મંગળપ્રભાત/૧૬. પરિશિષ્ટ - આશ્રમનાં વ્રતો

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← ૧૫. વ્રતની આવશ્યક્તા મંગળપ્રભાત
૧૬. પરિશિષ્ટ - આશ્રમનાં વ્રતો
મોહનદાસ કરમચંદ ગાંધી



પરિશિષ્ટ

[વ્રતવિચારના અભ્યાસીને ઉપયોગી થશે એમ માની આશ્રમની નિયમાવલિમાંથી નીચેનો ભાગ આપવામાં આવ્યો છે.]
૧. સત્ય

સામાન્ય વહેવારમાં અસત્ય ન બોલવું કે ન આચરવું એટલો જ સત્યનો અર્થ નથી. પણ સત્ય એ જ પરમેશ્વર છે ને તે સિવાય બીજું કશું નથી. એ સત્યની શોધ અને પૂજાને અંગે જ બીજા બધા નિયમોની આવશ્યકતા રહે છે અને તેમાંથી જ તેમની ઉત્પત્તિ છે. આ સત્યના ઉપાસક પોતે કલ્પેલા દેશહિતને સારુ પણ અસત્ય નહિ બોલે, નહિ આચરે. સત્યને અર્થે તે પ્રહ્લાદની જેમ માતાપિતાદી વડીલોની આજ્ઞાનો પણ વિનયપૂર્વક ભંગ કરવામાં ધર્મ સમજે.

૨. અહિંસા

પ્રાણીઓનો વધ ન કરવો એટલું જ આ વ્રતના પાલનને સારુ બસ નથી. અહિંસા એટલે સૂક્ષ્મ જંતુઓથી માંડીને મનુષ્ય સુધી બધા જીવો પ્રત્યે સમભાવ. એ વ્રતોનો પાલક ઘોર અન્યાય કરનાર પ્રત્યે પણ ક્રોધ ન કરે, પણ તેના ઉપર પ્રેમભાવ રાખે, તેનું હિત ઇચ્છે ને કરે. પણ પ્રેમ કરતો છતો અન્યાયીના અન્યાયને વશ ન થાય, અન્યાયનો વિરોધ કરે ને તેમ કરતાં તે જે કષ્ટ આપે તે ધીરજપૂર્વક અને અન્યાયીનો દ્વેષ કર્યા વિના સહન કરે.

૩. બ્રહ્મચર્ય

બ્રહ્મચર્યના પાલન વિન ઉપરનાં વ્રતોનું પાલન અશક્ય છે. બ્રહ્મચારી કોઈ સ્ત્રી કે પુરુષ ઉપર કુદ્દષ્ટિન ન કરે એટલું જ બસ નથી, પણ મનથીયે વિષયોનું ચિંતન કે સેવન નહિ કરે, અને વિવાહીત હોય તો પોતાની સ્ત્રી કે પોતાના પતિસાથે પણ વિષયભોગ નહિ કરે, પણ તેને મિત્ર સમજી તેની સાથે નિર્મળ સંબંધ રાખશે. પોતાની કે બીજી સ્ત્રીનો કે પોતાના પતિનો કે બીજા પુરુષનો વિકારમય સ્પર્શ અથવા તેની સાથે વિકારમય ભાષણ કે બીજી વિકારમય ચેષ્ટા તે પણ સ્થૂળ બ્રહ્મચર્યનો ભંગ છે. પુરુષ પુરુષ વચ્ચે કે સ્ત્રી સ્ત્રી વચ્ચે કે બન્નેની કોઈ વસ્તુ વિષે વિકારમય ચેષ્ટા પણ સ્થૂળ બ્રહ્મચર્યનો ભંગ છે.

૪. અસ્વાદ

મનુષ્ય જ્યાં લગી જીભના રસોને જીતે નહિ ત્યાં લગી બ્રહ્મચર્યનું પાલન અતિ કઠીન છે એવો અનુભવ હોવાથી અસ્વાદને નોખું વ્રત ગણવામાં આવ્યું છે. ભોજન કેવળ શરીરયાત્રાને જ અર્થે હોય; ભોગને અર્થે કદી નહિ. તેથી તે ઔષધિ સમજી સંયમપૂર્વક લેવાની જરૂર છે. આ વ્રતનું પાલન કરનાર વિકાર ઉત્પન્ન કરે એવા મસાલા વગેરેનો ત્યાગ કરે. માંસાહાર, મદ્યપાન, તમાકુ, ભાંગ ઇત્યાદિનો આશ્રમમાં નિષેધ છે. આ વ્રતમાં સ્વાદને અર્થે ઉજાણીનો કે ભોજનના આગ્રહનો નિષેધ છે.

૫. અસ્તેય

બીજાની વસ્તુ રજા વિના ન લેવી એટલું જ આ વ્રતના પાલનને સારુ બસ નથી. જે વસ્તુ જે ઉપયોગને સારુ આપણને મળી હોય તેનાથી તેનો બીજો ઉપયોગ કરવો કે જે મુદ્દતને સારુ મળી હોય તેના કરતાં વધારે મુદ્દત લગી ઉપયોગ કરવો તે પણ ચોરી છે. આ વ્રતના મૂળમાં સૂક્ષ્મ સત્ય તો એ રહ્યું છે કે પરમાત્મા પ્રાણીઓને સારુ નિત્યની આવશ્યક વસ્તુ જ નિત્ય ઉત્પન્ન કરે છે અને આપે છે.તેનાથી વધારે મુદ્દલ ઉત્પન્ન કરતો નથી. તેથી પોતાની ઓછામાં ઓછી આવશ્યકતા ઉપરાંત જે કંઈ પણ મનુષ્ય લે છે તે ચોરી કરે છે.

૬. અપરિગ્રહ

અપરિગ્રહ અસ્તેયના પેટામાં જ રહેલું છે, અનાવશ્યક વસ્તુ જેમ લેવાય નહિ તેમ તેનો સંગ્રહ પણ ન થાય. તેથી જે ખોરાક કે રાચરચીલાની જરૂર નથી તેનો સંગ્રહ તે આ વ્રતનો ભંગ છે. જેને ખુરશી વિના ચાલે તે ખુરશી ન રાખે. અપરિગ્રહી પોતાનું જીવન નિત્ય સાદું કરતો જાય.

૭. જાતમહેનત

અસ્તેય અને અપરિગ્રહના પાલનને સારુ જાતમહેનતનો નિયમ આવશ્યક છે. વળી મનુષ્યમાત્ર શરીરનિર્વાહ શારીરીક મહેનતથી કરે તો જ તે સમાજના ને પોતાના દ્રોહમાંથી બચી શકે. જેનું અંગ ચાલી શકે છે ને જેને સમજણ આવી છે તેવાં સ્ત્રી પુરુષે પોતાનું બધું નિત્યકામ જે પોતે આટોપવાયોગ્ય હોય તે આટોપી લેવું જોઇએ, અને બીજાઓની સેવા વિનાકારણ ન લેવી જોઇએ. પણ બાળકોની, બીજા અપંગ લોકોની અને વૃધ્ધ સ્ત્રીપુરુષોની સેવા પ્રાપ્ત થાય ત્યારે તે કરવાનો સામાજિક જવાબદારી સમજનાર પ્રત્યેક મનુષ્યનો ધર્મ છે. આ આદર્શને અવલંબીને આશ્રમમાં મજૂરો અનિવાર્ય હોય ત્યાં જ રાખવામાં આવે છે, ને તેની સાથે શેઠચાકરનો વહેવાર નથી રાખવામાં આવતો.

