સરસ્વતીચંદ્ર ભાગ ૪/આરત્રિક અથવા આરતી.

વિકિસ્રોતમાંથી
← સમાનવર્ત્તન. સરસ્વતીચંદ્ર ભાગ ૪
આરત્રિક અથવા આરતી.
ગોવર્ધનરામ ત્રિપાઠી


પ્રકરણ ૫૨.
આરાત્રિક અથવા આરતી.
સુન્દર વેણ વાગી ! વેણ વાગી !
વેણ વાગી ને હું જાગી ! – સુન્દર૦
( પ્રસ્તાવિક )
નટવર વસન્ત થઈ નાચી રહ્યો રે !
નાચી રહ્યો ! જુગ નચાવી રહ્યો !
નટવર૦
( પ્રસ્તાવિક )
મને રાસ જોયાના કોડ, વ્હાલા !
મને રાસ રમ્યાના કોડ, વ્હાલા !
મને થેઈ થેઈ રાસ રમાડ, વ્હાલા !
( પ્રસ્તાવિક )

વાચનાર ! ઘણો લાંબો પ્રવાસ કરી આપણે પાછા મુંબાઈનગરીમાં આવીયે છીયે. કુસુમને લેઈ મુંબાઈ આવ્યે સરસ્વતીચંદ્રને એક વર્ષ પુરું થઈ ગયું. એમના ઉપર ગુણસુન્દરીના પત્રો આવતા તેથી એ આર્યાને આખા જન્મારાના મહાતપનું ફળ મળ્યું હોય એમ કુસુમના સુખથી અને કુમુદના સ્વાસ્થ્યથી, એના સુખનો પ્યાલો ઉભરાતો હતેા. રત્નનગરીમાં ગુણસુન્દરીનો કાળ હવે વિદ્યાનંદમાં નિર્વિઘ્ન જતો હતો ને પરદેશ પડેલી ભત્રીજીયોની વાતો સુન્દરભાભીજીના કાનમાં આખો દિવસ ખુશ ખુશ કર્યા કરતી તે વિના ગુણસુન્દરીને બીજી ચિન્તા કે કામ રહ્યું નહી. વિદ્યાચતુર રાજ્યકાર્યમાં રોકાયલો હોવાથી બહુ પત્ર લખી શકતો ન હતો; પણ જ્યારે જ્યારે કંઈ લખવાને અવકાશ મળતો અને એના પત્ર આવતા ત્યારે તે સુતા-જામાતાનાં કલ્યાણકાર્યની વૃદ્ધિના સમાચાર પુછાવતો ને પોતાના ભણીની અનુભવભરી સૂચનાઓ કરતો. સુન્દરગૌરી કુસુમ ઉપર પત્ર લખતી અને કાકીભત્રીજી વચ્ચે જુદી જાતની પણ ટપા-ટપી અને ટકોરો તો હજી સુધી ચાલ્યાં જ કરતી તે કુસુમ સરસ્વતીચંદ્રને વંચાવી વિનોદ આપતી હતી. સરસ્વતીચંદ્ર પાસે, શાસ્ત્રી ને સાધુજનો પાસે, ને મડમો પાસે પોતાનાં જ્ઞાન, કળાઓ, અને ઉચ્ચગ્રાહ વધતાં હતાં તેનું કુસુમ પોતાના ઉત્તરમાં સવિસ્તર વર્ણન માતાને ને બ્હેનને લખતી હતી. સુન્દરગિરિ ઉપર બુદ્ધિધન અને નરભેરામ બે આવ્યા હતા તે પાછા સુવર્ણપુર ગયા ત્યારે માર્ગમાં વાત નીકળતાં નરભેરામે કબુલ કર્યું હતું કે પ્રમાદધનને વિદ્યાચતુરની સૂચના પ્રમાણે રાખ્યો હત તો સુંદર ફળ નીવડત ને વિદ્યાચતુરને લાગ્યું હતું કે વધારે સૂક્ષ્મ ચતુરતા વાપરી હત તો ન્યાય થાત, પ્રમાદ સુધરી જીવત, ને કુમુદ સુખી થાત. કુમુદસુન્દરી સુવર્ણપુર ગયા પછી બુદ્ધિધને સંન્યાસનો વિચાર માંડી વાળ્યો; અને નણંદભોજાઈ – બુદ્ધિધન સ્વસ્થતાથી કારભાર કરે એમ તેની સંભાળ રાખવા – ને દેવીએ મુકેલા બાળકને રમાડી કલોલ કરવા – લાગ્યાં, અને એ બાળક મ્હોટો થાય તેમ તેમ તેની શી શી ચિન્તાઓ કરવી તે કદી કદી આજથી વિચારતાં. સંસ્કૃત અને ઈંગ્રેજી પુસ્તકોમાંથી અનેક જ્ઞાનવાર્તાઓ અને શૃંગાર વિનાના સર્વ વિષયો કુમુદસુન્દરી ઘરમાં બેસી વાંચતી, ને અનેક સ્ત્રીયો આવતી તેને સમજાવતી અને શીખવતી. થોડો કાળ એ ગુણસુન્દરી પાસે જઈ આવતી અને સુન્દરગિરિ ઉપર પરિવ્રાજિકાશ્રમની - તેમ સુભદ્રાના મુખ આગળ માતાના બેટમાં જઈ પોતાના, સરસ્વતીચંદ્રના, અને સંસારના કલ્યાણનું બીજ વાવનારી ચન્દ્રાવલીની - અતિથિ થઈ આવતી. એ પરમ સાધુજન પાસેથી એ નવા નવા ઉપદેશ આણતી ત્યારે કોઈ કોઈ વેળા અલકકિશોરી પણ એની સાથે જતી. હવે તો કુસુમનાથી છુટાં પડ્યે વર્ષ થવા આવ્યું ને કુસુમના પત્ર ઉપર પત્ર આવવા લાગ્યા, તેથી મુંબાઈ જઈ આવવાનું ઉઘાડું ધાર્યું. બાકી કુસુમનું સુખ, સરસ્વતીચંદ્રની સ્વસ્થતા અને જીવનસફલતા, કલ્યાણગ્રામના મનોરાજ્યના મહાયજ્ઞની જવાલાઓ અને તેનાં હોમહવનકાર્યની વૃદ્ધિ – એ સર્વ વિષયે સરસ્વતીચંદ્રના સ્વહસ્તાક્ષર સહિત કુસુમના બીજે ત્રીજે સવિસ્તર પત્ર આવતા. એ પત્રોમાંના સમાચારના વિષય પ્રત્યક્ષ કરવા એ બે જણ કુમુદને મુંબાઈ આવવા ફરી ફરી લખતાં હતાં. પોતાને પણ એ સમારમ્ભમાં ગંગા જેવી કુસુમનું યમુનાકૃત્ય કરવાનો અભિલાષ હતો તે સિદ્ધ કરવા મુંબાઈ જવાનો કુમુદના મનમાં ઘણા દિવસનો સંકલ્પ હતો તે આ પ્રસંગથી ઉઘાડો કરવાનું નિમિત્ત મળ્યું. કુમુદની સાથે અલકકિશેારીને પણ મુંબાઈ આવવા તેડાં થતાં હતાં અને તેને પોતાની સાથે મોકલવા કુમુદે શ્વશુર પાસે માગી લીધું હતું એટલે પોતાના ઘરમાં નવીનચંદ્ર થઈ ઠગ પેઠે વેશ ધારી રહી ગયલાને મ્હેંણાં દેવાને અલકે પણ ભાભીની સાથે મુંબાઈ જવાનું ધાર્યું. મુંબાઈમાં સરસ્વતીચંદ્રના કલ્યાણગ્રામની યોજના ચર્ચાઈ ચર્ચાઈને પુરી