રસિકવલ્લભ/પદ-૬૫

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← પદ-૬૪ રસિકવલ્લભ
પદ-૬૫
દયારામ
પદ-૬૬ →


પદ ૬૪ મું

હરિનું પૂજન સહુ સંતોષજી, તે મહાસેવા વૈષ્ણવ તોષજી;
શ્રીહરિ શ્રીગુરુ સંત સમાનજી, જ્યમ ત્રયગંગા ત્યમ અનુમાનજી.
જન્મ ધરી એકોજ પ્રણામજી, જેણે કીધો સુંદર શ્યામજી;
તેથી ઓછા દશ હયમેધજી, સંસૃતિ છૂટે નહિ એ વેધજી.

ઢાળ

વૈધ તો સર્વ નિષેધ નમને, માયા કાલ ન ત્રાસ;
જે પ્રણામી શ્રીકૃષ્ણનો નહિ, જનની જઠર નિવાસ.
કર્મ વચન મન હરિ નમન કરતાં, સકલ સાધન પૂર્ણ;
હરયે નમ: મુખ ઉચ્ચરે, ચોવિધિ પાતક ચૂર્ણ.
શુભ કીર્તિ કેરી અવધિ, જગ શ્રીકૃષ્ણ કહાવ્યો દાસ;
સૌભાગ્ય સઘળું દાસ્ય પદમાં રહ્યું પૂરી વાસ.

સૌભાગ્યનું લેખ નહિ, વ્રજભક્ત પરમ પવિત્ર;
જે તણા પૂરણ બ્રહ્મ, પરમાનંદ અચ્યુત મિત્ર.
અર્જુન ઉદ્ધવ ગુહ નૃપ સુગ્રીવ સખા જગખ્યાત;
પણ સખ્યતા વ્રજવાસિજન. હરિ વિલક્ષણ બહુ વાત.
આત્મસહિત સહુ અર્પીને સેવે સતત થ‌ઈ દાસ;
જન દયા પ્રીતમ કૃષ્ણ વણ, આશ ન કહિં વિશ્ર્વાસ.