સરસ્વતીચંદ્ર ભાગ ૪/કુરૂક્ષેત્રના ચિરંજીવો અને ભારતવર્ષનું ભવિષ્ય.

વિકિસ્રોતમાંથી
← અર્જુનનો વાયુરથ અને દાવાનળ. સરસ્વતીચંદ્ર ભાગ ૪
કુરૂક્ષેત્રના ચિરંજીવો અને ભારતવર્ષનું ભવિષ્ય.
ગોવર્ધનરામ ત્રિપાઠી
ચન્દનવૃક્ષ ઉપર છેલો પ્રહાર. →


પ્રકરણ ૩૫[૧]
કુરુક્ષેત્રના ચિરંજીવી અને ભારતવર્ષનું ભવિષ્ય
Such is the aspect of this Shore;
'Tis Greece, but living Greece no more!
So coldly sweet, so deadly fair,
We start, for soul is wanting there.
Here is the loveliness of death
That parts not quite with parting breath;
But beauty with that fearful bloom,
That hue which haunts it to the tomb,
Expression's last receding ray,
A gilded halo hovering round decay,
The farewell beam of feeling past away !
Spark of that flame, perchance of heavenly birth
Which gleams, but warms no more its cherish'd earth !
X    X    X   X    X
Approach thou craven crouching slave !
X    X    X   X    X
These scenes, their story not unknown,
Arise and make again your own ;
Snatch from the ashes of your sires
The embers of the former fires !
Byron's Giaour.

And thou Delhi, whom I am looking down upon from the top of a minaret ! Delhi, the barbarous, the cultivated, the heroic ! What do I see ? A fortress, a mosque, a plain ! A fortress where through centuries of glorious deeds or fearful crimes, dark plots and secret tragedies, the great figures of thine


  1. ૧. પ્રકરણ ૧૧, ૩૨ અને ૩૪ થી આ પ્રકરણનો બોધ થશે.
Emperors have retained uninterrupted power. A

mosque – the Great Mosque -J umma Musjid, the majestic symbol of the crescent whose conquests thou, less favoured than Vienna, whose unable to arrest. A plain watered with blood, the scene of struggles which have more that once decided the fate of millions of human beings. That is what thou wert. This is what thou art now:- a broken mirror reflecting the destinies of India.

X    X    X   X    X

But it is not the contingency of Russian aggression that would disturb me, if I were an Englishman. The internal policy to be pursued in India is the subject that would absorb my attention. I confess that certain ideas which enjoy great favour in certain quarters would give me food for reflection, and none more than the scheme of welding into a single nation the diverse races which inhabit the peninsula, of creating a new nation, and of creating her in the image of the English. × × × British rule is firmly seated in India; England has only one enemy to fear-herself.

Through the British Empire: by

Baron Von Hubner, formerly Austrian

Ambassador in Paris amd Rome.


In their national life the Indians have exhibited down to our days their long-practised and often- tried courage of patience. . . With this they have retained a costly possession, that inclination towards the highest intellectual attainments which runs through their whole history. This treasure is still vigorous in the hearts of the best Indians, and appears the more certainly to promise a brighter future as the government which now controls the nation has come to an earnest though late resolution to rule with the help of the Indians for the good of the people, while the intellectual force and cultivation of their western tribesmen are disclosing themselves ever more clearly to the eager activity of eminent Hindus.

“Prof Max Duncker's Ancient History of India," translated from the German by E. Abbott.

“To the Aryans I give the world !” So ran the prophecy of an ancient Hindu seer, and on this prophecy, which history attests, Herr Arnoldson builds his theory as to the fulfilment of the Hope of the Ages – the World's Peace. × × The Aryans were homed together once × × × × × The Utopia of Victor Hugo's vision × × × × means no more, no less, than the tardy re-union of the Aryan family, divided now against itself.

Review of reviews, 15th July 1901, p. 92.


अथ धृतराष्ट्र उवाच । धर्मक्षेत्रे करुक्षेत्रे समवेता युयुत्स्वः ।
मामकाः पाण्डवाश्चैव किमकुर्वत सख्य ॥
महाभारत, भीष्मपर्व.

સ્વપ્નનાં સરસ્વતીચન્દ્ર, કુમુદ, અને પોપટ ઉડ્યાં તે છેક કુરુક્ષેત્રની સામેના હિમાલયના શિખર ઉપર આવી તેનાથી પણ ઉંચે લટક્યાં. તેની પાછળનો મધ્ય એશિયાનો ભાગ, ટીબેટ, તાતાર, ને ચીન ત્યાંથી દૃષ્ટિએ પડતાં હતાં અને તેમાં દૂર દૃષ્ટિમર્યાદામાં રીંછના ઝુંડ ઉભાં થઈ પાછલા પગ ઉપર ચાલતાં દેખાયાં. તેમાંથી કોઈક પૂર્વ સમુદ્ર ભણી જતાં હતાં ને કોઈક હિમાલય ભણી આવતાં હતાં. બીજાં પણ અનેક પશુઓ પૂર્વ, પશ્ચિમ, અને ઉત્તરમાં દોડાદોડ કરી મુકતાં હતાં અને માત્ર રીંછને દેખી આઘાં પાછાં થઈ જતાં હતાં. પશ્ચિમમાં પર્વતની ખીણોમાં અનેક વરુ ટોળાબંધ ફરતાં હતાં. તેમના ભણી પુંઠ કરી આપણાં સ્વપ્નચારી પાત્રો દક્ષિણ દિશા ભણી દૃષ્ટિ કરી ઉભાં, તે નીચે ત્રિકોણાકાર ભારતવર્ષ ને તેની ત્રણે પાસે મહાસાગરની છોળો ઉછળતી દેખાઈ ને એ છોળોના પછાડાની ગર્જના છેક આમના કાનના પડદા સાથે અથડાવા લાગી. આ સર્વ જોવામાં તેઓ રોકાયાં છે તેવામાં પોતે ઉભેલાં હતાં તે તટની નીચે પાસેથી જ સ્વર સંભળાયો ને તેનો પ્રથમ અક્ષર કાનમાં આવતાં બે જણ કાન માંડી સાંભળવા લાગ્યાં ને સ્વરનું મૂળ આંખ વડે શોધવા લાગ્યાં. સ્વર સ્પષ્ટ હતો.

“उत्फुल्लार्जुनसर्जवासितवहत्पाश्चात्यझंझामरुत्-
"प्रेङ्खोलस्खलितेन्द्रनीलशकलस्निग्धाभ्युदश्रेणयः ।
"धारासिक्तवसुन्धरासुरभयः प्राप्तास्त एतेऽधुना
"धर्माम्भोविगमागमव्यतिकरश्रीवाहिणो वासराः॥"[૧]

સર૦– કુમુદ, આ જોયું છેટે કુરુક્ષેત્ર ? ત્યાંથી આ ધીર ગંભીર સ્વર આવે છે !

કુમુદ૦- આપણી પેઠે પૃથ્વીનો સ્પર્શ કર્યા વિના એના ઉપર દૃષ્ટિ રાખી જોતી જોતી આ કોઈ દિવ્ય છાયા છે.

સર૦– આ મ્હારો ચિન્તામણિ એ છાયાનું પ્રતિબિમ્બ ધારે છે ને અત્યાર સુધી અદૃષ્ટપૂર્વ હતી એવી કોઈ સુન્દરતા એ મણિમાં પ્રત્યક્ષ થાય છે.

કુમુદ૦– હા, હું પણ આપણા અદ્વૈતથી જોઉં છું.

સર૦– એ તો ભગવાન પરશુરામ પોતે જ ! વિષ્ણુના સર્વ અવતાર પોતપોતાના યુગનો ઉદ્ધાર કરી સ્વધામમાં ગયા ત્યારે આટલો અવતાર સર્વ યુગમાં આ દેશનો ઉદ્ધાર કરવા ચિરંજીવ રહેલો છે. રામાવતારમાં શ્રીરામે આ અવતારનું તેજ શાંત કરી, પોતાનું તેજ પ્રકટ કર્યું ત્યારથી આ શાંત જ્યોતિ પુરુષરૂપે પૃથ્વીનો ત્યાગ કરી પૃથ્વીના વાતાવરણમાં આ દેશના શિર ઉપર પોષક મેઘ પેઠે ફર્યા કરે છે, રાત્રે રાત્રે આ કુરુક્ષેત્રના ઉપરના ભાગમાં આવી વાસો કરે છે, ને આ દેશની અને આ ક્ષેત્રની ચિન્તા કર્યા કરે છે.

કુમુદ૦– એમણે કરેલા ઉદ્રાર સમજાયા નહી.

સર૦– અનેક યુગોના ચિરંજીવ આ અવતારની અકેકી ઘડીમાં આપણાં વર્ષોનો સમાસ થાય છે. બ્રાહ્મ તપમાં વિઘ્નકર થતાં સહસ્ત્રાર્જુન જેવો મર્દનીય પણ સંસારના કલ્યાણને અર્થે અન્ય પ્રસંગે કૃષ્ણાવતારમાં


  1. ૧. માલતીમાધવ ઉપરથી.
પ્રિય ગણેલો અને હવે પરિપાક પામી ઉત્ફુલ્લ થતો અર્જુનદેવ અર્જુનવૃક્ષ

પેઠે ચારે પાસ પોતાની વાસથી સંસારને સુવાસિત કરી રહ્યો છે તે સુવાસને સંસારમાં પ્રસારતો પશ્ચિમનો પવન આ નીચેના પ્રદેશમાં વેગથી વાઈ રહ્યો છે, મહાસાગરોમાંથી ઉત્પન્ન થએલી સમૃદ્ધ મેઘમાળાઓને આ પવન આ દેશમાં આણે છે ને વર્ષોવે છે, તેની ધારાઓથી પૃથ્વીનો સુગંધ ઉંચે ઉડે છે, અને મનુષ્યોનાં શરીરો ઘડીમાં પરિસ્વેદ - પરસેવા – થી ન્હાય છે ને અકળાય છે ને ઘડીમાં પવનના ઝપાટાથી પરસેવાને સુકાતો અનુભવે છે ! આ દેશનાં મનુષ્યોમાં કલ્યાણકારક સુખદુઃખના આવા વારાફેરા થતાં પરશુરામજી અત્યારે પ્રત્યક્ષ કરે છે અને કુરુક્ષેત્ર ઉપરની મેઘમાળાઓ વચ્ચે પોતાના આશ્રમમાં ફેરા ફરે છે, તેમની આ ગમ્ભીર વાણી આપણે સાંભળી.

કુમુદ૦– આ કુરુક્ષેત્ર એમને શાથી આટલું પ્રિય છે?

સર૦– આ એમના આશ્રમ નીચે જે વિશાળ મેદાન દેખાય છે તેને આપણા લોક હાલ પાણીપતનું મેદાન ક્‌હે છે, એજ સ્થાન પ્રાચીન કાળમાં કુરુક્ષેત્ર નામે પ્રસિદ્ધ હતું. કુમુદ ! જ્યારે જ્યારે આપણા દેશના ક્ષત્રિયોનાં ભાગ્ય અને દુર્ભાગ્યનાં બીજ રોપવાને ક્ષત્રિયો અને ક્ષત્રિયોના પ્રતિભટોના મહાભારત જેવાં યુદ્ધો થયાં છે ત્યારે આ રણક્ષેત્રમાં તે યુદ્ધોનો ટુંકો પણ ભયંકર અને છેલો નિર્ણય થયો છે. પાંડવો અને કૌરવોનાં પ્રચણ્ડ યુદ્ધ અઢાર દિવસ સુધી આ સ્થાને થયાં, લાખો શુરવીરોનાં ધડ એ જંગમાં પડ્યાં, અને મહાભારતના સ્ત્રીપર્વમાં એ અસંખ્ય શૂરવીરો પ્રેતરૂપે દેખાયા વર્ણવેલા છે. બીજીવાર ઉત્તર દેશમાંથી બાબર બાદશાહે આવી આ દેશમાંના મહારાજ ઈબ્રાહિમ લોદી સાથે મહાયુદ્ધ કર્યું તે પણ આ જ રણક્ષેત્રમાં થયું અને ચાળીશ હજાર વીરોનાં મડદાં આ સ્થાને રોળાયાં છે ! આ મરનારાઓની ભૂતાવળી ઘણા કાળ સુધી આ સ્થાનના યાત્રાળુને કારમી ચીસો પાડી ચમકાવતી હતી.[૧] અકબર બાદશાહના બ્હેરામખાને હેમુને હરાવ્યો તે પણ આ સ્થાને. પેશવાઓની મુછનો વાળ સદાશિવરાવ ભાઉ પણ આ સ્થાને જ રણજગમાં રોળાયો ને બે


  1. ૧. Sounds of wailing and terror were long heard by night on the field of battle (at Panipat) which was haunted. Abdul Kalar, the author of the Tarikhe Bedaumi, mentions having himself heard them, while crossing the field with a party, who, filled with awe, repeated the holy name of God as a preservative, and passed on.
    Erskine's History of India:
    Bahes, Battle of Panipat.
લાખ યોદ્ધાઓ એની સાથે લોહીની રેલોમાં ડટાયા ! આ ભયંકર પણ

સિદ્ધ રણક્ષેત્ર પાસેનાં પ્રાચીન હસ્તિનાપુર અને અર્વાચીન દીલ્હીના ચક્રવર્તી મહારાજના દિવ્ય વૈભવ આ યુદ્ધોમાંનાં લોહીની સિન્ધુ જેવી મહાનદીઓને તળીયે હજી સુધી દેખાય છે ! ક્ષત્રિયોના સંહારના આ ક્ષેત્રમાં, પોતાનાં કૃષ્ણાવતારના પ્રિયસખા અર્જુનની શરવૃષ્ટિઓના આ વિજયસ્થાનમાં, ચિરંજીવ ભગવાન પરશુરામ આટલી પ્રીતિથી રાત્રે રાત્રે વાસો કરે તેમાં શી નવાઈ છે ?

કુમુદ૦– એમના આશ્રમ નીચે કીયાં સત્ત્વ ફરતાં દેખાય છે ?

સર૦– “સૂર્યબિંબનાં કિરણ જેમ ચારે દિશાનાં સત્ત્વોને પ્રકાશિત કરે છે તેમ આ આશ્રમનો પ્રભાવ એની નીચે ચારે પાસના પ્રદેશમાં જણાય છે. એની નીચે તો આવું કુરુક્ષેત્ર છે જ. પણ એ ક્ષેત્રની એક પાસ સિન્ધ સુધી ને બીજી પાસ ગંગા સુધીના પ્રદેશમાં આ ચિરંજીવ મહાત્માની છાયામાં કુરુક્ષેત્રના બીજા અનેક ચિરંજીવો હજી સુધી વસે છે. પૂર્વમાં આપણે જોયેલા પિતામહપુર નીચે ગંગાનો પ્રદેશ છે ને ગંગાના પાણીમાંથી પેલા તેજરાશિ દેખાય છે તે ભીષ્મપિતામહના હજી સુધી ચિરંજીવ રહેલા ગંગામાં સુતેલા શરીરમાંથી નીકળે છે. એમની અાશપાશ શેષનાગ ચિરંજીવ થઈને એમનું સમાધિસ્થ દશાને વશ થયેલું શરીર જાળવી રાખે છે. વચ્ચે પેલો ધૂમકેતુ જેવો દેખાય છે તે ચિરંજીવ ગાંડા અશ્વત્થામા આખા દેશમાં – હિમાલયથી કન્યાકુમારી સુધી - દોડા દોડ કરી રહેલો છે. તે અત્યારે અત્યારે કુરુક્ષેત્રમાં આવે છે ને કોઈ દિવસ ડાહ્યો થાય છે તો કોઈ દિવસ ઉશ્કેરાય છે ને કોઈ દિવસ વળી અનેક ૫શ્ચાત્તાપથી તપ્ત થઈ મ્હોટે સ્વરે રુવે છે.

“પાંડવોએ હિમાલયમાં થઈ ત્રિવિષ્ટપમાં સ્વર્ગારોહણ કર્યું અને ત્યાંથી મેરુ પર્વત ઓળંગી ઉત્તરમાં ગયા છે. પારસી દેશમાં, યવન દેશમાં અને બીજા અનેક દેશોમાં તેઓએ ફર્યા કર્યું છે ને પાઞ્ચાલીની લક્ષ્મી પણ તેમની જોડે છાયા પેઠે ગઈ છે. પણ એ જ દેવીનો આ દેશમાં અવતાર હજી ચિરંજીવ છે તેની છાયા ગાંધર્વનગરની છાયા પેઠે આ ક્ષેત્રના શિરોભાગમાં પ્રતિબિમ્બિત થાય છે, તે કાળે ત્રિવિષ્ટપમાંથી અંહીં આવવાના માર્ગ સુધી પાંડવોની છાયા પણ જ્યાં હોય છે ત્યાંથી અંહી સુધી પથરાતી આવે છે. તે કાળે સર્વ ચિરંજીવે આ પાઞ્ચાલીની અાશપાશ તેનાં દર્શન કરવા આવે છે. એ કાળે વાનપ્રસ્થ દશામાં આ દેશમાં ચિરંજીવિની થયલી કુન્તી પાઞ્ચાલીની છાયા પાસે આવી બેસે છે. પાઞ્ચાલીની છાયા નીચે છેક પૃથ્વીપર કુરુક્ષેત્રમાં અર્જુનનો રથ ચાલતો હતો ત્યાં આજ એવા જ રથનું છત્ર બનાવતો અને બાંધતો ચિરંજીવ હનૂમાન ઉભો છે. આ સર્વ ચિરંજીવોને આપણે થોડી વારમાં પ્રત્યક્ષ કરીશું.

કુમુદ૦– આપણે પ્રથમ કોને મળીશું ? આપણે શું કંઈ બુમાબુમ જેવું સંભળાય છે ?

સર૦– અશ્વત્થામા રડે છે ને પરશુરામ એક પાસથી તેને જોઈ ર્‌હે છે ને બીજી પાસથી ક્રૌંચરન્ધ્ર ભણી દૃષ્ટિ કરે છે ને તેમના શરીરમાંથી અગ્નિના તનખા નીકળે છે. વળી પેલી પાસ ભીષ્મપિતામહની સ્થિતિ જોઈ ઓઠે રામ અાંગળી મુકે છે. પાઞ્ચાલીની છાયા જુવે છે ત્યારે દયાથી અશ્રુપાત કરે છે ને ઉપાય શોધે છે. કુન્તીને દેખે છે ત્યારે તેને આશ્વાસન આપે છે. પાંડવોની છાયા એને દેખે છે ત્યારે કંઈક સંજ્ઞાઓ કરે છે, ને હનુમાનને દેખે છે ત્યારે પાસે જઈ કંઈક વાતો કરે છે.

કુમુદ૦– પાંડવોની છાયા કેણી પાસેથી આવે છે ?

સર૦– ક્રૌંચરન્ધ્ર ભણીથી તેઓ ગયા છે ને એમની છાયાઓ ફરતી ફરતી પશ્ચિમ સમુદ્રમાં વાદળાં પેઠે ભમે છે ને કુરુક્ષેત્ર ઉપર ઉપરનાં વાદળાંઓ ભેગી એ છાયાઓ આવતી દેખાય છે.

કુમુદ૦– આપણે પિતામહ પાસે પ્રથમ ચાલો.

સર૦– આ પાંખો અભિલાષની સિદ્ધિ અભિલાપની સાથે જ આપે છે. જો આપણે ઉડીયે છીયે. ગંગાના મૂળ આગળ આવ્યાં.

આ સ્થાને ગંગાનો પ્રવાહ ઝીણો ઝીણો હિમાલયના એક છિદ્રમાંથી નીકળતો હતો. એક લાંબી રેખા જેવી એ નદી દેખાતી હતી. ઉપર પ્હાડી ઝાડની ઘટા હતી ને તેમાંથી ચંદ્રનાં કિરણ નદીના પાણીમાં ટપકતાં હોય તેમ ચળકતાં હતાં. આ સ્થાને પેલા છિદ્ર આગળ સરસ્વતીચંદ્રનો પાવડો જરીક અડકયો ને છિદ્ર ઉપરની શિલાઓ ખસી ગઈ. તેની સાથે ગુપ્તગંગા પ્રકટ થઈ. પેલા છિદ્રને સ્થાને મ્હોટો કુંડ દેખાયો. તેમાંથી મહાનદી મહાસ્વર કરી નીકળતી હતી અને તેની વચ્ચોવચ શેષનાગ પિતામહના શરીરની ચારે પાસે પોતાનું શરીર વીંટી ફણાનું તેમના શરીર ઉપર છત્ર ધરી બેઠો હતો. તેમના દિવ્ય પ્રચણ્ડ શરીરમાં ઘણા યુગ ઉપર અર્જુને મારેલા બાણ ખુંપી ગયા હતા તેના બ્હાર રહી ગયેલા પાછલા ભાગ હજી દેખાતા હતા ને તેમની નીચે પણ શરશય્યા જ હતી. એમનું શરીર ઘણા યુગની ક્ષુધાથી સુકાઈ ગયું હતું અને અચેતન જેવું લાગતું હતું, પણ ગંગાનો એક ઝરો તેમના મુખમાં નિરંતર વહ્યાં કરતો હતો તેના પાનથી એમનું શરીર અમૃતમય થઈ ગયું હતું. શરીરની નસો, અસ્થિ, અને અન્ય સર્વ શારીરિક તત્વો પારદર્શક રત્નોના વાસણમાં રાખેલા ચિત્ર પેઠે દેખાતાં હતાં, અને તેમાં ડુબેલા બાણ સોનાની ખીલીયો જેવા દેખાતા હતા. વચલા રત્નની આશપાશની સુવર્ણમુદ્રા પેઠે વીંટાયલા નાગની સહસ્ત્ર ફણાઓ ઉપર ડોલી રહી હતી.

છેક નાગનાં મુખો આગળ આવી સિદ્ધનગરનું અતિથિ-જોડું ઉભું, ને નાગ કંઈક ચમકયો.

નાગ૦– માનવીઓ, કેમ અંહી આવ્યાં છો ?

સર૦– પિતામહનાં દર્શન કરવાની વાસનાથી. અમે તેમનું પુર અને તેના કુંડમાં રહેલા ચમત્કાર જોયા ને તે પછી એમનાં પોતાનાં દર્શન કરવા ઇચ્છીયે છીયે, તમે શામાટે અને કેટલા કાળથી એમને વીંટી વળ્યા છો ?

નાગ– જ્યારથી પાંડવોએ આ દેશ છોડ્યો ત્યારથી પિતામહ અંહી છે. તમે રાફડાઓ નીચે વડવાઈઓને બાઝેલા નાગ દીઠા છે તેમનો હું આદિ પુરુષ છું, જે કારણથી તેઓ વડવાઈઓને બાઝી રહ્યા છે તે જ કારણથી હું પિતામહનું આમ રક્ષણ કરું છું, કારણ જે ગંગામાં હું વસું છું તેની મને આવી આજ્ઞા છે.

સર૦- પિતામહનું રક્ષણ કેનાથી કરો છો?

નાગ૦- તમે થોડે છેટે અશ્વત્થામાને જોશો. એ બ્રાહ્મણ શ્રીકૃષ્ણના શાપથી ઉન્માદદશા ભોગવે છે ને તમે જે રાફડાઓ જોયા તે આ બ્રાહ્મણની જ કરેલી અવ્યવસ્થાઓનું પરિણામ છે.

પોપટ બોલી ઉઠ્યો : “સત્ય કહ્યું, નાગરાજ, સત્ય કહ્યું ! બ્રાહ્મણ- બુદ્ધિએ જ આ દેશમાંથી પાંડવોને હાંકી ક્‌હાડ્યા છે !”

નાગ– હું પણ બ્રાહ્મણ જ છું. ત્હારી બુદ્ધિમાં જે આ બ્રાહ્મણબુદ્ધિનો તિરસ્કાર સ્ફુરે છે તે પણ એ અશ્વત્થામાને જ પ્રતાપે. પિતામહની છાયામાં ને એમના યુગમાં બ્રાહ્મણો અને ક્ષત્રિયો એક યજ્ઞમાં પરસ્પર સહાયભૂત થતા ને એ શરશય્યા પર પડ્યા એટલે ગાંડા અશ્વત્થામાએ આ રાફડાનાં જાળાં બાંધી દીધાં – ને – પોપટ ! ત્હારી બુદ્ધિ પણ એ રાફડાના અધિકારીયે જ બાંધી દીધેલી છે. હું તને આ પવિત્ર ગંગાજળ છાંટું છું તેથી એ ત્હારા બંધ છુટી જશે.

ગંગાનું પાણી ઉછળવા લાગ્યું ને સર્વને તેના પવિત્ર જળના છાંટા ઉડ્યા. સર૦- તમે અશ્વત્થામાને શરીરે આ પવિત્ર જળનો અભિષેક કેમ કરતા નથી ?

નાગ– હડકાયલા સત્ત્વને પાણી જોયાથી જે અસર થાય ને પિશાચગૃહીત સત્ત્વને અડદ છાંટ્યાથી જે અસર થાય તે અસર આ ગંગાજળથી આ ઉન્માદદશાવાળા ચિરંજીવને થાય એમ છે. આ બ્રાહ્મણને અને તેની સાથે આ દેશનો ઉદ્ધાર તેનો અવધિ આવ્યે થશે.

સર૦– એ બ્રાહ્મણમાં ને ઋષિમુનિયોમાં શો ફેર છે? એ શા માટે ગાંડો થયો છે ? તમે ક્‌હો છો તે અવધિ ક્યારે આવશે ?

નાગ– આજ કાલ આ રાફડાઓમાં હું બ્રાહ્મણજાતિને માથે તમારાં સર્વ દુઃખોને માટે આરોપ મુકાતો સાંભળું છું. તે આરેાપકતા એકદેશીય જ્ઞાનને લીધે છે: ક્ષત્રિયો પોતાનો ધર્મ ચુકે તે જેટલું નિન્દ્ય ગણાતું તેટલું જ બ્રાહ્મણ પોતાને ધર્મ ચુકે તે ગણાતું. કુરુક્ષેત્રમાં પ્રથમ આર્યલોક હતા, પછી મ્લેચ્છ લોક આવ્યા, અને હવે પાછા આર્ય લોક આવ્યા છે.

પો૫ટ– શું હવેના કપિલોક આર્યો છે ?

નાગ– હા. આ ત્રણે જણના યુગમાં એકલા બ્રાહ્મણો તો શું પણ સર્વ અન્ય વર્ણોમાં જે જે સુવ્યવસ્થાઓ રચાય છે તે સ્વધર્મસ્થ બ્રાહ્મણોથી જ રચાય છે. એ બ્રાહ્મણો મ્લેચ્છોમાં પણ અવતરે છે ને રાક્ષસોમાં પણ અવતરે છે. તેમના બ્રાહ્મણાવતાર ને તેમની બ્રાહ્મણબુદ્ધિની સિદ્ધિ અને પરિણતિ જોનાર ઓળખી શકે છે. તે જ રીતે સાધુજનોમાં દુષ્ટજનનો અવતાર પણ તેની બુદ્ધિથી અને વાસનાથી ઓળખાઈ આવે છે, [૧] શુદ્ધ મહારાજાઓમાં અશોક જેવા અવતાર ક્ષત્રિયરૂપે બ્રાહ્મણના જ થયા છે, મ્લેચ્છ મહારાજાએામાં અકબરશાહ જેવા અવતાર પણ એવા જ થયા છે, કપિલોકમાં પણ એવા જ અવતાર થયા છે, થાય છે, ને થશે. તમે જે ચકોરની વાણી સાંભળી તે પણ બ્રાહ્મણનો આવતાર છે. પક્ષી ! તું ક્ષત્રિયનો અવતાર છે ને - અશ્વત્થામા બ્રાહ્મણના દોષઅંશનો અવતાર છે, એ દુષ્ટ બ્રાહ્મણે પરશુરામ જેવાઓના


  1. अथोपपत्तिं छलनापरोऽपरामवाप्य शैलूष इवैष भूमिकाम् ।
    तिरोहितात्मा शिशुपालसंज्ञया प्रतीयते संप्रति सोऽप्यसः परैः ।।
    बलाबलेपादधुनापि पूर्ववत्प्रवाध्यते तेन जनज्जोगीषुणा ।
    सतीव योषित्प्रकृतिः सुनिश्चला पुमांसमभ्येति भवान्तरेष्वपि. ॥
    -माघ.
સુદૃષ્ટાંતમાંથી કુદૃષ્ટાંતનો બોધ લીધો. ધર્મરથ ક્ષત્રિયોનો નાશ કરવા

આ બ્રાહ્મણ અને તેના પિતા વિધર્મસ્થ થઈ યુદ્ધ કરવા નીકળ્યા. પણ દ્રોણ મહાત્માએ જયારે માત્ર ધર્મયુદ્ધ જ કર્યું ત્યારે આ દુષ્ટ બ્રાહ્મણે અધર્મહત્યાઓ જ કરી, સુતેલા નિદ્રાવશ શત્રુઓને હણ્યા, ઉત્તરાના ગર્ભને હણ્યો, રાત્રિએ વિમાર્ગગામી થઈ આ કૃત્ય કર્યું, બ્રહ્માસ્ત્રને દુષ્ટ કાર્યમાં યોજયું, અને અંતે અભિમાનથી શ્રીકૃષ્ણનું ચક્ર લેવાની પણ વાસના રાખી. અહંકાર અને મમતા એ આસુરી સંપત્તિનાં બીજ છે તે આ બ્રાહ્મણમાં ઉજ્જૃમ્ભણ પામ્યાં અને પાંડવોએ સમાપ્તિ પર આણેલા ધર્મવિજયનું કલ્યાણફળ નિષ્ફળ કરવા આ બ્રાહ્મણરૂપ અસુરે માયિક પ્રપંચ આરંભ્યા. અર્જુન અને કૃષ્ણપરમાત્મા જેવાઓને આનો નાશ કરવો કઠણ ન હતો. પણ અનેક પરિપાકના સંઘરૂપ સંસારની વ્યવસ્થા જાણનાર આ બે મહાત્માઓયે એને જીવતો મુક્યો ને શ્રીકૃણે તેનાં જે જે પાપ તેને મ્હોડે ગણી બતાવી શાપ દીધો તે શાપમાં એના મૃત્યુ કરતાં એની ચિરંજીવિતા વધારે શાપસાધક ગણી. આ દુષ્ટે બાલકોનો અને ગર્ભનો નાશ કર્યો તેટલા માટે જ શ્રીકૃણે શાપ દીધો હતો તે શબ્દો આ કુરુક્ષેત્રમાં રાત્રે રાત્રે સંભળાય છે - તે સાંભળો !

