સોરઠી સંતો/દાના ભગત

વિકિસ્રોતમાંથી
← પાંચાળનું ભક્તમંડળ સોરઠી સંતો
દાના ભગત
ઝવેરચંદ મેઘાણી
૧૯૨૮
વેલો બાવો →




દાના ભગત
જન્મ
મૃત્યુ
 
સંવત-૧૭૮૪
સંવત-૧૮૭૮
 

પાંચાળને ગામે ગામે દયા અને દાનનો બોધ દેવા જાદરો ભગત એકવાર આણંદપર ભાડલા નામે ગામમાં આવી પહોંચ્યા છે. જાદરો તો પીર ગણાતા, દુ:ખીયાં, અપંગ, આંધળાં, વાંઝીયાં, તમામ આવીને એની દુવા માગતાં.

એમાં એક કાઠીઆણી, માથે ગૂઢું મલીર ઓઢેલું, બાવીસ વર્ષના જુવાન દીકરાને લાકડીએ દોરેલો, અને આપાની પાસે આવી ઉભી રહી. ભગતે પડખે બેઠેલાઓને પુછ્યું કે

“આ બોન કોણ છે ભાઇ !”

“બાપુ, કાળા ખાચરને ઘેરેથી આઇ છે. કાળા ખાચર દેવ થઇ ગયા છે, ને સત્તર વરસ થયાં આઇ આ છોકરાને ઉછેરે છે.”

“તે છોકરાને દોરે છે કાં ?”

“બાપુ, છોકરાને બેય આંખે જન્મથી અંધાપો છે.”

“છોકરાનું નામ ?”

“નામ દાનો.”

“આંહી આવ બાપ દાના ખાચર. તારી આંખ્યું જોઉં બાપ !” દાનો થડમાં આવ્યો, પડખામાં બેસારીને ભગતે આંખો તપાસી. પછી નાનું છોકરૂં દાંત કાઢે તેવી રીતે ખડખડાટ હસીને બોલ્યા “બાપ દાના ! આટલાં વરસથી ઢોંગ કરીને બિચારી રડવાળ માને શીદ સંતાપી ? તારી આંખ્યુંનાં રતન તો આબાદ છે ભાઇ ! તુ આંધળો શેનો ? દહલીમાં ઘોડાં દોડતાં હોય ઇ યે તું ભાળછ, તારી નજરૂં તો નવ ખંડમાં રમે છે. ઠાકરનું નામ લઈને આંખ્યું ઉધાડ બાપ ! તારે તો હજી કૈંકને દુનિયામાં દેખતાં કરવાનાં છે ઇ કાં ભૂલી જા ?”

*[૧] દાનાએ આંખો ઉઘાડી. પોપચાંના પડદા ઉંચા થયા. જગતનું અજવાળું આજ અવતાર ધરીને પહેલી વાર દીઠું. આંખમાં જ્યોત રમવા લાગી. માતા સામે, સગાં વ્હાલાં સામે, ચારે કોર નજર ફેરવી. ત્યાં ભગત બોલ્યા:

“બાપ, ઉંચે ઇશ્વર સામુ જોયું ?”

દાનાએ ગગનમાં નજર માંડી. ઇશ્વર પ્રત્યે હાથ જોડ્યા. બાવીસ વરસનાં ભર જોબન, અને સંસારનાં સુખ માણવાની લાલસા: માની પ્રીતિ, બાપનો મૂકેલો વૈભવઃ બધું ય સર્પની કાંચળીની માફક, પલવારમાં અંગ ઉપરથી ઉતરી ગયાં. દાનાના મુખ મંડળ ઉપર ભગવા રંગની ભભક ઉઠી આવી. એણે જાદરાના પગ ઝાલી એટલું જ કહ્યું કે “બાપુ ! હવે મારે ઘેરે નથી જાવું. તમારી સાથે જ આવવું છે.”

“માડી ! એક વાર ઘરે તો હાલ્ય. તારાં લૂગડાં બાંધી દઉં.” બેબાકળી માતાએ દીકરાને બોલાવ્યો.

“હા હા, બાપ દાના ! ઘેરે જઇ આવ. પછી તું તારે જગ્યામાં હાલ્યો આવજે.”


  1. **આ પ્રસંગને પરચાનું રૂપ શા માટે આપવું જોઇએ ? આગળના સંતો ભક્તો પેાતાની પાસે સારી સારી વનસ્પતિની દવાઓ રાખી લોકોના વ્યાધિઓ મટાડતા હોવાનો સંભવ છે. દાનાની આંખો ઉપર પણ ચમત્કાર કરવાને બદલે જાદરાએ કોઇ ડુંગરીયાળ ઐાષધી જ લગાવી હશે.
“બાપુ ! મા ! મારૂં ઘર મેં ગોતી લીધું છે. હવે મારે કાંઇ

પોટલું બાંધવું નથી. મારે તો મારે સાચે ઘેરે જ જાવાનું પરિયાણ છે.”

માની આંખમાં દડ ! દડ ! પાણી પડવા માંડ્યાં જાદરા ભગતે માને કહ્યું કે “ આઇ ! આંસુ પાડછ ? કાઠીયાણી થઇને ! એકાંદ સાંતી જમીનનાં ઢેફાં સારૂ તારો દીકરો ધીંગાણે કામ આવત, તો વખતે તું આંસુ ન પાડત. અને આજ સંસાર આખાને જીતવા નીકળનારા દીકરાને અપશુકન શીદ દઇ રહી છો મા ? છાની રે'.”

(૨)

જુવાન દાનાએ ભગવા પહેર્યા. ગુરૂની આજ્ઞા મળી કે “બાપ ! કામધેનુની ચાકરી કરવા મંડી જા.”

આજ્ઞા મુજબ દાનો ગાયોને સંભાળવા લાગ્યો. અધરાતે પહર છોડીને માંડવના વંકા ડુંગરાઓમાં એકલો જુવાન ધેનુઓને ચારે છે. ભમી ભમીને કૂણા ધાટાં ખડવાળી ખીણો ગોત્યા કરે છે. ગાયોને ધરવી ધરવીને ભળકડે પાછી જગ્યામાં આણે છે. પોતે જ તમામ ધેનુએાને દોવે છે. ગમાણમાંથી વાસીદાં વાળી, છાણના સૂંડા માથે ઉપાડી, રેગાડે નીતરતો જુવાન જોગી છાણાં થાપે છે. વળી પાછો ગાયો ધોળીને સીમમાં કોઈએ ન દીઠાં હેાય એવાં ખડનાં સ્થાનો ઉપર જઈ પહોંચે છે. પાણીનાં મોટા મોટા ધરામાં ધેનુઓને ધમારી, વડલાની ઘટા હેઠે બેસારી, કોઈના ગળાં ખજવાળતો, કોઇની રૂવાટીમાંથી ઝીણી ઈતરડીઓ કાઢતો. કોઈની બગાંઓ પકડતો, કોઇનાં કંઠે બાંધવા માટે ફુમકાં ગૂંથતો, ને કોઇની ખરીએ ને શીંગડીએ, એરંડી વાટીને તેલ ચોપડતો બાળો જોગી જ્યારે પોતાની કામધેનુઓને મસ્ત બની વાગોળતી જોતો, ત્યારે એને પણ કોઈ સ્વર્ગીય આનંદનો નશો ચડતો. નેત્રો ઘેઘૂર બની જતાં અને ગળું ગુંજવા લાગતું કે

“આજો ગગનથી લેહેરું રે આવે
ઝીણાં ઝીણાં મોતીડાં અઝ૨ ઝરે રે.”

