રસિકવલ્લભ/પદ-૫૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← પદ-૫૧ રસિકવલ્લભ
પદ-૫૨
દયારામ
પદ-૫૩ →


પદ ૫૧ મું

પૃથક્ પૃથક્ જીવાત્મા કહેશજી, તોપણ દૂષણ તેમાં લેહેશજી;
બહુ બદલે છે આત્મા દેહજી, ક્યમ કહાવે નહિ બ્રાહ્મણ તેહજી.
શુકલ વર્ણ જો બ્રાહ્મણ કહિયેજી, તેનો પણ નિશ્વે નવ લહિયેજી;
બ્રહ્મબીજ બ્રાહ્મણ સન્માનજી, તેનું નિશ્ચે કયહાં છે જ્ઞાનજી ?

ઢાળ

હોય જ્ઞાન સમ્યક્ ઓળખે, હરિ જાતિનું નહિ કામ;
જો બતાવું તુજને ઘણા હરિ ભજે બ્રાહ્મણ નામ.

ઋષિશૃંગ મૃગની ઉપન્યા, કુશાસ્તરણ કૌશિક;
શશપૃષ્ઠથી ગૌતમ ઉદે, વાલ્મીક થયા વલ્મીક.
મુનિ પરાશર ચંડાલિગર્ભ, અગસ્ત્ય ઘટથી જાત;
માતંગ મુનિ માતંગી સુત માંડવ્ય માંડુકી માત.
કરિણી કુંવર અનુચર ઋષિ, ભરદ્વાજ મા શૂદ્રાણી;
કૈવર્તકન્યા જનની વેદવ્યાસ મુનિની જાણી.
વેશ્યાથકી જ વસિષ્ઠ, ક્ષત્રાણીથી વિશ્વામિત્ર;
કીંકરી જનની નારદ મુનિ જગપૂજ્ય પરમ પવિત્ર.
ઇત્યાદિ બ્રાહ્મણ કહાવિયા, શ્રીકૃષ્ણજન પ્રતાપ;
નથી દયાપ્રીતમ કૃષ્ણ પ્રિય તે, પ્રકટ મૂર્તિ પાપ.