રાત્રિને આ પ્રસંગે શ્રીકૃષ્ણના શાપના શબ્દ [૧]કુરુક્ષેત્રનાં ઉંડાં કોતરોમાંથી સંભળાવા લાગ્યા અને તેના નાદના પ્રતિધ્વનિ કૌઞ્ચરન્ધ્ર સુધી થવા લાગ્યા.

“દુષ્ટ બ્રાહ્મણ ! સર્વ મનાવી લોક તને કાપુરુષ ગણી ઓળખે છે ! અનેક વાર પાપ કર્મનો કરનાર ! બાલજીવિતના ઘાતક ! તું હવે ત્હારા પાપકર્મનું ફલ સાંભળ ! ત્રણ સહસ્ત્ર વર્ષો સુધી આ પૃથ્વી ઉપર તું ચિરંજીવી થઈ ભૂતપ્રેતના જેવો સંચાર કરતો ફર્યા કરીશ. કદી કોઈની જોડે કાંઈ ઓળખાણ તું પામવાનો નથી. નિર્જન દેશોમાં જ્યાં કોઈની જોડે બેસવાનું નહીં હોય ત્યાં સાહાય્ય વિના તું ભટકીશ, જનપદમાં ત્હારી સ્થિતિ નહી થાય ! પર્વતોમાં ને અરણ્યોમાં, સર્વ વ્યાધિઓથી પીડા પામતો પામતો, લોહી અને પરુથી દુર્ગન્ધ મારતો, તું આ સંસારમાં ભટકજે ! અને જે ગર્ભનો ત્હેં ઘાત કરેલો છે તે ગર્ભને મ્હારા તપના બળથી હું પુનર્જીવન આપીશ ને તે ગર્ભ ત્હારી સર્વ આશાઓને ધ્વસ્ત કરી – આ દેશમાં જ્ઞાન પામશે, અસ્ત્રસિદ્ધિ પામશે ને દીર્ધકાળ રાજ્ય કરશે ! ને તે સર્વ જોતા જોતા તું બળ્યાં કરજે !”


  1. ૧. મહાભારત : સૌપ્તિક પર્વ

આ શાપનો ઉચ્ચાર શાન્ત થયો તેની સાથે ચારે પાસથી બીજા નાદ સંભળાવા લાગ્યા. છેક ક્‌હાનપુરનાં શ્મશાનોમાંથી મરેલી સ્ત્રીયોની અને મરેલાં બાળકોની કારમી મરણચીસો સંભળાવા લાગી અને સર્વનાં કાળજાંમાં વાગવા લાગી.

નાગ૦– પોપટ ! અશ્વત્થામાએ જે ઘેાર કર્મ કૃષ્ણાવતારમાં કર્યું હતું તે પેલા કૃષ્ણપુરમાં - ક્‌હાનપુરમાં – બીજા બ્રાહ્મણનામધારી અશ્વત્થામાએ આ યુગમાં કર્યું છે તેનાં મારેલાં સ્ત્રીબાલસમુદાયની આ ચીસો સાંભળ એ જ અશ્વત્ત્થામા કૃષ્ણાવતાર પછી અનેક વેળાએ આમ પોતાનું સ્વરૂપ આ સ્થાનમાં પ્રકટ કરે છે ને આ યુગના અશ્વત્ત્થામાને પણ પુરાણ અશ્વત્ત્થામા પેઠે ભટકવું પડ્યું છે કે નહી તે શોધી લે જે ! આ કુરુક્ષેત્રમાં અશ્વત્ત્થામા આ રીતે ઘડીક બ્રાહ્મણ થયો છે તો ઘડીક મુસલમાન થયો છે ને બાકીનો કાળ આર્યદેશના પેલા રાફડાઓ રચવામાં ગાળે છે, બ્રહ્મબન્ધુઓનાં મગજમાં પેંસી ધુણે છે, ક્ષત્રિયોને વ્યસની કરે છે, વૈશ્યો પાસે ખોટાં ગણિત ને ખોટા વ્યાપાર કરાવે છે, ને શૂદ્રોને ભીખ માગતા ને ચોરી કરતા કરે છે. આ દેશનાં મનુષ્યોને તે એક બીજા સાથે હળીમળી ખાવાપીવા દેતા નથી, કોઈ પરણે કે મરે કે ગમે તે કાંઈ નવું થાય એટલે તેનાં સગાં વ્હાલાંનાં મગજમાં ભરાય છે ને તેમનાં ધન અનેક જડ માર્ગે તેમને જ હાથે માટીમાં ઢોળાવી દે છે ને કમાનારને કપાળે ફરી કમાવાને પરસેવો જ રાખે છે. પોપટ ! અશ્વત્ત્થામા બાળકોને દમ્પતી બનાવી એક–શય્યામાં સુવાડે છે ને તેમનાં શરીરનો નાશ કરે છે. જેનામાં બળ હોય તેને મસ્ત કરે છે. જેનામાં વિદ્યા હોય તેને લોભી કરે છે. આ તો મ્હેં દૃષ્ટાંત કહ્યાં. પિતામહે તે શાંતિપર્વમાં અને અનુશાસન પર્વમાં કેવા કેવા ધર્મ ક્‌હેલા છે ? એ સર્વ વ્યવહાર આ ઘેલો થયેલો અશ્વત્ત્થામા જ્યાં જ્યાં ફરે છે ત્યાંથી ધ્વસ્ત કરે છે. એ અશ્વત્ત્થામાં હવે બ્રાહ્મણ નથી. ઘડીકમાં તે જનોઈ પ્હેરી રાખે છે ને ઘડીમાં તોડી નાંખે છે ને વળી પ્હેરે છે. ઘડીમાં તે શુદ્ધ થાય છે ને ઘડીમાં મ્લેચ્છ થાય છે. સ્ત્રીયોની અને બાળકોની, ધનની ને ધર્મની, વિદ્યાની અને કળાની, મનની અને તનની, ગૃહસંસારની ને રાજ્યોની, બ્રાહ્મણોની અને ક્ષત્રિયોની કળાની ને શક્તિની, અવ્યવસ્થાને આ ગાંડો દિવસે દિવસે છાનોમાનો અનેક વેશેથી વધારતો જ જાય છે, અને પોતાના સર્વ વ્યાધિયોમાં આર્ય દેશને ભાગીયો કરીને જ રાજી થતો એકલો એકલો નાચે છે ને કુદે છે ! અને કાળે કાળે આખા દેશનાં ભાગ્યનાં બીજ રોપવાના આ ક્ષેત્રમાં આવી કંઈ કંઈ નીચ કર્મ કરે છે, દુષ્ટ બીજ વાવે છે, ને ફાવે છે ત્યારે પ્રકટ પણ થાય છે. જ્યાં સુધી એ ગાંડો ભમ્યાં કરે છે ત્યાં સુધી હું ગંગામૈયાના પવિત્ર જળમાં રહી પિતામહનું રક્ષણ કર્યા કરું છું. ક્યાં પિતામહની ભવ્ય સૃષ્ટિ અને કયાં આ ગાંડાના રાફડાઓ ! ક્યાં સૂક્ષ્મ અને મહાન્ અનુભવની વ્યવસ્થા અને કયાં ઘેલછાની કલ્પનાએ રચેલા ધુમાડાના ગોટા જેવા વ્હેમની, અને ક્ષુદ્ર ગતિવાળાં અંધ જન્તુઓએ પાડેલા ચીલાઓથી પડેલી રૂઢિઓની, અવ્યવસ્થા ! એ ગાંડો અંહીં આવે છે ત્યાંથી મ્હારે મ્હારી હજારો ફણાઓ માંડી સજજ થવું પડે છે !

પોપટ– એ રાફડાઓને કોઈ તોડી પાડે કે બાળી નાંખે તો ?

નાગ– એ રાફડાઓ અસંખ્ય જન્તુઓથી ભરેલા તેમના માળાઓ જેવા છે, તેમના મધપુડાઓ જેવા છે. તેનો નાશ કરવો એ શિવશક્તિનું કામ છે. મનુષ્ય તેનો સહસા નાશ કરશે તે એ રાફડા જેટલી વ્યવસ્થા પણ નહી ર્‌હે અને સર્વ જંતુઓના સંસાર ક્‌લેશમય થશે. પોપટ, એ રાફડાઓને એક પાસથી કપિલેાક ધીમે તાપે શેકે છે ને બીજી પાસથી અશ્વત્ત્થામાનું આયુષ્ય પુરું થતું જાય છે તે જ વ્યવસ્થા કલ્યાણકારક છે.

પોપટ– આ અવ્યવસ્થા આજ સુધી વધારનાર તો આ બ્રાહ્મણ જ !

નાગ– ના, ના. મ્હેં કહ્યું કે અશ્વત્ત્થામા તો પૂર્વ અવતારથી આસુરી સંપત્તિવાળો છે. પૂર્વ જન્મનો એ અસુર બ્રાહ્મણકુળમાં જન્મી અનેક વેશે ફરે છે. શુદ્ધ બ્રાહ્મનો તો મ્હારા જેવા નાગકુળમાં જ છે - તેને આ માનવીઓએ જોયા છે. અમે સર્વ સત્ત્વોમાં સર્વ ભૂતોનો એક જ અાત્મા પ્રત્યક્ષ કરીયે છીયે, પણ વ્યવહારમાં – માતાએ પુત્રની બાલ્યાવસ્થામાં વ્યવસ્થા રાખવાની છે તે પ્રમાણે – આ લોકમાં અમે જન્મ્યા માટે તેની વ્યવસ્થા રચીયે છીએ.

સર૦– તમારી વ્યવસ્થામાં ને પિતામહની વ્યવસ્થામાં શો ફેર?

નાગ– આર્ય ઋષિમુનિયોના અને રાજાપ્રજાઓના સૂક્ષ્મ અનુભવો વડે પિતામહનું આ દિવ્ય શરીર ઘણાં વર્ષોના બ્રહ્મચર્યથી બંધાઈ સમૃદ્ધ થયેલું છે. સ્વર્ગમાંથી આવેલી દિવ્ય બુદ્ધિગંગાથી એમનો જન્મ છે, પૃથ્વીના અનુભવથી એમનું આયુષ્ય ભરાયું છે. અમુક શાસ્ત્ર અમુક વર્ગના જ અનુભવથી બંધાય છે; ગંગાનાં શતમુખ જેવા શતમુખ અનુભવથી ભીષ્મ પિતામહે વ્યવસ્થાનો ક્ષીરસાગર ભર્યો છે તેમાં સર્વ શાસ્ત્રની નદીઓનાં પાણી ભળેલાં છે. અમે નાગલોક આ નદીઓ જેવા છીએ; ગંગાપુત્ર સાગર જેવા છે. એ સાગર ઉપર બંધાયલી મેઘમાળાથી અમારી નદીઓ પુષ્ટ થાય છે. સાધારણ ભૂતસંઘને માટે નદીયો છે; પણ સર્વ કુવાનાં, વાવોનાં, સરેવરોનાં, અને નદીઓનાં મૂળોમાં વ્‌હેનાર અનન્તસલિલનો ઝરો તે મનુષ્યની સંસ્કારી બુદ્ધિરૂપ ગુપ્તગંગા – પાતાળગંગા – ને રૂપે જ પ્રવાહ પામે છે ને પિતામહ એ ગંગામાંથી પ્રકટ થયા છે. જ્યારે અશ્વત્ત્થામાનું આયુષ્ય સમાપ્ત થશે ત્યારે અર્જુન આ દેશમાં ગાણ્ડીવ ધનુષ્યનો ટંકાર કરશે. પિતામહનાં શરીરમાં રોપાયેલા આ અર્જુનના બાણ એ ટંકારથી જાગૃત થશે – સજીવ થશે. પણ સજીવ થતામાં જ આ બાણ પિતામહના શરીરમાંથી પાછાં છુટશે ને રાફડાઓમાં થઈને જ પોતાનો ઊર્ધ્વ માર્ગ કરશે અને રાફડાઓને વીંધી નાંખી આરપાર નીકળી જતાં જતાં એ રાફડાએાને સ્થાને નવી રચના કરશે, એ બાણ તે કાળે અર્જુનના ભાથારૂપ સ્વયોનિને પાછાં પ્રાપ્ત કરશે ને પિતામહનું શરીર આ દેશમાં નવા યૌવનથી ઉભું થશે, ઉપરના પોતાના પુરમાં સંચાર કરશે, અને તમે ત્યાં જે જે પદાર્થ જોયા છે તે તે નવું શુદ્ધ સમર્થરૂપ ધરશે. જે કૌરવોની સેવાના ધર્મથી એમને અર્જુનના પ્રતિરથી થવું પડ્યું હતું તે કૌરવોની છેલી છાયા અશ્વત્ત્થામાના આયુષ્ય સાથે આ દેશમાંથી સમાપ્ત થઈ નિવૃત્ત થશે ને પિતામહ કેવળ પાંડવોની જ ચિન્તા કરશે. માનવીઓ ! પિતામહ પાસે ધર્મરાજ પણ બાળક છે ને ધર્મરાજાને ધર્મનો ઉપદેશ પિતામહ પાસેથી પ્રાપ્ત થયેલો છે. આજના તમારા દેશકાળમાં અશ્વત્ત્થામા, જાતે જ ધર્મરાજાના અને ધર્મના અસંખ્ય વેશ ધારી, ભમે છે ને લોકસંધને ભમાવે છે, એ અશ્વત્ત્થામાનું આયુષ્ય સમાપ્ત થશે ત્યારે જ શુદ્ધ સનાતન ધર્મ અને તેનો પિતામહ તમારા લોકસંઘને પોતાના પ્રકાશમય સંસ્કારોથી દ્વિજત્વ આપશે, ત્યારે જ વ્યાસનારાયણ જેવા યોગદર્શી સર્વભૂતાત્મક બ્રાહ્મણો આ દેશને પોતાના ચરણસ્પર્શનો અને ઉપદેશનો અધિકારી ગણશે, ત્યારે જ આ દેશમાં સત્યયુગ પાછો આવશે ! નિરાશ થયલાં માનવીઓ ! તમારી આશાઓનાં બીજ આ સિદ્ધ ક્ષેત્રમાં જ છે; તે બીજને સફળ કરવાની કળા આ ગંગામાં સ્નાન કરી પામો.

શેષનાગ બોલતો બંધ પડ્યો ને તેની સાથે આ બે જણની પાંખેાએ તેમને ઉંચક્યાં ને ગંગામાં સ્નાન કરાવી બ્હાર ક્‌હાડ્યાં, ને પાણીમાં ડુબકી મારતી વેળા મીંચાયેલી આંખો ઉઘડી ત્યાર પ્હેલાં તો એ પાંખોએ એમને વાયુના વેગથી બીજે સ્થાને લીધાં ને આ દેખાવ અદૃશ્ય થયો, આંખો મીંચાઈને ઉઘડી તેના વચગાળાની વેળામાં એમના કાનમાં ચીસો, ગાન, અને રો-પીટના સ્વર પેંઠા ને આંખો ઉઘડ્યા પછી પણ બન્ધ ન પડ્યા પણ વધ્યા. પરંતુ આંખ આગળ તો માત્ર ચન્દ્રિકાને ચાદર પેઠે હોડી સુતેલા મેદાન વિના બીજું કાંઈ દેખાયું નહી. એ સ્વરો વચ્ચે આ શુન્ય ચન્દ્રપ્રકાશિત મેદાનમાં એમની પાંખો એમને વાયુના વેગથી ધકેલવા લાગી – ધકેલવા લાગી ક્‌હેવાનું કારણ એ કે એમનાં હૃદય આ સ્વરોથી એક દિશામાં ખેંચાતાં હતાં ને શરીરને બીજી દિશામાં આ ઝાડ કે પ્હાડ કે અન્ય પદાર્થથી શુન્ય દેખાતા મેદાન ઉપર પાંખો લેતી હતી. સ્વરો પોતાની સંખ્યા ને મિશ્રતાથી જેવા ભયંકર લાગતા હતા તેવું જ આ મેદાન પોતાની આવી શુન્યતાથી અને સાદાઇથી આ રાત્રિની વેળાએ ભયંકર લાગતું હતું.

આ મેદાનમાં નક્‌કુર પૃથ્વી ઉપર તેઓ હવે ઉભાં તો થોડે છેટે એક અતિવૃદ્ધ બ્રાહ્મણ લાંબો પડી ચતો સુતેલા દેખાયો. આમને જોઈ તે ઉભો થયો ને એટલો તો ઉંચો વધવા લાગ્યો કે એના વાળ વાદળાંમાં પ્હોચવા લાગ્યા. સરસ્વતીચંદ્ર અને કુમુદને આ રાક્ષસી મનુષ્યે હથેલીમાં ઉંચાં ઉચકી લીધાં ને પોતાના મુખ સામાં ધરી, વાદળું ગાજતું હોય એવા મ્હોટા સ્વરથી, ક્‌હેવા લાગ્યો.

“મને ઓળખ્યો ? હું પેલો અશ્વત્ત્થામા – જેણે સર્વ ક્ષત્રિયો, બ્રાહ્મણો, અને વૈશ્યોનું અને તેમની કળાઓનું નિકન્દન કર્યું - અં ! હં ! હં ! હં ! હં ! તમે પેલી વૈતરણીના જળમાં ન્હાયાં છો ખરાં ! કેવો દુર્ગન્ધ તમારા શરીરમાં એ જળનો પેંઠો છે ! એમાં ન્હાય છે તે ઘેલા થાય છે – ખસો ! ખસો !”

એણે આ બે જણને હાથમાંથી અદ્ધર મુકી દીધાં ને જ્યાં મુક્યાં ત્યાં પાંખો ઉપર ટકી ઉભાં.

સ૨૦ – ચિરંજીવી ! અમે ગંગાજળમાં ન્હાયાં છીયે.

અશ્વ૦– ગાંડા માણસ ! એ જ મ્હારી વૈતરણી ! એમાં જે ડાહ્યું હોય તે મ્હારે મન ગાંડું અને એનું ગાંડું તે મ્હારું ડાહ્યું મ્હારી સૃષ્ટિ બ્રહ્માની સૃષ્ટિથી જુદી છે. હું બ્રહ્મા, વિષ્ણુ, અને રુદ્ર ત્રણેનું કામ સાથેલાગું એકઠું એકલો કરું છું ને આ સ્થાને તમે આવ્યાં છો તે મ્હારું પરાક્રમ જોઈ લ્યો !

અશ્વત્ત્થામાએ વેગથી દોટ મુકી ને અદૃશ્ય થયો તેની સાથે એકપાસથી રાફડાઓ નીચેનો મણિમય પ્રદેશ દૃષ્ટિગોચર થયો, બીજી પાસથી અકબર પાદશાહની બાંધેલી હવેલીઓ આકાશ વચ્ચે લટકવા લાગી, ત્રીજે સ્થાને પૃથ્વી પર શિવાજીનું સિંહાસન અને છત્ર શિવાજીની જીવતી મૂર્તિ સાથે ઉભાં થયાં, ચોથે સ્થાને કુરુક્ષેત્રમાં અર્જુનનો જયધ્વજ ઉડવા લાગ્યો, અને સર્વ સ્થાને સર્વ વ્યાપક ઈશ્વરનું પરમ જ્યોતિ પ્રકાશતું લાગ્યું, એ દેખાવ દેખાયો તેની સાથે જ ઉપરથી અનેક રૂપ ધરી અશ્વત્ત્થામા તે સર્વના ઉપર કુદકા મારી ભુસકા મારવા લાગ્યો, અને તે જ ક્ષણે જોતા જોતામાં આ સર્વ દિવ્ય વ્યવસ્થાને ઠેકાણે અનન્ત અવ્યસ્થા વ્યાપી ગઈ. મણિમય પ્રદેશનાં મણિયંત્ર તુટી ગયાં, મણિ ચારે પાસ ગડબડી ધુળમાં ને સમુદ્રમાં છુટા છુટા ડુબી ગયા, અને નાગલોક કોઈ ચંપાઈ ગયા તો કોઈ પાતાળમાં અનેક દરોમાં થઈ સરી ગયા, અકબરની હવેલીયોના કડકા થઈ છત્ર વિનાનાં ખંડેર ઉભાં રહ્યાં ને તે સર્વ ઉપર કેદખાનામાંથી પાદશાહ શાહજહાન રોવા લાગ્યો ને દોરાનું છુંટું પડેલું કાપેલું લોહીવાળું મસ્તક લેઈ એક થાળી આરતી પેઠે અદ્ધર ફરવા લાગી. શિવાજી મહારાજ પોતાના છત્ર અને સિંહાસનના કડકાઓ નીચે ડટાઈ ગયા અને તેમના વંશજોમાંનો એક મોઘલ જનાનામાં રમવા લાગ્યો ને બીજો સતારાના પારદર્શક બન્ધીખાનામાં, શીશીમાં ઉતારેલા ભૂતના જેવો, દેખાવા લાગ્યો. નીચે અર્જુનના રથધ્વજ ઉપર અશ્વત્ત્થામા કુદ્યો ને તેની સાથે રથ અદૃશ્ય થયો, અર્જુન જાતે સ્વર્ગમાં ગયો, અને પાંડવોનો વંશ નાશ પામ્યો – સાપ્તિક પર્વનાં ભયંકર ચિત્ર ખડાં થયાં. જ્યાં વ્યાસમુનિયે વેદની સંહિતા કરી હતી, મહાભારતની વ્યવસ્થા કરી હતી, અને એક ઈશ્વરનું જ્યોતિ થોડી વાર ઉપર અનવચ્છિન્ન એક શુદ્ધ પ્રકાશથી પ્રકાશતું હતું ત્યાં તે સર્વ વ્યવસ્થાદર્શનનું મન્દિર આ બ્રાહ્મણના કુદકારાથી કમ્પવા લાગ્યું. પળવારમાં એ સુન્દર મન્દિરના સર્વ ભાગોના સાંધે સાંધા છુટા થઈ તેના કડકે કડકા થઈ ગયા ને તે કડકાનો અવ્યવસ્થિત ઢગલો થઈ પડ્યો. એ ઢગલામાંના કડકા થોડી વારમાં ચારે પાસ લુટાવા લાગ્યા ને આખા કુરુક્ષેત્રમાં અશ્વત્ત્થામાની શક્તિથી નવી જાળ પથરાઈ ગઈ અકેકી શ્રુતિના અનેક પરસ્પર વિરોધી અર્થ થઈ ગયા. એક સ્મૃતિની ગાંઠોમાં બીજી સ્મૃતિની ગાંઠો ગુંચવાઈ ને ગાંઠો ઉકેલનારાથી જે ગાંઠ ઉકલે નહી ત્યાં તેઓ છરી લેઈને કાપ મુકવા લાગ્યા, અને અન્તે તે પણ ગુંચવારાનાં જાળને પડતાં મુકી ચાલી જવા લાગ્યા ને બીજા વટેમાર્ગુઓ એ જાળમાં ચાલતાં ચાલતાં ઉંધે માથે પડવા લાગ્યા. વ્હાણ ખડક ઉપર અથડાય ને ઉતારુઓ તેનાં ત્રુટેલાં છુટેલાં પાટીયાં ને લાકડાં હાથમાં આવે તે ઝાલી તરવાનું સાધન શોધે ને બાથોડીયાં મારે તેમ એક ઈશ્વરનાં અનેક સુઘટિત નામોમાંથી અનેક ઈશ્વરને પકડી કુરુક્ષેત્રના વાતાવરણમાં અનેક જન્તુઓ સમુદ્રનાં માછલાં પેઠે તરવા લાગ્યાં. આવા આવા અસંખ્ય દેખાવ કુરુક્ષેત્રમાં ઉત્પન્ન થઈ દેશ-પારના મહાસાગરો સુધી બીજા મહાસાગરો પેઠે રેલાવા લાગ્યા, અને કીયા મહાસાગરનું પાણી કીયા મહાસાગરને ધક્‌કેલે છે તે જોવા જેવું થયું.

અન્તે આ મહાસાગરોમાંથી વચ્ચોવચ અશ્વત્ત્થામા નીકળ્યો અને વાદળાં સુધી વ્યાપી રહી ગર્જવા લાગ્યો.

“માનવીઓ ! મહારુદ્રનાથી અધિક સંહારક શક્તિ મ્હારી છે તે મ્હેં દેખાડી ! હવે બ્રહ્માની પેઠે આ મ્હેં મહાસાગરની સૃષ્ટિ ઘડી તે પણ તમે જુવો છો, અકબર બાદશાહની હવેલીયોનાં ખંડેર કરી તેમાં પેલો ઔરંગઝીબ બાદશાહ ઉભો થાય છે તે જુવો ! એ કોણ ? એ મ્લેચ્છોમાં મ્હારો પ્રકટ અવતાર ! આ સમુદ્રમાં હું ઉભો થાઉં છું તેમ શિવાજીના સિંહાસન ઉપર પેલા ઉભા થાય છે તે કોણ? પેશવાઓ! એ તો પેશવાઓરૂપે હું પોતે ! રધુનાથરાવ તે હું જ – આ કુરુક્ષેત્ર સુધી ધ્વજા ઉરાડનાર ને અટક આગળ સેનાના ઘોડાઓને પાણી પાનાર એ તે હું ! ને પેલા મણિ અને નાગને સ્થાને - તેમનાં માથાં ઉપર – રાફડા દેખો છો તે સૃષ્ટિનો બ્રહ્મા પણ હું ! હવે મ્હારી વૈષ્ણવી માયા જુવો!

થોડી વારમાં કુરુક્ષેત્રમાંના સર્વ દેખાવ દેખાતા બંધ થઈ ગયા ને પ્રથમ હતું તેવું શાંત એકાંત થયું ને ધીમે ધીમે તેમાં યાત્રાળુઓ, વણજારાઓ, વ્યાપારીયો, વસવાયા લોક, રજપુત, રાજાઓ, રાણીઓ, બ્રાહ્મણો, ભીખારીઓ, સ્ત્રીઓ, ને બાળકો - એ સર્વનો મ્હોટો મેળો તરવરવા લાગ્યો. તે સર્વ વસ્તીની વચ્ચે એક મ્હોટો ચકડોળ ફરતો હતો ને તેને ફેરવવાના ચક્ર ઉપર એક વૃદ્ધ બ્રાહ્મણ બેઠો હતો.

