પાયાની કેળવણી/૫. સ્વાવલંબી કેળવણી

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← ૪. નકામો ડર પાયાની કેળવણી
૫. સ્વાવલંબી કેળવણી
મોહનદાસ કરમચંદ ગાંધી
૬. સ્વાવલંબન વિષે વધુ વિચાર →



સ્વાવલંબી કેળવણી

મદ્રાસથી ડૉ.લક્ષ્મીપતિ લખે છેઃ

"મેં પાદરીઓની કેટલીક સંસ્થાઓ જોઈ છે. ત્યાં નિશાળ ફક્ત સવારે જ ચાલે છે અને સાંજનો વખત ખેતીના કામમાં કંઈક હાથઉદ્યોગમાં વાપરવામાં આવે છે, ને એ કામને સારુ વિદ્યાર્થીઓએ કરેલાં કામનાં જાત અને પ્રમાણ અનુસાર કંઈક મહેનતાણું અપાય છે. આ રીતે સંસ્થાને ઓછેવત્તે અંશે સ્વાવલંબી બનાવવામાં આવે છે; અને વિદ્યાર્થીઓ જ્યારે નિશાળ છોડે ત્યારે તેમને પોતે શું થશે ને ક્યાં જશું એવો ગભરાટ થતો નથી, કેમ કે એને ઓછામાં ઓછું પોતાની આજીવિકા જેટલું કમાઈ લેવા જેટલું શિક્ષણ તો મળ્યું હોય છે. સરકારી કેળવણી ખાતાની એક જ ઘરેડીયા નિશાળોમાં જે રગશિયું ગાડું ચાલે છે ને જે નીરસ રીતે કામ ચાલે છે તેના કરતાં જે વાતાવરણમાં આવી નિશાળો ચાલે છે તે છેક જુદું હોય છે. છોકરાઓનું આરોગ્ય વધારે સારું દેખાય છે, પોતે કંઈક ઉપયોગી કામ કર્યું છે એ વિચારથી તેઓ આનંદમાં હોય છે, એમનાં શરીરનો બાંધો પણ વધારે સારો હોય છે. ખેતીની મોસમમાં આ નિશાળો થોડોક વખ બંધ રખાય છે, કેમ કે તે વખતે એમની બધી શક્તિની ખેતીમાં જરૂર પડે છે. શહેરોમાં પણ છોકરાઓમાં વેપારધંધાનું વલણ હોય, તેમને તેમાં રોકવા જોઈએ જેથી એમને કામની વિવિધતા મળી શકે. જે છોકરાઓ ગરીબ હોય અથવા તો જેઓ નિશાળમાં જમવા માગતા હોય, તેમને સવારના વર્ગોના વખત દરમ્યાન અર્ધા કલાકની છુટ્ટીમાં એક વખત ખાવાનું પણ આપવું. એમ કરવાથી ગરીબ છોકરાઓને નિશાળમાં દોડવાની હોંશ થશે અને તેમનાં માબાપ પણ એમને નિયમિત નિશાળે જવાનું ઉત્તેજન આપશે.

"આ અડધા દિવસની નિશાળ યોજના સ્વીકારવામાં આઅવે તો એમના કેટાલ્ક શિક્ષકોનો ગામડાંમાં મોટા માણસોનું શિક્ષણ વધારવામાં ઉપયોગ કરી શકાય, અને છતાં એ કામ માટે વધારાના પૈસા આપવા ન પડે.મકાનો અને બીજી સાધનસામ્રગીનો પણ એ જ રીતે ઉપયોગ કરી શકાય.

"હું મદ્રાસના શિક્ષણ ખાતાના પ્રધાનને મળ્યો છું, અને એમને એક કાગળ આપ્યો છે, તેમાં મેં જણાવ્યું છે કે, અત્યારની પેઢીની શરીરસંપત્તિ ઘટતી જાય છે એનું મુખ્ય કારણ એ છે કે, નિશાળના ભણતરના કલાકો અગવડભરેલા છે. મારો મત એવો છે કે, બધી નિશાળો અને કૉલેજો સવારે જ - ૬થી ૧૧ સુધી - ચાલવી જોઈએ. નિશાળમાં ચાર કલાકનું ભણતર પૂરતું થઈ જવું જોઈએ. બપોરનો વખત છોકરા ઘેર ગાળે, ને સાંજે રમત કસરત વગેરે કરે. કેટલાક છોકરા આજીવિકા મેળવવાના કામમાં રોકાય, અને કેટલાક માબાપને તેમના કામમાં મદદ કરે. આમ કરવાથી વિદ્યાર્થીઓ માબાપના સંસર્ગમાં વધરે રહેશે; અને એ વસ્તુ કોઈ પણ ધંધાના શિક્ષણ માટે કે વંશપરંપરાગત કુશળતાના વિકાસને માટે જરૂરની છે.

"શરીરની સુદૃઢતાએ રાષ્ટ્રની સુદૃઢતા છે આપણે સમજીએ તો મેં સૂચવેલો આ ફેરફાર, દેખીતો ક્રાંતિકારક લાગે છે છતાં, હિંદુસ્તાનના રીરરિવાજ અને આબોહવાને અનુકૂળ છે, અને ઘણાખરા લોકો એને વધાવી લેશે."