ગુરૂ જાદરા ભગતે સમાત લીધી. અને પછી પાંચાળમાં દુકાળ પડ્યો. સેંજળ લીલી સોરઠ ધરાનાં દર્શન માટે જુવાન દાનો ધેનુઓનું ધણ ઘોળીને થાનથી ચાલી નીકળ્યો. આવીને એણે ગિરકાંઠાના કાઠીઆઇ ગામ ગરમલીની સીમમાં ઉતારો નાખ્યો. ત્યાંથી માતાજીએાને (ગાયોને) તુલસીશ્યામ તરફ ધોળી ગિરના ડુંગરામાં ગાયોને આંટા દેવરાવ્યા. તુલસીશ્યામ તો વંકે ડુંગરે વીંટળાયલું, સજીવન ઝરણાંથી શોભતું, તાતા પાણીના કુંડ વડે ભાવિકોને ઈશ્વરી ચમત્કાર દેખાડતું પ્રભુ-ધામ હતું. પરંતુ આપા દાનાનો જીવ ત્યાં ન ઠર્યો, ત્યાંથી નીકળીને જેનગર ગામમાં પહેાંચ્યા. ટીંબો સજીવન દીઠો. ગામના ગોવાળેાને પૂછ્યું કે “ભાઈ રાયકા, આંહી રહું ?”

“રો'ને ભા ! અમારે ક્યાં ખડ વાઢીને ખવરાવવું પડે છે?” ગેાવાળોની હેતપ્રીત દેખીને ભગતનો જીવ ગોઠિયો. ભગત ગાયો ચારવા લાગ્યા.

એક દિવસ પ્રભાતે ગોવાળો ગામને પાદર ટોળે વળીને ઉભા છે જાણે કોઈનું છોકરૂં મરી ગયેલું હોય, એવા અફસોસમાં સહુ એક પીપળાની લીલી મોટી ડાળ પડેલી તેને ચોપાસ વીંટીને ઉભા છે. અંદરો અંદર વાતો થાય છે કે “કયે પાપીએ પીપળાની ડાળ કાપી નાખી ? ”

“માતાજીયું ને વિશ્રામ લેવાની શીળી છાંયડી ખંડિત થઈ ગઈ.”

“અને પંખીડાંનાં લીલાં બેસણાં તૂટ્યાં.”

પીપળો તો પાદરનું રૂપ હતો. એની ડાળ માથે ઘા પડ્યો, એ તો જાણે માલધારીઓના માથા પર વાગ્યો હતો. આમ અફસોસ થઇ રહ્યો છે, ત્યાં આપો દાનો આવી પહોંચ્યા. પીપળો વઢાયાની વાત એને પણ કહેવામાં આવી.

“ભણેં બાપ રાયકાઓ ! ” આપો બોલ્યા, “યામાં કાણું થઉ ગો” ! ડાળ્યને ભેાંમાં ફરીવાર વાવુ દ્યો ને ! એકને સાટે બે પીપળા થાહે !”

“અરે આપા ! “ માલધારીઓ હસવા લાગ્યા, “પીપર, વડલો, કે અાંબો, ઈ સંધાયની ડાળ્ય વાવીએ તો ઉગે, પણ કાંઇ પીપળાની ડાળ્ય તે ફરીવાર ચોંટે ભગત ?”

“કાણા સાટુ નો ચોંટે બાપ ? સીંધાયની જેમ પીપળાની ડાળ્ય સોત ઉગે ! ઠાકરને ઘરે ઈમાં ભેદ હોવે નહિ. માટે ઠાકરનો નામ લઉને વાવું દ્યો ભા ! હાલો, ખોદો ખાડો.”

ખાડો ખોદાયો તેમાં ભગતે ડાળ રોપી. ઉપર ધૂળ વાળી ખામણું કરીને દરરોજ પોતે જ પાણી સીંચવા લાગ્યા. દિવસ જતાં ઝપાટાભેર ડાળ કોળી, પાંદડાંની ઘટા બંધાઈ ગઈ. ચળકતાં પાંદડાં ચંદ્ર સૂરજનાં તેજ ઝીલીને રાત દિવસ હસવા લાગ્યાં. ડાળ્યે ડાળ્યે પંખીડે માળા નાખ્યા. આજે પણ એ પીપળો ઉભો છે.

( ૩ )

જેનગર છોડ્યું. ફરીવાર ગાયો ઘોળીને ગરમલી આવ્યા.

બપોરને ટાણે સૂરજ ધખ્યો છે. ગોંદરે ઝાડવાને છાંયે પોતે ગા'ના ડીલનો તકીયો કરીને બેઠા છે, ત્યાં સામે એક કણબીની છોકરીને દેખી. છોકરીએ માથા ઉપર મોશલો ઓઢેલ છે. દાંત ભીંસીને બે હાથે માથુ ખજવાળે છે. માથામાં કાળી લા' લાગી હોય તેમ ચીસે ચીસો પાડે છે. છોકરીથી ક્યાંયે રહેવાતું નથી.

જુવાન દાનો ઉઠીને એની પાસે ગયો, પૂછ્યું “ભણેં બાપ ! કેવા સારૂ રાડ્યું પાડતી સો ! " પણ જવાબ આપવાનો સમય છોકરીને નહોતો. એ તો માથુ ઢસડળતી જ રહી.

“માથામાં કાણું થ્યો છે બાપ ! મુ હેં જોવા તો દે !”

એટલું બોલીને એણે છોકરીના માથા પરથી કુંચલી ઉપાડી ત્યાં તો માથામાંથી દુર્ગંધ નીકળી. આખું માથું ઉંદરીથી ગદગદી ગયું છે. અંદર જીવાત્ય ખદબદે છે. પાસ પરુના રેગાડા ચાલ્યા જાય છે. વાળનું નામ નિશાન પણ નથી રહ્યું.

આપા દાનાનું અંતર આ નાની દીકરીનું દુ:ખ દેખીને ઓગળી ગયું. એને એકેય દવા આવડતી નહોતી. દવા વિચારવાની ધીરજ પણ ન રહે એવો કરૂણ એ દેખાવ હતો.

“ઠાકર ! ઠાકર ! દીકરીની જાત્યને આવડો દ:ખ !"

એટલું બોલીને એણે છોડીનું માથુ છાલી લીધુ. હાથ પકડી લીધા, અને પોતાની જીભ વતી એ આખા માથાને ચાટ્યું; એક વાર, બે વાર, ને ત્રણ વાર ચાટ્યું.

