કલાપીનો કેકારવ/સ્નેહશૈથિલ્ય

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← ઇશ્કનો બંદો કલાપીનો કેકારવ
સ્નેહશૈથિલ્ય
કલાપી
એ મૂર્તિ →


સ્નેહશૈથિલ્ય

ત્હને ચાહું કેવું? ક્યમ કહી શકું તે - પ્રિય! ત્હને?
શશીને ના કહેતી નિજ પ્રણય કો દી કુમુદિની!
અરે! ખૂંચે ત્હોયે તુજ હૃદયની આ શિથિલતા!
નહીં દોષો ત્હારા - પણ નસીબની વાત સઘળી!

કદી વેળા જાતાં તુજ હૃદય કૈં આર્દ્ર બનશે,
કદી ત્યારે તો આ મુજ હૃદય શૈથિલ્ય ધરશે;
વિરાગી ના લૂછે પ્રણયી રસિલાં સ્નિગ્ધ નયનો,
પછી શું એ અશ્રુ મુજ ઉર પરે કાર કરશે?

અરે! આ પ્રીતિમાં મુજ હૃદય રોકી નવ શકું,
ન પ્રીતિમાં પાછું હૃદય મમ વાળી શકીશ વા;
વહી જતી પ્રીતિ - અરર! કદિ એ ના અટકતી;
નહીં ભીની થાતી - અરર! રડવાથી શિથિલતા.

રડે મ્હારી પ્રીતિ તુજ હૃદયની આ શિથિલતા,
કદી તું યે રોશે મુજ હૃદયનું એવુંજ કંઇ;
દિસે નિર્માયેલો પ્રણય રડવાને શિથિલને,
છતાં તું માટે એ ક્રમ વધુ જરી કોમલ હજો.

૩- ૩-૧૮૯૭