ગાંધીજીનો અક્ષર દેહ - ૧/નાતાલ કાઉન્સિલને અરજી-૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← લૉર્ડ એલ્જિનને અરજી ગાંધીજીનો અક્ષરદેહ
નાતાલ કાઉન્સિલને અરજી-૨
[[સર્જક:મોહનદાસ કરમચંદ ગાંધી|મોહનદાસ કરમચંદ ગાંધી]]
મિ. ચેમ્બરલેનને અરજી-૧ →


પ૪. નાતાલ કાઉન્સિલને અરજી[૧]
[ડરબન,]
 
[જૂન ૨૬, ૧૮૯૫ પહેલાં]
 

નામદાર લેજિસ્લેટિવ કાઉન્સિલના નામદાર પ્રમુખ તેમ જ સભ્યો જોગ

નાતાલ સંસ્થાનમાં વેપારીઓ તરીકે રહેતા નીચે સહી કરનારા હિંદીઓની અરજી

નમ્રતાપૂર્વક દર્શાવે છે કે :

સંસ્થાનમાંની હિંદી કોમના પ્રતિનિધિની હેસિયતથી તમારા અરજદારો આથી તમારી નામદાર કાઉન્સિલને ઇન્ડિયન ઈમિગ્રેશન લૉ એમેન્ડમેન્ટ બિલ (હિંદીઓને સંસ્થાનમાં પ્રવેશ કરવા દેવાને લગતા કાયદાના સુધારાના ખરડા)ની બાબતમાં તે ખરડો મજૂરીના કરારની ચાલુ મુદતને અસર કરે છે તેટલા પૂરતી અને પોતાના કરારની મુદત પૂરી થયે સ્વતંત્ર હિંદી તરીકે સંસ્થાનમાં રહેવા માગનારા સંસ્થાનમાં દાખલ થયેલા હરેક હિંદીએ વરસોવરસ ૩ પાઉન્ડ ભરી પરવાનો કઢાવવાની દરખાસ્ત કરે છે તેને અંગે અરજ ગુજારવાનું સાહસ કરે છે.

તમારા અરજદારો સાદર નિવેદન કરવાની રજા ચાહે છે કે ઉપર જણાવેલી ખરડાની બંને કલમો બિલકુલ અન્યાયી હોઈ તેમને સામેલ કરવા માટે કોઈ કારણ ઊભું થયું નથી.

આ બાબતને અંગે તપાસ કરી હેવાલ રજૂ કરવાને હિંદુસ્તાન મોકલવામાં આવેલા પ્રતિનિધિ મિ. બિન્સ અને મિ. મેસનના હેવાલમાંથી નીચેના ફકરા તરફ તમારા અરજદારો તમારા નામદાર સભાગૃહનું નમ્રતાપૂર્વક ધ્યાન ખેંચે છે :

મજૂરીના કરાર માટે બીજી મુદતને સારુ સંમતિ આપવાને હિંદુસ્તાનની સરકાર પાસે વારંવાર માગણી થઈ હોવા છતાં કુલીઓ દેશાન્તર કરી જ્યાં જ્યાં ગયા છે તેવા કોઈ પણ મુલક સાથે તેવી સમજૂતી થઈ નથી; અને કરારની મુદત પૂરી થયે ફરજિયાત હિંદુસ્તાન પાછા ફરવાની શરત એક પણ દાખલામાં મંજૂર રાખવામાં આવી નથી.

તમારા અરજદારો નિવેદન કરે છે કે ખરડાની એ કલમો મૂળ સમજૂતીથી સરિયામ જુદી પડે છે અને તેથી બધાંયે બ્રિટિશ સંસ્થાનોમાં જે રિવાજ ચાલે છે તેના કરતાં સ્થિતિ વધારે બગડે છે.

મજૂરી માટેના મુદતી કરારથી બંધાઈને આવનારા હિંદીની સરેરાશ ઉંમર કરાર થાય તે વખતે પચીસ વરસની માનીને ચાલીએ તો જે કલમથી હિંદી મજૂર પાસે દસ વરસ કામ લેવાની અપેક્ષા રાખવામાં આવી છે તેના અમલથી મજૂરીના કરાર મુજબ આવનાર હિંદીની જિંદગીનો સારામાં સારો ગાળો બંધનની દશામાં જ વહી જાય.

દસ વરસ સુધી સંસ્થાનમાં ચાલુ વસવાટ કર્યા બાદ કોઈ પણ હિંદીએ હિંદુસ્તાન પાછા જઈ રહેવાની વાત ચોખ્ખી મૂર્ખાઈ જ ઠરે, તેનાં બધાં જૂનાં બંધનો ને સંબંધો તૂટી ગયેલાં હોય. આવો હિંદી પોતાની માતૃભૂમિમાં પ્રમાણમાં અજાણ્યા આગંતુક જેવો હોય. હિંદુસ્તાનમાં


  1. ૧. આ અરજી धि नाताल मरक्युरी માં ૧૮૯૫ની સાલના જૂન માસની ૨૬મી તારીખે પ્રસિદ્ધ થઈ હતી.
રોજગારીનું કામ મેળવવાનું અશકય જેવું થઈ પડે ત્યાં મજૂરીના બજારમાં સારીસરખી ભીડ

જામી છે અને તેણે મૂડીના વ્યાજ પર નભી શકાય એટલી રકમ બચાવેલી હોય નહીં.