[૧]“આ બ્રાહ્મણના જીર્ણ શરીરને કોઈ ઝાડનું બળી ગયેલું થડ ધારીને તેમાં ઘરેાળીયોનાં ટોળાં વસતાં હોય તેમ એના જાડાં જાડાં નાડીયોનાં ગુંચળાંથી તેમાં જાળાં પડી ગયાં હતાં અને કદી કદી તો તે જીવતી ઘરેાળીયો જેવાં જ થતાં હતાં. દેવદેવીઓને પગે લાગવાથી તેના શ્યામ કપાળ ઉપર સોજો આવેલો હતો. કોઈ કુવાદીએ આપેલું સિદ્ધાંજન


  1. ૧. બાણકૃત કાદમ્બરીમાં વૃદ્ધ દ્રવિડ ધાર્મિકનું વર્ણન છે તેમાંથી ફેરફાર કરી હવેનું આ બ્રાહ્મણનું વર્ણન લીધું છે. રા. છગનલાલ હરિલાલ પંડ્યાએ કરેલું ભાષાંતર: આવૃત્તિ ૩. પૃષ્ઠ ર૭૪–૭૭ ઉપરથી.
આંજવાથી એની એક આંખ ફુટી ગઈ હતી ત્હોયે બીજીમાં કંઈ

અંજન આપવાની સળીને અહર્નિશ ઝીણી કર્યા કરતો હતો. કોઇક કડવા પદાર્થની વાટનો પ્રયોગ કરી આટલી આંખમાં પણ તે દિવસે દિવસે વધારે વધારે અંધકાર આણતો હતો. જંગલનાં પ્રાણીયોના દાંત ને ઝાડોમાંથી જાણ્યા અજાણ્યાં અનેક અંજન ને ઐાષધનો સંગ્રહ કરી પોતાની ચારે પાસ પાથર્યો હતેા. લીલાં પત્રનો રસ ને કોયલાની શાહીથી ભરેલો મેલો ખડીયો લેઈ તે ઘડી ઘડી ઉઠ બેસ કરતો હતો. ફરતો ફરતો ઝાડનાં પાંદડાં તોડી તે ઉપર ગમે તે દેવોનાં સ્તોત્ર લખતો હતો ને ગમે તે ભૂતપ્રેતના મંત્ર લખતો હતો. કોઈ સ્થાને એકદમ દ્રવ્ય મેળવવાના લોભથી એને નિધિવાદનો વ્યાધિ લાગ્યો હતો ને ધાતુવાદનો વાયુ વાયો હતો. પર્વતોમાંનાં અને જંગલોમાંનાં અનેક ખંડેરોના ચમત્કારોની વાતોમાં તે મ્હાયર હતો. ભૂત વળગેલાં માણસો ઉપર રાઈ નાંખતો નાંખતો તેમની લપડાકો ખાઈ ખાઈને એના કાન ચપટા થઈ ગયા હતા. એક જુનો તમ્બુરો આડો અવળો રાખી તેને બેસુર કરી વગાડતો હતો. આખો દિવસ માથું હલાવી હલાવીને તે મચ્છરના જેવો ગણગણાટ કરી મુકતો હતો. એણે અશ્વ-બ્રહ્મચર્ય લીધેલું હતું ને તેથી પ્રવાસ કરતાં કરતાં અંહી આવી એની આશપાશ વસતી વૃદ્ધ સંન્યાસિનીયોના ઉપર ને આવતી જતી શ્રદ્ધાળુ વિધવાઓ ઉપર વારંવાર સ્ત્રીવશીકરણનું ચૂર્ણ નાંખ્યાં કરતો હતો. એની પૂજાનો સામન કોઈ જરીક આડો અવળો કરે તો ક્રોધ કરી દાંતીયાં કરતો હતો ને કોઈ વેળા તે પૂજવાની દેવીના પણ ચાળા પાડતો હતો. કોઈ વટેમાર્ગુઓ એટલામાં ઉતારો રાખવાનું કરે તો તેમની સાથે લ્હડતો અને લ્હડતાં લ્હડતાં મારામારીમાં પડી જવાથી એનો વાંસો ભાગી ગયો હતો ને દાંત કોઈ પડ્યા હતા તો કોઈ હાલી ગયા હતા. બીજા કોઈ નવા આવેલા ધાર્મિકનો લોક આદર કરે તે જોઈ તેમના ઉપર દ્વેષ રાખતો હતો ને સંસ્કારરહિત હોવાથી ગમે તેમ વર્તતો હતો. એ લંગડો હોવાથી ધીમે ધીમે ચાલતો હતો ને બ્હેરો હોવાથી સંજ્ઞાથી – સાનથી – વાત કરતો હતો. શૂન્ય દેવાલયમાં સુવા જતો ત્યાં એને કૃષ્ણ સર્પ કરડ્યા હતા ને પુષ્પો તોડતાં ભ્રમરોએ દંશ દીધો હતો. હોળીમાં લોક એને ભાંગી તુટી ખાટમાં બેસાડી કોઈ વૃદ્ધ દાસી સાથે પરણાવતા હતા. ઘણાં ઘણાં મન્દિરમાં પ્રતિશયન કર્યા છતાં તે કંઈ ફલ પામ્યો ન હતો. અનેક બાધાઓ રાખેલી નિષ્ફળ ગયલી તે છતાં નવી નવી બાધાઓ રાખતો હતો. વિવિધ વ્યાધિઓથી આધિયોથી, ને ઉપાધિયોથી પીડાતી દુ:સ્થિતિને પણ તે પોતાના કુટુમ્બની પેઠે પાળતો હતો. બહુ વ્યસનયુકત મુર્ખતાએ જાણે અનેક પુત્રપુત્રીઓ પ્રસવી હોય એમ દર્શાવતો હતો. અનેક દંડ વાગ્યાથી શરીરે ઢીમડાંને લીધે, ક્રોધને પણ ફળ આવ્યાં હોય તેમ એ બતાવતો હતો. સર્વ અવયવ ઉપર દીવાથી દાઝયાનાં ચાંદાં પડેલાં તેથી પોતાના ક્લેશને પણ તેટલાં મુખ આવ્યાં હોય એમ જણાવતો હતો. વગર કારણે બુમો પાડીને લોકને બોલાવાથી તેમણે પગ ઝાલી ઝાલીને તેને સેંકડો વાર ખેંચેલો તેથી તેનો પ્રવાહ પણ જાણે સપ્રવાહ હોય એમ દેખાડતો હતો.” આ બ્રાહ્મણની આ સ્થિતિ જોઈ પોપટ હસવા લાગ્યો, કુમુદ દયાથી રોવા લાગી અને સરસ્વતીચંદ્ર સૂક્ષ્મ વિચારમાં પડ્યો ત્યાં એટલામાં તો અશ્વત્ત્થામાના મેળામાં સ્થાને સ્થાને ગાઢ અંધકાર વ્યાપી ગયો અને તેની વચ્ચે વચ્ચે અનેક હોળીયોના ભડકા જેવાં દ્હેરાં ઉભાં થયાં અને તેના ઉગ્ર પ્રકાશથી આખો મેળો નવા રંગોથી ચળકવા લાગ્યો. દ્હેરે દ્હેરે નવીન રાગ નીકળવા લાગ્યા ને આકાશના તારાઓ પણ સાથે ગાનમાં ભળવા લાગ્યા. તેની સાથે પિતામહપુરના રાફડાઓમાંથી અનેક પ્રકાશની નળીયો ને છાયાઓ ચમકવા લાગી ને સઉની વચ્ચોવચ વરસતા વાદળા ઉપર એવા જ વાદળા પેઠે તરતો તરતો અશ્વત્ત્થામા ઘડીમાં હૃદયવેધક ને ઘડીમાં શાંતિવર્ષક વાંસળી વગાડતો ગાવા લાગ્યો. આ જોતો સાંભળતો વિસ્મિત બની સરસ્વતીચંદ્ર બોલ્યો.

“કુમુદ! બ્રાહ્મણ કવિએ જે વર્ણનબીજ ચૌદસો વર્ષ ઉપર લખેલું તે આજના આ વૃદ્ધ પુરુષમાં વિકાસ પામ્યું છે ! ચિરંજીવી અશ્વત્ત્થામાનું જ આ પણ એક સ્વરૂપ! જે વિષ્ણુએ એને ચિરંજીવી કર્યો તેની કૃતિની એ આમ અનુકૃતિ કરે છે. આર્ય સંસારનું પાલણ પોષણ આ ઘેલો માણસ આ વેશથી કરે છે. તું જો કે આ વસ્તીથી તરવરતા મેળામાંનાં કેટલાં મનુષ્ય એને પૂજે છે, એનો ચેપ લેઈને જાય છે, અને એ ચેપને આપણા લોકના સંસારમાં પ્રસારે છે? આપણા આખા દેશે, ભૂત ભવિષ્ય અને વર્તમાન કાળની આપણી સર્વ પ્રજાએ, એવાં તે શાં પાપ કર્યાં હશે કે જેથી આવા દુષ્ટ રોગીએ વિષમય કરેલા આ પ્રબળ અનિવાર્ય વાતાવરણમાં આપણા આટલા કરોડો આર્યોને જન્મી વસવું પડતું હશે? અને તે શા મેળે ચિરાયુષ્ય મળ્યું હશે? એને આયુષ્ય આપી સર્વ લોકના આયુષ્યમાં ઈશ્વરે શાથી વિષપ્રવાહ રેડ્યો હશે? મને કંઈ સમજણ પડતી નથી. અથવા આ સુંદર દ્‌હેરાં, આ તેજસ્વી છાયાઓ, ને આ ઉંડું ગાન - એ સર્વ તો મનને ભ્રાંત કરી નાંખે છે ! એ નથી સમજાતો ઘેલો ને નથી સમજાતો ડાહ્યો !”

“એ તો તમારા બ્રાહ્મણ ! મલ્લરાજના પ્રિય બ્રાહ્મણ !” પોપટ બોલી ઉઠ્યો. દુઃખી સ્ત્રીપુરુષે તેને ઉત્તર આપ્યો નહી. જોતા જોતામાં એ મેળા ઉપર વાદળા પેટે એક પલંગ તરવા લાગ્યો – તેમાં પાંચાલીની ક્ષીણ શીર્ણ મૂર્તિ મૂર્છાવશ ચતી સુતી હતી ને તેનાં બે નેત્રમાંથી કાન ઉપર થઈને આંસુની ધારા ટપકતી હતી. પલંગની બે પાસે થઈને નીચે વૃષ્ટિ પેઠે આ આંસુ ટપકતાં હતાં અને પેલા મેળાનાં માણસ એ આંસુની ધારાઓના ખારા પાણીને સત્ય – મેઘરાજનું શુદ્ધ જળ જાણીને જ આનંદથી પીતાં હતાં. આ પાઞ્ચાલીના શરીરને પગના નખથી તે છાતી સુધી વસ્ત્રોથી ઢાંકતો અને સુરક્ષિત કરતો એક મહાન વાનર પલંગની એક પાસે બેઠો હતો, ને એના મુખ ઉપર પંખો નાંખતો હતો. પણ એની છાતી બધી ઉઘાડી હતી અને આ વાનર એક પાસના સ્તનને ધાવતો હતો, ને બીજી પાસ પેલો વૃદ્ધ બ્રાહ્મણ નીચેથી આવી બેઠો ને એ પાસના સ્તનને અતિ બળથી ધાવવા લાગ્યો. એના શિર આગળ ઉશીકે ક્ષમા અને ધીરતાની મૂર્તિ કુન્તી બેઠી હતી. આ અતિશ્વેત કેશ વાળી અતિવૃદ્ધ ડોશી આ દુઃખથી વિકલ થઈ માત્ર દુઃખી વધૂનાં કમળપત્ર જેવાં મીંચાયેલાં નયનો ભણી ઘણા યુગથી જોઈ રહી હતી અને એ મીંચાયેલાં નયનોમાંથી ગરતાં આંસુ લોહી લોહીને એના વૃદ્ધ કરચલીયોવાળા હાથ, ઘણો કાળ પાણીમાં રાખ્યાથી થાય તેમ, ધોળા ને પોચા પડી ગયા હતા ને એની વૃદ્ધ છાતીનો પાલવએ આંસુ સુકવતાં સુકવતાં ભીનો થઈ કોહી ગયો હતો. ઘડીમાં એ પેલા કપિનું માથું જરીક આધું ખસેડી ધાવણથી વછોડતી હતી ને તેના સામું કંઈક ઠપકા ભરી આંખે જોઈ ર્‌હેતી હતી તો ઘડીકમાં પેલા વૃદ્ધ બ્રાહ્મણનું માથું આધું ખસેડવાનો મિથ્યા પ્રયત્ન કરતી હતી. કુંતીનો આશ્વાસક હાથ વધૂના શરીર ઉપર ફરતો ત્યાં સુધી પાઞ્ચાલી આંખો મીંચી સ્વસ્થ પડી રહેતી હતી, અને એ હાથ કંઈ કારણથી દૂર થાય ત્યાં તેને પાછો ખેંચી રાખતી હતી ને કંઈક ધીમું ધીમું ઝીણું ઝીણું ન સંભળાય એવું બોલતી બોલતી ઓઠ ફફડાવતી હતી.

કુમુદથી જોઈ ર્‌હેવાયું નહી અને તે સરસ્વતીચન્દ્રનાથી આગળ , આવી પાઞ્ચાલીના પગ આગળ બેસી વાનરને પગે લાગી હાથ જોડી દીન વચન ક્‌હેવા લાગી. “કપિરાજ ! પાઞ્ચાલીમાતાની શરીરસંપત્તિ આ બેવડા ધાવણ આગળ નહીં ટકે ! આ દુષ્ટનું નિવારણ તો અશકય છે પણ આપ તો માતાના ભક્ત છો.”

કપિ- સુન્દર બાળકી ! હું અર્જુનના ધ્વજનો હનુમાન છું ને આટલું ન્હાનું રૂપ ધરી માતાજીની પાસે થોડાક કાળ થયાં આમ બેસું છું. જ્યાં સુધી કુરુક્ષેત્ર આ અશ્વત્થામાની માયાથી અને વરુનાં ટોળાંથી ભરાયલું હતું ત્યાં સુધી હું માત્ર સાગરના તીર ઉપર ફરતો હતો. એ વરુનાં ટોળાંએ માતાનું સર્વસ્વ લુટી લીધું છે ને જે પરમાત્માએ કૌરવોની સભામાં માતાનાં પટકુળ પુર્યાં તે જ પરમાત્માએ માતાનું શરીર અનેક ચિન્તાઓથી ને સાધનથી આમ આવું રક્ષિત રાખ્યું છે અને જેણે જેણે માતાનો પરાભવ કરેલો છે તે સર્વને અનેક સાધનથી ધ્વસ્ત કર્યા છે. એ સર્વનો ધ્વંસ કરવાને માટે હાલ મને આજ્ઞા થઈ છે ને અમ વાનરલોકને જેટલી કળાઓ આવડે છે તે કળાએથી માતાનાં સુખનું પોષણ કરીયે છીયે. પણ આ ફળમૂળ વગરના સ્થાનમાં આટલા ધાવણવિના અન્ય રીતે અમારી પ્રાણયાત્રા થાય એમ નથી ને અમારી પ્રાણયાત્રા થાય નહી તો માતાનું સંરક્ષણ આ લોકમાં અન્ય કોઈ કરનાર નથી માટે જ અમે આટલો સ્વીકાર કરીયે છીયે.

કુમુદ- પણ કાંઈ મર્યાદા રાખો તો ઠીક.

હનુમાન- મર્યાદા તો અમે રાખીયે છીયે. પણ ભીમસેન જેવા વાયુપુત્ર વૃકોદર છે તેમ હું પણ વાયુપુત્ર છું ને મ્હારું હૃદય અર્જુનની પ્રિય પત્નીનું ભક્ત છે; પણ મ્હારો જઠરાગ્નિ મ્હારા ઉદરને વૃકોદર[૧] કરી મુકે છે.

સર૦- ચિરંજીવ ! તમારા દેશના અનેક કપિલેાક પણ આ રીતે જ સ્તન્યપાન કરે છે ને આ દેશનાં બાળક ભુખે મરે છે.

હનુ૦– તે સત્ય છે. પણ જેમ જેમ પાંડવોનો સંચાર આ દેશમાં વધશે તેમ તેમ ગમે તો અમારો વાલીપક્ષ સુગ્રીવને માન્ય કરશે, ગમે તો આ દુષ્ટ આ સ્થાનથી દૂર થશે ને અમારે ને બાકીના આ દેશને માટે માનું ધાવણ બસ થશે, અને ગમે તો સ્વામી-સંયોગથી માનાં આરોગ્ય અને શરીરસંપત્તિ એમને સર્વનાં અક્ષયપાત્ર જેવાં કરી મુકશે.

પોપટ– પણ આ બ્રાહ્મણનું શું કરશો? તમારી બ્રાહ્મણ બુદ્ધિના અર્જુને એને જીવતો મુક્યો !


  1. ૧. વરૂ જેવા પેટવાળો, ઘણું ખાવા જોઈએ તે.

“હું કાંઈ બ્રાહ્મણ નથી. હું તો કપિ જેવો ગમે તો એકે વર્ણનો નથી ને ગમે તો ચારે વર્ણનો છું ને તેના ઉપરાંત મ્‍લેચ્છ વર્ણનો પણ છું. કુરુક્ષેત્રમાં મ્‍હેં કેટલા કેટલા અવતાર લીધા છે તે શું તમે લોક જાણતાં નથી?” અશ્વસ્થામા ગર્જી ઉઠ્યો ને ધાવવાનું છોડી, પોતાનું રાક્ષસી સ્વરૂપ લેઈ, પલંગથી આઘો ભમવા લાગ્યો.

તેની પાછળ હનૂમાને પણ નીચે પ્રોઢ સ્વરૂપ ધરી ફેરા ફરવા માંડ્યા ને મુખે ગાવા માંડ્યું.

“કોણ એ સમાન કામિની દત્ત-ફળીયેલ રામા ?[૧]

“ કુન્તીમાતા ! આટલી ક્ષમા ને ધીરતા રાખી તો થોડી વધારે રાખો. જુવો ! જુવો ! પાંચે ભાઈઓની છાયાઓ દેખાય છે ને ક્ષિતિજમાં રામમૂર્તિ પણ પાઞ્ચાલીમાતાના ભાગ્યને તેનું સૈભાગ્યફળ આપવાં હેરાફેરા કરે છે ! એમનાં પટકુળનો પૂરનાર અર્જુનનો સારથિ જ્યાં સુધી આપણી સર્વની ચિન્તા કરે છે ત્યાં સુધી શોક નિષ્કારણ છે. ”

પાઞ્ચાલીનો સ્વર આવવા લાગ્યો:

હરિ ! હરિ ! ત્યજીને ગયા તમે;
હૃદયની વ્યથા શી પછી શમે ?
હરિ ! હરિસમાં [૨] સર્વે બાળ એ
રજનિમાં હણ્યાં બ્રહ્મરાક્ષસે ! [૩]

કુન્તીનો સ્વર સંભળાયો :

દુખ ન આમ તું ધાર, દીકરી !
હરિ તને ત્યજીને ગયા નથી.
હરિસમાં હણી બાળને, કદી
સુખ થકી સુતો વિપ્ર આ નથી.”

પાઞ્ચાલી-“ પ્રિયતમા તું છે એવું કંઈ કહી

હિમગિરિશિરે મુજને મુકી !
મુકી ગયા પતિ પાંચ એકલી

  1. ૧. નરસિંહ મ્‍હેતાની લખેલી આ કડી છે. અર્થ–શેલડીના છેાલ ઉતારતાં કૃષ્ણને છરી વાગી ને લોહી નીકળ્યું તે વેળા પાંચાલીએ પોતાનુંપ્હેરેલું વસ્ત્ર ફાડી તેના કડકાથી એ લોહી અટકાવ્યું ને તેના બદલામાંશ્રીકૃષ્ણે કૌરવસભામાં અણીની વેળાએ ચીર ઉપર ચીર પુર્યા, આમ જેનીદત્ત વસ્તુને ફળ આવ્યાં હોય તે “દત્તફળીયેલ” કામિની પાન્ચાલીજેવી કોણ છે?
  2. ર. હરિ એટલે સિંહ જેવા.
  3. ૩. અશ્વત્થામા તે બ્રહ્મરાક્ષસ.
શબ સમી, ગયા યુગ કંઈ વહી ! ”

કુન્તી-::"મુકી તને, મુકી સર્વે ભાઈને,

શરીરી, સંચર્યો ધર્મ જો ઉંચે;
કુરુતણે કુળે ધર્મ જે ત્યજે;
જીવી જીવી ઘણું તે અંહી ઝુરે !”

પાગ્‍ચાલી-::“સ્મરણમાં નથી આવતો મને

“કદીય તેમનો કંઈ અધર્મ જે !
ક્રૂર સભા વીશે તેજ સંયમે
સુરસમા જ જે શું અધર્મી તે ?[૧]

કુન્તી–::“દીકરી, ડાહી તું; ધર્મની ગતિ

ભુલી ગઈ કંઈ હઈશ તું રતિ;
કંઈ ભુલ્યા હશે બન્‍ધુ ચાર એ;
ટચલી આંગળી ખોઈ ધર્મીયે. ”

પાо-::“ નથી ખમાતું આ સ્તન્યપાન જે,

વળગી પાસ બે દુષ્ટ આ કરે"
સુત જ હોત જો પાંચ જીવતા,
ધરત મુંજશું આ સમે દયા.”

કુન્તી–::“ દીકરી, ડાહીં તું ! ધર્મની ગતિ,

પુછી શ્રીકૃષ્ણને જાણી લે બધી.
હરિ[૨] વસ્યો ગુડાકેશને[૩] ધ્‍વજે,
નથી જ દુષ્ટ એ, ધર્મ જોઈલે !”

પા૦--::“મુજ સુતો હણ્યા શત્રુ બ્રાહ્મણે,

વળગી પાન એ સ્તન્યનું કરે !

  1. ૧. દુર્યોધનની ક્રૂર સભામાં પાઞ્ચાલીનાં વસ્ત્ર હરણને કાળ ધર્મરાજાનીઅાંખ ઉપરથી તેમની આજ્ઞા સમજી જઈ, બાકીના ચાર ભાઈએાએ ક્રોધવશ રાખ્યો અને પેાતાની પરાક્રમશકિતરૂપ તેજનો સંયમ કર્યો - પોતાનુંસર્વ બળ, યુદ્ધનાં સાધન, અને રાજ્ય સંપત્તિ પોતાના હાથમાં છતાં માત્રધર્મરાજાની ઇચ્છાને વશ રહી, પોતાનું પરાક્રમ બતાવતાં અટક્યા - એવાધર્મીઓને અધર્મી કેમ ક્‌હેવા ?”
  2. ર. કપિ, વાનર,
  3. ૩. અર્જુન.
નથી હું પૂતના, ના જ કૃષ્ણ એ,
ક્યમ જ દુષ્ટ એ જીવને હરે?”

કુо-“ દીકરી, ડાહી તું; ધારની ક્ષમા;

કંઈક કર્મના યોગ એ થયા.
ગતિ પ્રભુ તણી કંઈ કળાય ના;
દ્વિજ જીવે પીતો સ્તન્ય તુજ આ !
ગતિ જ સૂક્ષ્મ એ અંતરાત્મની,
પ્રકટ થાતી જ્યાં પાકતી ઘડી;
સમય પાકતો, ધર્મ પાકતો,
નરહરિ[૧] થતો પાકી ને છતો !
દીકરી, ડાહી તું, ધૈર્ય ધારની !
પ્રભુ સમીપ તે, દૃષ્ટિ નાંખની !
યુગ ગયા, ગયા કલ્પ કોટિ કંઈ
પ્રભુની દૃષ્ટિ તો છે જ જે હતી !”

અશ્વત્ત્થામા ઉત્તરાનો વેશ લેઈ આમના ખાટલા ઉપર બેઠો ને કપિની નિન્દા ગાવા લાગ્યો.

કહું છું રોઈને ઓ પિતામહી!
સ્વજન આ કપિને ગણો નહી.
કપિ અને હરિ મુજ કાંતને
મુકી રણે ગયા, લેઈ પાર્થને;
હૃદયના ઋજુ[૨] પાર્થનો લઈ.
રથ,ગયા કંઈ માયી[૩] બે હરિ !
કપટજાળ તો કૌરવે રચ્યું !
હતું અજાણ્યું શું વિશ્વનાથનું?
કયમ જ નાથને એકલા મુકી,
“સમય સાધીને, એ ગયા સુધી[૪]?

  1. ૧. નરસિંહ, નૃસિંહ, વિષ્ણુ.
  2. ર. ભેાળા.
  3. ૩.માયી એટલે માયાવી, કપટી હરિ શબ્દના બે અર્થ થાય છે, વાનર અને કૃષ્ણ. અભિમન્યુને યુદ્ધ કરવું પડયું તે પ્‍હેલાં હરિ એટલે કૃષ્ણ સારથિ અને હરિ એટલે ધ્વજ ઉપરનો કપિ, એમ બે હરિ અર્જુનના રથને કુરૂક્ષેત્રમાંથી અન્ય કાર્યને માટે લેઈ ગયા.
  4. ૪. સુધી એટલે સુબુદ્ધિવાળા.
જરુર જાણજો, ઓ પિતામહી !
જરુર જાણજો, મ્‍હારી માવડી !
કપટમાં રમે કૃષ્ણ ને કપિ,
સ્તનથી લે કપિ પ્રાણને ચુશી !”

પાઞ્ચાલીએ અાંખ ઉઘાડી, પણ માંહીનાં આંસુને લીધે જોઈ શકી નહી, ને અાંખ પાછી મીંચી. કુન્તી તે જોઈ રહી પાઞ્ચાલીને માથે હાથ ફેરવતી બોલવા લાગી.

દીકરી ડાહી તું ! દુ:ખમાં ડુલી;
કપટ - ઉત્તરા આ ! ન જા ભુલી;
ભગિનીની કુખે દૈત્ય જન્મીયો;
હરિ જ જાગતા ! ફેંકી એ દીધો[૧] !
કુરુકુળે ઉગ્યો શત્રુ ધર્મનો[૨],
ભરી જ લોહીથી પૃથ્વીને શમ્યો !
હત જણી હણ્યો જન્મતાં જ જો,
જીવત પૃથ્વી ને યુગ સત્યનો[૩]
કુરુકુળે ઉગ્યો વૃક્ષ ધર્મનો[૪],
જગતી જીવતી સોંપીને ગયો.
ભગિની-પુત્રને જે હરિ હણે,
હત સુગર્ભને તે જ પ્રાણ દે[૫]!
કુરુસ્થળે ઉગ્યો કૌંચનો જથો[૬] !
જીવી જીવી રચે ધ્વંસ વિશ્વનો !

  1. ૧. અભિમન્યુ પૂર્વ જન્મે અસુર હતો તે પાંડવકુળમાં જીવવો યોગ્ય નહી એમ ગણી એના મૃત્યુનો પ્રસંગ હરિયે આણ્યો ને તદનુસાર મામાએ ભાણેજ મરાવ્યો - સગપણ કરતાં ધર્મ વધારે ગણ્યો.
  2. ર. દુર્યોધન
  3. ૩. દુર્યોધનને જન્મકાળે વ્યાસ મુનિયે ધૄતરાષ્ટ્રને અને ગાંધારીને સૂચવ્યું હતું કે આ પુત્ર અધર્મ વર્તાવશે અને તમારા સર્વ પુત્રના અને લોકના સંહારનું મૂળ થશે માટે એનો અત્યારથી જ ઘાત કરો, પુત્ર-વાસનાવાળાં માતાપિતાથી અા રાજધર્મ ન પળાયેા અને વ્યાસની વાણી ફળી.
  4. ૪. ધર્મરાજા યુધિષ્ઠિર.
  5. પ. જે કૄષ્ણે પાંડવોના મંદિરમાંથી અધર્મરૂપ અભિમન્યુને મરાવ્યો તે જ કૃષ્ણે એની સ્ત્રીના પરીક્ષિતરૂપ ગર્ભને અશ્વત્ત્થામાએ મારેલો સજીવ કર્યો. એ બે કાર્ય ધર્મને માટે કરનાર શ્રીકૃષ્ણ એકજ હતા.
  6. ૬.અશ્વત્ત્થામારૂપ કૌંચ–કવચ.
કુરુસ્થળે ઉગ્યા વૃક્ષ ધર્મનો,[૧]
નમી નમી બધા વિશ્વમાં ખીલ્યા !
કુરુકુળે મુવો શત્રુ ધર્મનો[૨],
જીવી જીવી ધરે ધર્મ પ્રેતનો !
પવનરૂપ એ સંચરે બધે !
ડર ન, દીકરી ! ધ્વસ્ત એ થશે !
કુરૂકુળે ઉગ્યા દેવવૃક્ષ[૩] જે,
નમી નમી બધા યુગમાં ખીલે !
બળથી ઝાપટે વાયુ તેમને !
અમર વૃક્ષ એ ઝાપટ્યા વધે !
ભરતવર્ષની માત ! ધર્મની
દિવિજ દેવી તું ! પૂજ્ય[૪] દીકરી !
નયનપદ્મને કંઈ ઉઘાડને !
પવન વાય આ સ્પર્શી પાર્થને !
ઉઠ તું, દીકરી ! જે, કિરીટીનો[૫]
રથ ક્ષિતિજમાં દૂર ઓ ઉભો !
ફરફરે કપિ-હસ્તમાં ધ્વજ !
સુભટ સારથિ ઓ ઉભા અજ[૬]!”

આ સ્વર બંધ પડ્યા ત્યાં નીચેથી હનુમાનનો સ્વર સંભળાયો.

