સિંધુડો/યજ્ઞ-ધૂપ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← સ્વતંત્રતાની મીઠાશ સિંધુડો
યજ્ઞ-ધૂપ
ઝવેરચંદ મેઘાણી
તરુણોનું મનોરાજ્ય →


યજ્ઞ-ધૂપ

આઘેરી વનરાઈ ઇંધન ક્યાં ચેતાય ?
કોને આંગણ યજ્ઞમાં આપણ તેડાં થાય ?

યજ્ઞનો ધૂપ ધમ ધમ દિગન્તે ચડે,
નોતરાં યુધ્ધનાં બારડોલી-ઘરે,
દૂર બેઠેલ અમ પ્રાણ થનગન કરે,
યજ્ઞનો ધૂપ આકાશભર ઊભરે,

મીઠી સૌરભ ધૂપની દૂર સુદુર છવાય,
લાખો હૈયા તુજ પરે હોમાવા હરખાય;

લાખ હૈયાં ધબકતાં તુંને ભેટવા
તોપ બંદૂક તલવાર પર લેટવા,
આજ તુજ યજ્ઞ-ધૂપે સહાતી હવા
પ્રેરતી લાખને યુદ્ધ-ઘેલા થવા.

લાખ લાખ નયનો રહ્યાં નીરખી અંબર માંય,
તારા યજ્ઞ-ધુંવા તણી યજ્ઞ-નિમંત્રક ઝાંય.

નીરખતાં લાખ નયનો ગગન-કાંગરે,
ધૂંધળો ધૂપ ચડતો જગત-નોતરે,
ભડ થજે, ભય નથી, આજ અમરાપરે
દેવ-કુલ યજ્ઞ તવ નીરખવા ઊતરે.

રહેજે મક્કમ મરણ લગ, મોત બિચારું કોણ !
તું મરતે જીવવું ગમે એવો કાયર કોણ !

તું મરંતે હજારો તનય હિન્દના
વિચરવા એ જ પંથે અમર ધામના
સજ્જઊભા : તું નિષ્પાપ છે, ડરીશ ના !
યજ્ઞનો ધૂપ પીધા પછી ફરીશ ના !

[બારડોલી-સત્યાગ્રહને ઉદ્દેશીને : ૧૯૨૮]