છોડીને માથામાં જાણે ઉંડી ટાઢક વળી ગઈ. એની ચીસો અટકી ગઈ. માથે હાથ ફેરવતાં જ ગૂમડાંનાં ભીંગડા ટપોટપ નીચે ખરી પડ્યાં. અને થોડા દિવસમાં તો એ ફુલ સરીખા માથા ઉપર કાળા કાળા વાળના કોંટા ફુટી નીકળ્યા.

છોકરીએ ભગત બાપુના ચરણોમાં માથું નાખી દીધું. બાપુના પગ ઝાલી લીધા. બાપુના મ્હોં સામે મીટ માંડી રહી. ભગતના નેત્રોમાંથી તો દયાની અમૃત-ધારાઓ વરસી રહી છે.

લાંબી સુંવાળી લટો વડે શોભતી કણબીની બાળકી ભગતના ખેાળામાં પડીને પુછે છે – “હેં બાપુ ! ઓલી મારા માથાની ઉંદરી ક્યાં ગઈ ? ”

“બેટા ! ઈ તો હું ખાઈ ગો !” એમ કહીને ભોળીઓ

ભગત દાંત કાઢે છે.
(૪)

"ગાયુંની તો ચાકરી કરી રહ્યો છું. પણ ગરીબ ગુરબાં, ને સાધુ સંત મારે આંગણેથી અન્ન જળ વિના જાય છે. ઠાકર ઇ કેમ ખમશે ?

ભગતે સદાવ્રત વહેતું કર્યું. દાણાની ટેલ નાખીને અનાજ ભેળું કરવા માંડ્યું. ગામ લોકોએ દળી ભરડી દેવાનું પણ માથે લીધું. ગરીબ ગુરબાં, લુલાં પાંગળાં, ઘરડાં બુઢ્ઢાં, તેમજ મુસાફર સાધુ બાવાઓને દાળ રોટલા આપવા લાગ્યા. એક પણ અન્નનું ક્ષુધાર્થી ભૂખ્યે પેટે પાછું જતું નથી. આપા દાનાનો રોટલો મુલકમાં છતો થવા લાગ્યો.

એમાં દુકાળ ફાટી નીકળ્યો. અનાજ ! અનાજ ! પોકારતો આખો દેશ હલક્યો. દાના ભગતને દ્વારે રાંધણાનો પાર ન રહ્યો. દાળનાં મોટાં રંધાડાં ને રોટલાની વીસ વીસ તાવડી ચાલવા લાગ્યાં. અનાજનાં ગાડાં આવી આવીને આપા દાનાની કોઠીએામાં ઠલવાય છે, પણ કોઇને ખબર નથી પડતી કે એ ક્યાંથી આવે છે ને કોણ મોકલે છે.

દેનાર તો ન થાક્યાં, પણ દળનાર ભરડનાર ગામ લોકો ગળે આવી ગયાં. ગામને બહુ ભીંસ પડવાથી લોકો બોલ્યાં કે “બાપુ ! ફક્ત બામણ સાધુને જ રોટલા આપો, બીજા કોઇને નહિ. નીકર અમે પોગી નહિ શકીએ. ”

“અરે ભણેં બાપ !” ઓશીયાળા થઇને આપા દાના બોલ્યા, “હવે તમારે ગામને દળવો ય નહિ ને ભરડવો ય નહિ. લ્યો આ પાંચ કોરી. એના ચોખા લાવો, ને ગળ લાવો. આ માતાજીયું મળે છે તે માથે છાંટો છાંટો ધી દેશું, એટલે તમારે મારો હડચો ખમવો નહિ, ઠીક બાપ !” દાળ રોટલાને બદલે ગોળ ચોખા ને ઘીનું સદાવ્રત વહેતું થયું. ચોખાનાં છાલકાં બહારથી આવતાં થયાં. ઠાકરે એ પાંચ કોરીના ચોખા ગોળમાં અખૂટ અમી સીંચી દીધાં. કોઈ દિવસ તૂટ આવી નહિ. કેમકે ભગતની આસ્થા કદિયે ડગી નહિ.

ગરમલીથી ચાલીને એક દિવસ આપા દાનાએ ચલાળા ગામમાં જગ્યા બાંધી. ત્યાં પણ ગોળ ચોખાનું અન્નક્ષેત્ર વહેતું કર્યું.

(પ)

પોતાની ગાયો હાંકીને દાનો ભગત ગરમાં સીધાવ્યા છે. એક દિવસ કાળે બપોરે ગાયો તદ્દન નપાણીઆ મુલકમાં ઉતરી. માણસોએ બોકાસાં દીધાં દીધાં કે “ બાપુ ! પાણીની જોગવાઈ આટલામાં ક્યાંયે નથી.”

“ભણેં લ્યો બાપ ! હું મોંગળ જઉને પાણીની તપાસ કરાં.”

આટલું બોલીને ભગત ચાલી નીકળ્યા. ગિરમાં દેવળા નામનું ગામ છે, ત્યાંની સીમમાં આવ્યા. જુવે તો ત્યાં દુકાળની મારી બે ત્રણ હજાર ગાયો દેશાવરથી ગિરમાં જવા ઉતરી પડેલી છે. ખદબદ ! ખદબદ ! થાતી એટલી ગાયો પાણી વિના ટળવળે છે. પણ ગામમાં એવો મોટો પીયાવો નથી. ગાયોની શી ગતિ થશે એવા ઉચાટ કરતા ગામલોકો પાદરમાં ઉભા છે. આટલી ગાયો આપણે ટીંબે પાણી વિના પ્રાણ છાંડશે તો આપણે ઉજ્જડ થઈ જાશું, એવી બ્‍હીકે ગામની વસ્તી ગાયોનાં ભાંભરડાં દેતાં ઓશીયાળાં મ્હોં સામે જોઈ રહી છે.

ત્યાં બૂમ પડી કે “એ આપો દાનો દેખાય. ”

ભગત આવી પહોંચ્યા. ગામલોકોએ કહ્યું કે “ બાપુ ! આમ જુઓ."

“કાં બાપ ! આ કાણું ?” “બાપુ ! નવ લાખ ગાયું !”

“ઓહોહોહો ! નવ લાખ માતાજીયું ! ભણેં તવ્ય તો આ ગેાકળીયું ભણાય. અા તો નંદજીનો ગામ ગેાકળ ! વાહ વાહ ! અા તો મોટી જાત્રા ભણાય.”

“અરે બાપુ ! નવે લાખ અાંહી જ ઢળી પડશે. અાંહી પાણી ન મળે.”

“પાણી ન મળે ? ઈં તે કેદિ હોવે બા ! માતાજીને પુન્ય પરતાપે ઠાકર પાણી મોકલ્યા વિના રે' ખરે ? ધરતી માતા તો સદાય અમીએ ભરી છે. કુડું ભણો મા !”

એટલું બોલીને ભગતે ચારે બાજુ નજર કરી. અને એણે એક નાનો વાંકળો દીઠો.

“એ લ્યો બાપ ! ભણેં અા રહી નદી ! અાસે તો નકરો પાણી જ ભર્યો છે ને શું !”