થવા આવી હતી, અને તેના “ટ્રસ્ટ” ના લેખ ઉપર પિતાપુત્રની સહીયો પણ થઈ ગઈ હતી. હવે મુંબાઈની ભરવસ્તીથી આધે સ્વચ્છ સુન્દર સ્થાને સમુદ્રની પાસે એ ગ્રામ માટે જગા વેચાતી રાખવાનો વિચાર ચાલતેા હતેા. કોટમાં સરસ્વતીચંદ્રની આફીસને માટે એક આખો પત્થરનો મ્હેલ રાખવામાં આવ્યેા હતેા – તેમાં લક્ષ્મીનંદનની “મીલ” ની “આફીસ” હતી, એના બીજા વ્યાપારની “આફીસ” હતી, અનેક દેશના વિદ્ધાનોને અને દેશભક્ત જનોને તેમ આ દેશના હિતચિંતક પરદેશીયોને એકઠાં મળવાને અને લોકહિતના વિચાર ચર્ચવાને માટે પણ એક “આફીસ” હતી. એ આફીસોનું નામ “કક્ષાઓ” પાડ્યું હતું, અને સૂત્રયંત્રકક્ષા, વ્યાપારકક્ષા અને સમાજકક્ષા નામેથી એ આફીસો ઓળખાતી હતી. આખા મ્હેલનું નામ “લક્ષ્મી-સરસ્વતી-વિલાસ-મન્દિર ” રાખ્યું હતું. એ મન્દિરના ગોપુરદ્વારને શિખરભાગે લક્ષ્મીનંદનની મુખાકૃતિ કોતરી હતી. એને પ્હેલે માળે એક આગલી કક્ષા કલ્યાણગ્રામના સ્થપતિઓ[૧]-architects – ને માટે હતી. વિદ્વાન્ દીર્ઘદર્શી સ્થપતિઓ તેમાં આખો દિવસ બેસી, નકશાઓ લેઈ યોજનાઓ કરતા ને આ કક્ષાને સામાન્ય મનુષ્યો ઈજનેરી આફીસને નામે ઓળખતાં. તેની જોડે એક બીજી કક્ષામાં કલ્યાણગ્રામના આશ્રમીયોને અને અંતેવાસીયોને માટે યોજનાઓ થતી અને તેમાં દેશદેશના અને ભાતભાતના સમર્થ વ્યાપારીયો અને વિદ્વાનો ભરાતા અને ચર્ચામાં ભળતા. સઉની પાછળ એક મ્હોટી કક્ષા સરસ્વતીચંદ્રને પોતાને બેસવાની હતી. તેમાં બે ખંડ હતા. તેમાંથી એકમાં પોતે બેસતો, અન્ય કક્ષાએાનાં કાર્યની નિરીક્ષા રાખતો, ને વિહારપુરી અને જ્ઞાનભારતી દ્વારા વિષ્ણુદાસજી સાથે જ્ઞાનમાર્ગનો પત્રવ્યવહાર રાખતો. બીજા ખંડમાં કુસુમ અને તેને મળવા આવનારી સ્ત્રીયો બેસતી. આ બે ખંડનાં પાછલાં દ્વાર સમુદ્ર ભણી પડતાં અને તેમની ને સમુદ્રની વચ્ચે કોઈ પડદો ન હતો. ગુમાન આવતી ત્યારે કુસુમની સાથે બેસતી ને કલ્યાણગ્રામની યોજનાઓ સમજતી. લક્ષ્મીનંદન આવતા ત્યારે નીચેની અને ઉપરની સર્વે કક્ષાઓમાં ફરતા અને દેખરેખ રાખતા, પણ એનું મુખ્ય ધ્યાન પુત્રના મહાકાર્યમાં વાપરવાનું સરવાયું જેવામાં હતું, અને એને પણ એ