મ્હારે એક શ્રદ્ધા છે રામની સાચી !
જેણે પાળ જગમાં છે ધર્મની બાંધી.
પ્રભુ એક; જુદાં ધરે બહુ નામ,
મ્હારે, સર્વનામમાં એક જ કામ.
વહ્યો હું સ્કન્ધે લઈ રામસીતા;
વહી સ્કન્ધે પાળના શૈલની શિલા.
વહી સ્કન્ધે કિરીટીની મ્હેં પતાકા; .
ચીસો પાડી સુભટ કુરુના ઢાળ્યા.
હૃષીકેશ[૭] રણમાં વહે રથ જયારે,

  1. ૧. પાંડવરૂપ.
  2. ર. દુર્યોધન.
  3. ૩. પાંડવો
  4. ૪. સ્વર્ગમાં ઉત્પન્ન થયલી તે દિવિજ; ધર્મરાજાની દેવી - તે પટરાણી
  5. પ. કિરીટી = અર્જુન.
  6. ૬. ન જન્મેલા; કૃષ્ણ:
  7. ૭ શ્રી કૃષ્ણ.
હુનૂમાન હરિકેતન[૧] ધ્વજ ધારે!
ફરે ચક્રો કાળનાં ગોળ ગતિમાં,
આવ્યો કાળ એ નો એ આ ધરતીમાં.
આવ્યા રામ દ્વિજ અદૃશ્ય- શરીરી,
પ્રદક્ષિણ કરતા રથ લઈ કિરીટી[૨] !
આપે મને સારથિપણું પ્રભુ એનું;
રણક્ષેત્ર ચોમગ દીસતું મચેલું !
કુરુક્ષેત્ર એ રણમધ્ય રહે છે,
ચારે પાસ અર્જુનનો રથ વહે છે.
મહારથિ બહુ બહુ, યુદ્ધે, ધસે છે,
કુરુક્ષેત્ર ચક્રનો અક્ષ[૩] બને છે.
કપિ, રીંછ, ને અન્ય કંઈ કંઈ પ્રાણી.
કુદે કપિકેતનનો રથ તાણી.
સોંપી મને તેવે સમે પટરાણી,
કુરુવીર ખેડે સમુદ્રનું પાણી.
રોતાં જોયાં સીતા અશોકની નીચે,
પાંઞ્ચાલીનો રાખું પલંગ હું ઉંચે.
ધરતી પર યુદ્ધો મચે આજ જ્યારે,
દેવીને સ્પર્શે નહી બાણ ત્યારે.
એને ઉરે દુ:ખ પુરાણ જ દીસે,
ખેચું વાયુરથની લગામો હું રીસે.
ખેંચી પાંચે બન્ધુઓને હવે આણું,
ઝાલ્યું મ્હેં કો કાર્ય મુક્યું નથી જાણ્યું !”

આ ભક્ત ચિરંજીવનો સ્વર સાંભળી પાંઞ્ચાલીના પલંગ આગળથી સર્વ નીચે ઉતર્યાં તો પાંઞ્ચાલીના પલંગથી છેક પૃથ્વી સુધી લાંબા લાંબા તારની જાળી ગુંથવામાં રોકાયલી હનુમાનની મ્હોટી જીવતી મૂર્તિ દેખાઈ.એ જાળીના કેટલાક તાર ઠેઠ સમુદ્રની પેલી પાર સુધી આ પલંગને સાંધી દેતા હતા અને તેના ઉપર મ્હોટાં મ્હોટાં વ્હાણો, આગબોટો અને વીજળીના ચમકારા ચાલતા હતા અને આવજા કરતા હતા. કેટલાક તાર ઉપર સોના, રૂપા, અને મણિમુક્તાના મૂલ્યવાન ભંડાર સરતા હતા તો કેટલાક


  1. ૧. સિંહની નીશાનીવાળો ધ્વજ
  2. ર.અર્જુન.
  3. ૩.ચક્રનો વચલો ભાગ.
ઉપર રુ, કાપડ, સુતર, અને વીલાયતી દેશી માલની અનેક જાતો બે

પાસ ખેંચાતી હતી. કેટલીક વાર તો ચારે પાસ સમુદ્રના તીર ઉપર ને બંદર પર અનેક રચનાઓથી આ તાર ઝુલતા હતા ને અગ્ન્યસ્ત્રના ચમત્કારોથી દીવાળીની ફુલકણીઓ પેઠે અથવા અગ્નિખેલ–આતસબાજી–નાં ઝાડો પેઠે દૃષ્ટિમર્યાદામાં પ્રકાશ પણ રૂપ, રંગ ને આકાર પામતો હતો અને અનેક શક્તિયો, વૈભવ, અને ચિત્ર ભરતો હતો. આ સાગરતીરની વચ્ચેના પ્રદેશમાં ખુણે ખુણે મ્હોટી મ્હોટી અગ્નિરથ-આગગાડી–ની હારકટારો, કીડીયોની હારો પેઠે, ઉભરાતી હતી, દેશ અને કાળનાં અંતર દૂર કરતી હતી અને મનુષ્યોને, માલને, અને બુદ્ધિઓને પણ પ્રવાસ કરાવતી હતી, ફેંકી દેતી હતી, ફેરવતી હતી, તીવ્ર કરતી હતી ને તેમનાં મૂલ્ય વધારતી હતી. ચારે પાસ પર્વત ઉપર ને સમુદ્રોમાંના દ્વીપ ઉપર, મેદાનમાં ને ખીણોમાં, અરણ્યોમાં ને નગરોમાં, નગરોમાં ને ગામડાંઓમાં, આંગળે વ્હેડે ગણાય એટલા દેખાતા પણ સંખ્યાગર્ભ વાનર માળીયો અનેક જાતની મ્હોટી વાડીયો રચતા હતા અને તેમાં અનેક પુષ્પો, ફળો, અને વૃક્ષો ગોઠવતા હતા તેનું ચિત્ર પાંઞ્ચાલીના પલંગની અને ભૂમિના મધ્યભાગે, કાચ જેવા થયલા વાતાવરણમાં, પ્રતિબિમ્બિત થતું હતું. સંસ્કૃત અને ઇંગ્રેજી વિદ્યાઓના સુવાસ ચારે પાસથી પવન ખેંચી આણતો અને છેક પાંચાલીના પલંગ સુધી લઈ જતો હતો. વેદના અર્થ અને ઐતિહાસિક તારતમ્યનો ઉદ્ધાર કપિલોકને હાથે થઈ પશ્ચિમ પવનની લહરીઓમાં તરતો તરતો પવિત્ર વારાણસીના વિદ્વાનોના કાનમાં આવવા લાગ્યો હતો. શાસ્ત્રોના બોધ વારાણસીઆદિ સ્થાનોમાંથી કપિલોકના દેશ ભણી એ જ પવન લેઈ જતો હતો. ઠેકાણે ઠેકાણે રાજકીય વિષયોમાં કસરત કરવાનાં તાલમખાનાંના તંબુઓ અને અખાડા ઉઘાડી હવામાં જમાવવામાં આવ્યા હતા. કેટલેક સ્થાને વસુન્ધરા પૃથ્વીના અંતર્ભાગ ઉઘાડી તેમાંની મૂલ્યવતી ધાતુઓનાં પ્રદર્શન સર્વને દૃષ્ટિગોચર કરવાનાં સ્થાનક રાખવામાં આવતાં હતાં. આ તારોમાં, વાડીઓમાં, સુગંધી પવનના પ્રવાહોમાં, સમુદ્રોમાં, તંબુઓમાં, અખાડાઓમાં, અને પૃથ્વીના અંતર્ભાગમાં, આ વિસ્તીર્ણ દેશની અનેક રંગી ઘાડી મ્હોટી વસ્તી કપિલોકના આકર્ષણથી ખેંચાતી હતી, પોષણ પામતી હતી, કળાઓ શીખતી હતી, દ્રવ્ય ઉત્પન્ન કરવાના માર્ગ જાણી લેતી હતી, રાજ્યવ્યવસ્થાને પામતી હતી, એકાકાર સર્વ સામાન્ય જનસમુદાય રૂ૫ મહાસાગરનું રૂપ પામતી હતી, અને પવન અને ગુરુત્વાકર્ષણને બળે સમુદ્રના તરંગો જેવા પછાડા મારતી હતી. અશ્વત્ત્થામાના `-મેળાને સ્થાને આ ભવ્ય ચિત્ર કુરુક્ષેત્રના છેડાથી છેડા સુધી ખડું થયું, અને પાઞ્ચાલી ચતી સુતી હતી તેના ઉપલા ભાગના આકાશમાં આ ચિત્રનું પ્રતિબિમ્બ વાદળા પેઠે તરવા લાગ્યું અને ચતી સુતેલીની આંખોમાં પેસવા લાગ્યું. એ વાદળું મ્હોટું થવા લાગ્યું ને છેક હિમાલયના શિખર ઉપર સુન્દર આરસા જેવા બરફના ખડકોમાં ને થાંભલાઓમાં, કોઈ રમણીય ભવ્ય ચિત્રના પ્રતિબિમ્બ પેઠે, વ્યાપવા લાગ્યું.

આ સર્વ ચિત્રની વચ્ચોવચ ને છેડાઓ ઉપર અનેક ચતુર કપિલોક દોડતા દેખાતા હતા. માત્ર એકલો હનુમાન એ સર્વના મધ્યબિંદુમાં પાંચાલીના પલંગ નીચે, ઘડીમાં આ સર્વ નાટકના સૂત્રધાર પેઠે - કવિ પેઠે, ઘડીમાં યોગસ્થ યોગી પેઠે, ઘડીક સામાન્ય શ્રમજીવી - મજુર – પેઠે, ઘડીમાં કોઈ સેનાના સેનાપતિ પેઠે, આ સર્વ ચમત્કારોથી ભરેલા વાતાવરણને વીજળીથી ભરતો હતો, અને એ વાતાવરણમાંના મેઘને ઘસડતો ગર્જાવતો વર્ષાવતો હતો.

સરસ્વતીચંદ્ર અને કુમુદ આ સુન્દર ચિત્ર જોઈ આશ્ચર્યથી સ્તબ્ધ થયાં, આનંદમાં લીન થયાં, અને અશ્વત્ત્થામાનું દુ:ખ ભુલી ગયાં. હનૂમાને ઉત્સાહમાં આવી કહ્યું.

“માનવીઓ ! હું શ્રીરામની આજ્ઞાથી આ સર્વ સૃષ્ટિને રચું છું. રામાવતારમાં અમારા લોકે સમુદ્ર ઉપર પાળ બાંધી હતી. આ યુગમાં આખી પૃથ્વી ઉપર અર્જુનના રથને ફરવાને આ તાર ને સડકો અમે બાંધીએ છીયે ને સર્વ સૃષ્ટિને સાંધી લેઈએ છીયે. આ દેશની પાંચાલીની પ્રસન્નતાને માટે અને એની પ્રાચીન સંસ્કારિણી મહાપ્રજાના કલ્યાણને માટે આ મહાયજ્ઞ કપિલોક સાધે છે તેને હું હોતા છું !”

આ વચન સાંભળી પોપટ બોલી ઉઠ્યો:

“કપિરાજ ! તમે આ સુન્દર ચિત્ર બતાવ્યું પણ તે કેવી ભિત્તિ ઉપર ક્‌હાડેલું છે તે દર્શાવ્યું નથી. અહો ચિરંજીવ ! सैवेयं तव चित्रकर्मरचना मित्तिं विना वर्तते.[૧] તમારા કપિલેાક આ દેશનું શું કલ્યાણ કરે છે જે ? તમે ચિરંજીવ છો પણ નિત્ય નથી; ઉદય-અસ્તના કાળયાત્રાના ચીલા બ્હાર નથી. એવો કાળ આવશે કે પેલા પ્હાડ પાછળના રીંછલોક સાથે તમે લ્હડી મરશો ને તેને પ્હોચી નહીં વળો તો અમારું પોતાનું રક્ષણ કરવાની અને તમને સહાય થવાની અમારી શકિત તમે જાતે નષ્ટ


  1. ૧. મુદ્રા રાક્ષસ-“આ ત્હારી ચિત્રકર્મરચના ભીંત વગરની - ભોંય વગરની - છેઃ” ચિત્ર છે પણ માત્ર પવનમાં ક્‌હાડેલું છે.
કરી છે. તમારી શક્તિની મર્યાદા આવશે ત્યારે અમારી પાસે તમને અખુટ

સહાયતા આપવાની શક્તિ તમે નષ્ટ કરી છે એટલે તમે સહાય વિના કેટલા શત્રુને પ્હોચી વળશો ? તમારા ચિત્રને ભિત્તિ નથી ને તમારા પુરેલા રંગ પાણીમાં ને પવનમાં ઢોળાય છે !”

હનૂમાને ઉત્તર ન દીધો પણ પશ્ચિમમાંના આઘેના અંધકારમાંથી કઠોર તીવ્ર સ્વર સંભળાયો.

“અમે અમર છીયે. અમે અમારું રક્ષણ કરવા ને તમને વશ રાખવા સમર્થ છીયે ! સર્વ મહાસાગરોમાં તરંગે તરંગે ને ખડકે ખડકે કપિલોક ગર્જે છે ને અર્જુનનો રથ તાણે છે - એ અર્જુન કપિલોકથી છે, કપિલોક અર્જુનથી નથી. તમારા જેવાં તો ઘણાંક પક્ષિનાં ટોળાં અમે ચગદી નાંખ્યાં છે ! ”

પેાપટ– હનૂમાનજી, સાંભળો.

હનૂ૦– જે અશ્વત્ત્થામા તમારે ત્યાં છે તેના જેવો કપિ દુર્યોધન અમારે ત્યાં છે તેની આ મિથ્યા ગર્જના છે.

પેાપટ૦– મિથ્યા છે, પણ અમારા કાનમાં વાગે છે, અમારાં કાળજાં ને કુદાવે છે, ને અમારાં લોહીને ઉકાળે છે. એના વેગથી – જુવો- આ મ્હારાં પીછાં ખરી પડે છે!

હનૂ૦– વિષનું ઔષધ વિષ. તમને આનો ઉત્તર દેવા સ્વતંત્રતા છે !

પોપટ૦– સાંભળ રે દુર્યોધન ! શાને માટે અહંકાર કરે છે ? જે અર્જુન ત્હારા દેશને અમારે માથે ચ્હડાવે છે તે અમારા દેશમાં આવશે.

અદૃષ્ટ દુર્યોધન– અમારા બાહુબળમાં અમારો યોગ્ય અહંકાર છે. પાંડવો જગતનું કલ્યાણ કરશે પણ રાજ્ય તો દુર્યોધન જ કરશે - ને - અર્જુનના બળથી આશા ધરનાર માનવીઓ ! તમારાં શરીરમાં સત્ત્વ નથી, તમારા હાથમાં અસ્ત્ર કે શસ્ત્ર કાંઈ નથી, તમારા ઘરમાં દ્રવ્ય નથી, સંસારનું ઋત[૧] એવું છે કે વનસ્પતિ પ્રાણીના પેટમાં જાય, ક્ષુદ્ર પ્રાણીયો વીર્યવાળાં સત્ત્વોના જઠરાગ્નિમાં જાય, અને વીર્યહીન પ્રજાઓ વીર્યવતી પ્રજાઓનું દાસત્વ કરી ધીમે ધીમે કાળને વશ થાય.

પોપટ૦- તેનો ન્યાય કરનાર તમને થોડી પળમાં દૃષ્ટ થશે. પણ તમે કંઈ ન્યાયને માનો છો કે નહી?

અ૦ દુ૦- ન્યાય એ પાંડવવાદીનો દમ્ભ છે ! તમારું સર્વસ્વ અમે નહી લીધું હોય તે લઈશું ને અમે નહીં લઈએ તે બીજું કોઈ લેશે.


  1. ૧. પૃષ્ઠ ૪૫૬ વગેરે.
પોપટ૦– હાસ્તો, દુર્યોધન ! સરત રાખજે કે તું કુરુક્ષેત્રમાં ઉભો

ઉભો ઉચ્ચાર કરે છે – ને પાઞ્ચાલીનો બીજી વાર પરાભવ થાય છે.

અ૦દુ૦– એ તો કેટલી વાર થયો ને થશે ! તું જોતો નથી કે અમારામાંનો અશ્વત્ત્થામા હજી તમારે ત્યાં જ ચિરંજીવ છે? તમારા તો નથી પાંડવ ને નથી કૌરવ ! એ તો અમારો શેતાન ને ઝરથેાસ્તનો આંગ્રમન્યુ ! એનાથી અમે જીત્યા ને જીતીશું ! તમે તો કુરુક્ષેત્રની માટી છો ને કૌરવપાંડવોના યુદ્ધકાળે તેમના પગ નીચે કણકપેઠે મસળાવા યોગ્ય છો. પાંડવો અમારે વશ છે ને તમારી તેમને પરવા નથી !

હનૂ૦– દુર્યોધન ! હું તને કહું છું કે કુરુક્ષેત્રની માટી મસળવાની વેળા આવશે તો તેમાં પ્રથમ લોહી આપણા લોકનું, પાણીની પેઠે, રેડાશે. પણ આ બ્રાહ્મયુગમાં આ બ્રાહ્મણોનો દેશ તો આ ક્ષેત્રમાં પડેલાં ટીટોડીનાં[૧] બચ્ચાં પેઠે જીવશે!

“Let, the sword of the world be brandished as it may,
“It cannot cut one vein without the permission of God.”[૨]

પોપટ૦– આ તમારા દુર્યોધનમાં ને વાલીમાં શો ફેર છે ?

હનુમાન- દુર્યોધનમાં અહંકાર, મમતા, અને પશુદર્પ ત્રણ અવગુણ છે. વાલીમાં અહંતા અને મમતા બે છે. કર્ણમાં મમતા નથી પણ અહંકાર છે. પાંડવોમાં તેમનું કાંઈ નથી.

અ૦દુ૦– આ સંસારમાં એકનું જઈને જ બીજાને આવે છે, અને ઘેાડાઓની સરત પેઠે એક લક્ષ્ય શોધવા અનેક ઘેાડાઓ દોડે છે - એ


  1. ૧. મરાઠા અને મુસલમાનો વચ્ચે પાણીપતનું યુ્દ્ધ થયું ત્યારે એ સ્થાનમાં એક ટીટોડીએ મેદાનની વચ્ચ્ચોવચ માળો બાંધી બચ્ચાં મુકયાં હતાં. આ જગાએ રણજંગ ખરેખરે મચ્યો હતો તે વખતે એ, ટીટોડી ને તેનો નર, બે પક્ષીનું જોડું, સર્વ યોદ્ધાએાના માથા ઉપર આ સ્થાને ભમ્યાં કરતું હતું. તેમણે પૃથ્વીપર બાંધેલા માળા ઉપર ઈશ્વરેચ્છાથી યુદ્ધમાંના એક હાથીનો ઘંટ છુટી પડ્યો હતો અને તે ઘંટને તળીએ અને વચલા ભાગમાં આ માળો અને બચ્ચાં ઢંકાઈ ગયાં હતાં ને ઘંટના છત્રને લીધે યોદ્ધાએાના અને તેમનાં વાહનોનાં પગલાં તળે છુંદાઈ જવામાંથી બચ્યાં. છેક યુદ્ધ થઈ રહ્યું ત્યારે કોઈએ ઘંટ લેઈ લીધો ને તે ઉપર ભમતાં રંક નરમાદા પોતાનાં બચ્ચાં પાસે જઈને બેઠાં. આવી કથા છે.
  2. ૧ Leyden.

ઘોડાઓમાં અહંતા ન હોય તો આ સરત બંધ પડે અને સર્વની પ્રવૃત્તિ અને તેની સાથે જીવનવૃત્તિ બંધ પડે. મમતા એ પ્રીતિનું મૂળ છે, ઉદ્યોગની ને આગ્રહની પોષક છે, શક્તિ અને ફળના પરસ્પર પ્રમાણની રક્ષક છે, અને એ રક્ષણથી ને પોષણથી જ અહંતા સફળ થાય છે. પશુદર્પહુંકાર એ યજ્ઞમાં સોમપાન છે, એ રણમાં શંખનાદ છે, ને એ સંસારનું સત્ત્વ છે. હનૂમાને કરેલા એ સર્વના ત્યાગથી આવા નિર્માલ્ય પોપટો પણ આપણા શરીરમાં ચાંચો મારવા શીખશે.

હનૂમાન – અહંતા, મમતા, અને દર્પના બળના પક્ષવાદી ! જે અંધકાર સરોવરમાં ભરાઈ પેસી તું આ કઠોર વાક્યોથી સાધુજનોને મર્મપ્રહાર કરે છે તે તું ત્હારા સરેવરમાંથી બહાર આવી પ્રકટ થા; અને આપણા દેશમાં કે આ કુરુક્ષેત્રમાં પ્રકટ થઈ પછી આ દુષ્ટ ઉચ્ચાર તું કરે નહી ત્યાં સુધી અમે ત્હારી ઉપેક્ષા જ કરીશું. ત્હારી તારા ત્હારા દેશમાં વાલી કે સુગ્રીવ બેમાંથી જે વિજયી નીકળે છે તેને વરે છે ત્યારે કુરુક્ષેત્રની પાઞ્ચાલી ધર્મને ને તેનાં બન્ધુઓને જ અમર સૌભાગ્યથી વરેલી છે ! એ ભાઈઓએ અને પરમાત્માની ઇચ્છાએ એને સર્વ કાળમાં બચાવી છેને તેને હજી બચાવશે. મ્હારા ત્હારા જેવા અનેક ચિરંજીવીયોનાં આયુષ્ય મળી આના આયુષ્યથી ટુંકાં થાય છે તે ગણીજો. ઈજીપ્ટ, ગ્રીસ, રોમ, બાબીલોન, બાઈઝેણ્ટાઈન, સર્વ આગીયા કીડાઓ પેઠે ન્હાની મ્હોટી રાત્રિમાં પ્રકાશ પામી અસ્ત થઈ ગયાં છે ને આજના યુરોપને પણ બહુ કાળ થયો નથી – જેણે તેણે ચારસો પાંચસો વર્ષના પલકારા સુધી અાંખો . ઉઘાડી રાખી છે ત્યારે આ ઉપરની પાઞ્ચાલી આ સર્વના પ્હેલાં જન્મેલી - તે હજી સુધી આયુષ્યમતી છે, એવા દીર્ધતમ આયુષ્યમાં ઈશ્વરનો કંઈક ગૂઢ મહાન્ મર્મ જ ર્‌હેલો હોય છે.

આકાશમાં બીજો સ્વર થયો – કુન્તી ઉપરથી બોલતી હતી.

"એ જ સત્ય છે - દુર્યોધન ! એ જ સત્ય છે. તું મને ઘેલી ગણ તો હોય તે ત્હારી માતાને પુછજે – કે જેણે તને માત્ર यतो धर्मास्ततो जयः એટલા જ શબ્દથી આશીર્વાદ આપ્યો હતો. મને ઘેલી ગણી: મ્હારા શબ્દ સાંભળ્યા ન સાંભળ્યા ન કરીશ.

"Lay not that flattering unction to thy soul,
“That not thy trespass, but my mádness speaks. [૧]

“ Know that even in thy country the truth-seers of


  1. ૧. Shakespeare
history and social evolution have realised that the

best guarantee for political prosperity in a nation is the growth of the sense of Duty [૧]among its individuals ; and, long before that sense was born in thy country, it was fully recognised in this country with successful yearning by my lord and husband that high Duty was to be the eldest and ruling one among the five Sovereign Spirits whom he had brought down from Heaven to succeed to his glorious inheritance. Nay, the very mother of those who then represented thy party could only venture to bless this Duty - this Dharma – with success, and could not put in a single word to bless thee and thy numerous crew in that terrible conflict which , then shook the earth and has so often been repeated, in this battle-field with a singularly uniform result, Short-sighted flash of the National Ego ! In vain dost thou believe that India is doomed to destruction. Thou art bound and destined, in spite of thy deep-drawn grunt, to take India up the heights of Progress until you can both co-operate in furtherance of the common weal of the still waster world.”

“ પુત્રી પાઞ્ચાલી ! આ દુષ્ટનાં કઠોર વચનનું ગ્રહણ કરજે પણ ગભરાઈશ નહી ! એવાં વચનથી તું સચેત થજે – એ તો માતલિ દુષ્યન્તના મિત્રને પકડી સંતાઈને બોલતો હોય એમ જ સમજજે ને સચેત થજે ! પુત્રી ત્હારી પ્રજા અનાથ નથી ! એ દુર્યોધનની નીતિ સર્પરૂપ હશે તે તારી પાસે પુષ્પમાલા થઈ જશે ! "

કુમુદ૦- કુન્તીમાતા, ઈંગ્રેજી બોલે છે તે નવાઈ જેવું નથી ?

સર૦- સિદ્ધનગરમાં સર્વ ભાષાઓ સર્વેને સાધ્ય થાય છે.

પાઞ્ચલી- માતાજી ! હું આર્યપુત્રોની છાયાઓને સામે હિમાચલના હિમરાશિ ઉપર દેખું છું.


  1. ૧. પ્રકરણ ૩૪ ની છેલી ઈંગ્રેજી footnote.

કુન્તી- હા. પશ્ચિમ સાગર ઉપર તેઓ ફરે છે ને હનૂમાને ત્હારા પલંગ નીચે ગોઠવેલા યન્ત્રને બળે ક્રૌઞ્ચરન્ધ્ર ઉપર તેમની છાયાઓ પડે છે. બહુ રમ્ય મૂર્ત્તિઓ તેમની દેખાય છે.

પાઞ્ચાલી– ઓ મ્હારા કનિષ્ટ પ્રાજ્ઞ સ્વામી સહદેવ ! તમે ક્યારે આણી પાસ આવશો ?

સહદેવની છાયા છેટે બોલી હોય ને તેનો પ્રતિધ્વનિ થયો હોય તેમ સંભળાયું.

“પાઞ્ચાલી ! થોડા કાળમાં આપણો યોગ નિર્મેલો છે. જે શકુનિ મ્હારી ગોસંખ્યતામાં ભુલો પડાવે છે તેનો પ્રતીકાર કરવા હનૂમાને આ દેશમાં આ મ્હારી પ્રતિમા પાડી છે ને એ પ્રતિમામાં જીવ મુકવાની શક્તિ પ્રથમ ભગવાન્ ભૃગુપતિની છે, ને પછી હનુમાનની છે, તું જુવે છે કે ત્હારા રાજભંડારના આય-વ્યયના ચિત્રની વચ્ચોવચ મ્હારી છાયા પડી છે – ને હનૂમાન મને પોતાના કપિલોકનાં “બજેટ” સાથે પ્રકટ કરે છે ને ત્હારી પ્રજા એ છાયા આગળ રમત રમતાં શીખે છે. પણ જયાં સુધી મ્હોટા ભાઈઓ ત્હારી પાસે આવી શકતા નથી ત્યાં સુધી મ્હારી ગતિ અશક્ય છે. બાકી આટલા આટલા મ્લેચ્છો ઉત્તરમાંથી આ દેશમાં આવી ગયા તેમાંથી કીયા નરે ત્હારી પ્રજા પાસે આ નાટકનો પડદો ઉંચો કર્યો છે ? દેશી કે પરદેશી કીયા રાજાએ પોતાના રાજભંડારમાંના રથનાં ચક્રને, કે અશ્વને, કે સારથિને ત્હારી પ્રજાનો હાથ અડકવા સરખો દીધો છે? આજ સુધી આ ધર્મવિષયમાં જે ધર્મ ચલવવા કોઈ રાજાની આ ભૂમિમાં છાતી ચાલી નથી તે ચલવવા હનૂમાને કપિલોકને આટલે સુધી પ્રેર્યા છે તે એવો કાળ આવશે કે મ્હોટા ભાઈઓ અંહી આવશે તેની પાછળ હું પણ મ્હારે ક્રમે આવીશ ને મ્હારાં અનેક રૂપની છાયાઓ તને સ્પર્શવા લાગી છે, તેને સ્થાને આ શરીરે ત્હારા મન્દિરમાં યથાધર્મ વાસ કરીશ અને આપણી સ્થૂલ સૂક્ષ્મ પ્રીતિનાં ફળ આપણે ભોગવીશું ! પાઞ્ચાલી ! લાંબો વિયોગ વેઠ્યો છે પણ કુન્તીમાતાના આશ્રયથી તું તે વેઠી શકી છે. તો થોડી વધારે વેળા ધૈર્ય રાખ અને ત્હારા પ્રાજ્ઞ પતિ ન્હાના સહદેવનું ગણિત ત્હારા હૃદયમાં આશા પૂરો કે-

[૧]"शापान्तो नौ भुजगशयनादुत्थिते शार्ङ्गपाणौ । '
शेषान्मासान् गमय चतुरो लोचने मीलयित्वा ॥

  1. ૧. મેઘદૂત. “આપણે વિયોગ જે શાપથી થયેલો છે તેનો અવધિ નારાપણ શેષશાયી શેષ ઉપરથી જાગે ત્યાં સુધી છે. એ અવધિ ચારમાસપછી સમાપ્ત છે - તે બાકી રહેલો કાળ આંખો મીચીને ગાળી નાંખ !"

