રસિકવલ્લભ/પદ-૬૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← પદ-૬૩ રસિકવલ્લભ
પદ-૬૪
દયારામ
પદ-૬૫ →


પદ ૬૩ મું

કૃષ્ણચરણમાં મન એકવારજી, જો દીધું મધ્યે અવતારજી;
તો સ્વપ્ને યમ દૂત ન જોયજી, પ્રકટ પેખવા ક્યાંથી હોયજી.
સદા કરે ચિંતન પ્રભુ કેરુંજી, તે જન દામોદરનું ડેહેરૂંજી;
સહજ સદા શ્રીજીમા મન્નજી, સકલ સફલ પૂરણ સાધન્નજી.

ઢાળ

સાધન પૂરણ સ્નેહ સહિત, જો બને શ્રીહરિ સેવા;
તે અગ્ર સર્વે મંદ, દિનકર ઉદે દીપક જેવા.
સાધન અવર શિર આપણું, પણ શ્રીજીને શું સુખ;
શુશ્રુષામાં ઉભય આનંદ, માટે ભજન મુખ્ય.
સર્વાત્મભાવે પ્રભુ સુખી, કયમ થાય એ અભિલાષા;
સેવાનું ફલ સેવા જ ઈચ્છે, સુખ અવર નહિ આશ.
મન લોક વેદની લાજ નહિ એક કૃષ્ણ પ્રિયસું પ્રેમ;
પતિ પ્રસન્નતા સાધવી અચલિત ઉર એ નેમ.
માનસી સેવા મુખ્ય પણ મન વ્યસન ઉપજે થાય;
ત્યાં સાધન બલ પહોંચે નહિ ફલ કૃપા જો ગુરુ રાય.
સેવા ન કહાવે સ્નેહ વણ, પૂજન વેદ પ્રમાણ;
લહિ દયા પ્રભુમય જગત્ સહુ સંતોષ અર્ચન જાણ.