  1. ૧. ઘર બાંધવાનું શાસ્ત્ર જાણનારા.
કાર્યમાં અંશભાગી થવાનો અને આવા પરોપકારી પુત્રને જોઈ કુતકૃત્યતા

માનવાનો અભિલાષ થયો હતો. આ સરવાયું પુરુ તો નીકળ્યું ન હતું પણ અડસટ્ટે લોકમાં માત્ર દશપંદર લાખ ગણાતી મીલકતની ઉપજ જ બે ત્રણ લાખની જણાઈ અને પાંચેક લાખની મીલકત તો ઉપજ વિનાની હતી. તે ઉપરાંત સરસ્વતીચંદ્રની પાસેની મીલકત જુદી અને કુસુમને મળેલાં કન્યાદાન ને મણિરાજના કર્ણભવનમાંથી મળવાનું હતું તે જુદું.

આ ઉપરાંત બ્હારકોટમાં, વાલકેશ્વર, અને મહાલક્ષ્મી આગળ પણ શેઠના બંગલા હતા, તેમાંથી જ્યાં જ્યાં પોતે જાય ત્યાં ત્યાં આઘેની ને પાડોશમાંની સર્વ સ્ત્રીયોને બોલાવી, આકર્ષીં, કુસુમ તેમને વિદ્યા, કળા, અને વિનોદની રસીયણ કરી દેતી હતી. સરસ્વતીચંદ્રને માટે વાલકેશ્વરનો બંગલો રાખેલો હતો અને તેના શૃંગારની યોજના કરવામાં ગુમાન પોતાનો બધો કાળ ગાળતી. ભાઈને આ જોઈશું ને વહુને આ દીપશે – આ ચિંતામાં ગુમાન ઝવેરીયોને ત્યાં અને કાપડીયાઓ ને ત્યાં આથડતી, વાલકેશ્વરના બંગલાના ખંડે ખંડમાં ફરી વળતી, અને તેની સામગ્રીમાં દેશી સ્ત્રીયો, પારસી “બાનુઓ ” અને ઈંગ્રેજ મડમોના બંગલા અને તેના ખંડો જોઈ જોઈ રોજ રોજ નવા ફેરફાર કરાવતી, ગુમાન, અદેખી અપરમાતા મટી, વહુઘેલી સગી માતાની પેઠે, હવેરી હવેરી ફરતી અને આવી અનેક મડમોને અને દેશી હીંદુ સ્ત્રીયોને પુછી કુસુમના ને એના ગૃહના શૃંગાર વધારતી. કુસુમને પગલે લક્ષ્મીનંદનના મંદિરમાં આનંદની અહોનિશ વૃષ્ટિ થઈ રહી ને ધનાઢ્ય શેઠની વૃદ્ધાવસ્થામાં ઉધોગ, સુખ, અને શાંતિની વ્યવસ્થા દેખી હરિદાસ પણ પોતાની સેવા સફલ થઈ માનતો.

એ સર્વ સુખમાં લક્ષ્મીનંદનને માત્ર એક બે વાતનો ઉંડો અસંતોષ હતો. જે ખંડમાં સરસ્વતીચંદ્રે કુમુદસુંદરીની મ્હોટી છબી રાખી હતી તે ખંડમાં એ છબી આગળ કન્થા પ્હેરી ઉભો ર્‌હેતો અને ક્વચિત અશ્રુપાત કરતો એને લક્ષ્મીનંદને દીઠેલો હતો. તેમ કેટલીક વાર તે કુસુમની પાસે પણ કન્થા પ્હેરીને ફરતો. વળી થોડા દિવસ થયાં તો કુસુમને માટે પણ કન્થા કરાવી હતી ને કુમુદસુંદરીની કંથા પ્હેરેલી એક મ્હોટી છબી ક્‌હડાવી, વરકન્યા સજોડે ભગવી કંથા પ્હેરી આ છબી પાસે ઉભાં રહીને પગે લાગતાં હતાં ને એક વેળા તો પાદરી લોકની પેઠે ઘુંટણે પડી હાથ જોડી આ છબી પાસે કંઈ ભાષણ કરતાં હતાં એવું નેાકરોએ શેઠના કાનમાં કહ્યું હતું. આ સર્વ વિચારી લક્ષ્મીનંદનનું પૌત્રલાલસાવાળું હૃદય ચિન્તાતુર ર્‌હેતું, અને ચન્દ્રાવલી અને વિહારપુરી પેઠે ર્‌હેવાની લાલસા પોતાનાં પુત્રવધૂમાં છે જાણીને તે છેક નિરાશ ર્‌હેતો ને કળે કળે નિમિત્તે નિમિત્તે ગુમાન કુસુમવહુને ઉપદેશ અને ઉદ્દીપન કરવાને ચુકતી નહી.