“અરે બાપુ ! ઈ તો ખોડું નેરડું, નકરી વેળુ. સાત માથેાડેય પાણીનો છાંટો ન મળે.”

“ના બાપ, ઈવું ભણો મા. મંડો ખેાદવા. ગુપત ગંગા હાલી જાતી સે. હાં માળા બાપ ! સહુ સંપીને ઉધમ માંડો, એટલે ઠાકરને પાણી દીધા વન્યા છૂટકો જ નહિ. રોતલને કે દાળદરીને કાંઈ ઠાકર દેતો હોશે બાપા ?”

પોતે હાથ વતી વેકરો ખેાદવા લાગ્યા. હસતા હસતા ગામલોકો પણ મદદે વળગ્યા. ઘડીમાં તો ત્યાં વેકૂરની મોટી પાળ ચડી.

“એ જુઓ બાપ ! લીલો કળાણો !”

ભીનો વેકરો આવ્યો. કમર કમર જેટલું ખોદાણ કામ થયું. અને પાણી તબક્યું.

“હવે ખસુ જાવ બાપ ! અને માતાજીયું ને વાંભ કરુને બોલાવો. હવે ઠાકર પાણી નૈ દ્યે ને કિસે જાશે ?” અાંહી ગાયોને વાંભ દીધી, ને ત્યાં જાણે પાતાળ ફાટ્યું. છાતી સમાણો વીરડો મીઠે પાણીએ છલકાઈ ગયો. પાણીનું વ્હેન બંધાઈ ગયું. અને તરસે અાંધળી બનેલી ગાયો પાણી ચસકાવવા લાગી. ગાયોના શરીર ઉપર હાથ ફેરવતા ફેરવવા ભગત કહેવા લાગ્યા કે “ભણેં માવડીયું ! કામધેનું ! આ તમારા પરતાપે પાણી નીકળ્યાં. જમનાજી છલક્યાં. પીવો ! ખૂબ પીવો !”

આજે પણ 'નવલખો વીરડો' નામે ઓળખાતું એ અખંડ જળાશય ચાલુ છે. એને લોકો 'આપા દાનાનો વીરડો' પણ કહે છે. થોડાં વર્ષો પર કોઈ ખેડુતે ત્યાં વાવેતર કરી, એ વીરડાનું પાણી વાળ્યું. એટલે લાખો પશુઓની તરસ છીપાવતાં એ અખૂટ પાણી થોડાં દિવસમાં જ ખૂટી ગયાં. વાવેતર બંધ થયું, એટલે ફરીવાર વીરડો ચાલુ થયો.

(૬)

ભાવનગરથી ગધેડાં ઉપર ચોખાનાં છાલકાં ભરાવીને ભગત ચલાળા તરફ ચાલ્યા આવે છે. પોતે ઘોડી ઉપર ચડેલ છે, અને ગધેડાને જોગી લોકો હાંકતા આવે છે. ચૈત્ર વૈશાખના બપોર ચડ્યા છે. ઉની લૂ વાય છે. બરાબર પાડરશીંગાની સીમમાં આવતાં માર્ગે એક વાડીના ધોરીયામાં ગધેડાં પાણી પીવા ચડ્યાં. વાડીનાં અખૂટ પાણી વહ્યાં આવે છે. અને ઉપર એક સામટા સાત કોસ જૂત્યા છે. ૭૦-૮૦ વીઘામાં ઉનાળાનો ચાસટીઓ ઉભો ઉભો અખંડ પાણી પી રહ્યો છે. અને નાની શી સારણ વહેતી હોય એવો ધોરીઓ ચાલી રહ્યો છે. આમ છતાં યે ગધેડાં જ્યાં ધોરીયામાં મોઢું નાખવા જાય છે ત્યાં તો વાડીમાંથી ચહકા થયા. સાતે કોશીયાએ કોસ ઉભા રાખીને હાથમાં પરોણા લઈ દોટ દીધી. ગાળોની ત્રમઝટ બોલાવતા. બોલાવતા ગધેડાંના મોઢાં ઉપર પરોણાની પ્રાછટ દીધી. “અરે ભણેં બાપ !” દાનો ભગત આ ત્રાસ જોઈને બોલ્યા, “બાપડાં પશુડાં તરસ્યાં છે, યાને પાણી પીવા દ્યો ને ! કાણા સારૂ વારતા સો ?"

“મારે નહિ ત્યારે શું ચાટે ? કાંઈ તારાં ગધેડાંને પાણી પાવા સાટુ કોસ જોડ્યા છે ? કાળ વરસનું પાણી ક્યાં વધારાનું છે ?”

“અરે ભણેં બાપ ! પાણીનો તૂટો કેવાનો ? આ સાત કોસ વહેતા સે ને ?”

“તે તારા જેવા મફતીઆ સાટુ કોસ નથી જોડ્યા, બાવા ! હાલ્યો જા છાનોમુનો. પાણી નહિ પાવા દઈએ.”

“અરે ભણેં ભાઈ ! ઠાકરની પાસે તો સંધાય જીવડા સારખા. ઠાકરે તમુંહેં પાતાળ-પાણી દીનો સે ! શીદ આ ગભરૂના નિસાપા લેતા સા ! પીવા દીયો, પીવા દીયો, ઠાકર તમુંહેં ઝાઝો પાણી આપશે. ”

“હવે હાલ્યો જા ઠાકરના દીકરા ! પાણી નથી કૂવામાં. ”

પાણી નથી ! એટલો શબ્દ જ્યારે પાંચ વાર બોલાયો, ભગતના કાલાવાલા એળે ગયા, અને તરસ્યાં ગધેડાંનાં મ્હોં પર લાકડીએાનો માર જોઈ ન શકાયો. ત્યારે દૂભાઈને ભગત એટલું જ બોલ્યા કે “ભણેં ભાઈ ! હાંકો ગધેડાને. યાના કૂવામાં પાણી નસેં. હાંકો, મેાંગળ અા સાતકોસી વાડી રહી. ઇસે પાશું !”

“હા હા ! જા, પડ્ય ઈ સાતકોસી વાડીમાં ?” એમ બોલીને કણબીઓએ હાંસી કરી.

ભગત આગળ ચાલ્યા. પોતે જેની સામે અાંગળી ચીંધાડીને બતાવી તે વાડી સાતકોસી તો નહોતી, પણ એકકોસી યે નહોતી. વીસ પચીસ ક્યારામાં ચાસટીઓ કરીને એક ગરીબ ખેડુત પોતાના ડુકેલા બળદથી એક કોસ ચલાવે છે. દસ ક્યારા પીવે ત્યાં કૂવાનું તળીયું દેખાય છે. વળી બળદ છોડી નાખીને કણબી વાટ જોતો બેસે ત્યારે ઘણી વારે કોસ બુડવા જેટલું પાણી ભરાય છે. એવી હાલત વાળા કુવા પર જઈને ભગતે સાદ કર્યો કે “ભણેં બાપ જોગીડાઓ ! ગધાડાંહીં આસેં આણો. આ સાતકોસીના ધોરીયામાં પાણી પાવ ! હાં બા૫ ૫ટલ ! કોસ કાઢવા મંડ્ય. તરસ્યા જીવડા પાણી પીને તોહેં દુવા દેશે. ”

દુ:ખી કણબી બોલ્યો “પણ બાપા ! કોસ પૂરો બુડતો યે નથી. શી રીતે કાઢું ?”

