જ્યાં જીવનની મહત્તા, ત્યાં ત્યાં કવિતા સરખી જ રસવતી છે. જ્યાં જ્યાં જીવનની મહત્તા, ત્યાં ત્યાં કવિતા તો સદાય પોતાની મૌન-વીણા લઈને બેઠેલી જ હોય છે.

હિમાલયનાં બરફ-શિખરો ઉપર સૂર્યનાં કિરણો પડે, અને વિગલિત બનીને ધારારૂપે વહેવા લાગતું એ બરફ-શિખર કદી ન ગાયેલું એવું કલકલ ગાન કરવા લાગે છે; એવી રીતે ઇતિહાસની અંદર પણ ચારણનાં કલ્પના-કિરણોનો સ્પર્શ થતાં, એવું જ અદ્ભુત એક ગાન ઊઠે છે. 'રસધાર'ની અંદર એકલી કલ્પના નથી ગાતી; ઇતિહાસને એ ગવરાવી રહી છે.

દુહાઓનું સાહિત્ય કેટલુંક બહાર આવ્યું છે; પરંતુ ગીતો, કવિતા અને છંદોનું સાહિત્ય હજુ પ્રસિદ્ધિ નથી પામ્યું. એ બધું સાહિત્ય પ્રગટ કરવાનો 'સૌરાષ્ટ્ર'નો મનોરથ છે; જ્યાં સુધી આ સંગ્રહ ચાલી શકે ત્યાં સુધી પ્રતિવર્ષ 'રસધાર' દ્વારા એ મનોરથ પાર ઊતારવાની ઉમેદ છે. વાચકોએ સમજવા યત્ન કરશે, તો એમાંથી પણ રસનાં ઝરણાં છૂટશે.

એક-ની-એક જ વાત કહેવાની છે, કે પ્રાચીન સૌરાષ્ટ્રના હાર્દની આ એક પિછાન દેવાનો પરિશ્રમ છે. સૌરાષ્ટ્ર પોતાનાં પાંચ રત્નો વડે જ બીજા પ્રાંતોથી જુદો પડે છે અથવા ઊંચો ચડે છે, એમ નથી. સૌરાષ્ટ્રની વિશિષ્ટતા તો અનેક છે. સૌરાષ્ટ્ર એક અને એકલો જ છે. સૌરાષ્ટ્ર બે નથી. સૌરાષ્ટ્ર જેટલો જીવતો દેખાય છે તેથી અનેકગણો તો એ દટાયેલો પડ્યો છે.

આજથી બરાબર એક વરસ પહેલાં 'સૌરાષ્ટ્ર'ની અંદર ચાર વાર્તાઓ પ્રગટ થયેલી. 'રસધાર'નો ઝરો તે વખતથી શરૂ થયો. એ વાર્તાઓને મળેલા લોક-સત્કારથી જ 'રસધાર'ને પુસ્તકાકારે પ્રયોજવા પ્રેરણા થઈ એ મંગળમુહૂર્તનું ને પ્રેરણાનું માન હડાળના વિદ્વાન તેમ જ રસજ્ઞ દરબારશ્રી વાજસૂર વાળાને ઘટે છે. 'ચાંપારાજ વાળો' ને 'ભોળો કાત્યાળ' એમની જ કહેલી વાતો છે. કેટલાયે વાચક-યુગલોની આંખોમાંથી આંસુ પડાવનાર 'આહીરની ઉદારતા' અને 'પ્રબળ પાપનું પરિણામ' પણ એમણે જ લખી મોકલેલી બે વાતો. 'રસધાર'ના આરા પર એમનું નામ કાયમ અંકાયેલું રહેશે.

ત્યાર પછી 'આનું નામ તે ધણી' અને 'રંગ છે રવાભાઈને' એ બે મહામોલી ભેટ ધરનાર અમારા સ્નેહીભાઈ પોપટલાલ છગનલાલ વડોદ (દેવાણી)વાળા છે. સૌરાષ્ટ્રની રજપૂત કોમને માટે પ્રીતિની જે આગ એમના દિલમાં ભરી છે તેના જ આ બે તણખાઓ ગણી શકાય.

વળા રાજ્યના વિદ્વાન રાજકવિશ્રી 'ઠારણભાઈએ 'રાવળ જામ ને જેસા જમાદાર' તથા 'રાયસિંહજી'ની કાવ્યબદ્ધ કિંમતી વાતો સ્વહસ્તે લખી મોકલેલી, અને પોતાની પાસેનો ગીત-કવિતાનો મોટો ખજાનો અમારી પાસે ધરી દીધેલો; એમાંથી પણ અમે ઉપયોગ કર્યો છે. એ પ્રૌઢ પ્રવીણ કવિશ્રીને કંઠથી ગાજતી ચારણી કવિતા સાંભળવી, એ એક જીવન-લ્હાણ છે. એવા કવિઓની આજે સૌરાષ્ટ્રમાં ખેંચ છે: જોડકણાં જોડનારા ચારણોનો રાફડો ફાટ્યો છે.