અંતે સરસ્વતીચંદ્રના લગ્નનું વર્ષ પુરું થયું તે દિવસે ગુમાને વાલકેશ્વરની મહાપૂજા કરાવી ને બંગલામાં પોતાની ઇષ્ટસિદ્ધિ થઈ માની સત્યનારાયણની પૂજા કરી હરદાસની કથા માંડી તેમાં પુત્રના સર્વ મિત્રોને ને આશ્રિતોને આમંત્ર્યા. વાલકેશ્વરના બંગલામાં બે મડમો કુસુમને ઈંગ્રેજી કલાઓ શીખવવાને આવતી ને ઈંગ્રેજ, પારસી, મુસલમાન વિદ્વાન ગુણી મિત્રો આવતા તેમને માટે પણ “ પાર્ટી ” આરંભી. ત્યાં “પીયાનો”નું ગાયન આરંભાયું ને શ્રીમતી ત્યાંનાં અતિથિમંડળનું આતિથેય કરતી હતી.

હરિદાસ કુસુમને લઈ સ્ટેશન ઉપર ગયો હતો - કુમુદ અને તેની સાથનું મંડળ મુંબાઈ આવી માંહ્ય માંહ્યથી નાશક યાત્રાર્થે ગયું હતું તે અત્યારે આવવાનું હતું.

પોતાની દેશપ્રીતિના મનોરાજ્યના પ્રથમ ઉદયકાળે કરેલી કલ્પના પ્રમાણે ઉદ્ધતલાલે વ્યાપાર શીખવા વીલાયત અને અમેરિકા જવાનું સ્વીકાર્યું હતું. તરંગશકર અને વીરરાવે કલ્યાણગ્રામમાં સકુટુમ્બ ર્‌હેવાનું સ્વીકાર્યું હતું. ચંદ્રકાંતે વકીલાત છોડી કલ્યાણગ્રામની વ્યવસ્થાના તંત્રીનું કામ સ્વીકાર્યું હતું, ને ગંગાભાભી સાથે એ ગ્રામમાં ર્‌હેવાને એ બંધાઈ ચુક્યો હતો. આ મંડળ, અને ભૂત તથા વર્તમાનમાં સરરવતીચંદ્રની ગુણજ્ઞ ઉદારતાએ ઉપકૃત કરેલું વિદ્વાનો – કારીગરો - ને - વ્યાપારીયોનું મંડળ, અાજ ભેગું થયું હતું.

કુમુદ અને તેની સાથના મંડળને લેઈ કુસુમ અને હરિદાસ આવ્યાં તેની સાથે ગુમાનની આજ્ઞાથી વાજાવાળાનું “બેણ્ડ” વાગવા માંડ્યું. કુમુદ વિના બીજા કોઈને ન દેખતી ઘેલી કુસુમ બંગલામાં એની સાથે લપાઈ લપાઈને વાતો કરતી ચ્હડી. પોતાના બંગલાની એ પાસ વેલાઓ વચ્ચે માંડવામાં ઉભો ઉભો ચંદનીના અજવાળામાં અત્યારે સરસ્વતીચંદ્ર કાશીનગરીથી પોતે આમન્ત્રલા એક પરમહંસ પરમજ્ઞાનરૂપ જીવન્મુકત મહાત્મા પાસેથી કંઈ ઉંડો બોધ લેતો હતો તે બેણ્ડ સંભળાતાં એ મહાત્માની આજ્ઞાથી ઉઠ્યો અને, સામે જઈ, કુમુદનું કુશળ પુછી, કુમુદ-કુસુમની પાછળ અલકબ્હેનની સાથે વાતો કરતો કરતો પોતાનાં પગથીયાં પર ચ્હડવા લાગ્યો અને સૌભાગ્યદેવીના બાળક પુત્રને પોતાના હાથમાં લેઈ તેને પ્રીતિથી વિનોદપ્રશ્ન પુછવા લાગ્યો.

