બીરબલ અને બાદશાહ/શીપાઈ રૂપ શીશી

વિકિસ્રોતમાંથી
← રંડીયોકા યાર સદા ખુવાર બીરબલ અને બાદશાહ
શીપાઈ રૂપ શીશી
પી. પી. કુન્તનપુરી
સોનીની ચાલાકી →


વારતા એકસો અઢારમી
-૦:૦-
શીપાઈ રૂપ શીશી
-૦:૦-
પ્યાર યારથી રાખવા, ગણે ન પતિનું કહેણ

એક સમે શાહ દરબાર ભરી બેઠો હતો તે વખતે એક માણસે આવી હાથ જોડી અરજ કરી કે, ' સરકાર ! કોઈ જાર માણસ ઘરમાં હમેશાં આવે છે, એમાં તો જરાએ શક નથી. પરંતુ તેને મેં હજી સુધી જોયો નથી અને જાણતો પણ નથી જે કોણ છે ? તેને હવે પકડવા ચાહું છું, જેથી આપ આગળ આવ્યો છું કે, તેને કોઈ પણ પ્રકારે પકડી આપવાની યુક્તી બતાવવા કૃપા કરશો તો આપનો મોટો ઉપકાર થશે.' તે સાંભળીને શાહે કહ્યું કે, ' હું એક સરસ અત્તરની એક શીશી આપું છું તે લઈ જા અને તે તારી નારીના હાથમાં મુકીને કહેજે કે આ શીશીમાંથી જરા પણ અત્તર વાપરીશ નહી.' એક કહી તે સરસ અત્તરની શીશી આપી તેને રવાના કીધો અને તે માણસે પણ તેજ પ્રમાણે કીધું.

શાહે તે માણસના ઘરની ચોતરફી ચોકી બેસાડી દીધી અને ભલામણ કરી કે જે માણસના કપડામાંથી આપેલી શીશીમાંના અત્તરની વાસ આવતી જણાય કે તરત તેને મારી પાસે પકડી લાવવો.

જ્યારે પેલો જાર પુરુષ ફરીયાદ કરવા જનારની સ્ત્રીને મળવાને આવ્યો ત્યારે તે સ્ત્રીએ પોતાના સ્વામીએ અનામત તરીકે સોંપેલી જે અત્તરની શીશી હતી તેમાંથી અત્તર કાઢી પોતાના યારને છાંટ્યું, અને કહ્યું કે, મારા આંખોના તારા ! મારા કંઠના પ્રાણ ! આ ઉમદા અત્તરની શીશી મને મારા પતીએ અનામત તરીકે સોંપીને ખાસ ભલામણ કરીને કહ્યું છે કે, આમાંથી તું જરા પણ અત્તર વાપરતી નહીં. પણ દીલોજાન ! તે ભલા માણસની જરા પણ દરકાર ન રાખતાં મેં આપના ઉપયોગમાં લીધું. કેમકે એવી ઉમદા વસ્તુથી આપને સ્વાદ ન ચખાડું ત્યારે પછી બીજા કોને ચખાડું ? ભલેને ધણી જે કરનાર હશે તે કરી લેશે તો, તે તમારે માટે સહન કરી લઈશ.' આવા અત્યંત પ્યારની વાત સાંભળી તેના યારે કહ્યું, ' રંગ છે મારા કાળજાની કોર ! તારા પાર વગરના પ્રેમ ઉપર મારો પ્રાણ કુરબાન છે!!' કેટલોક વખત ગયા બાદ એસ આરામ કરી તે યાર પોતાને પંથે પડ્યો, એટલે તે અત્તરની ભભક રાજના અનુચરોને આવતાંજ તે જાર માણસને એકદમ પકડી શાહ હજુર લઈ ગયા એટલે શાહે સદરહુ ફરીયાદ કરનાર માણસને બોલાવીને કહ્યું કે, તારી કુલટા સ્ત્રીનો આ યાર છે, કેમ કે આ અત્તરની શીશી તેં અનામત તરીકે તારી સ્ત્રીને સોંપી હતી છતાં તે શીશીમાંનું અત્તર પોતાના યારને છાંટ્યું છે તેની ખુશબો તું તપાસી લે એટલે તારી પણ ખાત્રી થશે અને ઘેર જઈ તારી ઓરત પાસેથી તે અત્તરની શીશી માગી તપાસીશ એટલે એથી પણ વધુ ખાત્રી થશે. શાહના કહેવા મુજબ તપાસ કરતાં ખરૂં જણાવ્યું.

-૦-