“ભણેં બાપ ! યામાં તો સેંજળ શેત્રુંજી હાલી જાતી સે. તું તારે કાઢવા માંડ્ય, તરસ્યાં જીવડાંની દુવાથી પાણી આવશે.”

કણબીએ કોસ જોડ્યો. ગધેડાં પાણી પીવા લાગ્યા. પહેલો કોસ, અને બીજે કોસે તો બળદને અને થાળાને એક હાથનું છેટુ એાછું થયું, ત્રીજે, ચોથે, ને પાંચમો કોસ નીકળે, ત્યાં ઓ કૂવો અરધે સુધી ભરાયો. અાંહી ગધેડાં ધરાયાં, ત્યાં ફૂવો છલકાયો.

“ જો ભણેં પટલ ! હું નોતો ભણતો, કે આ ગભરૂડાં જીવડાંની દુવાએં કરીને સારો થાય ! જે વાડીમાં પાણી વધુ ગો. અા કેની વાડી છે ?"

“બાપા ! આ વાડી ગોરખા ખુમાણની. ”

“અને એાલી ?”

“વીસામણ ખુમાણની !”

“અરેરે ! વીસામણની વાડીમાં પાણી ન મળે. કાણું કરવો?”

ગેારખા ખુમાણનો ખેાટો કૂવો જે વખતે સાત કોસી વાડી બને એટલો છલકાઈ ઉઠ્યો, તે વખતે પેલી સાતકોસી વાડીને તળીએ સાતે કોસ લાંબા થઈને સુઈ ગયા. સાત દુકાળે પણ અખૂટ રહે તેવાં એનાં નીર શોષાવા લાગ્યાં. કોસ પછડાય છે એવું લાગતાં કોસીઓ વાડીમાં નજર કરવા ગયો. જુવે છે કે કૂવાના ડારની અંદર થઈને તમામ પાણી પાતાળમાં ચાલ્યું જાય છે. ખેડુતો ગામમાં દોડયા, પોતાના જમીનદાર વીસામણ ખુમાણ પાસે જઈ ચીસ પાડી કે “હે બાપુ ! વાડીમાં છાંટોય પાણી ન મળે !"

"શું થયુ ?"

“કો'ક કાઠી આવ્યો'તો, અમે એનાં ગધેડાંને પાણી પાવા ન દીધું. એણે આપા ગોરખાને કૂવે પાણી પાયું. અટાણે ત્યાં વાડી છલકાય છે. ”

વીસામણ ખુમાણે તપાસ કરી. ખબર પડી કે એ કાઠી તો આપો દાનો : આપો દાનો ગામમાં રાત રહ્યા છે. વીસામણે આપાને પગે જઈ હાથ નાખ્યા: પોકાર કર્યો કે “એ બાપા ! તમારી ગા ! મારી સાતકોસી ઉપર કાળો કેર ગુજર્યો. મારા છોકરાં રઝળ્યાં."

“ભણેં બાપ વીસામણ ! હું કાણું કરાં ! ઈ કૂવો જ ખેાટો છે.”

આજ પણ એ સાતકેાસી વાડીનો ગંજાવર કૂવો ભાડ થઈને જ પડયો છે. અને ગોરખા ખુમાણની વાડી સાતકોસી બની છે.

(૭)

ણે ગોર ! બાપ હવે આ બેય રાજગર છોરડ મોટા થઉ ગા ! અને હવે યાને નાતમાં લઉ લ્યો તો માળે માથેથો. ભાર ઉતરે. નીકર બચારા છેારડાને કેાઇ દીકરી નૈ દ્યે.”

“પણ બાપુ ! જગ્યાનો રોટલો ખાઇને ઇ તો વટલ્યા કહેવાય.”

“ ના ના, ભણેં બાપ ! મેં યાની દેહ નસેં વટલાવી. હિંદુસ્તાની સાધુને બામણીયે રસોડે જ યાને અમે જમાડતા. હુ ઠાકરની સાખે ભણતો સાં.” “ઠીક ભગત ! જોશું. ”

“અને વળી જરૂર હોવે તો હું તમાળી નાત્યને જમાડાં.”

“ના બાપુ ! ઇ દાખડો રેવા દ્યો. આંહી દેવળા ગામમાં હમણાં જ રાજગરની નાત્ય કારજ માથે ભેળી થાશે. ત્યાં તમે છોકરાને લઇ આવજો.”

પાંચ સાત વર્ષના બે રાજગર છોકરાઓ હતા. માબાપ મરી ગયા છે. ગાયો મકોડા ચરે એવો દુકાળ પડ્યો. છોકરાને ન્યાતના કોઇ માણસે સંઘર્યા નહિ. એ નિરાધારોને આપા દાનાને આંગણે આધાર મળ્યો. પણ પોતે કાઠી હોવાથી છોકરાઓને ચોક્ખે રસોડે જ જમાડી, પેટનાં બચ્ચાંની માફક મોટાં કર્યા. છોકરા ઉમ્મર લાયક થવાથી હવે આપાએ એને ન્યાતમાં લેવરાવવા મહેનત માંડી.

કારજ ટાણે પોતે દેવળા ગામે ગયા. જઇને રાજગર જ્ઞાતિના પટેલીઆઓને હાથ જોડી અરજ કરી કે “બાપ ! હવે યાને નાત્ય–ગંગામાં નવરાવું લ્યો.”

“ભલે બાપુ !”

એટલું કહી બને છોકરાઓને જમણમાં જમવા લઇ ગયા. પણ સમજણા છોકરાઓએ ઉતારે આવીને બાપુને વાત કરી કે “બાપુ ! અમને તો નોખા બેસીને જમાડ્યા.”

ભગતે ફરી વાર ન્યાત-પટેલીઆને તેડાવીને વિનતિ કરી. દુત્તા પટેલો બોલ્યા કે “ના, ના બાપુ ! છોકરાઓને તો વ્હેમ છે. અમે તો એને ભેળા જ બેસાર્યા'તા.”

“તવ્ય બાપ ! હું ભણાં ઇ કરો ! તમમાં મોટેરા હો ઇ યાની થાળીમાં જ જમુ લ્યો.”

ભાણામાં ભેળા બેસીને જમી લ્યો ! એ વેણ સાંભળતાં જ આગેવાનો એક બીજા સામે જોવા લાગ્યા. ને છેવટે દંભનો અંતર્પટ ઉઘાડીને બોલ્યા કે “બાપુ ! એમ તો નહિ બને. છોકરાએાએ જગ્યાના રોટલા ખાઈને કાયા અભડાવી છે. માટે ગંગાજી ન્હાવા ગયા વગર ઉપાય નથી. " “ભણેં બાપ ! તવ્ય ઇં ચોક્ખો ચટ ભણું નાખોને ! ખુશીથી ગંગાજી નાઇ આવે. પછી કાંઇ ? ”

“પછી કાંઇ નહિ.”