દસ વરસને માટે તેને મળેલી કુલ રકમ પાઉન્ડ ૮૭ થાય. મુદતી કરારથી બંધાઈને અહીં આવનાર હિંદીને કરારની મુદતના દસ વર્ષના આખાયે ગાળા દરમિયાન કપડાંલત્તાંનો બીજો ખર્ચ માત્ર પાઉન્ડ ૩૭નો થાય એમ ગણીએ તો તેની પાસે ૫૦ પાઉન્ડની રકમની બચત રહે. હિંદુસ્તાન જેવા ગરીબ મુલકમાં પણ માંડ શરીરને નભાવવાને જરૂરી રકમ જેટલું વ્યાજ એટલી મૂડીમાંથી તેને મળે નહીં તેવો હિંદી તેથી હિંદુસ્તાન પાછા ફરવાનું સાહસ કરે તો પણ તેને મજૂરી માટેનો મુદતી કરાર સ્વીકારી અહીં પાછા આવવાની ફરજ પડે અને એમ તેની આખી જિંદગી ગુલામીમાં જ પૂરી થઈ જાય. એ ઉપરાંત આ મજૂરીથી બંધાયેલા હિંદીને પોતાનું એવું કુટુંબ હોય તો આ દસ વર્ષ દરમિયાનમાં તેના તરફ તે બિલકુલ ધ્યાન જ નહીં આપી શકે. અને કુટુંબ ધરાવતો માણસ ૫૦ પાઉન્ડ પણ બચાવી નહીં શકે. તમારા અરજદારોને કુટુંબવાળા મજૂરી નીચેના હિંદીઓએ કશું પણ બચાવ્યું નહીં હોય એવા અનેક દાખલાઓની માહિતી છે.

૩ પાઉન્ડની લાઇસન્સ ફી બાબતની બીજી કલમ વિષે તમારા અરજદારોનું કહેવું એવું છે કે એ વ્યાપક અસંતોષ અને જુલમ પેદા કરે એવો સંભવ રહે છે. નામદાર સમ્રાજ્ઞીની પ્રજામાંથી એક વર્ગને અને તે પણ સંસ્થાનને સૌથી ઉપયોગી વર્ગને આવી જાતના કર માટે શા માટે જુદો ગણવામાં આવે છે એ વાત તમારા અરજદારના અભિપ્રાય મુજબ સમજવાનું મુશ્કેલ છે.

તમારા અરજદારો ખૂબ જ માનપૂર્વક જણાવવાની હિંમત કરે છે કે કોઈ માણસ દસ વર્ષ બાંયધરી નીચે રહ્યો હોય તે પછી સંસ્થાનમાં સ્વતંત્ર થઈને તેને રહેવા દેવા માટે તેની પાસે ભારે રકમનો દંડ ભરાવવો એ બાબત સોદો ન્યાયના અને નીતિના સિદ્ધાંત સાથે સુસંગત નથી. માનો કે આ કલમો માત્ર એવા જ હિંદીઓને લાગુ પાડવામાં આવે કે જેઓ આ બિલ કાનૂન બન્યા બાદ સંસ્થાનમાં આવે અને તેમણે કઈ શરતોથી આવવાનું છે તેની તેમને જાણ પણ કરવામાં આવી હોય, પરંતુ એ હકીકત આ કલમોને તેની સામે ઊભા કરવા ધારેલા વાંધાઓમાંથી મુક્ત કરતી નથી. કારણ તમારા અરજદારોનું કહેવું એ છે કે એ રીતે કરાર કરનારા બંને પક્ષોને કાર્ય કરવાની એકસરખી સ્વતંત્રતા રહેશે નહીં. એક હિંદી કે જે ગરીબાઈની યાતનાઓથી જકડાઈ ગયેલો છે અને તેના કુટુંબનું ભરણપોષણ કરવાની અશક્તિ અનુભવી રહ્યો છે, તે જયારે મજૂરી માટેના કરાર પર સહી કરે છે ત્યારે તેને ભાગ્યે જ સ્વતંત્ર વ્યક્તિ ગણી શકાય. એવા માણસોની માહિતી પણ મોજૂદ છે કે જેમણે તાત્કાલિક ભીંસમાં લેનારી મુશ્કેલીઓમાંથી છૂટવાને માટે આનાથી પણ ખરાબ કાર્યો કરવામાં પોતાની સંમતિ આપી હોય. એટલે તમારા અરજદારો નમ્રતાપૂર્વક આશા રાખે છે અને પ્રાર્થના કરે છે કે ઉપર દર્શાવેલી કલમોને આ નામદાર સભાગૃહની મંજૂરી મળશે નહીં, અને આ ન્યાય અને દયાના કાર્ય બદલ તમારા અરજદારો સદા પ્રાર્થના કરતા રહેશે વગેરે વગેરે.

(સહી) અબદુલ્લા હાજી આદમ

અને બીજા કેટલાક હિંદીઓ

[ મૂળ અંગ્રેજી ]
છાપેલી નકલની છબી પરથી