આ વાક્ય પુરું થયું કે એ છાયા એક પાસે ખસી ગઈ ને સટે રૂપવાન સુન્દર નકુલની છાયા, પાઞ્ચાલીના પલંગ ઉપર આવી, એના હૃદય ઉપર પ્રસરવા લાગી ને એના કાનમાં પ્રથમ ગાવા ને પછી બોલવા લાગી.

[૧]पश्चादावां विरहगुणितं तं तमात्माभिलाषम् ।
निर्वेक्ष्यावः परिणतशरच्चन्द्रिकासु क्षपासु ॥

“મ્હારા મન્દિરમાં ત્હારા વાસને કાળે આપણે કેવી કેવી કળાઓથી રમતાં ! એ કાળ ફરી આવશે ! બુદ્ધાવતાર પછીના કાળમાં આપણે આ દેશમાં કેટલો કાળ વિહાર કરેલો છે અને આજ સુધી એ વિહારનાં કેટલાં કેટલાં સ્થાન આ દેશમાં હજી મનુષ્યોને આશ્રર્યમાં નાંખે છે ? મુસલ્માનોના કાળમાં પણ આપણે છેક વિયોગી રહેલાં નથી, ને આ યુગમાં તો ત્હારા પલંગ નીચે આપણા યોગને માટે કેટલી કેટલી રચનાઓ અને સામગ્રીઓ કરી મુકી છે તે તું નીચે ઉતરે ત્યારે જોજે. અરે ! હું ત્હારી પાસે તરત આવું ને કંઈ કંઈ અભિલાષ રચું ને પૂર્ણ કરું ! પણ શું કરું ? મ્હોટા ભાઈઓ આવે ત્યાં સુધી તો મ્હારા ચરણ ચાલે એમ નથી એટલું જ નથી પણ મ્હારાં સહોદર ન્હાનાં સહદેવને પુછ્યા વિના, એને મુકીને, કે એનું કલ્યાણ થતા સુધી, હું એકલો ત્હારી પાસે આવી શકું એમ નથી ! હાલ તો તું મ્હારી છાયાથી જ સંતોષ પામજે ને આપણા શુંગારગૃહને માટે હનૂમાન જે જે ચિન્તાઓ કરે છે તેનું અનુમોદન કરજે ! ત્હારું સ્તન્યપાન કરવા એ આવે ત્યારે અકળાઈશ નહીં, પણ સહદેવના આગમ માટે શી શી રચનાઓ કરવી તે ધીમે ધીમે હનૂમાનના કાનમાં સૂચવજે ! બાળક સહદેવના કલ્યાણ પછી જ મહારું કલ્યાણ સંભવશે. પાઞ્ચાલી ! મ્હારી પ્રીતિનો વિશ્વાસ છોડીશ નહી – હું બધા અસ્તાચલ ઉપર રાત્રિ દિવસ ફર્યા કરું છું પણ કુરુક્ષેત્ર ભણીથી હિમાલયનો પવન આ છે તે વેળા–

[૨]”आलिङ्‌ग्यन्ते गुणवति मया ते तुषाराद्रिवाताः ।
पूर्व स्पृष्टं किल यदि भवेदङ्गमेभिस्तवेति ॥

  1. ૧. મેઘદૂતઃ “આ કાળ વીતશે તે પછી, વિરહથી ગુણિત થયલા - ગુણાકાર પામેલા – પેલા કંઈ કંઈ આપણા અભિલાષો છે તે સર્વ અભિલાષોને શરદની પૂર્ણિમાની પરિણામ પામેલી ચંદ્રિકામાં આપણે સિદ્ધ કરી -દમ્પતી રૂપ-ભેાગવીશું!”
  2. ર. મેઘદૂતઃ “એ ગુણવતી પ્રિયા ! હિમાલયમાંથી આવતા પવન પ્રથમ ત્હારા અંગનો સ્પર્શ કરીને આવ્યા હશે એવુંજાણી છું તમને આલિંગન દેઉં છું.

નકુલનો સ્વર બન્ધ પડ્યો, ને છાયા આગળ ચાલી. તેની સાથે પવનના ઝપાટા આવવા લાગ્યા ને વારણાવતીમાંના લાક્ષાગૃહમાંથી ચાર ભાઈઓને અને પાંચમી કુન્તીને ખભે લઈ ભીમસેન પ્રાચીન કાળમાં દોડ્યો હતો ત્યારે જંઘાના વેગથી વાયુ જાતે ઝપટાતો તેવું ચારે પાસ અત્યારે થતું હોય તેમ લાગ્યું અને પાઞ્ચાલીનું ચિત્ત પ્રથમ આશાને અનુભવવા લાગ્યું. જોતા જોતામાં વેગવાળા પવનની ચીસો પેઠે ભીમસેનનો સ્વર આકાશમાં ગર્જવા લાગ્યો; ને એની પ્રચણ્ડ છાયા, સાગરના ત્રણે તીરથી, વાદળાં પેઠે, આવવા લાગી ને પાઞ્ચાલીના શરીરને પોતાના વીજળી જેવા તેજથી ન્હવરાવી છેક ક્રૌઞ્ચરંધ્ર સુધી વ્યાપીને ઉભી રહી ત્યારે જ એની ગર્જનાના અક્ષર સ્પષ્ટ સમજાવા માંડ્યા.

“પાઞ્ચાલી ! ત્હારી પ્રજાના હાથમાંથી શસ્ત્ર ગયાં છે તેથી તું બ્હીશ નહીં ! તું જુવે છે કે અમે બધા ભાઈઓની પ્રવૃત્તિને પેલો અશ્વત્થામા નિષ્ફળ કરે છે ને જે શસ્ત્ર ત્હારા શત્રુઓએ સામાં પ્રહરવાં જોઈએ તે અશ્વત્થામાની પ્રેરણાથી અમારા સામાં જ ઉપડે છે ! બાળક જ્યારે પોતાના જ પેટમાં તરવાર ખોસે ત્યારે તે લઈ લેવા જેવી નથી ? સત્ય છે કે કપિલોકે પોતાના જ કલ્યાણને માટે ત્હારાં બાળકના હાથમાંથી તરવારો લેઈ લીધી છે, પણ એ કપિલોકને આપણા ધનુર્ધર અર્જુનના રથઉપર ધ્વજાઓને અને ઘોડાની લગામોને બેને ઝાલવાને પરમાત્માએ બેસાડ્યા છે ને આપણું કલ્યાણ તેના કલ્યાણમાં જ રાખ્યું છે તે દુષ્ટ અને ગાંડા અશ્વત્થામાના હાથમાંથી આ શસ્ત્ર લેઈ લીધાં સમજજે ને મિથ્થા શોક ન કરીશ ! આજ જે અવિશ્વાસનો વા વાય છે તે કાળે ત્હારી પ્રજાના હાથમાં શસ્ત્ર નથી તેમાં જ ત્હારું કલ્યાણ કેમ ન હોય ? આજ મ્હોટાં મસ્ત રાજ્યોની જાદવાસ્થળી થવાનો સંભવ છે ને સર્વ સુરાપાન કરનાર યાદવો લ્હડી મરશે તે કાળે સુરાનો મદ ચ્હડાવનાર શસ્ત્ર ત્હારી પ્રજાના હાથમાં નથી ને એ સુરાપાનમાંથી અને તેનાં ક્રૂર ફળમાંથી તને ને તેમને બચાવવાને માટે જ પરમાત્માએ આ યોગ કેમ ન આણ્યો હોય ? અને જ્યારે કપિલોકને પોતાને ત્હારા બળનો ખપ પડશે ત્યારે પણ એ બળનું સાધન આપ્યા વિના બેસી રહે એવા તેઓ મૂર્ખ નથી. પાઞ્ચાલી ! જે કલ્યાણકારક વાયુનો હું પુત્ર છું તે જ વાયુનો હનૂમાન પુત્ર છે અને તને વેદના ક્યાં ક્યાં થાય છે તે તે જાણવાને ને ત્હારા શત્રુઓની આશા નિષ્ફળ કરવાને હનૂમાન જાગે છે તેને તું મ્હારો બંધુ જ ગણજે ! રામચંદ્રની સેનામાં કપિ ને રીંછ બે હતાં તે આજ એશિયા ખંડની પૃથ્વીને વ્હેચી લે છે, પણ જ્યારે તેમનાં યુદ્ધ થશે ત્યારે કપિલોક ત્હારા પુત્ર ઉપર વિશ્વાસ કરતાં શીખશે ને તેમનું મૂલ્ય જાણશે ને તેમને શસ્ત્ર અને અસ્ત્ર ઉભય પોતાની ગરજે આપશે. ત્હારા બીજા શત્રુ કોણ કોણ છે ? અશ્વત્થામા ? દુર્યોધન ? વાલી ? દુષ્કાળ ? પવન પેઠે સર્વવ્યાપી થઈ ઉડતા વ્યાધિયો ? જો, પાઞ્ચાલી ! હનુમાને તે સર્વને માટે પાંડવોની છાયાઓ ઉભી કરવા માંડી છે ને અમે સર્વ ભાઈઓ, વાદળાંની છાયાની પાછળ તેમના જળની વૃષ્ટિ થાય તેમ, અમારી છાયાઓની પાછળ આવવા માંડીશું.

“અશ્વત્ત્થામાની સ્થિતિ શું ત્હારી પોતાની જ દયાનું પરિણામ નથી ? એનો માર્ગ પરમાત્મા ક્‌હાડશે. ત્હેં એનો ઘાત કરવાની ના કહી તે કાળે અર્જુન ને કૃષ્ણ બે જણે મળી એના મસ્તકનો મણિ ક્‌હાડી લઈ એને જીવતો મુક્યો તે શા સંકેતથી તે તો પરમાત્મા જાણે ! પણ તે જ પરમાત્માનો વિશ્વાસ રાખી હવે આનો પણ કંઈ માર્ગ નીકળશે એવી શ્રદ્ધા રાખ. એની વાતમાં મ્હારા અભિપ્રાય પ્રમાણે થયું નથી. પણ આ દુર્યોધન દુષ્ટ થાય તો તેની જંઘા કુટવી એ મ્હારું કામ ખરું. પણ એકવારની શિક્ષાથી એ સુધર્યો નથી એમ નથી. मनसा એની પ્રકૃતિનાં બીજ નષ્ટ થયાં નથી, પણ એ બીજની સાથે તેનાં નિરોધક બીજ અને ધર્મરાજની મર્યાદા કંઈક ઉગવા લાગે છે ત્યાં લગી ધર્મરાજ મને મ્હારું પરાક્રમ દર્શાવવા દે એમ નથી, આ જ નિરોધને લીધે એનાં कर्म ઉપર પણ એ જાતે કંઈક જાણ્યે અજાણ્યે નિરોધ રાખે છે ત્યાં સુધી એ ધર્મની જ આણમાં છે. બાકી માત્ર वाचा એ એવોને એવો છે ને તે એક રીતે સારું છે, કારણ એની વાણીનો પણ નિરોધ થાય તો એના મનનાં સત્વ તું દેખી ન શકે તો તું છેતરાઈ જાય. માટે તે બોલે છે તે તેને માટે ખોટું છે પણ ત્હારે અને ત્હારી પ્રજાને માટે સારી જ વાત છે. વાલી પણ દુર્યોધનનો બીજો અવતાર છે ને ત્હારી સેવા કરતાં પોતાની તારાની સેવાને પોતાનો ગુરુતર ધર્મ ગણીને પ્રવર્તે છે તે પણ એક રીતે ધર્મ્ય છે, એ માર્ગ તને દુ:ખકર છે, પણ કાલપરિપાકથી સુગ્રીવ ને ચકોરના જેવી એની બુદ્ધિ પણ થાય એવી છે માટે જ તારા ઉપરનો એનો પક્ષપાત ઈશ્વરને ક્ષમાયોગ્ય લાગતો હશે. દુષ્કાલ અને વ્યાધિયો ત્હારી સર્વ પ્રજાને સમયે સમયે અતિપીડા કરે છે ને ક્ષીણ કરે છે-પણ તું જાણે છે કે અશ્વત્ત્થામાએ કરાવેલાં પાપનું પણ ફળ ઘટે છે, પૃથ્વીથી ઉચકાય નહી એટલો ભાર થાય ને એનાં આપેલાં અન્નવસ્ત્રનો ભંડાર ખુટવા માંડે ત્યારે આ વસ્તીને ભાર ઓછો કરવા તેમ આ ભંડાર જેટલાં મનુષ્યોને પ્હોચી શકે એટલાં ને જ માટે રાખી બાકીની વસ્તીનો સંહાર કરવો એવો ઈશ્વરનો મર્મ પૂર્વના યોગીયો ને પશ્ચિમના અર્થશાસ્ત્રીયો સમજે છે ને તે માર્ગે કોઈને સંપન્ન અને કોઈને વિપન્ન કરવું ઈશ્વરને ગમે તો તે માર્ગ અયોગ્ય છે એવું સિદ્ધ કરવા કીયા માનવની બુદ્ધિ સમર્થ છે?

“આવું છતાં મ્હારો બન્ધુ હનૂમાન ત્હારા આ શત્રુઓને વિષયે મ્હારા જેટલો જ જાગૃત ર્‌હેછે તે જો. દુષ્કાળ અને વ્યાધિયોને કાળે એની ચિન્તાઓનું, ઉજાગરાનું, અને શ્રમનું, સૂક્ષ્મ અવલોકન તું કરીશ તો તને દયા આવ્યા વિના નહી ર્‌હે. વાલી પેલા પશ્ચિમ દેશમાં રહી હનૂમાનને રામને નામ આજ્ઞાઓ કરે તો તેને વિષયે જાગૃત ર્‌હેવાને માટે હું હાલ એ દેશમાં ફર્યા કરું છું, કપિલોકનાં હૃદયને જાગૃત કરું છું, ને તારાની પોતાની ધર્મબુદ્ધિનું ને દયાનું પ્રોત્સાહન કરું છું.[૧] ત્હારાં બાળકને મ્હેં આ દેશમાં આ જ કાર્યને માટે આકર્ષવા માંડ્યાં છે તે તું જાણે છે.[૨] પૂર્વદેશ જ્યાં તું અમારાથી વિયુક્ત થઈ આજ રોતી સુતી છે – એ આર્યોના પૂર્વ દેશમાં પણ વર્તમાનપત્રો, કાન્ગ્રેસના[૩] સમાજ અને એવે અનેક રૂપે મ્હારી જાગૃતિની છાયાઓ સ્થળે સ્થળે ફરવા લાગી છે અને તે પણ હનૂમાનની ઇચ્છાથી જ થયું છે તે શું તું નથી જાણતી ? એ હનુમાનને અને સુગ્રીવનો સંયોગ કરાવી વાલીલોકપાસે જ ત્હારી પ્રજાને હનૂમાના અમાત્યયૂથમાં મ્હેં અધિકાર અપાવ્યો [૪] છે ને તેથી જ તો અમાત્યોને અનેક પ્રશ્નો [૫] પુછી ત્હારા પુત્રો તેમને ઉંચાનીચા કરે છે એ પણ મ્હારી જ છાયા છે – માટે પાઞ્ચાલી ધૈર્ય રાખ ને આશ્વાસન પામ. જયાં સુધી જયેષ્ઠબન્ધુ ધર્મનો અવતાર ત્હારે ત્યાં પ્રકટ થયો નથી ત્યાં સુધી હું જાતે તો શી રીતે આવું? ત્હારા સ્વયંવરમાં પ્રકટ પરાક્રમ કરનાર અર્જુન અને હું ધર્મરાજની પાછળ સાથે સાથે આવીશું – પણ હાલ તો મ્હારી છાયા જ !”

આ શબ્દ બંધ પડ્યો તેની સાથે ચારે પાસના પવનમાં, વૃષ્ટિની ધારાઓ પેઠે, દોરીયે લટકવા માંડી, વીંઝાવા લાગી, ને તે દોરીયોને સર્વ


  1. ૧. ઇંગ્લાંડમાં હીંદુસ્થાનને વિષયે જ્ઞાન અને સમભાવ ઉત્પન્ન કરવા ઈંડીયન કમીટી વગેરેના યત્નો વડે.
  2. ર. આ દેશના દેશીઓ ઈંગ્લાંડમાં અને પાર્લમેંટમાં કેવળ દેશકલ્યાણને ઉદ્દેશી જવા લાગ્યા છે તે વિષયનો આ ધ્વનિછે.
  3. ૩. હીંદુરસ્થાનના ગવર્નર જનરલ લોર્ડ ડફરીનની સૂચનાથી ઈંગ્રેજ મહાશયોએ કાન્ગ્રેસની સ્થાપના કરી છે તે વિષયનો વિસ્તાર મદ્રાસમાં છપાયલા "Indian Politics” માં મી: ડબલ્યુ. સી. બેનેર્જીએ લખેલી પ્રસ્તાવનામાં આપેલા છે.
  4. ૪. નવા કાઉન્સીલ એક્ટથી.
  5. પ. ઈંટર્પૅલેશનના પ્રશ્નો
દિશામાં ઉરાડનાર પવન ત્રણે પાસના સમુદ્રમાંથી વાવા લાગ્યો ને માત્ર

હિમાલયે રોકેલી દિશામાંથી જણાયો નહી પણ હિમાલય સુધી જઈ તેનાં ક્રૌંચરંધ્ર જેવાં અનેક રન્દ્રમાં પેસવા લાગ્યો. વાંસળીયોમાં પેસી સ્વર કરતો હોય તેવા સ્વર કરવા લાગ્યો. આ પવનમાં ઝોલાં ખાતી અર્જુનના વાયુરથની દોરીઓ હનુમાન ચારે પાસ કુદી કુદી પકડવા લાગ્યો ને પાઞ્ચાલીના પલંગ નીચે તેમ અન્યત્ર પોતે બાંધેલા તાર, તમ્બુ, અને બીજાં સર્વ યંત્રોના મર્મભાગ સાથે એ દોરીયોને બાંધવા લાગ્યો ને તેની ક્રિયાનું અનુમોદન કરતી વાયુરથમાંની અર્જુનમૂર્ત્તિ, રથમાંથી નીચી દૃષ્ટિ કરી, પાઞ્ચાલીની આંખો સાથે આંખો મેળવી ક્‌હેવા લાગી.

“પ્રિયા ! હું હાલ પ્રવાસી છું, વરુણલોકમાં ને વાયુલોકમાં પર્યટણ કરું છું, પણ આપણો સમાગમ હવે પાસે છે, સર્વ દેશની સર્વ સમૃદ્ધિઓથી મ્હારો રથ ભરાય એટલી વાર ધૈર્ય રાખજે ને ત્હારા પલંગ નીચે હનૂમાનનાં સુકૃત્યની, ને મ્હારે ઉગી નીકળવાના ક્ષેત્રની, કૃષિલેખાઓ [૧]જોઈ મ્હારા ધ્વજસારથિ કપિરાજ ઉપર વિશ્વાસ રાખજે. દેશેદેશથી જે સામગ્રીઓ હું ત્હારે માટે આ રથમાં એકઠી કરી સાચવી રાખું છું તેના સત્કાર માટે કુરુક્ષેત્રમાં જે રચનાઓ ને વ્યવસ્થા કરવાની તે હનૂમાન સારી રીતે જાણે છે, કારણ મ્હારી પ્રકૃતિનો તેને ઘણા કાળથી પરિચય છે."

“પાઞ્ચાલી ! આ ચિરંજીવ અશ્વત્ત્થામાથી પણ વાસીશ નહી. અતિકૃપા કરી ત્હેં એનું મરણ નિવાર્યું; ત્હેં એનું શિર છેદવાની ના કહી; અને શ્રીકૃષ્ણ યોગેશ્વરે તેને ગાંડો કરી ચિરંજીવ રાખેલે છે તે શું નિરર્થક છે ?"

“There is a method in his madness which time and effort only will unravel, and thou shall dawn before the civilization of these days the wonders we had sown in our honey-moon days ! His madness will, in the fulness of time, burst like a volcano and pour over this boasting age the contents of that unquenched genius which has been burning all along beneath the surface of this man's madness. Progress will then be lifted up for ever.


  1. ૧. હળ કરવાથી ખેતરમાં પડેલી રેખાએા.
“પાઞ્ચાલી ! હું હાલ ત્હારી પાસે આવી શકતો નથી – મ્હારો પ્રવાસ

હજી આટાપાયો નથી ! કામ બહુ છે ને વેળા ઓછી છે – ને - ને - જ્યેષ્ઠ બન્ધુ ધર્મરાજાના અને ભીમના પ્હેલો હું ત્હારી પાસે શી રીતે આવું ? મને પામવાને તરત તો ત્હારા પુત્રોને સમુદ્રમાં ચરવા મોકલ. उन्द्र इच्चरतः सखा । [૧] મ્હારા પિતા ઇન્દ્ર હરનાર ફરનારના મિત્ર છે – બેસી ર્‌હેનારના નથી – એવું શ્રુતિ વચન છે - ને પાઞ્ચાલી ! એ શ્રુતિની તું દાયાદ છે ! ને એ શ્રૌત ઇન્દ્રને હું પુત્ર છું, એ પિતાનાં અંગમાત્રમાંથી ઉત્પન્ન છું, એના હૃદયમાંથી જાયેલો છું, પુત્ર નામે હું એનો આત્મા જ છું ! કલિયુગરૂપે ત્હારી પ્રજા સુઈ રહી છે તેને બેઠી કર, ઉભી કર, હરતી ફરતી કર ! – અને ફરશે ત્યાં કૃતયુગને – સત્યયુગને – પામશે એવો મ્હારા પિતાએ રોહિતને ઉપદેશ કરેલો છે તે ત્હારી પ્રજાને માટે જ છે !– તે સફળ થશે જ ! – તે કાળ આવે ત્યાં સુધી તો – મને અવકાશ નથી - કામ બહુ છે ને વેળા ઓછી છે ! ત્યાં સુધી વિયોગ જ ! – પણ ધૈર્ય રાખજે – જાગૃત થજે – પૂર્વે ત્હારી કન્યાવસ્થામાં ત્હારા સ્વયંવરમાં જેણે તને મેળવી હતી તે હવે દીર્ધકાળ સુધી તને સુની નહી મુકે !”

આ શબ્દ બન્ધ પડ્યો પણ વાયુરથનો વાયુ ચાલતો જ રહ્યો. તેવામાં ક્રૌંચરન્ધ્ર ઉપર આવીને ધર્મરાજની કેવળ છાયા નહીં પણ મૂર્તિ જ આવીને ઉભી ને અર્જુનના રથને સ્થિર રાખી તેની દોરીયોને રાજદંડ પેઠે ઝાલી ઉભી રહી તેની સાથે મુકુટધર ધર્મનો સ્વર તે દેરીયોના તારમાં વીજળીના ધક્કા પેઠે ગયો ને ચમકવા લાગ્યો.

“પાઞ્ચાલી ! ચારે ભાઈઓનું અંહી આવવું મ્હારા આવવા ઉપર આધાર રાખે છે ને મ્હારું આવવું મ્હારા હાથમાં છે એ સત્ય છે, પણ મ્હારા હાથપગ મ્હારા હૃદયના સૂત્રધારની ઇચ્છાનુસાર ચાલે છે તેનો તને અનુભવ ક્યાં નથી ? મ્હારી ત્હારી પ્રીતિ આપણા ધર્મસહચારમાં જ છે, ને તે પ્રમાણે સહચાર ન થઈ શક્યો ત્યારે જેવી રીતે આ ચાર બન્ધુઓને મુક્યા તેમ જ તને પણ હિમાલયમાં પડેલી મુકી હું આગળ ચાલ્યો ગયો છું. મ્હેં તને આપણા વનવાસસમયે[૨] સ્પષ્ટ કહેલું હતું કે ધર્મને માટે હું ત્હારો પણ ત્યાગ કરું – તે ત્યાગ કરવાનો મ્હારે પ્રસંગ આવ્યો ત્યારે મ્હેં તને ત્યજી. એ જ ધર્મથી હું ત્હારી પાસે તરત આવી શકતો નથી. ત્હારી


  1. ૧. “ઇન્દ્ર ચરનારનો સખા છે !” પ્રકરણ ૩૪ને મથાળેના શ્લોક.
  2. ૨. મહાભારત, વનપર્વ.
પ્રજાને અશ્વત્થામાએ ભ્રષ્ટ કરી છે – તે મ્હારા સંસર્ગની

અધિકારી નથી. તું પુછીશ કે હું કીયો ધર્મ છું ? તું પુછીશ કે અશ્વત્ત્થામાં ભ્રષ્ટ કેમ અને અનેક મ્લેચ્છોના દેશોનો પ્રવાસી હું ધર્મરૂપ કેમ ? તો સાંભળી લે. આ શરીર યમરાજના તેજથી જન્મ પામેલું છે; યશસ્વી પાણ્ડુમહારાજના રાજ્યનું દાયાદ થયલું છે; વ્યાસમહાત્મા, કૃષ્ણ પરમાત્મા, ભીષ્મ પિતામહ, અને ઋષિમુનિયોના ઉપદેશનું ધારક થયેલું છે, એ જ પરમાત્માએ બુદ્ધાવતાર ધર્યો ત્યારે મને પોતાના હૃદયમાં રાખી સંસારને સંસ્કારી કર્યો. તેમના હૃદયમાં ઉગેલાં પુષ્પોનો પરાગ લઈ હું બાખડીના ઝરથોસ્ત અને જેરૂસલમ નગરના બ્રહ્મર્ષિ – અવતારના રચેલા ઉદ્યાનોમાં પવન પેઠે અદૃશ્ય પણ સફલ આવાસ કરી રહ્યો, મ્હારા મુખ આગળ ત્યાં પણ સામો અશ્વત્ત્થામા આવી ઉભો. ત્યાર પછી હું આરબ લોકના દેશમાં થોડો કાળ ગયો ને ત્યાં પણ અશ્વત્ત્થામા વધારે રૌદ્રરૂપ ધરી આવ્યો એટલે હું ત્યાંથી પણ નીકળ્યો. યુરોપના અને અમેરિકાના અગ્રણી લોકે કે સ્વબુદ્ધિબળથી અશ્વત્ત્થામાને હાંકી ક્‌હાડ્યો અમે હું ત્યાં પાછા નવીન રૂપે ગયો તે ત્યાં ફરું છું. મ્હેં હવે સર્વ ધરતીને જોઈ લીધી છે, ને હાલના પ્રયાણમાં અમે પાંચે ભાઇઓ એકઠા છીયે તેથી અમે અનેક રીતે સંસિદ્ધ થઈ નિર્ભય વિચરીયે છીએ. પણ એ સર્વ વિરોચનનો અને બલિરાજાનો પ્રદેશ છે ને યદ્યપિ અહંતાનો ત્યાગ તે કરી શકયો છે તે પણ એથી વધારે દુસ્તર મમતાનો ત્યાગ તેનાથી થઈ શકતો નથી. કાળ આવ્યે તે પણ થશે. પાઞ્ચાલી ! પણ એ દેશની ધર્મસંપત્તિએ સ્થૂલ છે ને સક્ષમ નથી, ત્યારે ત્હારી પાસે હાલ સ્થૂલ કે સૂક્ષ્મ બેમાંનું કાંઈ નથી. હું ત્હારી પાસે કેવી રીતે આવું?"

"કપિલોક તેમના યૂથથી પરોક્ષ હોય, દૂર હોય, તો પણ યૂથપતિના શાસનની નિયન્ત્રણામાં[૧] તેમનાં હૃદય ર્‌હે છે ને તેમનો યૂથપતિ જાણે છે કે ક્ષુદ્રમાં ક્ષુદ્ર, દૂરમાં દૂર, અને મત્તમાં મત્ત કપિ તેનાં શાસનને સ્વીકારશે. England expects every man to do his duty. તમારે ત્યાં ઐક્યવાળાં યૂથ નથી, અને એવાં યૂથ થવાં ને ટકવાં કઠણ છે, તે પછી યૂથ-પતિની તો વાત જ શી ? શાસનનિયન્ત્રણ વિના વ્યવસ્થા નથી ને વ્યવસ્થા વિના ધર્મ નથી. તમારે ત્યાં તેમાંનું કાંઈ નથી તો ત્હારી પાસે હું કેવી રીતે આવું? Let India's sons learn too to know their duty and to do it.”


  1. ૧. Discipline.