નિશાળનો ભણતરનો સમય સવારમાં જ રાખવાની જે સૂચના ડૉ. લક્ષ્મીપતિએ કરી છે તેની ભલામણ કેળવણી ખાતાના અધિકારીઓને કરવા ઉપરાંત હૂં ઝાઝું કંઈ કહેવા ઇચ્છતો નથી.ઓછેવત્તે અંશે સ્વાવલંબી સંસ્થાઓની વાત તેમણે કરી છે, એ સંસ્થાઓને જો પોતાનું અમુક ભાગનું કે આખું ખરચ કાઢવું હોય અને વિદ્યાર્થીઓને કંઈક ઉપયોગી નીવડે એવા બનાવવા હોય, તો તેઓ બીજું કરી જ ન શકે. છતાં મારી સૂચનાથી કેટલાક કેળવણીકારોને આઘાત થયો છે; એનું કારણ એ છે કે, એમને આજે ચાલે છે તે સિવાય બીજી કોઈ પધ્ધતિની ખબર જ નથી. કેળવણી સ્વાવલંબી હોય એ વિચારથી જ તેમને કેળવણીનું બધું મૂલ્ય હરાઈ જતું ભાસે છે. એ સૂચનામાં તેઓ કેવળ પૈસા મેળવવાનો હેતુ જ ભાળે છે. પણ હમણાં હું કેળવણીના વિષયમાં યહૂદીઓ તરફથી ચાલતા એક પ્રયોગનું પુસ્તક વાંચું છું. એમાં યહૂદી નિશાળોમાં ઉદ્યોગધંધાના શિક્ષણ વિષે લેખકે આ પ્રમાણે કહ્યું છેઃ

"એટલે જાતની મહેનત કરવામાં તેમને રસ પડે છે. સાથે સાથે બૌદ્ધિક પ્રવૃત્તિ ચાલે છે એથી એ મહેનત હળવી બને છે, અને એમનામાં દેશભક્તિનો આદર્શ પોષાય છે એથી એ ઉદાત્ત બને છે."

યોગ્ય પ્રકારના શિક્ષકો મળી રહે તો આપણાં શરીરશ્રમમાં રહેલું ગૌરવ શીખવવામાં આવશે, તેઓ શરીરશ્રમને બુધ્ધિના વિકાસનું એક અવિભાજ્ય અંગ અને એક સાધન માનતાં શીખશે, અને સમજતાં થશે કે, પોતે જાતે મહેનત કરીને પોતાના શિક્ષણની કિંમત આપવી એમાં દેશ સેવા રહેલી છે. મારી સૂચનાના સારરૂપ વાત એ છે કે બાળકોને હાથઉદ્યોગ શીખવવાના છે તે કેવળ એમની પાસે કંઈક ઉત્પાદક કામ કરાવવાને સારુ નહીં, પણ એમની બુધ્ધિનો વિકાસ સાધવા માટે. AAA જો રાજ્ય સાત અને ચૌદ વરસની વચ્ચેનાં બાળકોને પોતાના હસ્તક લે, ને ઉત્પાદક શ્રમ દ્વારા એમનાં શરીર અને મનને કેળવે, BBB નિશાળો સ્વાવલંબી થવી જ જોઈએ; ન થઈ શકે તો એ નિશાળ ધતીંગ હોવી જોઈએ ને શિક્ષકો બેવકૂફ હોવા જોઈએ.

ધારો કે દરેક છોકરો અને છોકરી યંત્રની પેઠે નહીં પણ CCC બુધ્ધિમાન ઘટક્ની પેઠે કામ કરે છે, અને નિષ્ણાત માણસની દેખરેખ નીચે સમૂહમાં મળીને રસપૂર્વક કામ કરે છે; તો એ અભ્યાસક્રમના પ્રથમ વર્ષ પછી એ સમૂહગત શ્રમની કિંમત કલાકે એક આનો થવી જોઈએ, એટલે કે રોજના ચાર કલાક લેખે મહિનામાં ૨૬ દિવસ કામ કરી દરેક બાળક મહિને રૂ.। ૬-૮-૦ કમાશે. એક માત્ર સવાલ એ છે કે અવા લાભદાયક શ્રમમાં લાખો બાળકોને જોડી શકાય કે નહીં? આપણે બાળકોની પાસેથી એક વરસની તાલીમ પછી કલાકના એક આના ની કિંમત જેટલો બજારમાં ખપાવી શકાય એવો શ્રમ મળી શકે એવી રીતે એ બાળકોની શક્તિને આપણે વાળી ન શકીએ, તો આપણે બુધ્ધિનું દેવાળું કાઢ્યું ગણાય. હું જાણું છું કે હિંદુસ્તાનનાં ગામડાંમાં ગ્રામવાસીઓ કલાકે એક આનો ક્યાંયે કમાતાં નથી. એનું કારણ એ છે કે તવંગર અને ગરીબીની વચ્ચે જે સાગર જેવું અંતર પડી ગયું છે તેમાં આપણને કંઈ વિષમતા ભાસતી નથી, કે તે આપણને કઠતું નથી.અને બીજું કારણ એ છે કે, શહેરના લોકો, કદાચ અજાણ્યે, ગામડાંને ચૂસવામાં અંગ્રેજી સત્તાની સાથે સામેલ થયા છે.

ह.बं. , ૧૨-૯-'૩૭