કલાપીનો કેકારવ/ભવિષ્ય અને શ્રદ્ધા

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← મ્હારૂં ભાવિ કલાપીનો કેકારવ
ભવિષ્ય અને શ્રદ્ધા
કલાપી
હમીરજી ગોહેલ →


ભવિષ્ય અને શ્રદ્ધા

ના ના ભવિષ્ય મુજ કાજ હવે દિસે છે,
ભૂતો જ નેત્રપડદા થઈને ઢળે છે;
જ્યાં જ્યાં ધરૂં પગ, તહીં ફરી એ જ જ્વાળા,
ને એ જ અશ્રુ મહીં એ જ ભર્યા બળાપા.

ના મામલા પ્રણયના પણ એ જ જાગે,
નિદ્રા ન લે હ્રદય શાન્ત સૂઈ વિરાગે;
આ પિંજરૂં દરદનું હજુ તોડવાને,
વાયુ તણી સુસવતી લહરી ન આવે.

ભવિષ્યે ના ભાળું મુજ હ્રદય માટે પગથિયાં,
ભવિષ્યે ભાસે છે દરદમય એ ભૂતમયતા;
ન પંપાળે કોઈ મુજ હ્રદય - સાથી હ્રદયથી,
રહ્યા ભૂતે કોઈ - કંઈ ઉડી ગયા છે નજરથી.

ગઈ ઉડી તેવી મુજ જિગર પાંખો નવ ધરે,
ફરી જાતાં પાછું મુજ જિગર ત્રાસે થરથરે.

* * *


થાકી જાતાં હ્રદય આ વહતું નથી કૈં,
ગાવા મૃદુ લહરીઓ ગ્રહતું નથી કૈં;
લાગે મુને જીવિત આ કડવું થતું કૈં,
'હું એકલો' અરર! એ ખટકે ઉરે છે.

આશા દિસે જિગરને વનમાં જવાની,
જ્યાં તે અભંગ ઝરણું નિજ નાચ નાચે,
પ્રત્યેક બિન્દુ શશીમાં શશી જ્યાં બને છે,
જે સ્થાનનો હ્રદયને સહવાસ જૂનો.

આવા દુઃખી કલુષ વિશ્વ થકી જળેલું -
જે કોઈ ના મધુર મૂર્તિ મહીં ઠરેલું,
પંપાળનાર કરથી હતભાગી હૈયું -
જેને ન કોઈ ઉરથી ધરનાર આંહીં.

જેનું પડ્યું શયન કંટકથી ભરેલું,
તે આજ કાંઈ સુખમાં વહવા જ ઇચ્છે,

ઇચ્છે શશી ઝરણમાં ગરકાવ થાવા,
શું એટલું ય શકશે દુખિયાં કરી ના?

જેના મૃદુ કર વતી દ્રવતી શિલાઓ,
જેનાં ભર્યાં નયન ભવ્ય પ્રભાપ્રવાહે,
સૌન્દર્યનું ઝરણ નિત્ય વહાવનારો
તે શાન્ત શું ન કરશે મમ દગ્ધ હૈયું?

હું એ જ છું કુમુદડું શશીનું સદાનું,
એ એ જ વિશ્વ પર અમૃત ઢોળનારો
સૌ ઔષધિ ઉપર અમૃત સિંચતો જે
તે પોષતે જ મુજ શી ય કટુ લતાને.

જેનું અમીઝરણ ભેદ વિના વહે છે,
જે અર્પતા ભ્રમણમાં નવ કાલાન્ત કો દી,
જેને બન્યાં જીવિત અર્પણ એકરૂપે
દૃષ્ટિપ્રસાદ મુજને ય મળી રહેશે.

ઝાંખી મહત્ત્વ પરિપૂર્ણ તણી થઈ જ્યાં,
જે લક્ષ્યથી જીવનમાં જીવવું મળ્યું છે;
જે પેખતાં જીવિત દીર્ઘ સદાય થાતું -
આજે ય તે જ કરશે મમ શાન્ત હૈયું.

છે રાત્રિની ઝળક આજ નવીન કાંઈ,
આ મેઘમાળ મહીં ચન્દ્ર નવીન ભાસે;
છે તો નહીં સખી કને રસ અર્પવાને,
તો યે શશાંક રજની હસતાં દિસે છે.

૨૩-૩-૧૮૯૭