જુદાજુદા ખંડોમાં મેવા મીઠાઈ, હરિકથા, કીર્તન, ધૂપ, અત્તર, “સેણ્ટ” ગાનતાન, અને અનેક જાતના વિનોદમાં રાત્રિને દ્‌હોડ પ્રહર વીત્યો ને ધીમે ધીમે સર્વે વેરાયાં. સ્ત્રીમંડળનો મ્હોટો ભાગ કથામાં હતો તે પુરી થતા સુધી સમુદ્રભણીની બારીયો ઉઘાડી મુકી સર્વથી ઉપલા માળના એક ખંડમાં આરામાસન ઉપર પડ્યો પડ્યો સરસ્વતીચંદ્ર બારીમાંથી આવતી સમુદ્રના પવનની લ્હેરોથી નિદ્રાવશ થયો. નિદ્રામાં તેને પાંચ મિનિટ સ્વપ્ન થયું તેમાં તે સુન્દરગિરિ ઉપર એક પલંગ ઉપર બેસી સામી ઉભેલી કુસુમને ક્‌હેતો હતો: “કુસુમ ! આખો દેશ જ્યાં સુધી પૃથ્વી ઉપર સુવે છે ને તેને પ્હેરવાને વસ્ત્રો નથી ને ખાવાને અન્ન નથી ત્યાં સુધી આપણે આ પલંગ, આ મિષ્ટાન્ન, અને આ વસ્ત્ર શાં ? भूतलशय्या तरुलतावासः कस्य सुखं न करोतु विरागः" આટલું બોલે છે તેની સાથે પલંગનો પથરો થઈ ગયો અને બેનાં શરીર ઉપર વસ્ત્રોની કન્થાઓ, થઈ ગઈને સ્વપ્ન પુરું થયું.

કથાને અંતે ઘીની વાટોથી ને કપુરથી પ્રકટેલી ઘણાં ખાનાંવાળી મ્હોટી ચાંદીની આરતી ઉપર હાથ ફેરવી – ઓવારણાં લેઈ –સર્વ મંડળે નિરંજનનું વંદન કરી આંખે લીધું. તે આરતી લેઈ ગુમાને કુસુમને સરસ્વતીચંદ્ર પાસે મોકલી. સરરવતીચંદ્ર એકલો આરામાસનમાં નિદ્રાવશ સુખી થઈ સુતો હતો તેના સામી આરતી લેઈ કુસુમ ઉભી, પણ એ જાગ્યો નહી. એના મુખ ઉપર આરતીને પ્રકાશ પડતાં કુસુમ એ મુખ ઉપર મોહિત થઈ એમની એમ ઉભી રહી.

પ્રિયમુખ જોતાં એનું પોતાનું મુખ આનન્દથી મલકાતું હતું, પણ તેનું એને ભાન ન હતું. દેવને કરવાની આરતી પતિદેવને જ કરવા ઈચ્છતી હોય – સર્વ દેવના કરતાં પતિદેવતને જ શ્રેષ્ઠ અને પ્રિયતમ ગણતી હોય – તેમ – અથવા એમ ગણીને જ – માત્ર પતિમુખ ભણી આરતી ધરીને– આરતીના અનેક દીવાઓના એક થયલા પ્રકાશથી એ મુખને જોતી જોતી ઉભી જ રહી ને ગણગણી:-