“પણ ત્‍હારે નિરાશ થવાનું કારણ નથી ત્‍હારી આશા ને નિરાશા થોડી થોડી ત્‍હારા હાથમાં છે. અનેક અનુભવથી બંધાયેલા પિતામહના સૂક્ષ્મ ઉપદેશ સંભળાવે એવો પિતામહના જડ થયેલાં શરીરને સચેતન કરવાના માર્ગ લે અને આજ સુધીનાં ત્‍હારા ને સર્વે સંસારના ઇતિહાસથી એ શરીરને પુષ્ટ કરી તેનાથી ઉપદેશ લેવાને સમર્થ ત્‍હારા પુત્રોમાંથી એક નીકળશે તો તેવા બીજા અનેક પુત્રો સમર્થ થશે ને ઉપદેશ લેશે. શ્રીકૃષ્ણે યુદ્ધનો ત્યાગ ન કરવાનું અર્જુનને સમજાવ્યું ત્યારે આ દેશમાં અશ્વત્ત્થામાએ જ્ઞાનનું ફળ ઐહિક ધર્મમાત્રનો ત્યાગ કરવામાં જ સમજાવ્યું છે! - અને ધર્મના શરીરમાં કોઈક અન્ય જીવને જ વસાવ્યો છે! પાઞ્ચાલી ! અહંતા ને મમતાનો નાશ થાય ને તેમના નાશથી કૃતકૃત્યતા અાવિર્ભાવ પામે તે રજોગુણનો નાશ છે ને તે યોગ્ય છે; પણ એ નિમિત્તે લોકસંગ્રહની નિષ્કામક્રિયાઓમાંથી નિવૃત્ત થવું એ તો સાત્વિક વૃત્તિને સ્થાને તામસી તન્દ્રાનો જ વિકાસ ગણી લેવો, એ વિકાસ નથી ઈચ્છયે। વ્યાસે, નથી ઈચ્છ્યો કૃષ્ણે, ને નથી ઈચ્છ્યો રામે કે જનકે એ વિકાસનો આવિર્ભાવ આ દેશમાં છે ત્યાં સુધી ધર્મનાં બીજ ઊપર ભૂમિમાં પડે છે, સાધુઓના સનાતન ધર્મને સ્થાને જડ પદાર્થોના આલસ્યધર્મ પ્રકટ થાય છે, અને અશ્વત્ત્થામાના વિકાસને માટે અનુકૂળતા થઈ જાય છે. અલક્ષ્ય પરમાત્માની ઇચ્છાથી આ લક્ષ્ય સ્વરૂપનો સમારંભ જામી રહેલો છે તેમાં કેવળ સત્યનો ધર્મ નથી પણ સત્ય અને ઋતનો સમાગમ જ ધર્મરૂપ છે. એ ઋતચક્રમાં ફરવું અને એ ઋતચક્રનો પ્રજાપતિ જે પ્રવાહમાં પાડે તેના ધર્મને જાણી લેવા અને સ્વીકારવા એ જ મહાબુદ્ધિનું લક્ષણ છે તે આ પાસે ઉભેલા નવા બાળક[૧]ની દીક્ષાથી એને આ દેશના જ ધર્મે સમજાવેલું છે તે ત્‍હારી પ્રજા સમજી નથી.

“ઋતનો મર્મ પશ્ચિમ દેશ સમજે છે; ત્હારી પ્રજા ઉક્તકાળે સમજતી હતી પણ હવે ભુલી ગઈ છે. નિત્ય સત્યનો મર્મ પશ્ચિમ સમજ્યો નથી ને આ દેશ સમજ્યો હતો ને હાલ કંઈક સમજતો હશે.- તેથી જ મ્હારો આ દેશને માટે પક્ષપાત છે, પણ પશ્ચિમ જે ઋત સમજે છે તેનું આ દેશને વિસ્મરણ છે – તેમાં આ દેશનો પ્રમાદ છે, માટે ધર્મનું બીજ મરુસ્થળમાં પડ્યું છે. ત્યાં હું ઉગું શી રીતે ?"

“પાઞ્ચાલી ! આ દેશના પ્રત્યગ્‌દર્શી મહાત્માઓએ મ્હારું જે તત્વ અને સત્વ સુદૃષ્ટ કરેલું છે તેનું પશ્ચિમને સ્વપ્ન નથી, ને એ મહાત્માઓએ


  1. ૧. સરસ્વતીચંદ્ર.
મ્હારો જન્મ યમરાજના તેજમાંથી જોયો છે તે કપિલોક

સમજતા નથી. તે કપિલોક પાસેથી ત્‍હારે અમ ભાઈઓના ક૯યાણની વ્યવસ્થાઓ અને ઋત ધર્મ શીખવાનો છે તે ત્‍હારે પણ તારારાણીને અનેકધા શીખવવાનું છે.તને શીખવવાનું તે તારા જાણે[૧] છે; પણ દીર્ઘ મૂર્છાને બળે, ત્‍હારા મહાત્માઓયે તને શીખવેલું, ત્‍હારે શીખવાનું, તું જાણતી નથી તે જાણ, અને પરસ્પરનું ઉદ્‌બોધન કરાવી કપિલોકનું અને અંહીના આર્યોનું કલ્યાણ કર – એ ત્‍હારો ધર્મ છે. તે ધર્મનો આચાર પરિપાક પામશે ત્યારે આ કુરુક્ષેત્રરૂપ ધર્મક્ષેત્રની તટભૂમિમાંથી આ ક્ષેત્રમાં જ પ્રવેશ પામવા જેટલું અન્ન અને સામર્થ્ય મ્હારું શરીર પામશે અને તે પછી જ આપણે પરસ્પરયોગનાં અધિકારી થઈશું. આ ક્રૌંચરન્ધ્રથી થોડે છેટે અનેક નદીઓ નીકળે છે તેમ અનેક ઉપદેશમાંથી હું પોષિત થયો છું. પણ તે સર્વ નદીઓને લેઈ સિન્ધુ અને ગંગા સમુદ્રનો યોગ પામે છે તેવો યોગ મ્હારું શરીર પામશે ત્યારે હું તને કહી શકીશ કે પાઞ્ચાલી ! “ હું દ્યૌ ને તું પૃથ્વી !” મ્હારા ઉપર પ્રીતિ હોય તો આ ત્‍હારા હાથની વાત આ દેશમાં ઉત્પન્ન કરવાની તે તને દર્શાવી. આ દેશમાં જન્મેલો હું ધર્મ સંપૂર્ણ કળાથી પાશ્ચાત્ય જગતમાં સંભૃત થઈશ ને મ્હારા સાંપ્રત સ્વરૂપનાં આ કાળનાં સર્વ કલંક નષ્ટ થશે, ત્યારે પાઞ્ચાલીની અાંખોની કીકીયો તેના પ્રકાશથી ચળકવા ને ચમકવા માંડશે ને એ અાંખોમાં પ્‍હોચેલો એ પ્રકાશ, મ્હારી પાઞ્ચાલી ! ત્‍હારી હૃદયવેદીમાં અખંડ જ્વલમાન રહેલા અનાદિ અગ્નિ સાથે સમાગમ પામશે ! – ત્યારે - ત્યારે - ત્‍હારાં સર્વ અંગમાં ત્‍હારો અન્તરાત્મા સર્વ મહાયજ્ઞોને માટે અનેક જ્વાલાઓથી ભભુકી ઉઠશે ! પાઞ્ચાલી ! ત્‍હારા હાથની વાત તને સમજાવી અને ઈશ્વરના હાથની વાત પણ સમજાવી."

“પાઞ્ચાલી ! હવે હું પશ્ચિમ દેશોમાં એવે રૂપે ઉભો થયો છું કે આસ્તિક અને નાસ્તિક સર્વ લોક મ્હારું સ્વરૂપ જોઈ શકે છે ને મ્હારી આજ્ઞા તે સર્વના હૃદયોમાં વર્તે છે. સર્વ દેશના અનુભવનું માખણ વલોવી ક્‌હાડી આ પરિણામ મ્હેં આણ્યું છે, ધર્મ આ દેશમાં જ


  1. ૧. Meanwhile the idea of a school should be borne in mind in every branch of the administration, civil and judicial, and especially in the foreign or political department. A British officer at an Asiatic court is often the one solitary representative of civilization and progress ; and this feeble light ought to be fed, strengthened, and kept constantly burning like the fire of the Vestal virgins.
    Talboys Wheer.
સમાઈ બેસી ર્‌હેતો નથી એવું સિદ્ધ કરવા હું હીમાલયની પેલી

પાર પ્રવાસે નીકળ્યો તેથી આ પરાક્રમ કરી શકયો."

“પાંચાલી ! અરણ્યોમાં ને નગરોમાં, રંક લોકનાં ઝુંપડાંઓમાં ને રાજાઓના મ્હેલમાં, વીરલોકનાં અસ્ત્રોમાં અને વ્યાપારીયોના વ્યવહારમાં, મહાત્માઓનાં ચરિતમાં ને બાલકના વિનોદમાં, ત્યાગીના ત્યાગમાં ને કામના ભાગમાં, હૃદયમાં તેમ જિવ્હા ઉપર, જ્ઞાનેન્દ્રિયોમાં તેમ કર્મન્દ્રિયોમાં, પુરુષોમાં તેમ સ્ત્રીયોમાં, આસ્તિકોમાં તેમ નાસ્તિકોમાં, જ્યારે એવું ચારિત્ર્ય સ્ફુરે કે તેથી તેના ચરનારના સૂક્ષ્મ શરીરની સંસિદ્ધિ થાય, સમીપસ્થ દેશનું કલ્યાણ થાય, અને દૂરતમ લેકનું પણ અહિત ન થાયઃ- ત્યારે એ ચારિત્ર્યમાં તું મ્હારા શુદ્ધ સ્વરૂપને જોજે. આવા ચારિત્ર્યના પોષણથી વ્યક્તિની, દેશની, અને લોકમાત્રની સુવ્યવસ્થા છે. એ વ્યવસ્થાના ધર્મ ઈશ્વરને પોતાની પૂજાના કરતાં વધારે પ્રિય છે, અને પોતાની ભક્તિના કરતાં વધારે ઇષ્ટ છે. પોતાના સાક્ષાત્કાર કરતાં આ ધર્મમાં ઇશ્વર કોઈ રીતની ન્યૂનતા જોતા જ નથી, પણ પરમાત્માના સાક્ષાત્કારનું તેમ સાયુજ્યનું પ્રધાન લક્ષણ આ ધર્મના ઉદયથી જ ગેોચર થાય છે. સર્વ દેશો માં સર્વે કાળમાં થયેલા સર્વ અવતારોના ઉપદેશમાંથી આ દોહન મ્હેં કહાડ્યું છે. સર્વ ઉપનિષદોનું દોહન કરનારે જેને બ્રાહ્મી સ્થિતિ કહી હતી[૧], જેને માટે પ્રસાદાત્મક નિસ્ત્રૈગુણ્ય વ્યવસાયાત્મક બુદ્ધિથી જ પર્યાપ્તિ છે [૨], જેને માટે વેદવાદની પુષ્પિત વાણીને ગીતામાં ભગવાન્ પોતે અપર્યાપ્ત ગણે છે [૩], જેને માટે એ ભગવાને પોતે બુદ્ધ થઈ વેદ અને બ્રાહ્મણેના અધર્મમાર્ગને દૂર કર્યા, જેને લીધે પશ્ચિમના લોક આજના સંસારમાં વ્યવસ્થાનું પોષણ કરી શકે છે, જેના યેાગને “કર્મમાં કૌશલ ” ક્‌હેલું છે [૪]: એ જ ધર્મ મ્હારો આત્મા છે ને એ જ આત્માના તેજથી મ્હારું આ બ્રાહ્મી સ્થિતિવાળું શરીર તું જુવે છે, એ ધર્મ જ્યારે ત્હારા બ્રાહ્મણો જોશે ત્યારે હું ત્હારી પાસે આવીશ, ને ત્યાં સુધી તો એ બ્રાહ્મ યુગને આણવાને સંસારચક્રને ફેરવનાર પરમાત્મા ત્હારી સંભાળ લેશે – અને તે પણ તું તે સંભાળની અધિકારિણી હઈશ તો !"

“ક્ષત્રિયાણી ! રખે તું ત્હારા અસહ્ય દુઃખથી ત્રાસી અકર્તવ્ય કરતી ! દુઃખથી તું ડરીશ નહી, ભયથી છળીશ નહી, સુખથી ફુલીશ નહી !


  1. ૧. ગીતા.
  2. ૨. ગીતા.
  3. ૩. ગીતા.
  4. ૪. ગીતા.
સુખ, દુ:ખ અને ભયની ત્રિપુટી પાસે તને સંસિદ્ધ કરાવે એવા ચમકારા

કરનારી વીજળી ત્હારા સર્વાંગમાં ગૂઢ છે. તે કાળપરિપાકે આપણો યોગ કરાવશે ! અમર કુન્તીમાતા પ્રવાસે ન નીકળતાં ત્હારી પાસે અનેક યુગથી બેઠાં છે તે તને અસ્તકાળે પણ ઉત્સાહ આપશે !”

“સુક્ષ્મતમ્ યજ્ઞમાંથી ઉત્પન્ન થયલી રાજપુત્રી ! પૂર્વે તને કહેલું હતું તે જ સ્વરૂપ આજ મ્હારું છે ! તે સ્મરણમાં આણી મ્હારી છાયાનું ત્હારા હૃદયમાં પોષણ કરજે ! હું ક્રિયાહીન શુષ્કજ્ઞાન નથી, જ્ઞાનહીન કર્મ નથી; નીતિહીન ભક્તિ નથી, કેવળ પરલોકવાચક ક્રિયા નથી, કેવળ ફલાન્વેષી નીતિ નથી; પૃથ્વીની માટી ને આકાશના જળ જેવાં ઐહિક અામુત્રિક જ્ઞાનમાંથી પ્રકટ થયલા નીતિવૃક્ષ ઉપર હું પુષ્પ પેઠે ઉદય પામું છું, ને મ્હારી પાછળ ફળ પેઠે અર્જુનની ક્રિયા પ્રકટ થાય છે એ ક્રિયાનું કારણરૂપ કર્તવ્યતાભાન તે હું છું.

“I am Duty incarnate and, neither more, nor less! Born in this sacred land, fed and nourished with its best fruits, but self-developed and matured and enlightened by travelling through the space and time outside our nativity ! Gone but to return when thou shalt shake off thy sleep and want me in the heart of thy heart ! And not till then ! Sleep on, my love, but hear the ditty I whispered in thy ears in the hour of our love, and dream of it ! – dream on ! – until it fills thy Soul !

नाहं कर्मफलान्वेषी राजपुत्रि चराम्युत ।
ददामि देयमित्येव यजे यष्टव्यमित्युत ॥
अस्तु वात्र फलं मा वा कर्त्तव्यं पुरुषेण यत् ।
गृहे वा वसता कृष्णे यथाशक्ति करोमि तत् ॥
धर्म एव मनः कृष्णे स्वभावाच्चैव मे धृतम् ।
धर्मवाणिज्य को हीनो जघन्यो धर्मवादिनाम् ।
न धर्मफलमाप्नोति यो धर्मं दोग्धुमिच्छति ।
यश्चैनं शङ्कते कृत्वा नास्तिक्यात्पापचेतनः ।।
एते हि धर्ममेवादौ वर्णयन्ति सदाऽनधे ।
कर्तव्यममरप्रख्याः प्रत्यक्षागमबुद्धयः ।। [૧]

  1. ૧. વનપર્વ.
આટલી વાણી વાયુરથની દોરીયોમાંથી નીકળી રહી તેની સાથે ધર્મ

રાજાનું મુખ આકાશમાં ચન્દ્રની પેઠે અને ચન્દ્રની જોડે જ પાઞ્ચાલીના મુખચન્દ્ર ઉપર લટકી રહ્યું; અાની સાથે ચારે દિશામાં બીજા ચારે ભાઈઓનાં મુખ પણ ચાર ચન્દ્ર જેવાં પ્રકાશવા લાગ્યાં ને સાતમું પાઞ્ચાલીનું પોતાનું મુખ આકાશ અને પૃથ્વીના મધ્ય ભાગે ચળકવા લાગ્યું. કુરૂક્ષેત્રનો દેખાવ આ સર્વના સમાગમથી કંઈ નવીન દિવ્ય રમણીયતા ધરવા લાગ્યો. સાતે ચન્દ્રના શાંત પ્રકાશથી રાત્રિમાં અને પૃથ્વીમાં અપૂર્વ શાન્તિ પ્રસરી રહી. ચૌપાસનો પવન શાંત થઈ ગયો. દૂરનો ત્રણ પાસનો મહાસાગર શાન્ત સરોવર જેવો થઈ આ સમૃદ્ધ આકાશનું પ્રતિબિમ્બ પોતાના આખા વિસ્તારમાં લેવા લાગ્યો. હનુમાન પાઞ્ચાલીની એક પાસ હાથ જોડીને ઉભો ને અશ્વત્ત્થામા પણ ડાહ્યો થઈ બીજી પાસ ઉભો, ને આકાશમાં સ્વર સંભળાવા લાગ્યો.

“ પાણ્ડવો ! ઉભા ર‌હો ને ત્રિકાલદર્શી વ્યાસમુનિએ કાબે લુટેલા અર્જુનનું આશ્વાસન કરતી વેળા તમારી સંસિદ્ધિ દર્શાવી અર્જુનને કહ્યું હતું કે[૧]તમે ભાઈઓ હાલ સંસિદ્ધ થયા છો તો તમારે જવું જ ઉત્તમ છે, ને પાછો કાળ આવશે ત્યારે અર્જુનનાં ગયેલાં અસ્ત્ર પોતાની મેળે એના હાથમાં આવશે ! આ સત્ય પડવાની વેળા ચાલી ચાલી આવે છે તે જુવો !”

આ સ્વર સાંભળતાં પલંગપર સુતી સુતી પાઞ્ચાલી હાથ જોડી , હૃદયમાં સ્તવન કરવા લાગી અને વૃદ્ધ કુન્તી એને માથે અને છાતીએ હાથ ફેરવતી સામી દિશામાં જોવા લાગી ને આવેશથી, ઉત્સાહથી ને આનંદથી; ઉછળતી ક્‌હેવા લાગી: “વત્સ ! ઉઠ-ઉઠ-ને-આ આપણા પુણ્ય દેવતાની ઝાંખી કરી લે !

“કરથકી ગયાં શસ્ત્ર તો ભલે !
"ગૃહથકી જશે લક્ષ્મી તો ભલે !

  1. कृतकृत्यांश्च वो मन्ये संसिद्धान कुरुपुङ्गव ।
    गमनं प्राप्तकालं व इदं श्रेयस्करं विभो ।।
    एवं बुद्धिश्च तेजश्च प्रतिपत्तिश्च भारत ।
    भवन्ति भवकालेषु विपद्यन्ते विपर्यये ।।
    कालो बलवान् भूत्वा पुनर्भवति दुर्बलः ।
    स एवेशश्च भूत्वा हि परैराज्ञाप्यते पुनः ।।
    कृतकृत्यानि चास्त्राणि गतान्यद्य यथागतम् ।
    पुनरेष्यन्ति ते हस्तं यदा कालो भविष्यति ।।
    મહાભારત – મૌસલપર્વ,
કુરુભૂમિ વીશે સર્વ તે વૃથા !
મરને સારથિ શસ્ત્રહીન ત્યાં !
મુક તું મોહને ! લે ઉમંગને !
હરિ ચિરંજીવી ઓ જુવે તને !
પટકુળે લઈ એ ઉભા હજી;
ધર ચમત્કૃતિ બુદ્ધિની નવી !”

એવામાં પૃથ્વી પર ચરણ મુકયા વિના વાદળાંની જાજમ ઉપર કોઈ ભવ્ય દિવ્ય દેવની મૂર્ત્તિ ચાલી આવતી જણાઈ. તેને જોતો જોતો સરસ્વતીચન્દ્ર કુમુદના કાનમાં ધીમે સ્વરે ક્‌હેવા લાગ્યો.

“કુમુદ ! સર્વ ચિરંજીવોના સૂત્રધાર ચિરંજીવ ભૃગુપતિ દયાળુ ગમ્ભીર વેશે આવે છે તેને હૃદયમાંથી પ્રણામ કરજે ! આપણી સર્વ નિરાશામાં આશા મુકવાનું સામર્થ્ય એક એ મહાત્મામાં જ છે!”

“We are now in the all-hallowing presence of that almighty Spirit of Harmony, whom Shelley hailed as the Life of Life ! ૫રમ જયોતિનો બ્રાહ્મણાવતાર તે આ જ!"

પળ વારમાં પરશુરામની તેજોમયી મૂર્તિ, સર્વ ચન્દ્રને ઉંચા કરતી પાઞ્ચાલીની પાસે આવી અદ્ધર ઉભી; થોડી વાર પાઞ્ચાલીની આંખો ઉપર અને કમ્પતા હૃદય ઉપર અમીદૃષ્ટિ કરી ઉભી રહી; અને અન્તે, એના ધીર ગમ્ભીર અક્ષર - એના દાંતનાં કિરણ પેઠે - જગતમાં પ્રસરવા લાગ્યા.

“I am much more than all that, my little children !"

“પાઞ્ચાલી! જે સર્વવ્યાપિ એક સત્ત્વ, આ દશે દિશાઓમાં વ્યાપતાં અને તરવરતાં અસંખ્ય બ્રહ્માણ્ડોમાં, સ્ફુરે છે તેની છાયા ત્હારી પાસે ઉભેલી તું દેખે છે તેને - મને – જોઈને તું શાંત થા. જો અજ અજર અમર શાશ્વત તેજોમય પટ જેવો પુરુષ અનંત કાળને વ્યાપીને સ્થાણુરૂપે ઉભો છે તેના તન્તુને તું અત્યારે સ્પર્શે છે. તું કોઈ રીતે ભીતિ રાખીશ નહી ! આ દેશમાં ધર્મ પાછો આવશે ને તેની પાછળ તેના સર્વ બન્ધુઓ આવશે ! હું તેમની ગતિનો સૂત્રધાર ત્હારા આશાતન્તુને ત્રુટતા અટકાવવા આ દિવ્ય મુર્તિમાં તને પ્રત્યક્ષ થાઉં છું."

“હું ધર્મની આશા છું; ઋતનો સૂત્રધાર છું; સત્યનું સ્વરૂપ છું; અને એ ત્રણેની વ્યવસ્થાના માર્ગનું અધિષ્ઠાન છું. કુરુક્ષેત્રમાં જેણે અર્જુનનું સારથિપણું કર્યું હતું તેનો જ હું વૃદ્ધ અવતાર છું, ને અર્જુનના વાયુરથની ગતિ અને આ ચન્દ્રમાળાની વિભૂતિ તને દર્શાવવા આવ્યો છું. ત્હારા સ્વયંવરમાં અર્જુનનો સૂચક થનાર, કૌરવસભામાં ત્હારાં ચીર પુરનાર, અને પાણ્ડવોના વિજયનો સારથિ — તે હું જ હતો અને છું ! માટે આશા ધર ! જેને આવી સૂક્ષ્મ સુન્દરતા અને આવું આયુષ્ય મ્હેં આપ્યાં છે તે મ્હારો પ્રસાદ નિષ્ફળ ન થાય માટે હું ચિરંજીવરૂપે આ ક્ષેત્રમાં અનેક યુગે થયાં વસું છું ! પાઞ્ચાલી ! આશાના ઉદયને પ્રત્યક્ષ કર !

“આ અશ્વત્ત્થામાને જોઈ તું ગભરાઈશ નહી. કુરુક્ષેત્રમાં અનેક રણ-સંગ્રામ થયા છે, પણ મહાભારતના સંગ્રામોમાં જેવા વીરો હતા તેવા પાછળથી નથી આવ્યા. એ સંગ્રામમાં આ ક્ષેત્રનું પૈતામહક જયોતિ અસ્ત થયું તેને બાણશય્યા પર સુતેલું ગંગાએ જાળવી રાખ્યું છે, એ સંગ્રામમાં બ્રાહ્મણોનું વીર્ય હારી ગયું ને એમનું તેજ ધ્વસ્ત થયું. પણ એ તેજનો કેવળ સબીજ નાશ થાય નહી માટે તેને ગાંડા ગાંડા પણ અશ્વત્ત્થામાના મસ્તિકમાં રાખી એને ચિરંજીવ રાખેલો છે તે એટલા માટે કે અર્જુન ફરી અસ્ત્રને પ્રાપ્ત કરે ત્યારે “બ્રહ્મશિરોસ્ત્ર”નું જ્ઞાન આ ગાંડાના મસ્તિકમાંથી અર્જુનને મળે, અર્જુનનાં સર્વ અસ્ત્ર બળવાળાં છે, પણ બ્રાહ્મણના શિરમાંથી જે દિવ્ય અસ્ત્ર ફેંકાય છે તેની શક્તિ કોઈથી પ્રાપ્ત થાય એવી નથી માટે એ અસ્ત્ર અશ્વત્થામાના શિરમાં પ્રતિષ્ઠિત થયું છે ને આ યુગમાં કૌરવ વિનાનો અર્જુન ફરવાનો છે તેને આ અસ્ત્ર અપૂર્વ લાભ આપી શકે એમ છે, પાંઞ્ચાલી ! ભૂતકાળમાં કૃષ્ણાવતારે શુદ્ધ કરેલા યુગની ને આવતા યુગની વચ્ચે પુરાણ પુલ પેઠે રાખેલો અશ્વત્ત્થામાના મસ્તિકમાંથી અર્જુને લીધેલો મણિ એમાં અર્જુન જ પાછો મુકશે એટલે આ યુગનાં સત્ત્વોને પુરાણ યુગની સમૃદ્ધિ આપવા આના મસ્તિકમાં એનું પ્રાચીન તેજ આવશે, ને અર્જુન તેમાંથી બ્રહ્મશિરોસ્ત્રનું ગ્રહણ કરી લેશે. પાઞ્ચાલી ! જો જો ! જેને મ્હેં પ્રિય સખા ગણેલો તે અર્જુનના હાથમાં દિવ્ય મણિ લટકે છે ને તેનાં કિરણના બાહ્ય સ્પર્શથી જ અશ્વત્ત્થામા સચેત થવા લાગે છે ! એ ચિરંજીવનું અજ્ઞ આયુષ્ય બંધ થશે ને પ્રજ્ઞ આયુષ્ય થોડા કાળમાં સ્ફુરશે તે ત્હારું કલ્યાણ જ કરશે. કાળ આમ પાકવા લાગે છે અને આ ચિરંજીવને માટે હું કૃષ્ણાવતારમાં નિર્મેલાં ત્રણ સહસ્ત્ર વર્ષનું એની આ દશાનું આયુષ્ય પુરું થવા આવે છે! કૃષ્ણાવતારને કેટલાં વર્ષ થયાં? ત્રણ સહસ્ત્ર વર્ષ તે મનુષ્યનાં કે દેવોનાં કે બ્રહ્માનાં ? કપિલોકને પુછ. પૂર્વે કપિલોક અર્જુનના રથ ઉપર હતો તે આજ એની નીચે સૂત્રોથી લટકે છે - તે અર્જુનનું શુદ્ધ મુખ જોવાને સમર્થ થવા જેટલો ઉંચે ચ્હડશે ત્યારે આ વર્ષનું ગણિત કપિલેાક કરી શકશે ને તને કહી શકશે. પણ એ ભૂતકાળને મુકી વર્ત્તમાનને હું પ્રત્યક્ષ કરાવું છું તે તો તું જાતે જો !પાઞ્ચાલી ! એ ત્રણ સહસ્ત્રવર્ષો પરિપાક પામી હવે પુરાં થાય છે તે તું જો ! પાઞ્ચાલી ! જાગૃત થા ! પાઞ્ચાલી ! આ કાલપરિપાકનું મંગળ મુહૂર્ત સમીપ છે તે તું જો ને ઉત્સાહિની થા ! ક્ષત્રિયોનાં શિરમાંથી નીકળતાં અસ્ત્રો કરતાં બ્રાહ્મણના શિરમાંથી નીકળતાં અસ્ત્રની પરાક્રામવિભૂતિ જુદી જ છે ! અનાર્યો એને ઈશ્વરે સર્જેલો માને છે ખરા, પણ એ સૃષ્ટિનું રહસ્ય સમજવાની શક્તિ તેમનામાં આવી નથી; એ પણ ઐશ્વર્યનો મર્મ છે. ગાંડા અને હત થયેલા બ્રહ્મશિરમાંથી જો આવાં અસ્ત્ર આટલા યુગ સુધી નીકળ્યાં છે તો તે જ શિર પાંડવને વશ, ડાહ્યું, સ્વસ્થ, ને પ્રસન્ન હોય તો તેમાંથી કેવાં કલ્યાણકારક અસ્ત્ર નીકળે? પાંઞ્ચાલી ! આટલા યુગ સુધી ત્હેં આને આપેલું સ્તન્યપાન નિષ્ફળ નહી જાય. પાઞ્ચાલી ! હવે બ્રાહ્મયુગ પ્રવર્તવાનો છે ને તે કાળે આ બ્રહ્મશિરોસ્ત્રની વિભૂતિનો તને કલ્યાણકારક અનુભવ થશે. આ યુગમાં ક્ષત્રિયોનાં શસ્ત્ર અને અસ્ત્ર વિરામ પામશે ત્યારે માત્ર શુદ્ધ બ્રાહ્મણો જ યુગના પ્રવર્તાવનાર થશે. કપિલોકે ત્હારાં અસ્ત્ર લેઈ લીધાં છે ત્યારથી એ ભાવી યુગના પગના ધબકારા થવા લાગ્યા છે અને કપિલોકના હાથમાં ત્હારી પાસેથી લીધેલાં તો શું પણ તેમના પોતાના હાથમાં પોતે વસાવેલાં, અને મનુષ્યમાત્રના હાથમાં આજ દેખાતાં, શસ્ત્રાસ્ત્ર પણ વિરામ પામી જશે. એ યુગમાં તું કેવળ નિર્ભય થવાની છે. પણ તેની તને શ્રદ્ધા ન હોય, ત્હારું સ્ત્રીનું હૃદય ભયની કલ્પનાથી આવી શ્રદ્ધા છતાં પણ ભાવી સંગ્રામના ભયથી કંપતું હોય, અથવા ત્હારું ક્ષત્રિયાણીપણું ત્હારા હૃદયને એવા સંગ્રામનો અભિલાષ કરાવતું હોય અને તે અભિલાષની સિદ્ધિનાં સાધનોમાં ત્હારી ન્યૂનતાને લીધે નિઃશ્વાસ મુકતું હોય – આ સર્વમાંથી ગમે તે કારણથી બ્રાહ્મ યુગનો આવતો પવન ત્હારા શરીરને સ્પર્શ ન કરતો હોય, તો પણ આ કુરુક્ષેત્રનું માહાત્મ્ય સ્મરણમાં આણી લે ને તેનાથી જ આશ્વાસન મળશે."