લીંબડીના રાજકવિ શ્રી શંકરદાનભાઈ તો 'સૌરાષ્ટ્ર'ની આ પ્રવૃત્તિ પર સદા ઓછા ઓછા જ થતા આવ્યા છે. 'રસધારની' અશુદ્ધિઓ શુદ્ધ કરવા તેમ જ કેટલીએક વાર્તાઓને લગતું દુહા-કવિતા વગેરે સાહિત્ય મેળવી આપવા તેઓ કાયમ હર્ષભેર આતુર રહે છે.

કાઠિયાવાડની ચારણ કોમના મુરબ્બી મનાતા એ પ્રખર વૃદ્ધ કવિ શ્રી પીંગળશીભાઈ, જે આજે ભાવનગરના રાજકવિપદને શોભાવી રહ્યા છે, એમની મમતાને તો 'રસધાર' શી રીતે ભૂલે ? કલાકોના કલાક સુધી બેસી બેસીને અતિ ધીરજ પૂર્વક અને રસભેર એમણે 'રસધાર'ના વહેણનો ખરબચડો માર્ગ સરખો કરી આપ્યો, ને પત્ર વ્યવહારથી પુછાવેલી હકીકતોના પણ વિના કંટાળ્યે ખુલાસાઓ મોકલ્યા. 'રા' નવધણ'ની વાર્તા એમની કહેલી છે; 'સેજકજી'ની અંદર યોજાયેલ છંદો પણ એમની જ મધુર કૃતિઓ છે.

'ગોકુળિયું નાનું ગામડિયું' વગેરે મનમોહક પદો રચી કોઈ પુરાણા ભક્તકવિની ભ્રાંતિ કરાવનાર, ગામડિયા લોકોને ગાવા માટે ભક્તિભર્યાં ગીતો રચી ગામડે ગામડે ચટક લગાડનાર આ પીંગળશી કવિ સૌરાષ્ટ્રમાં એક છે - બે નથી. આશા રાખીએ છીએ કે એમણે જે આપ્યું છે તેની વિશેષ જાણ થાય, અને જીવનના આ સંધ્યાકાળે એ કવિ વધુ ને વધુ ભજનો લલકારે.

આ ઉપરાંત કવિ કનરાજે પોતાને પાસેનો આખો દુહા-સંગ્રહ ઉપયોગને માટે અમને આપી દીધો; તેમનો ઉપકાર માનવો અમે ચૂકી શકતા નથી.

કાઠિયાવાડના ક્ષત્રીઓના કિરીટરૂપ કૅપ્ટન જોરાવરસિંહભાઈએ આ 'રસધાર'માં અનેક રીતે સહાય કરી છે. તેનું ઋણ પણ જેટલા અંશે આથી ચુકવાયું હોય એટલે અંશે અમે ચૂકવવાનું યોગ્ય ધારીએ છીએ.

છેલ્લું અને વધુ અગત્યનું નામ આવે છે અમારે ત્યાં જ રહી અમારી સાથે કામ કરનાર ગઢવી શ્રી માધવદાનભાઈનું. એક તરફથી અમે 'રસધાર'નું નામ જાહેર કરી નાખ્યું; ત્યાં બીજા જ પ્રભાતે આ ગઢવીનું 'સૌરાષ્ટ્ર'ને દ્વારે અકસ્માત્ આગમન થયું. મોટા કવિઓની પાસે જે વૃતાંતો ન મળી શકે, તેવાં કેટલાંક વૃતાંતો ભાઈ માધવદાન પોતાની નાનાં ગામોની મુસાફરીમાંથી મેળવી શકેલા છે.

કેટલાએક સંગ્રહ તૈયાર કરેલો પડ્યો રહ્યો છે. વિશેષ સંશોધન ચાલુ જ છે. આવતે વર્ષે પણ એ-ને-એ જ રસ 'સૌરાષ્ટ્ર'ના પ્રેમીઓને અમે પાવાના છીએ. બેશક, આવતા વર્ષનો સંગ્રહ વધુ શુદ્ધ અને વધુ રસભર્યો થવાનો.

૧૯-૧૦-૧૯૨૩
ઝવેરચંદ મેઘાણી