[૧]વ્રજ વ્હાલું રે વૈકુંઠ નથી જાવું !
ત્યાં મુજ નન્દકુંવર કયાંથી લાવું? – વ્રજ૦”

ઘણાંને આરતીનું વંદન લેવું રહી ગયું હતું ને વહુ પાછી આવી નહી


  1. ૧. પ્રસ્તાવિક
એટલે ગુમાન એને તેડવા ઉપર આવી, અને દૂરથી આ દેખાવ જોઈ પગ

અટકાવી આનંદના ઉમળકાથી જોઈ રહી, અંતે કુસુમને બેલાવવાનું ભુલી શેઠની ચિંતા દૂર કરનાર આ દેખાવની વધામણી ખાવા દોડી ગઈ, ને દોડતાં દોડતાં પડતી પડતી રહી જઈ શેઠ પાસે પ્હોચી ગઈ .બધાં બેઠાં હતાં એટલે શેઠના કાનમાં જ ઉતાવળું ઉતાવળું કંઈક અમૃતવચન કહી દીધું.

કુમુદે સુન્દરગિરિ છોડ્યા પછી પણ ભગવી કંથા મુકી ન હતી. તે પ્હેરીને, અત્યારે કુસુમ એકલી હશે જાણી, એને ખોળતી ખોળતી એ ઉપર આવી અને કુસુમના દ્વાર આગળ આવી ઉભી. પોતાના સ્વાર્પણનું – પોતાની પૂર્ણાહુતિનું – પુણ્યફલ દેખી અંજાઈ ગઈ હોય એમ પ્રતિમા પેઠે સ્તબ્ધ થઈ એક કમાડમાં લપાઈ રહી ઉભી જ રહી.

ઘેલી કુસુમ હજી સુધી આરતી લેઈ મલકાતી મલકાતી પતિમુખને ન્યાળી રહી હતી તે અચિન્તી કાંઈ ઊર્મિ ઉઠવાથી – એ ઊર્મિના અસહ્ય વેગના હેલારાથી – દેવની આરતી વડે જ પતિદેવતાની આરતી ઉતારવા મંડી ગઈ. પતિના મિત્રો અને આશ્રિતેની ચારે દિશાઓમાં નીચે તરવરતી દીઠેલી મ્હોટી સંખ્યાને સ્મરતી સ્મરતી, તેના આધારભૂત પોતાના પતિના ગર્વથી ફુલતી ઝુલતી, આરતી ઉતારતી ઉતારતી ગાવા લાગી:

જાગો, કન્થા...ધા...રી !
હવે મ્હારા જાગો કન્થા...ધા ...રી !

વળી આરતીનો વેગ વધારતી વધારતી ગાતી ગઈ, ને શ્રીકૃષ્ણને કરવાનું સંબોધન પતિને જ સંબોધી, તેમાંની ત્રીજી પંક્તિ ગાતાં તે આરતીવાળો હાથ, બારી ભણી કાંઈ બતાવતી હોય તેમ, લંબાવ્યોઃ

जयति ते ऽधिकं जन्मना जगत्
श्रयत इन्दिरा शश्वदत्र वै ।
दयित दृश्यतां दिक्षु ताववास्
त्वयि धृतासवस्त्वां विचिन्वते॥ [૧]

“विचिन्वते” શબ્દ બોલતા પ્હેલાં તે તેનાથી ર્‌હેવાયું નહીં ને આરતી ફેંકી દઈ પોતે “ઇન્દિરાના – લક્ષ્મીના – શાશ્વત આશ્રય” રૂપ


  1. ૧. ત્હારા જન્મથી જગત અધિક જય પામે છે. ઇન્દિરા એટલે લક્ષ્મીઅંહી જ શાશ્વત આશ્રય પામી વસે છે. હે પ્રિય ! ત્હારામાં જેના જીવ છે.એવાં ત્હારાં આશ્રિત જન બધી દિશાઓમાં તરવરે છે તે જો. (ગાપિકાગીતઉપરથી )
માનેલા પતિ–ઉર ભણી, નદી સમુદ્રમાં ધસે તેમ, ધસતી અધીરી