જરા વાર વિચાર કરીને ભગત બોલ્યા કે “હેં બાપ ! ભણેં આ છોરડા બચારા ગરીબ છે, ગંગાજીએ પોગી ન શકે, અને સાટે ગંગાજી જ આસેં પધારૂને યાને નવરાવે તો કેમ ?”

બાવાની બેવકૂફી ઉપર બધા રાજગર મરક ! મરક ! હસવા લાગ્યા. તમાશો જોવાની વૃત્તિથી બોલ્યા કે “તો બહુ સારૂં.”

“વાહ વાહ ! એલા, કોઇ એક તાંસળી લાવજો તો !”

ભગતે તાંસળી મંગાવી. ઉભા થયા. બે હાથમાં તાંસળી ઝાલીને આકાશ સન્મુખ ધરી રાખી. પોતે આભ સામી મીટ માંડીને બોલ્યા કે “એ માડી ! તું તો અધમ-એાધારણી છો ! આભ મેલુને ધરતીનાં મળ ધોવા આવી છો. તું તો ભણેં માવડી ! ભગતુંની જીભને વશ છો. જો મા ! આ બેય છોરડા પવિતર જ રહ્યા હોય, તો તો તું આવીને યાને નવરાવું જાજે. ઈ બચાડા તાળી પાંસે પોગે એમ નસેં.”

એટલું ઉચ્ચારીને ભગત ઉભા રહ્યા. સહુ જુએ છે તેમ તાંસળી છલકાણી. ઉપરથી નિર્મળાં નીરની ધારાઓ છૂટી. અને ભગતે છોકરાને બોલાવ્યા “ભણેં છોરડાઓ ! બાપ હાલો, બેય જણ નાઇ લ્યો.”

છોકરા તરબોળ બની નહાયા. તો પણ ધારા ચાલુ છે. ભગતે સાદ દીધો કે “બાપ ! બીજા જેને નાવો હોઇ ઇ આવે ! ”

બીજા ઘણાએ સ્નાન કર્યું.

“હવે બાપ ! ભણેં હવે તો છોકરાઓને નહિ તારવો ને ?"

“ના.” પણ રાજગર ન્યાત ન માની. એણે તો કહ્યું કે “આપો તો કામણકૂટીઓ છે. ઇથી કાંઇ ગંગાજી આંહી આવી ગઇ ? ઇ તો છોકરાએાએ ગંગાજીએ જઇ આવવું જ પડશે.”

તે દિવસે ન્યાતમાં છોકરાને તારવવામાં આવ્યા. એ વાત જાણીને ભગતનું દિલ ભેદાઈ ગયું. ઠાકર ! ઠાકર ! એમ બોલીને ભગતે નિશ્વાસ નાખ્યા.

બપોર થયું ત્યાં તો બુમાબુમ ને દોડાદોડ થઈ પડી. રાજગરોએ આવીને ભગતના પગ ઝાલી લીધા. “બાપુ ! તમારી ગા' ! કોઇ રીતે ઉગારો !”

“કાં બાપ ! કાણું થીયો ?”

“ન્યાતમાં જમનારા તમામને ઝાડો ને ઉલટી ચાલ્યાં છે. સૈાનું મોત સામે ઉભું છે. કોઇ રીતે ઉગારો !”

“ભણેં બાપ ! હું કાણું કરાં ! મેં કાંઇ મંતર દાણા છાંટ્યા નથ. મેં કાંઇ સરાપ નસેં દીનો. હું તો ગાયુનો ગરીબ ટેલવો સાં, બાપ ! માળો કાણું ઉપા' !”

“બાપુ ! ઓલ્યા રાજગરના છોકરા...”

“હા બાપ! મારી આંતરડી કોચવાણી છે. બાકી મેં કાણું ય કામણ કર્યો નથ. છોરડાની કદુવા લાગી હોય, તો ઇ જાણે ને તમે જાણો !”

“બાપુ ! તમે કહો એમ કરીએ.”

“બાપ ! તો પછી ભણેં ઇ છોરડા રાંધે ને તમે સીંધા જમો.”

“ભલે બાપુ !”

“ભણે છોરડાઓ ! તમે રાંધુ જાણો છો ?”

“બાપુ ! અમને તો ચોખા રાંધતાં આવડે. બીજુ કાંઇ નહિ.”

છોકરાઓએ ભાત રાંધ્યા, ને એ ભાતે આખી ન્યાત જમી.

સંધ્યાની રૂંઝ્યો રડી ગઇ છે. અંધારાં ઉતરવા લાગ્યાં છે. તે ટાણે ચલાળા ગામથી દૂર દૂર ઝાડીની અંદર એક ગાડાખેડુ કાંટાની મોટી ઘાંસી પોતાના ગાડા ઉપર ચડાવવા મથે છે. પણ ભારે વજનની ઘાંસી કેમેય ચડતી નથી. બપોર દિવસથી મથ્યા કરતો એ આદમી આખરે અંધારૂ ઘોર થઈ ગયે થાક્યો, અને ઘાંસી ચડાવવા માટેનું લાકડું ફગાવી દીધું. ઘાંસીની એક બાજુ ગાડીનું ઠાઠું રાખ્યું, અને બીજી બાજુ પોતે કાંટામાં પોતાની કમર ભરાવી, જોર કરી, સાદ દીધો કે “એ આપા દાના ! ઘાંસી ચડાવજે ! ”

જોર દીધું . ધાંસી ચડી ગઇ. પોતાને એક પણ કાંટો વાગ્યો નહિ. પોતે ગાડું હાંકી ઘેર ગયો. પોતે દાના ભગતની જગ્યાનો હજામ હતો. નામ દાનો હતું. રોજની માફક આજ પણ રાતે એ ભગતના પગ ચાંપવા ચાલ્યો.

“ભણેં બાપ દાના ! મારા વાંસામાં બેક કાંટા છે તે કાઢું નાખજે !” ભગત બોલ્યા. દીવો લઈને હજામ પોતાની નેરણી વતી કાંટા કાઢે છે, જુવે છે તો બે નહિ, પણ આખા વાંસામાં કાંટા હતા.

“બાપુ ! આટલા બધા કાંટા ક્યાં વાગ્યા ?”

“સીમમાં ભાઇ !”

“શી રીતે ?”

“તારી ઘાંસી ચડાવી ને, એ રીતે.”

“બાપુ ! તમે !” “હું કેમ ન હોઉં બાપ ! તે મને સંભારીને સાદ કર્યો; તું મારી રોજ ચાકરી કરનારો: ને હું તારૂં વેણ કોક દિ'યે ન રાખું ભાઈ !”

“બાપુ ! મારી ભૂલ થઈ.”

“કાંઈ વાંધો નહિ બાપ ! સાધુનાં તો એ કામ છે.”

લાળા ગામમાં બે સોની ભાઈઓ અડોઅડ રહે છે. બન્નેના ઘર વચ્ચે એક જાળી છે. બન્નેને અદાવત છે.

