શ્રી રામકૃષ્ણદેવનાં વચનામૃત

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
શ્રી રામકૃષ્ણદેવનાં વચનામૃત
-




શ્રી રામકૃષ્ણદેવનાં વચનામૃત

• મા જેની સહાયક છે, તેને માયા શું કરી શકે ?

• ઈશ્વરની વાતો સિવાય બીજી વાતો સારી નહિ.

• ભગવાનને ચાહો તો વિવેક-વૈરાગ્ય એની મેળે આવે.

• સ્ત્રીઓને લઈને સાધના કરવાનું શાસ્ત્રોમાં નથી. બહુ જ કઠિન અને પતન મોટે ભાગે થાય. તંત્રોમાં ત્રણ પ્રકારની સાધના કહી છે. વીરભાવે, દાસીભાવે અને માતૃભાવે. દાસીભાવ પણ સારો, વીરભાવની સાધના બહુ જ કઠણ. સંતાનભાવ બહુ શુદ્ધ ભાવ.

• એકલી પંડિતાઈ કે લેક્ચરથી શું વળે, જો વિવેક-વૈરાગ્ય ન આવે તો ? ઈશ્વર સત્ય : બીજું બધું અનિત્ય; ઈશ્વર જ વસ્તુ. બીજું બધું અવસ્તુ: એનું નામ વિવેક.

• જો હ્રદયમંદિરમાં માધવની પ્રતિષ્ઠા કરવાની ઈચ્છા હોય તો માત્ર ભોં ભોં કરીને શંખ ફૂંક્યે શું વળે? પહેલાં ચિત્તશુદ્ધિ. ચિત્તશુદ્ધિ થયે ભગવાન પવિત્ર આસને આવીને બિરાજે. કાનકરડિયાની હગાર પડી હોય તો માધવને લાવી શકાય નહીં. અગિયાર કાનકરડિયાં અને અગિયાર ઈન્દ્રિયો. પાંચ જ્ઞાનેન્દ્રિયો, પાંચ કર્મેન્દ્રિયો અને મન. પ્રથમ માધવની પ્રતિષ્ઠા થાય. ત્યાર પછી મરજી હોય તો વ્યાખ્યાન-લેક્ચર આપો. પ્રથમ ડૂબકી મારો. ડૂબકી મારીને રત્ન કાઢો. ત્યાર પછી બીજું કામ ! કોઈ ડૂબકી મારવા માગે નહિ ! સાધન નહિ. ભજન નહિ. વિવેક-વૈરાગ્ય નહિ. બે ચાર વાત શીખ્યા કે તરત જ આપે લેક્ચર, કરે વ્યાખ્યાન ! લોકોપદેશ કરવો એ કઠણ કામ, ભગવાનનાં દર્શન થયા પછી જો કોઈ તેમનો આદેશ મેળવે તો લોકોને ઉપદેશ આપી શકે. (અવિદ્યા સ્ત્રી - આંતરિક ભક્તિ હોય તો સહુ વશમાં આવે) • પણ જેનામાં ઈશ્વર પર અંતરની ભક્તિ હોય, તેને સહુ વશ થાય - રાજા, દુષ્ટ માણસ, સ્ત્રી ! પોતાની આંતરિક ભક્તિ હોય, તો સ્ત્રી પણ ધીરેધીરે ઈશ્વરના માર્ગમાં આવી શકે. પોતે સારો હોય તો ઈશ્વરની ઈચ્છાથી એ પણ સારી થઈ શકે છે.

• ઈશ્વરમાં શુદ્ધ ભક્તિ ન હોય, તો પછી કોઈ ગતિ નહિ. જો કોઈ ઈશ્વરપ્રાપ્તિ કરીને સંસારમાં રહે, તો એને કશો ભય નહિ. એકાંત જગામાં વચ્ચે વચ્ચે સાધના કરીને કોઈ જો શુદ્ધ ભક્તિ પ્રાપ્ત કરી શકે, તો પછી સંસારમાં રહે તો કશો ભય નથી.