“રામાવતાર કરતાં પણ મ્હારો અવતાર જેમ પ્રાચીન છે તેમ બુદ્ધાવતાર કરતાં પણ મ્હારું આયુષ્ય લાંબું પ્હોચ્યું છે ને હજી હું ચિરંજીવી રહીશ. તે સર્વ કાળમાં હું આ કુરુક્ષેત્રનું માહાત્મ્ય રચતો આવ્યો છું, જોતો આવ્યો છું, ને ન જોનારને પણ દેખાડતો આવ્યો છું, તું એ માહાત્મ્ય જાણે છે, પણ તેના સ્મરણનો જીર્ણોદ્ધાર કરવા ફરી કહી બતાવું છું. તું એ નહીં જાણે તો કોણ જાણનાર સાંભળનાર હતું ?"

પાઞ્ચાલી હાથ જોડી બેઠી થઈને સર્વ પાસના ચન્દ્ર અને તારાઓ, હનૂમાન, અને અશ્વત્ત્થામા, કાન માંડી સજજ થયાં. પરશુરામને ખભે પરશુની તીક્ષ્ણ ધાર સાત ચન્દ્રનાં કિરણમાં ચળકાટ મારવા લાગી ને ખભા પાસેના રામના મુખનો પ્રકાશ પણ તેના ઉપર એટલો બધો પડતો હતો કે પવનમાંના ભેજથી તેના ઉપર પડતા ડાઘ પણ સુકાયલા લોહી જેવો જણાતો હતો. કુરુક્ષેત્રના શિર ઉપર આવે સમયે રામનો ધીર વીર સ્વર કોઈ ગરૂડ પેઠે રામની મુખગુફામાંથી નીકળી ક્રૌંચરન્ધ્ર સુધી સ્થિર ગતિથી જવા લાગ્યો.

“કુરુક્ષેત્ર ! આ પૃથ્વીના ગોળા ઉપર તું એકલું એક જ ધર્મક્ષેત્ર છે ! ત્હારા ચોગાનમાં સંગ્રામ થાય ત્યારે ધર્મરાજાનો જ જય થવાનો ! यतो धर्मस्ततो जय: એ વાક્ય ત્હારે માટે સર્વથા સિદ્ધ છે ને વ્યાસમુનિએ તને ધર્મક્ષેત્ર કહેલું છે તે તર્કથી નથી આપ્યું, અભિમાનથી નથી આપ્યું, પણ તેમની યોગદૃષ્ટિમાં પ્રત્યક્ષ થયલા દર્શનને લીધે એમણે એ નામ આપ્યું છે. અધર્મીઓ ! કુરુક્ષેત્ર પ્રમાદ અને અધર્મને માટે નથી અને તેમાં જઈ યુદ્ધ માંડવાની છાતી ચલવતાં સાવધાન ર્‌હેજો ! આ ક્ષેત્રનું મૂળ પેલા ક્રૌંઞ્ચરન્ધ્રમાં છે ત્યાંથી કુરુક્ષેત્રની સિદ્ધ ભૂમિનો આરમ્ભ થાય છે. પેલા નિત્યહિમના ઢગલાઓને રૂપે કવચ અને ટોપ પ્હેરી રાખનાર હિમાલયના કૈલાસશિખર આગળ દેવોનાં, બ્રાહ્મણોનાં, અને ક્ષત્રિયોનાં પરાક્રમની આદિ ભૂમિનો માર્ગ છે. એ માર્ગની આશપાશ આવાં કવચ અને ટોપ ધરનાર ઉંચાં ગિરિશૃંગ આવી રહ્યાં છે. એ શૃંગો વચ્ચે થઈને જે લાંબી ખીણ જેવો માર્ગ છે તેમાં થઈને દેવોનાં શરીર જેવા, બ્રાહ્મણની વિદ્યા જેવા, એને ક્ષત્રિયોના યશ જેવા, શ્વેત અતિશ્વવેત રાજહંસો માનસ સરોવરમાં આવજાવ કરે છે, ને એ હંસના માર્ગથી જ માર્ગ શોધી છંદોદેવતાના આર્ય દ્રષ્ટાઓ અંહી આવ્યા છે; આ દેશના બ્રહ્મદેવ આ હંસોનું જ વાહન કરી ગાયત્રી ગાતાગાતા આ દ્રષ્ટાઓને રૂપે આવ્યા છે[૧] તે કાળ આ દેશનો પ્રભાતકાળ હતો અને બ્રહ્મદેવ ધર્મની સ્થાપના કરી આ શુચિ તીર્થમાં


  1. ૧. पूर्वान्हे तु या सन्ध्या X X हंसस्कन्धसमारुढा
    ब्रह्मदेवता गायत्री छंदसां माता (इत्यादि० प्रात:सन्ध्योपासने)
શુભ નક્ષત્રમાં આવ્યા ત્યારથી આ ધર્મક્ષેત્ર બંધાયું, તે પછી

ક્ષત્રિયોને નિયમમાં આણવા મ્હેં અવતાર લીધો ત્યારે પણ આ ખીણ પાસેનાં શૃંગોમાં મ્હેં મ્હારા બ્રાહ્મણાવતારનું પરાક્રમ દર્શાવ્યું. દેવોના સેનાપતિ કાર્તિક સ્વામીને હંફાવી આ સામું શિખર ભેદી ભીની માટી જેવું મ્હેં કરી નાંખ્યું ![૧]કૌંઞ્ચગિરિમાં એ મ્હોટું છિદ્ર પડ્યું ત્યાંથી તે પછી હંસોને માર્ગ થયો ને બ્રાહ્મણના પરાક્રમથી બ્રહ્માવર્તની બ્રાહ્મી સ્થિતિને યોગ્ય નવી તપોભૂમિમાં બ્રાહ્મણાવતારના યશનો ક્ષીરસાગર ઉભો થયો ! એ ક્રૌંઞ્ચરન્ધ્રની નીચેથી તે આણી પાસ આ બ્રહ્માવર્ત દેશ થયો. આ સ્થાનમાં પરમ પુરૂષનું વિષ્ણુત્વ વધારે છે કે રુદ્રત્વ, સંસારનું સંરક્ષકત્વ વધારે છે કે સંહારકત્વ, તે જગતને દર્શાવવાને માટે વૈષ્ણવ ધનુષ્યનું અને શિવના ત્ર્યમ્બક ધનુષ્યનું સામાસામી બળ અજમાવ્યું ને વૈષ્ણવ ધનુષ્યનું બળ વધારે નીવડયું ![૨] પાઞ્ચાલી ! આ ક્ષેત્રમાં શિવજી જગતનો સંહાર વધારે કરે છે કે વિષ્ણુ સંસારનું રક્ષણ વધારે કરે છે તેની આમ પ્રથમથી તુલના થઈ છે ને તેમાં અન્તે સિદ્ધ થયું છે કે આ ક્ષેત્રમાં સંહારને અન્તે ધર્મ પક્ષનું રક્ષણ થયું છે ને થવાનું ! આ બ્રહ્માવર્તમાં આ ધર્મક્ષેત્રનાં નામ પ્રત્યગદર્શી બ્રાહ્મણો એ મૂળથી આમ યથાર્થ પાડેલાં છે. ત્હારા આદિ યુગમાં આ ક્ષેત્ર, ક્ષત્રિયોનો ઘોર સંહાર કરી, ધર્મનું સંરક્ષણ કરી, શાંત થયું છે તે ત્હેં દીઠેલું છે ! આ બ્રાહ્મી સ્થિતિનું રક્ષક બ્રહ્માવર્ત્ત[૩],અને આ તેમનું ધર્મક્ષેત્ર-કુરુક્ષેત્ર-હજી એવું ને એવું છે ને


  1. १. प्रालेयाद्रेरुपतटमतिक्रम्य तांस्तान् विशेषान्
    हंसद्वारं भृगुपतियशोवर्त्म यत्कौञ्चरन्ध्रम्
    तेनोदीची दिशमनुसरोस्तिर्यगायमशोभी
    X X X X X X X
    गत्वा चोर्ध्व दशमुखभुजोच्छवासितप्रस्यसन्धेः
    कैलासस्य त्रिदशवनितादर्पणस्यातिथिः स्याः ॥
    મેઘદૂત. (એના ઉપર મલ્લિનાથની ટીકામાં પ્રથમ પંક્તિયોની આખ્યાયિકા આપી છે ).
  2. २. રામાયણ.
  3. ३ ब्रह्मावर्तं जनपदमथ च्छायया गाहमानः
    क्षेत्रं क्षत्रप्रधनपिशुनं कौरवं तद्भजेथा:।
    राजन्यानां सितशरशतैर्यत्र गाण्डीवधन्वा
    धारापातैस्त्वमिव कमलान्यभ्यवर्षन् मुखानि ॥
    મેઘદૂત
એની પરીક્ષા કરી જોનારને એવા જ ચમત્કાર દર્શાવે છે ! ત્હારા કાળના

સંહારની સંજ્ઞાઓ છેક કાલિદાસના કાળમાં પણ જણાતી ગણાતી હતી ! [૧] બ્રાહ્મીસ્થિતિનું અને ધર્મનું પોષણ કરનાર આ સ્થાનમાં આર્ય અનાર્યનો ભેદ નથી, કહેવાતા બ્રાહ્મણ ક્ષત્રિયનો ભેદ નથી, દેવદાનવનો ભેદ નથી ! એમાં બે વાનાં જ થાય છે – અધર્મનો ધ્વંસ થાય છે, અને પરિણામે ધર્મનો – અને અર્જુનની પાસે મ્હેં જ કહેલી બ્રાહ્મી સ્થિતિનો – ઉદ્ભવ અને જય થાય છે ને તેથી નવા યુગનો આરમ્ભ થાય છે."

“પાણ્ડવોએ નવો ધર્મ-યુગ બેસાડ્યો ને યુધિષ્ટિરનો શક ચાલ્યો તે પછી ઘણે કાળે વિદ્વાન્ અને ધર્મિષ્ઠ બાબર બાદશાહે આ સ્થાનમાં કૌરવ પેઠે ઉભા થયલા લોદી રાજાઓનો પરાભવ કર્યો ને તેના પુત્રે પણ એજ ક્ષેત્રમાં જય મેળવ્યો ! મ્લેચ્છ દૈત્યોનો પરાભવ મ્લેચ્છરૂપે દેવોએ આ સ્થાનમાં કર્યો ! બાબર અને અકબરના ઉદયકાળે ને તેમના શત્રુઓને સંહારે આ ધમાક્ષેત્રનો ચમત્કાર દેખાડ્યો. પાઞ્ચાલી ! આ રાજાઓ ધર્મનો જ અવતાર હતા ને મ્લેચ્છો છતાં બ્રાહ્મી સ્થિતિને માર્ગે ચ્હડતા હતા. પાઞ્ચાલી ! ત્હારું કલ્યાણ તે જ કુરુક્ષેત્રમાંનો ધર્મ સમજવો ને આ રાજાઓ એ ધર્મને માર્ગે હતા.” [૨]

“એક કાળ એવો આવ્યો કે બ્રાહ્મણનામ ધરનાર રાજાઓ આ સ્થાન સુધી દક્ષિણમાંથી ચ્હડી આવ્યા. તેમના નાયકને દક્ષિણ-દેશમાં જય અને વિભૂતિ મળ્યાં હતાં અને અહંકારથી તેણે મ્હારું નામ ધારવા માંડ્યું, એ બ્રાહ્મણ નાયક ગમે તો આ ક્ષેત્રનું માહાત્મ્ય ભુલી ગયો ને ગમે તો પોતાનો અધર્મ–પક્ષ સમજી શક્યો નહી. શિવાજીના વંશરૂપ ધર્મવૃક્ષને અકારણ છેદનાર કૃતઘ્ન અને સ્વામિદ્રોહી રાજાના એ વંશજે, કૃષ્ણાવતારનું સુદર્શન લેવાને અશ્વત્થામાએ રાખેલા દુષ્ટ અભિલાષ જેવો અભિલાષ, આ ધર્મક્ષેત્રમાં, રાખ્યો ને મ્હારે નામે ઓળખાવા લાગ્યો. દુર્યોધનની નીતિ પાળનાર રાજાના આ સેનાપતિને


  1. ૧. પાછલા પદટિપ્પણના લોકમાં કુરૂક્ષેત્રને क्षत्रप्रधनपिशुन કહ્યું છેતેના અર્થ કરતાં મલ્લિનાથ ક્‌હે છે કે – अद्यापि शैरःकपालादि मत्तया कुरुपाण्डवयुद्धसूचकम्-“હજી સુધી ત્યાં મરેલાઓનાં માથાં ને કપાલ વગેરેજડી આવે છે તેથી કુરૂ-પાંડવના યુદ્ધનું આ ક્ષેત્ર સૂચક થાય છે. કાળિદાસકવિ કાશ્મીરમાં કોઈ રાજાના “Viceroy” “સુબા” ના કામ ઉપર હતો એમ કોઈની સૂચના છે.
  2. 2. Baber was the founder of a line of kings under whom India rose to the highest pitch of prosperity : Elphinstone.
આ વેળાએ કુરુક્ષેત્રે નવો જ ચમત્કાર દર્શાવ્યો. જેને તેણે જય આપ્યો

તે રાજા કંઈ ધર્મી ન હતો પણ તેણે ત્હારા સ્વામિત્વનો દુરભિલાષ રાખ્યો ન હતો. જય મળ્યો અને મ્હારા નામધારીની સેનામાંની સ્ત્રીઓને લેઈ તે ચાલ્યો ગયો. જે લોકને માટે એ રાજા લ્હડ્યો તે અધર્મી હતા. જેની સામે એ લ્હડ્યો તે અધર્મી હતા. એ ઉભય અધર્મીયોનો આ ક્ષેત્રે સંહાર કર્યો. તપાવેલા વાસણને અજાણતાં કોઈ અડકે ને દાઝી બેસે તેમ આ ઉભય અધર્મપક્ષ કુરુક્ષેત્રમાં લ્હડવા ગયા તેવા જ તેના અંતર્ગઢ અગ્નિથી દાઝ્યા ને બળી મુવા[૧] ! કુરુક્ષેત્રે ઉભય અધર્મીયોનો ધ્વંસ કર્યો ત્યારે કયા ધર્મનો ઉદય કર્યો? પાંચાલી ! જાગૃત થા ! મરણ શક્તિને સચેત કર ! મ્હારા અવતારનો દમ્ભ કરનાર બ્રાહ્મણનો કુરુક્ષત્રે ભેાગ લીધો અને મ્હારા ધર્મને પાળનાર મ્હોટા માધવરાવને આ દમ્ભી જનના રાજ્યકુળમાં મ્હેં રાજપદ આપ્યું. પણ પ્રજાનાં પુણ્યરાશિના ક્ષયથી એ પરીક્રમી બ્રાહ્મણનું સદાયુષ્ય એ સ્વામીદ્રોહી વંશમાં ટક્યું નહી. કુરુક્ષેત્રે એ વંશને દેખાડવા માંડેલા ચમત્કાર આ બ્રાહ્મણના તેજ આગળ શાંત રહ્યા હતા, તે એના આયુષ્યની સમાપ્તિ પછી બમણા જોરથી એ વંશમાં ફાલવા લાગ્યા. [૨]વળી ઉભય અધર્મી પક્ષના રુધિ૨વર્ષથી કુરુક્ષેત્રમાં ધર્મઉદયનાં બીજ રોપાયાં, અને તેમાંથી ઉગેલા વૃક્ષોને આવેલાં ફળને સાગરમાર્ગે આવેલા કપિલોકે એ વૃક્ષો ઉપર ચ્હડી લેઈ લીધાં ! પાઞ્ચાલી ! કુરુક્ષેત્રે અધર્મીયોનો મૂળસહિત નાશ કર્યો અને દૂર ઉભેલા અધર્મીઓને - અયસ્કાન્ત – લોહચુંબક – જેવી શક્તિથી – આકર્ષી લીધાં [૩]!


  1. 1. Never was a defeat more complete, and never was there a defeat which diffused so much consternation, Grief and despondency spread over the whole Mahratha people ; most had to mourn relations and all felt the destruction of the army as a death-blow to their national greatness. The government of the Peishwas never regained its vigour . . . The confederacy of the Mahomedans, too, dissolved on the cessation of their common danger. Ahmedshah returned home without attempting to profit by his victory, and never afterwards took any share in the affairs of India.
    Elphinstone's History of India.
  2. 2. The plains of Panipat were not more fatal to the Mahratha empire than the early end of this excellent prince : Grantt Duff
  3. 3. The actors in the last transactions having left the stage, the history of the Moghul empire here closes itself. Its territory is broken into separate States; the capital is deserted; the claimant to the name of emperor is an exile and a dependent; while a new race of conquerors has already commenced its career which may again unite the empire under better auspices than before.
    Elphinstone's History of India on the results of the battle of Panipat.
ત્ર્યમ્બકાસ્ત્રે કુરુક્ષેત્રમાં ઘોર સંહાર કર્યો, ને વૈષ્ણવાસ્ત્રે અતિબળ કરી

નવા ધર્મને આકર્ષી આણ્યો ! પશ્ચિમના વિદ્વાનોએ ઘણા શોધનથી જાણ્યું છે કે રાજાઓના, રાજ્યોના, અને પ્રજાઓના ઉત્કર્ષની જન્મપત્રિકા જોવી હોય તો તેમાં ધર્મનો ગ્રહ કીયા સ્થાનમાં છે તે જોવું. [૧]પાઞ્ચાલી ! ત્હારા દીર્ધદર્શી યશસ્વી શ્વશુર પાણ્ડુરાજાએ સિદ્ધસંસ્કારથી આ રહસ્ય જાણી લીધું ને ધર્મને જયેષ્ઠપુત્રને સ્થાને માગ્યો ને કુરુક્ષેત્રના એ રાજાએ આ પોતાના મહાક્ષેત્રનો પ્રતાપ સમજી એ પ્રતાપ સાચવવાનો અભિલાષ રાખ્યો, ત્યારે અંધ ધૃતરાષ્ટ્રે એથી ઉલટી નીતિ સ્વીકારી પોતાની અન્ધતાને યથાર્થ કરી."

“પાઞ્ચાલી! કપિલોકની તને ભીતિ લાગતી હોય તો કુરુક્ષેત્રનું આટલું રહસ્ય અને સામર્થ્ય ભુલીશ નહી. વગરશસ્ત્રે વગરઅસ્ત્રે ધર્મબીજનાં ફળ કપિલોકના હાથમાં ગયાં તો આ ક્ષેત્રની શક્તિથી ને કપિલોકમાં પ્રતિષ્ઠિત થતા ધર્મના બળથી અને અર્જુનના ચાતુર્યથી ! એ ધર્મ તે ત્હારાં દ્‌હેરાંઓમાં ને મન્દિરોમાંનો નથી – એ દ્‌હેરાંમદિરમાંનો ધર્મ પાટણના સોમનાથને કામમાં લાગ્યો નથી ને પવિત્ર કાશીના વિશ્વનાથને પણ કામ લાગ્યો નથી. ત્હારા જ્યેષ્ટ સ્વામી ધર્મરાજાએ તને એ ધર્મનું સ્વરૂપ સમજાવ્યું છે, ને કુરુક્ષેત્રે તને પ્રત્યક્ષ દેખાડી આપ્યું છે કે લોક-કલ્યાણને માટે પ્રકટ થતા સનાતન ધર્મનો માર્ગ એ જ આ ધર્મક્ષેત્રનો એક જ ધર્મ છે. અને એ જ ધર્મના ઉદયવડે આ ક્ષેત્રે વેળાવેળ ત્હારું કલ્યાણ રચેલું છે. તે પછી તું કપિલોકથી બીહે છે શા માટે ? તું જોતી નથી કે ક્રૌંચરન્ધ્રની પેલી પાસ ઋક્ષલોક [૨] બેઠા છે ? રામાવતારમાં અધર્મ સામે ધર્મનું પ્રયાણ થયું હતું તે કાળે જેવા કપિલોક ધર્મપક્ષમાં હતા તેવા જ ઋક્ષલોક પણ તેમની સાથે હતા. આ યુગમાં આ શૈલાધિરાજ હિમગિરિની બે પાસનો પ્રદેશ કપિલોક ને ઋક્ષલોક વ્હેંચી લેઈને ભોગવે છે અને કપિલોક તેની દક્ષિણમાં છે તો ઋક્ષલોક ઉત્તરમાં છે. કપિલેક વાનરલોક છે, ત્હારા નરલોકથી જુદા છતાં નરધર્મમાં મળતા છે ને ચતુરતામાં ને વ્યવસ્થામાં વધતા છે. ઋક્ષ લોક કઠોર છે અને નરધર્મમાં ઘણા પશ્ચાત્ છે, પણ તેમણે બોટેલા પ્રદેશમાં તેમના જેવાં જ અન્ય પ્રાણીયો વસે છે તેમાં તે શ્રેષ્ઠ છે. રામાવતારમાં કપિ અને ઋક્ષ, ધર્મના એક રથના, બે અશ્વ હતા. આજના કાળમાં તેમના


  1. ૧. પ્રકરણ ૩૪ ની છેલી ઇંગ્રેજી footnote.
  2. ર રીંછ.
વર્ણભેદને ને ચાતુર્યભેદને લીધે તેઓ જુદા જુદા વસે છે. તેઓ પરસ્પર

મિત્ર છે કે શત્રુ છે તે વીશે તેઓ સંશયમાં છે ને આ અવિશ્વાસના યુગનું બળ તેમને શંકિત રાખે છે, સંહારકાળ અવિશ્વાસમાંથી જ ઉભો થાય છે, અને ઋક્ષ અને કપિની વચ્ચે પણ પેલું ક્રૌંચરન્ધ્ર અને આ કુરુક્ષેત્ર જ છે. જો આમનો અવિશ્વાસ એમને શિર સંગ્રામ કાળ જ આણશે તો આ ધર્મક્ષેત્રમાં તેમણે ઉતરવાનું છે અને એમાં જ એમણે તોળાવાનું છે. પાઞ્ચાલી ! ક્રૌંચરન્ધ્ર, બ્રહ્માવર્ત, અને કુરુક્ષેત્રનાં યુદ્ધોમાં ધર્મના અને બ્રાહ્મી દશાના જ ઉદય થાય છે, ત્હારા સ્વામીના જ રથો આ સ્થાનોમાં વિજયી થાય છે, અને મહારાષ્ટ્રના બ્રાહ્મણોને ને મુસલમાનોને તેમાં તોળીને તેમાં ન લ્હડનાર દૂર ઉભેલ કપિલોકને આ ક્ષેત્રે લાભ અપાવ્યો અને એકવાર તટસ્થતાથી ત્હારું કલ્યાણ થયું, તેમ જ આ ક્ષેત્રમાંના જ્વાળામુખીને જાગવાને વારો આવશે તો શસ્ત્રહીન દશામાં પણ ત્હારું તો કલ્યાણ જ થશે અને તે કાળે જ્ઞાત કે અજ્ઞાત જે પક્ષમાં ધર્મ હશે તેનો જ ઉદ્ધાર થશે. તે કાળે કપિલેાક ડાહ્યા થયા હશે અને ત્હારી પ્રજાનો વિશ્વાસ કરવાનો ધર્મ શીખ્યા હશે તો એ લોક જાતે ત્હારા પુત્રોને અસ્ત્રવિદ્યા શીખવશે અને તેમના ધર્મપક્ષમાં રહી તેમના શત્રુ સામે ત્હારા પુત્ર વિજયી થશે, જો આટલે સુધી કપિલેાક અવિશ્વાસના યુગને તોડી નહી શક્યા હોય તો, પાઞ્ચાલી, ત્હારા હૃદયમાંના ધર્મને જ તું વળગી ર્‌હેજે, કુરુક્ષેત્રના જવાળામુખથી કપિલેાક તને જેટલી દૂર રાખે તેટલી દૂર પ્રસન્નતાથી ર્‌હેજે, અને એ ધર્મક્ષેત્રને પોતાનું કર્તવ્ય જે માર્ગે લેવું હોય તે માર્ગે લેવા જ દેજે ! ત્હારું તેણે કદી અકલ્યાણ કર્યું નથી ને કરનાર પણ નથી."

“તારા હૃદયના આશ્વાસન માટે આટલી કથા પર્યાપ્ત છે, પણ જિજ્ઞાસાની તૃપ્તિને માટે વિશેષ જાણવાનું તે પણ તું જાણી લે અને જે બ્રાહ્મયુગનો પવન વાય છે તેનાં કારણ, સ્વરૂપ, અને ફળ પણ જાણી લે."