બનેલી મુગ્ધા, લજજાને પ્રથમ છોડી, સુતેલા પતિના રાત્રિના કમળપુટ પેઠે બીડાયેલા અધરપુટ ઉપર પોતાના અધરને બીજી આરતી પેઠે ધરવા જાય છે ને એનું પોપચું કંઈક ઉઘડતું દેખે છે ત્યાં એને ચમકાવનાર શબ્દ પોતાની પાછળ સંભળાયો.

કુમુદ, આ સુખસ્વપ્નથી પોતાની મર્યાદા ભુલી જઈ ઉભી રહી હતી તે હજી વધારે ભુલી ને, તેનાથી હસી પડાયું. પરમ આનન્દનાં આંસુ તેની આંખોમાં આવી ગયાં ને મુખવડે મ્હોટેથી ક્‌હેવાઈ જવાયું, – ત્યાંથી તો તે પાછે પગલે ખસી ગઈ પણ ખસતાં ખસતાં યે ક્‌હેવાઈ જવાયું, – કે,

“ઘેલી મ્હારી કુસુમ !”




પ્રિય વાંચનાર ! પંદર વર્ષે આપણો સમાગમ હવે સમાપ્ત થાય છે. તું પુરુષ હો કે સ્ત્રી હો, સાક્ષર હો કે પ્રાકૃત જન હો, રાજા હો કે પ્રજા હો, શ્રીમાન હો કે રંક હો, ત્યાગી હો કે ભોગી હો, જુના સંપ્રદાયનો હો કે નવા વિચારનો હો – હો તે હો – સર્વથા તું જે હો તેને માટે યથાશક્તિ યથામતિ થોડી થોડી સામગ્રી આ ગ્રંથના કોઈક કોઈક પાનામાં તને મળી આવે, કે કંઈ પણ ભાવતું ભોજન ન મળવાથી કેવળ નિરાહાર પાછાં જવાનો વારો ત્હારે ન આવે, ત્હારે જોઈતા પદાર્થથી આવે સ્થાને બની શકે એટલી તૃપ્તિ એને એટલો બોધ અને બોધ નહી તો સૂચના ને સૂચના નહીં તો અભિલાષ - સ્થાન પણ તને આ ચાર ગ્રન્થોમાંથી મળી આવે, અને મનની જે વાતો પુછવાને ત્હારા મનને કોઈ અનુભવી, રસિક, કે જ્ઞાની સન્મિત્રની અપેક્ષા હોય એ વાતોનાં સમાધાન કંઈક કરવાને તને આ ગ્રંથો કોઈ સ્થાને કંઈ અંશે મિત્ર જેવા નીવડ્યા હોય, તો આપણી મિત્રતા અને ત્હારી સેવા કંઈક થઈ છે. એમ સમજાશે; અને તેનું શુભ ફળ ત્હારા આયુષ્યમાં કાંઈ પણ સુખનો અને કલ્યાણનો અંશ ભરશે તે આ લેખ સફળ થશે. એક નવલકથાનો લેખક તે કોઈનું એથી વધારે કલ્યાણ – શું કરી ! શકે ? – અથવા કરવાને અધિકારી હોઈ શકે ?

FareIwell ! A word that must be, and hath been-
A sound which makes its linger :-yat farewell !
Ye who have traced the Pilgrim to the scene
Which is his last, if in your memory dwell
A thought which once was his, if on ye swell
A single recollection, not in vain
He wore his sandal-shoon and scallop-shell ;
Farewell ! With him. alone may rest the pain,
If such there were–with you the moral of his strain
BYRON's Childe Harold's Piligrimage

નડીયાદ, વિક્રમાર્ક ૧૯૫૭, આશ્વિન શુ. ૫ ગુરુવાર

ગેા૦ મા૦ ત્રિ૦