એક દિવસ એ બેમાંથી જે ગરીબડો ભાઈ હતો, તેનો ઘેાડો ફળીઆમાં બાંધ્યો બાંધ્યો, વચલી જાળીના સળીઆ વાટે પોતાનું મ્હોં નાખી જીભ ફેરવતો હતો.

જાળીમાં બેઠેલા દ્વેષીલા સોનીએ પોતાના પાડોશીને હાનિ પહેાંચાડવાનો ભારી લાગ જોયો. ધારદાર હથીઆર લઈને ઘોડાની જીભ કાપી નાખી. ચાર આંગળ જેટલો જીભનો ટુકડો લગભગ જૂદો થઈ જતાં તે લોહીલોહાણ ઘોડો જમીન પર પછડાટી ખાઈને તરફડવા લાગ્યો, વેદનાનો પાર ન રહ્યો.

ઘોડાના માલીકનું આખું ઘર એ ચીસો સાંભળીને દોડ્યું આવ્યું. ગરીબ માણસો પોતાના લાડકવાયા ઘોડાને આવી કરપીણ રીતે તરફડી મરતો જોઈ ચોધાર આંસુડે રોવા લાગ્યાં. છોકરાં ઘોડાને બાઝી પડ્યાં, ઘરનો માલીક આપા દાના ! આપા દાના ! એવા જાપ જપવા લાગ્યો.

નાનું શું ગામઃ તુરત જગ્યામાં જાણ થઈ. ગામલોકોના દુઃખની જરાક પણ વાત જાણતાં દોડ્યા જનાર દાના ભગત જલ્દી સોનીને ઘેર પહોંચ્યા. ઘરનાં માણસો બાપુને દેખી પગે પડ્યાં. બોલ્યાં કે “બાપુ, અમારા ઘોડાની પીડા જોવાતી નથી.” “અરેરે ભાઈ ! આવો કાળો કામો કોણે કર્યો ! બાપડા અબોલ પશુ ઉપર આ જુલમ ! ભગવાન એનાં લેખાં લેશે ભાઈ ! પણ આ કટકા જીભની સાથે રેવી નો લેવાય ?”

“અરેરે બાપુ ! સેાનું રૂપુ રેવાય, પણ કાંઈ જીભ રેવાય !”

“પણ કાણા સાટુ નો રેવાય ? તું તો બાપ સેાની છે. તારો તો ઈ કસબ છે, લે ઝટ કર. ધઉંનો લોટ પલાળુને લાવો. તમારી ધમણી (ફૂંકણી) લાવો. લ્યો હું આ કટકો જીભ સાથે ઝાલી રાખું. અને તું બાપ ! આ લોટનો રેણ દઉ દે. ચારે ફરતો લોટ ચોંટાડુ, સાંધો કરૂ દે.”

લોટ ચોંટાડ્યો.

“લે બાપા હવે આ ફૂંકણીથી ફૂંક તો ! સાંધો મળુ જાશે, લે હું ફૂંકું !”

પોતે ફૂંકવા માંડ્યું. અને પછી સોની પાસે ફૂંકાવ્યું. જેમ જેમ ફૂંક લાગતી ગઈ તેમ તેમ ધાતુનો સાંધો મળી જાય એવો જીભનો સાંધો મળતો ગયો. જેવી હતી તેવી જીભ બની ગઈ. ઘોડો ઉભો થઈને હણહણ્યો. ભગતના હાથ પગ ચાટ્યા. છોકરાં ઘોડાની ડોકે બાઝી પડ્યાં. ઘડી પહેલાં કળેળાટ અને કાળો બોકાસો પાડનારાં માણસોને આનંદનાં અાંસુડે ભીંજાતાં ભાળી પરમ સંતોષ પામતા ભગત ચાલ્યા ગયા. પોતાના ચરણમાં પડનાર એ સેાનીને કહ્યું કે “ ભણેં બાપ ! માળે પગે હાથ શીદ નાખતો સો ? મેં કાણું કર્યો છે ! ઈ તો તાળો હાથકસબ, અને ઠાકરની દુવા : બેથી જ બન્યું છે ભા !”

(૧૦)

કાઠીઓના તરફ ભગતનું અંતર કોચવાયું હતું. એક દિવસ જેતપુરનો જેતાણી દાયરો કુંડલા ખુમાણોની પાસે જાય છે. રસ્તે ચલાળામાં દરબાર ભોકાવાળાને ઘેર ઉતારા કરે છે. પંદર દિવસ સુધી ચલાળાની પરોણાચાકરી માણીને મહેમાનો કુંડલ ભણી ચાલ્યા. શેલ નદીને કાંઠે આવતાં સહુને વિચાર ઉપડ્યા કે કુંડલા જઈને કસુંબા પાણી શેના કાઢશું ? ખરચી હતી તે તો ચલાળે કસુંબામાં ખૂટી ગઈ !

“ભણેં હાલો પાછા ! ચલાળું ભાંગીએ. ત્યાં કણબણોના પગમાં કાંબી કડલાં ખુબ ઠણકે છે. ”

દુષ્ટ કાઠીઓએ પાછા આવીને લૂંટ આદરી. ઘણું લીધું, પણ ત્યાં તો ઘણી વસ્તી પોતાની માલ મત્ય લઈને આપા દાનાની જગ્યામાં પેસી ગઈ. માન્યુ કે કાઠીઓ જગ્યાને માથે નહિ આવે ! ત્યાં તો લૂંટારાનું ધ્યાન ખેંચાયુ.

“એલા ! સંધી વસ્તી માયા ઉપાડીને ક્યાં ગઈ ? ”

“ ગઈ હશે જગ્યામાં ? ”

“ હાલો લૂંટો જગ્યાને ”

કાઠીઓ જગ્યામાં પેઠા. એણે મરજાદ મેલી. ઠાકરના ઘરની એબ લીધી. દોડીને આપા દાનો આડા ઉભા રહ્યા. કહ્યું “ ભણેં બાપ ! ગામને લૂંટ્યું ઈથી ધરાણા નથી ? તે હવે ઠાકરની મરજાદ લોપવા આવ્યા છો ? અને ભૂલી ન જાવ, કે હું કાઠીભગત છુ.”

કાઠી ન માન્યા. લૂંટ આદરી. એ ક્રૂરતા ભાળીને ભગતે ગાયની માફક આકાશ સામે જોઈ ભાંભરડા દીધા. એનાં મુખમાંથી ધા નીકળી કે “કાઠી સહુ પોઠી બનશે”: કાઠીઓ કેવળ વેઠીઆ બની જશે ! (આજે કાઠીની એજ દશા થઈ દેખાય છે.)

કાઠીની ફોજમાં મીરાંજી ધંધુકીઓ હતો. એને ન્હાવું હતું. જોરાવરીથી જગ્યાના સાધુને હુકમ કર્યો કે “ મને સીંચીને નવરાવ.”