“આર્યલોક હિમાચલની પેલી પાસ ર્‌હેતા ત્યારે તેમના રક્ષણને માટે ઈશ્વરે વિષ્ણુરૂપે પોતે પ્રથમ ચાર અવતાર લીધા હતા અને પશુકર્મ કરનાર અસુરોને માટે તેમના જેવા અવતાર લીધા હતા અાર્યો આ દેશમાં આવ્યા તે પછી પ્રથમ બે અવતાર, વામનરૂપ અને મ્હારો, થયા તે બે બ્રાહ્મણના અવતાર થયા. એ બે અવતારનાં પરાક્રમના પ્રદેશ ક્રૌંચરન્ધ્ર પાસે હતો, એક અવતાર, દાનવોની અને દેવોની વ્યવસ્થા કરવા થયો, ને બીજો જે મ્હારો અવતાર તે ક્ષત્રિયોની ને બ્રાહ્મણેની વ્યવસ્થા કરવા થયો. ક્ષત્રિયોનો સંહાર મ્હેં ક્ષત્રિયોનાં શસ્ત્રથી કર્યો ને બ્રાહ્મણોને પૃથ્વી સોંપી હું નિવૃત્ત થયો. પાઞ્ચાલી ! બ્રાહ્મયુગ રચવા માટે વિષ્ણુનું આ પ્રથમ પગથીયું હતું. વામન-અવતારમાં મ્હેં બ્રાહ્મણ બ્રહ્મત્વથી કેટલું લેઈ શકે તે દેખાડ્યું. મ્હારા અવતારમાં બ્રાહ્મણ ક્ષત્રિયત્વથી કેટલું લેઈ શકે તે દેખાડ્યું. બ્રાહ્મણોને મ્હેં પૃથ્વી સમગ્ર આપી તેનો એમણે ત્યાગ કરી દીધો : વિષ્ણુએ આપેલું નિષ્કંટક સામ્રાજ્ય પણ પાસે રાખવાની નિર્ધન બ્રાહ્મણોએ ના પાડી. એ જ એમણે બ્રાહ્મી વિભૂતિ દેખાડી, એ જ એમણે તૃપ્તિ દેખાડી; એમની વિભૂતિ અને તૃપ્તિનાં દર્શન કરાવી મ્હેં જગતને પવિત્ર અને શાન્ત કર્યું. દર્પવાળા ક્ષત્રિયોને મ્હેં દમ્યા; તેમનું દમન થયા પછી તેએાએ ક્ષાત્ર તેજ ખોઈ દીધું તેનો ઉદ્ધાર કરવાને રામાવતાર થયો ને તે કાળે એ બે વર્ગની વિભૂતિની વ્યવસ્થા થઈ. વિશ્વામિત્રના અસ્ત્રબોધથી, વસિષ્ઠના જ્ઞાનબોધથી, ત્ર્યમ્બક અને વૈષ્ણવાસ્તના સરખા શમનથી, મ્હારા જેવા બ્રાહ્મણ ને વાલી જેવા વાનરને રાવણ જેવા રાક્ષસ - એસઉના દમનથી, આ દેશના સર્વ વર્ગની રામચંદ્રે વ્યવસ્થા કરી. બ્રાહ્મણોનાં અને ક્ષત્રિયોનાં અસ્ત્રોથી સંસારની જે વ્યવસ્થા થાય તે મ્હેં અને રામચન્દ્રે મળીને કરી દીધી. તે પછી વ્યવસ્થા જાતે કરવામાંથી હું નિવૃત્ત થયો; કૃષ્ણાવતારમાં અસ્ત્ર ઝાલ્યાવિના મ્હેં પાણ્ડવોનું માત્ર સારથિપણું કર્યું. એ અવતારમાં રાજનીતિ અને રાજ્યનીતિના તેમ અહંકાર અને નિરહંકારના ભેદ જગતના સૂત્રધાર કેવા અધિકારથી થાય છે તે મ્હેં ક્ષત્રિયોને પ્રત્યક્ષ રચી બતાવ્યું. – એ અવતારમાં મ્હેં પાણ્ડવોને ઉત્પન્ન કર્યા, ઉપદેશ આપ્યો, સામર્થ્ય આપ્યું, અને એ યુગનું કાર્ય તેમની પાસે કરાવી, તેમને આ જ ક્રૌંચરન્ધ્રને અને પેલા પશ્ચિમ સમુદ્રને માર્ગે પ્રવાસે મોકલ્યા. પાણ્ડવો દેવ ન હતા પણ દેવના પુત્ર હતા, ક્ષત્રિયના પુત્ર ન હતા પણ ક્ષત્રિયના દાયાદ હતા, મનુષ્ય ન હતા પણ માનુષી આર્યોના મંત્રજાત પુત્ર હતા; એ બ્રહ્માની સૃષ્ટિનાં સત્ત્વ ન હતા પણ બ્રહ્માની પોતાની પેઠે નવી સૃષ્ટિના સ્ત્રષ્ટા રૂપે પ્રકટ થયા હતા.પાઞ્ચાલી એમનું શુદ્ધ સ્વરૂપ તું જાણે છે કૃષ્ણાવતારમાં તે મહાત્માઓએ એક પાસેથી પિતામહ અને દુર્યોધન જેવા ક્ષત્રિયોની તો બીજી પાસથી દ્રોણ અને અશ્વત્ત્થામા જેવા બ્રાહ્મણોની ઉગ્ર વ્યવસ્થા કરી દીધી હતી, અને એ બે વર્ણ ઉત્તમ રીતે ન વર્તે તો કોણે તેમનું પદ લેવું એ બતાવ્યું.

કૃષ્ણાવતાર કેવળ યોગી ન હતો, એ યોગ બ્રાહ્મણ અને ક્ષત્રિયોના વ્યવહારને ઉદ્દેશીને સંસારને પરિપાક આપતો હતો; કૃષ્ણાવતારે પાણ્ડવોને માટે યુદ્ધ નથી કર્યું પણ તેમને માટે સારથિપણું કર્યું અને તેમને ત્યાગ તો કરવો પડ્યો નથી જ. એ સારથિપણામાંથી પણ મુક્ત રહીને, એ ત્યાગ સંપૂર્ણ કળાથી કરીને, કેવળ યોગને બળે, કેવળ ઉપદેશને બળે, બુદ્ધાવતારે નવો યુગ પ્રવર્તાવ્યો. બ્રાહ્મણો અને ક્ષત્રિયો ઉભય દુષ્ટ થાય ત્યારે સંસારની વ્યવસ્થા કેવી રાખવી તે બુદ્ધાવતારમાં મ્હેં દર્શાવ્યું. બ્રાહ્મણો અને ક્ષત્રિયો જેવા અવચ્છિન્ન વર્ગોને મુકીને અનવચ્છિન્ન મનુષ્યજાતિ અને ભૂતમાત્રની વ્યવસ્થા એ અવતારમાં મ્હેં કરી. બ્રાહ્મણનામ ધારનાર પણ અબ્રાહ્મણ હૃદયવાળા ખોટા બ્રાહ્મણોનો પરાભવ કરવા અને સર્વભૂતાત્મક સર્વવ્યાપી કેવળ બ્રાહ્મણ હૃદયના વિજયની વ્યવસ્થાઓ મ્હેં એ અવતારમાં ઉભી કરી દીધી, ને બોધિસત્વોના હૃદયનાં બ્રહ્મતેજ પ્રભાતના સૌમ્ય સૂર્યપ્રકાશ પેઠે સ્ફુરવા લાગ્યાં. પાઞ્ચાલી ! ત્હારા આ દેશમાંથી મ્હેં તે કાર્ય કર્યું. એ વ્યવસ્થા બ્રહ્માવર્તના ક્રૌંચરન્ધ્ર ભણીથી અને બીજી પાસની બ્રહ્મપુત્રાનાં બ્રહ્મદેશમાં થઈને ત્રિવિષ્ટિપ [૧] માં અને ચીનમાં ગઈ અને સાગરને પણ તરી પેલે પાર ગઈ. પશ્ચિમમાં ગયેલા આર્યોએ અને તેમને માટે થયેલા અવતારે આ વ્યવસ્થાનો વ્યવહારિક ભાગ એ ખંડમાં સંસિદ્ધ કર્યો.

“આમ સર્વે અવતારો પોતપોતાના યુગનું કાર્ય કરી ગયા. હવે એ યુગનાં કાર્ય એકઠાં કરી સર્વ અવતારનું કાર્ય એક અવતારે કરવાનું; તે કરવાને હું ચિરંજીવ રહેલો છું. હવે વર્ણાચારના વિરોધનું બીજ નષ્ટ કરી દેવામાં આવશે. બુદ્ધાવતારે આ દેશમાં સર્વ વર્ણને એકાકાર કરી “ અધર્મ અને દુ:ખમાંથી મનુષ્યમાત્રને નિર્વાણ આપ્યું અને જીસસે પશ્ચિમ દેશમાં પણ તે કાર્ય કર્યું, તે છતાં વર્ણાચારના વિરોધ રહ્યા છે ને વધ્યા છે. આ દેશમાં અશ્વત્થ [૨] પેઠે વધી રહ્યા છે; તે અશ્વત્થામાને પ્રતાપે. પશ્ચિમ દેશોમાં રહેલા છે તે દુર્યોધનની નીતિને બળે પ્રકટ થતાં અટક્યાં છે, પણ એ નીતિને ધ્રુજાવવા


  1. ૧. ત્રિવિષ્ટપ = તીબેટ
  2. ૨. અશ્વત્થ = વડ
ભીમપુત્ર ઘટોત્કચની રાક્ષસી માયા ત્યાં જામવા માંડી છે. તે માયા,

કોઈ શ્યામ દૈત્યની ઘોર છાયા પેઠે, ક્ષણે ક્ષણે પૃથ્વીમાંથી નીકળે છે ને દુર્યોધનના મુકુટને ધક્કા મારે છે અને કર્ણ જેવા સૂર્યપુત્રનાં અસ્ત્રને નિષ્ફળ કરવા પૃથ્વીનું તળ ફોડી ઉંચી આવે છે.– એને એ લોક Nihilism વગેરે નામથી ઓળખે છે. દુર્યોધને ત્યાં અક્ષૌહિણી સેનાઓ ઉભી કરી દુ:શાસનને સોંપી છે તેને ભ્રમિત કરવા આ ભીમપુત્રની માયા-છાયા દિવસે દિવસે વધે છે !

“પાઞ્ચાલી ! બુદ્ધાવતારે મનુષ્યજાતિને માત્ર આવાં દુઃખમાંથી મોક્ષ પ્રાપ્ત કરતાં શીખવ્યો તે નિર્વાણ ક્‌હેવાયું. હું હવે એ જાતિને વધારે સિદ્ધ કરી કલ્યાણરૂપ ઉત્કર્ષ આપીશ, – આનન્દમય ઉદ્ધાર આપીશ. બુદ્ધાવતારમાં મ્હેં બ્રાહ્મણના હૃદયને દિગ્વિજય કરવા ચરતું મુક્યું હતું; હવે હું બ્રાહ્મણની બુદ્ધિ પાસે દિગ્વિજય કરાવીશ, અને એ બુદ્ધિએ રચેલાં યજ્ઞોપવીત – હૃદયબ્હાર નહી પણ હૃદયની માંહ્ય - ધરનારા બ્રાહ્મણો અનેક દેશે અનેક વેશે આ સંસારનું સામ્રાજ્ય કરશે, ને પાણ્ડવરૂપ પઞ્ચાગ્નિની સાધના કરશે ! હવે મનુષ્યમાત્ર ચાતુર્વર્ણ્ય પાળશે; શરીરમાં, ધર્મમાં, અને શૌર્યમાં ક્ષત્રિય થશે; દક્ષતામાં અને વ્યવહારમાં વૈશ્ય થશે; લોકસેવામાં શૂદ્ર થશે; અને મનોવૃત્તિમાં, વિકારહીનતામાં, નિરહંકારમાં, વિદ્યામાં, બુદ્ધિમાં, તપમાં, આર્યતામાં, અને તેજમાં બ્રાહ્મણ થશે. હવે મનુષ્યમાત્રના હૃદયમાં હું વસીશ, અને મ્હારા ચારે હસ્તથી દરેક મનુષ્યમાં ચાર વર્ણ અને પાંચ પાંડવના ઉત્કર્ષ આવી રીતે ઉંચા કરી રાખીશ. એ યુગની ઉદ્ધારવ્યવસ્થા રચવા બ્રાહ્મણ વિના બીજા કોની બુદ્ધિ સમર્થ છે ? પાઞ્ચાલી ! સર્વ યુગના પરિપાકરૂપ આવા બ્રાહ્મયુગને રચવાને હું ચિરંજીવ રહેલો છું ને મ્હારા બ્રાહ્મણોને દેશે દેશ મ્હેં જન્મ આપ્યા છે, એ યુગમાં સ્થલ અસ્ત્ર નકામાં પડશે અને અર્જુન પોતાનાં સૂક્ષમ અસ્ત્રનો યોગ ફરી પામશે – તેનાં અસ્ત્ર તેને પાછાં મળશે એવું વ્યાસ કહી ગયા છે તે આમ સત્ય પડશે. કૌરવો અર્જુનની સેવા કરશે અને પાણ્ડવમાત્ર ધર્મની સેવા કરશે. પેલા પશ્ચિમના ચકોર અને સુગ્રીવના ઉચ્ચગ્રાહ આજ આવનાર યુગનું આજથી દર્શન કરે છે. ત્હારા અશ્વત્થામાનો ઉદ્ધાર થયે એના મણિલાભ પછી એ જે બ્રહ્મશિરોસ્ત્રનો પ્રભાવ દર્શાવશે તે એ યુગને અપૂર્વ લાભ આપશે. આ પેલા રાફડાઓનો પરિપાક થયા પછી તેની નીચેના નાગલોક અને તેમના મણિના આવિર્ભાવ. અને ત્હારા પિતામહનો ઉદ્ધાર, – એ સર્વ, પાઞ્ચાલી, ત્હારા પુત્રો પાસે સર્વ સંસારના આ નવા યુગની વ્યવસ્થાના મહાયજ્ઞમાં અધ્વર્યુનું કામ કરાવશે, એ યુગમાં બ્રાહ્મયુગ થશે – તેમાંની સર્વ પ્રજામાં સર્વ દેશોમાં બ્રાહ્યણત્વ હશે ને મનુષ્યોનાં શસ્ત્રાસ્ત્ર કેવળ ભૂષણુરૂપ થઈ જશે. મ્હારી પૂર્વાવસ્થામાં મ્હેં ક્ષત્રિયમાત્રનો નાશ કર્યો હતો અને તેમનાં શસ્ત્ર બ્રાહ્મણરૂપે મ્હેં લીધાં હતાં. પણ હવેના યુગમાં ક્ષત્રિયત્વ નાશ નહી પામે પણ બ્રાહ્મણત્વના ઉપકારક સાધનરૂપે સર્વ મનુષ્યોમાં ક્ષત્રિયત્વ રહેશે ને બ્રાહ્મણત્વની આજ્ઞાથી સર્વ મનુષ્યોનાં શસ્ત્રાસ્ત્ર સર્વત્ર શાંત થઈ જશે. એવા બ્રાહ્મ યુગમાં કપિલોકાદિ જેવાં ભૂતમાત્રનાં શસ્ત્રાસ્ત્ર નિષ્ફળ અને નિરર્થક થશે. ત્હારાં શસ્ત્રાસ્ત્ર ખરી પડ્યાં છે ને એ અશસ્ત્રયુગ આવે છે તેનાં પગલાંનો ધબકારો પ્રથમથી દૂરથી સંભળાયો સમજ.”

“પાઞ્ચાલી ! તું અને ત્હારા પુત્રો તમારો ધર્મ સમજશો, ધર્મનું સ્વરૂપ જોશો, તો તમારાં વિકટ દુ:ખનો પરિપાક કલ્યાણરૂપ જ થશે અને તે પરિપાક થશે તેની સાથે ત્હારો જ્યેષ્ઠસ્વામી યુધિષ્ઠિર ત્હારા મન્દિરમાં આવવાની વાટ જોઈને જ બેઠો છે તે સામે જો ! ત્હારા પુત્રોનાં હૃદયને તેની છાયામાં, તેમની નીતિને અને ક્રિયાને અર્જુનની છાયામાં, તેમનાં શરીરને, બળને, ને સજ્જતાને ભીમની છાયામાં, ને તેમના અન્ય અંશોને અશ્વિપુત્રોની છાયામાં, સ્નાન કરાવી લે ! એ સ્નાનની કળા તેમને હનૂમાન શીખવે એવું એ કપિને પોષણ દેજે !"

“પાઞ્ચાલી ! પાઞ્ચાલી ! એ સર્વની તૈજસી છાયાઓમાં - એ સર્વ ચન્દ્રીની ચન્દ્રિકામાં – ત્હારાં કંઈક બાળકો અપૂર્વ સ્નાન કરવા માંડે છે, દીપાવલીની શૃંગારિત જ્યોત્સના જેવી જ્વાલાઓમાં ત્હારાં આ મધુર બાળકો જ્વાલામાલી થઈ જાય છે – તે રમ્ય ચિત્ર જો ! પાઞ્ચાલી ! એ નવા તૈજસ ચેતનનું પ્રેમથી પોષણ કરવા જાગૃત થા !"

“પાઞ્ચાલી ! આ બ્રાહ્મયુગનું કારણ અને સ્વરૂપ તને કહ્યું તે સમજી તેના કલ્યાણકાળમાં ભાગ લેવાનો અભિલાષ રાખ ! શરીરાદિમાં તું ક્ષત્રિય સત્વ અને તેજ પ્રાપ્ત કરીશ તે આજનાં મનુષ્યોના નખ [૧]જેવાં? થનાર શસ્ત્રનું કે અસ્ત્રનું ત્હારે બ્રાહ્મયુગમાં શું કામ પડનાર છે? દક્ષતામાં ને વ્યાપારમાં વૈશ્ય કપિલોકનાં શિષ્યત્વ ને સ્પર્ધા ત્હારા


  1. ૧. મનુષ્યો જંગલી હતાં ત્યારે નખને શસ્ત્ર પેઠે વાપરતાં; મનુષ્યો સુધર્યા પછી નખ ભૂષણરૂપ જ છે.
પુત્ર સમજશે તે ત્હારા દેશને શાની ખોટ પડવાની છે જે ? નિષ્કામ

લોકસેવાનો મહાયજ્ઞ તું માંડીશ તે શુદ્ધ લોક કરે છે તેવો પણ સર્વ લોકના ને ત્હારા સ્વામી પાંડવોના દાસત્વમાં પણ તને પરમાનંદનો અને પરમ કલ્યાણનો યોગ કેમ નહી થાય જે? અને બ્રાહ્મણનું બ્રાહ્મણત્વ – જે શરીરને ક્ષત્રિયોની સંપત્તિ આપવા અને સર્વ વર્ણોનાં સત્વ પોષવા સમર્થ છે – જે આ બ્રાહ્મયુગનું તત્વ અને સત્વ થઈ ર્‌હેશે – જેના મહાયજ્ઞની જ્વાલાઓ સંસારે જોઈ છે અને જોશે – તે તો ત્હારું કુલધન – ત્હારું હૃદય – ત્હારો વારસો – તેને સુધારવો વધારવો – એ શું ત્હારા જ હાથની વાત નથી ? પાઞ્ચાલી ! તું એક છે પણ ત્હારા સર્વાંગમાં આ સર્વે ચન્દ્રનાં કિરણ રમી રહ્યાં છે તે સ્વપ્ન નથી પણ સત્ય છે ! એ સત્યનું – એ ઋતનું – તું પોષણ કરીશ તો આવતા યુગને માટે તું અાજથી અધિકારિણી થયાં કરીશ, અને આ ચન્દ્રોનું તેજ ત્હારા શરીરમાં ગર્ભરૂપે સ્ફુરશે તે ગર્ભનું સુપોષણ કરી તેને તું જન્મ આપીશ તો એ યુગની પૂજાને સમયે તેની આરતી તું જ કરીશ અને એ અલક્ષ્ય યુગનું સર્વને લક્ષ્ય દર્શન કરાવીશ !"

“પાઞ્ચાલી ! આ સાત ચન્દ્રના પ્રકાશમાં જેમ પેલાં હિમાચલનાં શિખર ઉપરના હિમરાશિ સ્પષ્ટ દેખાય છે, આ બીજી ત્રણે પાસનું મહાસાગરનું પાણી આપણાથી સ્પષ્ટ દેખાય છે, તેમ જ આ બ્રાહ્મયુગના પણ ચારે પાલવ તને સ્પષ્ટ નથી દેખાતા ? પાઞ્ચાલી ! એ યુગમાં ત્હારું બહુ કામ છે ! ત્હારું જ કામ છે ! ત્હારી આશપાશનાં મહાસાગરનાં મોજાંની પેઠે ત્હારી આશપાશ કપિલોક ઉછળી રહ્યા છે તે ત્હારા દેશનાં હવાપાણીને સુધારશે, અન્ય દેશોમાં જવાનાં ત્હારા પુત્રોને સાધન આપશે, અને રત્નાકર ત્હારો રત્નાકર જ થશે !તું અને ત્હારી પ્રજા, આ હિમાચળના શિખર ઉપરના હિમ પેઠે જડ થઈ, સ્થિર થઈ શીત થઈ બેઠાં છો. પણ એ ત્હારું શાંત દૂર એકાંત પડી રહેલું હિમ અને કપિલોકના વિસ્તીર્ણ ઉછળતા સાગરનું ખારું પાણી - ઉભય પાણી જ છે અને તે એકઠાં થઈ નવી સુન્દર સૃષ્ટિ રચશે ! પાઞ્ચાલી ! અગસ્ત્ય જેવી ત્હારી પ્રજાના શરીરમાં એ સાગર સંચાર પામશે, અને કપિલેાકમાં જે કોઈવર્ગ સગરપુત્રો જેવો ઉન્મત્ત હશે તેને ત્હારા આ હિમાચલમાંથી વહી જતી ગંગા શાંત, શીત, અને પવિત્ર કરી દેશે. પાઞ્ચાલી ! એ પવિત્ર કાળને માટે અને ત્હારા હિમરાશિના મીઠા જળના પ્રવાહોમાંથી ગંગાયમુનાઓના પ્રવાહ વ્હેતા મુકવાને માટે ઉત્સાહિની થા ! પ્રવૃત્ત થા ! હું વિષ્ણુનો ચિરંજીવ બ્રાહ્મણાવતાર તને વહન આપવા તત્પર છું ! ત્હારી થોડી ઘટિકામાં કે થોડા દિવસમાં તું એ વહન પામીશ !"

"પાઞ્ચાલી ! કુન્તી ! પાણ્ડવો ! હનૂમાન ! અશ્વત્ત્થામા ! ભીષ્મ ! નાગલોક ! આ ગિરિ અને સાગરો વચ્ચેના જંતુઓ !

किं दोर्भ्यां किमु कार्मुकोपनिषदा किं वैष्णवेनोर्जसा
किं वेदाधिगमेन भास्वति भृगोर्वंशे च किं जन्मना ।
किं वाऽनेन ममाद्भुतेन तपसा दूषां कृतान्तोपि चेद्
युष्मांत कुरुते किमष्यनुशयो यो मे स पुश्णातु वः [૧]
तदिमा वै
पाण्डवैराहितं तेनो दधानां भूतये भुवः ।
लोका जानीत पञ्चालीमग्नीगर्भो शमीमिव [૨]


પરશુરામનો સ્વર બંધ પડ્યો ને તેની સાથે આકાશના સર્વ ચન્દ્ર પાઞ્ચાલીની આશપાશ પ્રદક્ષિણા કરવા લાગ્યા અને એ સર્વ ચન્દ્રલોકમાંથી સૂક્ષ્મ સુન્દર ગાન નીકળવા લાગયું.

“પાઞ્ચાલી ! પાઞ્ચાલી !

"[૩]कुलाचला यस्य महीं द्विजेभ्यः
प्रयच्छतः सोमदृषत्त्वमापुः।
बभूवुरुत्सर्गजलं समुद्राः
स रैणुकेयो भवतीं धिनोतु ॥"

  1. ૧. જયાં સુધી યમ પણ તમને દૂષિત કરી શકે છે ત્યાં સુધી- મ્હારું બાહુબળશા કામનું છે ? મ્હારું અસ્ત્રજ્ઞાન શા કામનું છે ? મ્હારૂં વૈષ્ણવ સામર્થ્ય શાકામનું છે ? મ્હારો વેદબોધ શા કામનો છે ? ભૃગુ મુનિના પ્રકાશમાન વંશમાંમ્હેં જન્મ લીધો તે પણ શા કામનો છે ? અથવા આ મ્હારું અદ્ભુત તપ પણશા કામનું છે ? અાવી જે અનિર્વચનીય ચિન્તા મ્હારા મનભાં રહ્યાં કરે છે તેચિન્તા તમારા પાષાણનું સાધક થાવ ! ( સુભાષિત રત્ન ભાણ્ડાગાર ઉપરથી.)
  2. ર. તો,હે લેાકો, શમી (વૃક્ષ) ગર્ભમાં અગ્નિનું ધારણ કરે છે તેવી જ રીતેપાં ડવોએ અર્પેલા તેજનું, આ પાઞ્ચાલી, પૃથ્વીના કલ્યાણને માટે, ધારણ કરેછે તે જાણો ! ( શાકુંતલ ઉપરથી ).
  3. ૩. જેણે દ્વિજ એટલે સંસ્કાર પામેલીબુદ્ધિવાળા વર્ગને પૃથ્વી આપી તે વેળા તે દાનમાં આપેલી પૃથ્વીની સીમઉપર બાણના પથરાને સ્થાને ફુલાચલ થયા (એ સીમવાળો દેશ આ છે)અને દાનકાળે સંકલ્પનું પાણી મુકેલું તે આ ત્રણ પાસના સમુદ્રરૂપ થઈ ગયું(એ સમુદ્રના ઉપયોગથી જ આમ સંપત્તિ અને ઉદ્ધાર છે), તે પરશુરામ તમ આર્યાનું પોષણ કરો !” (સુભાષિત રત્ન ભાંડાગાર ઉ૫૨થી).
ચન્દ્રલોકમાંથી સ્વરો બન્ધ પડ્યા તે પ્હેલાં હનૂમાન સર્વના સામે

ઉભા રહી બોલવા લાગ્યો ને તેના પ્રતિધ્વનિ સમુદ્રોમાં ને પર્વતોમાં ઉડવા લાગ્યા.

[૧]द्वारे कल्पतरुन् गृहे सुरगविश्चिन्तामणिनिङ्गदे
“पीयूषं हृदयेषु पाण्डुतनयेष्वस्त्रोन्दमं ब्राह्णम् ।
“एवं कर्त्तुमयं व्यवस्थति मुनिर्भूतेषु भाग्योत्क्रमम्
"पायात्रोऽखिललोकबुद्धिसदनो देवः स्वयं भार्गवः ॥

“Those only will survive this Out-going Age of Destruction who are fittest to live in the In-coming Age of Construction, and the fitness will consist, not in the mailed fist and its power to destroy, but in the Progressive Virtues of the brain and the heart. May we be fit for that Age, for there is no hope of survival for those not so trying to be so fit !”

આ સ્વર બંધ પડ્યો ને તેની સાથે સર્વ પવિત્ર સત્ત્વો અદૃશ્ય થયાં. માત્ર કુરુક્ષેત્રનું ચન્દ્રિકાની ચાદર પાથરેલું વિશાળ ઉઘાડું મેદાન, એક ચન્દ્ર અને અનેક તારાવાળું આકાશ, અને ઉત્તરમાં પૃથ્વીમાંથી ઉગેલા મ્હોટા વાદળા જેવો હિમાચળ, એ સર્વની વચ્ચે સરસ્વતીચંદ્ર અને કુમુદ તેજોમય વસ્ત્રથી સન્ધાયલાં, દક્ષિણ દિશા ભણી દિવ્ય પાંખેાપર ઉડતાં જવા લાગ્યાં. થોડી વારે રત્નનગરી પાસેના સમુદ્રમાં એ રાજયોનાં બંદર અને તેમાં સ્હડવાળાં વ્હાણો અને ભુંગળાવાળી આગબોટો અને બંદર ઉપરના બંગલા સર્વ આ શાંત રજનિમાં સુતેલાં દેખાયાં અને માત્ર તેમાંના દીવા જાગતા હતા.


  1. ૧. આ પરશુરામ મુનિ ભૂતમાત્રમાં ભાગ્યનો ઉત્ક્રમ એટલે ઉન્નતિનો ક્રમ ઉંચો રચવાનો વ્યવસાય કરે છે ! તે ઉત્ક્રમ કેવો છે ? તે ભૂતો ગૃહબ્હાર નિકળી બ્હાર પ્રવાસે નીકળે તે કાળને માટે તેમનાં દ્વારોમાં કલ્પવૃક્ષોને આ મુનિ રોપે છે; તેઓ પોતાનાં ગૃહમંદિરમાં કુટુંબવચ્ચે અને સ્વદેશમાં હોય તે વેળાને માટે તેમનાં આ ગૃહોમાં કામધેનુએાને મુકે છે, કંઈ પણ કાર્ય સાધવા તેમણે પોતાના હાથને ચલવવા પડે ત્યારે કેણીપાસ ચલાવવા એ જાણવાને અને સાધન શોધવાને માટે ને ભૂતોના હાથ ઉપર સોનાનાં કડાંને સ્થાને ચિન્તામણિ બાંધે છે. મનુષ્યો અરસ્પરસ સુખનાં સાધક થાય માટે તેમનાં હૃદયમાં અમૃત ભરે છે; લોકકલ્યાણની વૃદ્ધિને માટે સર્વત્ર પાંડવોમાં અસ્ત્રોના બ્રાહ્મણ ઉદ્ગમને મુકે છે એ ભાર્ગવ દેવ પરશુરામ પોતે સર્વ લોકની બુદ્ધિએામાં વાસ કરે છે તે મુનિ આપણું રક્ષણ કરો ! ( સુભાષિતરત્નભાંડાગાર ઉપરથી )

“કુમુદ, ત્હારા પિતાના સ્વામીના રાજ્યનો ભાવી ઉદય આ સ્થાને સુઈ રહ્યો છે તે જો ! પ્રાત:કાળે આ સ્થાને મ્હોટો મેળો જામશે !” સરસ્વતીચંદ્ર ઉડતો ઉડતો બોલવા લાગ્યો.

“અસ્તુ ! માત્ર ભગવાન ભાર્ગવની પળમાં આપણાં અનેક વર્ષ સમાય છે તેટલી વાર હૃદય ધૈર્ય ધરે એમ નથી.” કુમુદ બોલતી બોલતી ઉઠી.

સ્વપ્ન પુરું થયું. બે જણ સૌમનસ્યગુફાના સામા સામી ઓટલાઓ ઉપર છુટાં છુટાં ગાઢ અને સ્વસ્થ નિદ્રામાં પડ્યાં અને સંગત સ્વપ્ન સમાપ્ત થઈ ગયું, અને કદી કદી કુમુદ પોતાનું એકલું સ્વપ્ન જોતી હતી ને લવતી હતી.

“તમે બે વર્ષની ઢીલ બહુ લાંબી નાંખી ! પણ હશે ! પાઞ્ચાલીના વિયોગમાં ને કુન્તીમાતાની ક્ષમામાં આપણી સર્વ સ્ત્રીયોએ લેવાના આશ્વાસનનાં દૃષ્ટાંત છે.”