બીરબલ અને બાદશાહ/ચીઠીઓ મુકવાની યુક્તી

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← આ બેમાંથી ચોર કોણ ? બીરબલ અને બાદશાહ
ચીઠીઓ મુકવાની યુક્તી
પી. પી. કુન્તનપુરી
ગળે પડુ ચાકરડી →


વારતા ઈઠીઆસીમી
-૦:૦-
ચીઠીઓ મુકવાની યુક્તી
-૦:૦-

 પલંગના પાયા તળે, મુકે ચીઠીઓ કોય
ઓળખી કાઢે તરત તે, હાજર જવાબી હોય.

શરીરની વ્યાધીને લીધે બીરબલ બે ચાર દીવસ સુધી કચેરીમાં જઈ શક્યો નહીં. તેથી શાહ તેને જોવા સારૂ, છત્ર અસ્વારીએ બીરબલના પલંગ આગળ ખુરસી હતી તે ઉપર બેઠો અને સુખ સાતાના સમાચાર પુછ્યા એટલામાં બીરબલને હાજત થઈ આવી. તેથી બીજા ઓરડાના ખાળમાં ગયો. આ તકનો લાભ લઈ શાહે મનમાં વીચાર કરયો કે બીરબલની હુશયારી મંદવાડને લીધે કાંઈ ઓછી થઈ છે કે નહીં, તેની પરીક્ષા કરૂં. એમ ધારીને બીરબલના પલંગના ચાર પાયા નીચે કાગળની અકેકી ચીઠ્ઠી મુકીને ખુરસી ઉપર બેઠો. હાજતથી બીરબલ પાછો ફરી પલંગ ઉપર આવી સુતો એટલે રાજાએ બીરબલને પુછ્યું કે,' તમારો પલંગ લગારે આઘો પાછો ખશયો હોય એમ તમને કાંઈ જણાય છે કે નહીં. શાહના આવા શબ્દો સાંભળતાજ બીરબલે ઉપર બાંધેલી છતસામુ જોઈને કહ્યું કે: 'મને એમ લાગે છે કે કાંતો મારો પલંગ કાગળવા ઉંચો થયો હોય, કાંતો આ ઉપર બાંધેલી છત કાગળવા નીચી આવી હોય એવું મને લાગે છે.' બીમાર છતાં બીરબલની શક્તી જેવીને તેવી છે તે જાણી શાહ અને શાહ સાથે આવેલા અમલદારનો અજાયબીમાં ગરકાવ થઈને કહ્યું કે, ' આવી અકલ તો બીજા કોઈનામાં હોય નહીં. શાહે બીરબલને કહ્યું કે, 'તમારી ચાલાકી જોવા માટે મેં તમારા પલંગના ચાર પાયા નીચે અકેકી ચીઠી મુકી છે.' એટલું કહી સ્વારી પાછી ફરી.

-૦-