૮. સ્વદેશી

મનુષ્ય સર્વશક્તિમાન પ્રાણી નથી. તેથી તે પોતાના પાડોશીની સેવા કરવામાં જગતની સેવા કરે છે, આ ભાવનાનું નામ સ્વદેશી છે. પોતાની નજીકની સેવા છોડીને દૂરનાંની સેવા કરવા કે લેવા ધાય તે સ્વદેશીનો ભંગ કરે છે. આ ભાવનાના પોષણથી સંસાર સુવ્યવસ્થિત રહી શકે. તેના ભંગમાં અવ્યવસ્થા રહેલી છે. આ નિયમને અધારે બનતાં લગી આપણે આપણી પડોશની દુકાન સાથે વ્યવહાર રાખીએ; દેશમાં જે વસ્તુ થતી હોય કે સહેજે થઇ શકતી હોય તે વસ્તુ આપણે પરદેશથી ન લાવીએ. સ્વદેશીમાં સ્વાર્થને સ્થાન નથી. પોતે કુટુંબના, કુટુંબ શહેરના, શહેર દેશના, ને દેશ જગતના, કલ્યાણાર્થે હોમાય.

૯. અભય

સત્ય, અહિંસા ઇત્યાદિ વ્રતોનું પાલન નિર્ભયતા વિના અસંભવિત છે. અને હાલ સર્વત્ર ભય વ્યાપી રહ્યો છે ત્યાં નિર્ભયતાનું ચિંતન ને તેની કેળવણી અત્યંત આવશ્યક હોવાથી તેને વ્રતોમાં સ્થાન અપાયું છે. જે સત્યપરાયણ રહેવા માગે તે ન નાતજાતથી ડરે, ન સરકારથી ડરે, ન ચોરથી ડરે, ન ગરીબાઈથી ડરે, ન મોતથી ડરે.

૧૦. અસ્પૃશ્યતાનિવારણ

હિંદુધર્મમાં અસ્પૃશ્યતાની રૂઢિએ જડ ઘાલી છે. તેમાં ધર્મ નથી પણ અધર્મ છે, એવી માન્યતા હોવાને લીધે અસ્પૃશ્યતાનિવારણને નિયમમાં સ્થાન આપ્યું છે. અસ્પૃશ્ય ગણાતાંને સારુ બીજી જાતિઓના જેટલું જ આશ્રમમાં સ્થાન છે.

આશ્રમ જાતિભેદને માનતું નથી. જાતિભેદથી હિંદુધર્મને નુકસાન થયું છે એવી માન્યતા છે. તેમાં રહેલી ઊંચનીચની અને આભડછેટની ભાવના અહિંસાધર્મની ઘાતક છે. આશ્રમ વર્ણાશ્રમધર્મને માને છે. તેમાંની વર્ણવ્યવસ્થા કેવળ ધંધાને આધીન છે એમ જણાય છે તેથી વર્ણ-નીતિનું માબાપના ધંધામાંથી આજીવિકા પેદા કરી બાકીનો સમય શુધ્ધ જ્ઞાન લેવામાં અને વધારવામાં વાપરે. સ્મૃતિઓમાં રહેલી આશ્રમવ્યવસ્થા જગતનું હિત કરનારી છે, પણ વર્ણાશ્રમધર્મ માન્ય હોવા છતાં આશ્રમનું જીવન ગીતામાન્ય વ્યાપક ને ભાવનાપ્રધાન સંન્યાસના આદર્શને આગળ રાખી રચાયેલું હોવાથી આશ્રમમાં વર્ણભેદને અવકાશ નથી.

૧૧. સહિષ્ણુતા

આશ્રમની એવી માન્યતા છે કે જગતમાં પ્રચલિત પ્રખ્યાત ધર્મો સત્યને વ્યક્ત કરનારા છે. પણ તે બધા અપૂર્ણ મનુષ્ય દ્વારા વ્યક્ત થયેલા હોઈ બધામાં અપૂર્ણતાનું અથવા અસત્યનું મિશ્રણ થયું છે. તેથી જેવું આપણને આપણા ધર્મ વિષે માન હોય તેટલું જ માન આપણે બીજાના ધર્મ પ્રત્યે રાખવું ઘટે. આવી સહિષ્ણુતા હોય ત્યાં એકબીજાના ધર્મનો વિરોધ નથી સંભવતો, નથી પરધર્મીને પોતાના ધર્મમાં લાવવાનો પ્રયત્ન સંભવાતો; પણ બધા ધર્મોમાં રહેલા દોષો દૂર થાય એવી જ પ્રાર્થના ને એવી જ ભાવના નિત્ય પોષવી ઘટે.