ત્યાં ભગત દોડ્યા: “ એ બાપ ! ભણેં સાધુહીં સંતાપવો રેવા દે, હું નવરાવાં, હાલ્ય બાપ !” કૂવાની પાળે મીરાંજી ધંધુકીયો ન્હાવા બેઠો. ભગતે ડોલ સીંચી સીંચીને મીરાંજીના માથા પર પાણી રેડ્યું. રેડતાં રેડતાં કહ્યું કે “તાળે માથે ઝાઝો મે વરસે બાપ ! માળી અાંતરડી ખુબ ઠરી છે !”

ઝાઝો મે, પણ ગલોલીનો : મીરાંજીને માથે એ મે બરાબર વરસ્યો. લૂંટારાઓ કુંડલે જતાં, રસ્તે નદીમાં વાધરીના વાડા આવ્યા વાઘરીએ વિચાર કર્યો; “રોજ શિયાળ મારૂં છું તે આજ તો આ કટકમાંથી જ એક ઢીમ ઢાળી દઉં. ” એવું વિચારી, ઝુંપડામાં બેઠાં બેઠાં, ઝુંપડાની સાંઠીએામાંથી - બંદૂકની નાળી બહાર કાઢી, ભડાકો કર્યો, મીરાંજી મોખરે હતો. એને જ ગોળી ચેાંટી. પોતાના જ લોહીમાં એ તરબોળ બનીને નહાયો.

x x x

અા દુષ્કૃત્યને કારણે આજ સુધી જેતપૂરના કાઠીઓ સામે ચલાળાની જગ્યાને અપૈયો છે. વચ્ચે લોભમાં પડી એક ભગતે જેતપૂર તરફથી હાથીની ભેટ સ્વીકારી હતી.

જેતાણી પાટીને જાણે એ દિવસેાની કદુવા લાગી હોય તેમ આજે એ કુળ પાયમાલ છે.

૧૧

ઈં છે ભણે ? શાદુળ ભગત ઢોલીઆ ભાંગતો છે ?”

“હા બાપુ ! સાચોસાચ ! શાદુળ ભગત જ્યારે ભજનમાં બેસે છે, હાથમાં કડતાળો લઈને જ્યારે ઈશ્વરની વાણી ઉપાડે છે, ત્યારે એ અગમની હારે એકાકાર થાય છે. એની આખી કાયા ઉછાળા મારે છે. અાંખો ઘેઘૂર બને છે. અને એ આવેશમાં એવું તો જોશ કરે છે, કે ગમે તેવો મજબૂત ઢોલીઓ પણ કડાક કરતો તૂટી પડે છે. ”

“એાહોહો ! રંગ છે એની ભગતીને બાપ ! એવા કેટલાક ઢોલીઆ તોડ્યા ? ” “કાંઈ પાર નથી રહ્યો બાપુ !”

“ભાઈ ! ભાઈ ! તવ્ય તો ભણેં માળે યાનાં દરશન કરુને રામ-રસ પીવો પડશે.”

“ભલે બાપુ ! આ વખતે તરૂણેતરને મેળે વાત.”

×પરબ વાવડીની જગ્યાના કાઠી સાધુ શાદુળ ભગતની ભક્તિ વિષે આપા દાનાએ આવી કૈં કૈં વાતો સાંભળી. અંતરમાં અચંબો થયો કે આ શી વાત ! ઈશ્વરના રંગમાં રંગાઈ ગયેલો પુરૂષ આટલો બધો કેમ ઉછાળો કેમ દેખાડે ! એની વૃત્તિઓ તો ઠરીને શીતળ થઈ જવી જોઈએ.

પાંચાળમાં થાન પાસે તરણેતરનો મેળો ભરાય છે, ત્યાં આપા દાના વરસોવરસ જાતા તેમ આ વખતે પણ ગયા, -શાદુળ ભગતને કહેવરાવ્યું કે “આપની પ્રભુ–વાણી સાંભળવી છે.”

શાદુળ ભગતને ખબર પહોંચેલા કે પોતે ઢોલીઓ કેમ ભાંગે છે તે જોવાની આપા દાનાને આકાંક્ષા છે. શાદુળના અંતરમાં અહંકારનો કોંટો ફૂટ્યો. એણે તે દિવસ રાતે ભજન જમાવ્યાં. શાદુળ ભગતનાં માણસોએ આપા દાનાને કહ્યું “ ભગત ! એક ઢોલીઓ મગાવી દ્યો.”

“ભલે બાપ !”

ઢોલીઆને બદલે ભરવાડના વાસમાંથી એક તકલાદી ખાટલી મગાવીઃ કહ્યું “લે બાપ શાદુળા પીર ! યાને માથે બેસ.”

શાદુળના સેવકો હસ્યા: “અરે આપા દાના ! આ ખાટલી ઉપર બેસીને ભજન શે' થાશે ! મોટા ઢોલીઆ ય ઝીંક નથી ઝાલતા ને ?”

“કાણું કરવો બાપ ! અાસેં ઢોલીઓ કમણ આપે ? ઈ તો ઠાકર ઠાકર ! ખાટલી ભાંગે ઈ યે કાંઈ ઓછી વાત છે બાપ ! હાં, ચલાવો. ”


×આ જગ્યાના સ્થાપક સંત દેવીદાસનું વૃતાંત્ત આગળ આવશે. શાદુળ ભગતે કડતાલ ખખડાવીને સૂર ઉપાડ્યો:

“એ જી મારે રોમે રોમે રામબાણ વાગ્યાં !"

ઢોલક, મંજીરા, એકતારો અને આખી મંડળીનો નાદ: તમામની જમાવટ થઇ. દિશાઓ ખડખડવા લાગી. ખાટલીના પાયા ડગમગી ગયા. આપા દાનાએ સાદ કર્યો “વાહ બાપ શાદુળ ! ધન્ય તાળી ભગતીને !”

તેમ તેમ તો શાદુળ ભગતને નશો ચડ્યો. શરીર પછડાટી દેવા લાગ્યું. હમણાં જાણે ખાટલીનો ભુક્કો થશે.

પણ પલકમાં તે કોણ જાણે શાથી ખાટલીના પાયા ડોલતા બંધ પડ્યા. શાદુળ ભગતે ભીંસ દીધી એટલે પાયા ઉલટા સ્થિર થયા, જાણેલોઢાના થાંભલા ખોડાઇ ગયા.

ભજનની ઝીંક બોલી : આવેશના ઉછાળા વધ્યા. નશો ગગને ચડ્યો. શરીર જાણે તૂટવા લાગ્યું.

પણ ખાટલીના પાયા ચસકતા નથી.

ભજનિક થાક્યા. અધરાત થઇ.

“એ જી મારે રોમે રોમે રામબાણ વાગ્યાં !"

એ ચરણ ઢીલું પડ્યું. શાદુળ ભગત ખાટલી પરથી ઉઠી ગયા. આપા દાનાએ પૂછ્યું “કાં બાપ ! ખાટલી ભાંગીને ?” શાદુળ ભગતે નીચું જોયું.

“અરે ભણેં શાદુળ ! તુ તો ભણતો સો, કે “મારે રોમે રોમે રામબાણ વાગાં ! ” રોમે રોમે રામબાણ વાગાં તોય તું આવડાં કુદકા કેમ કરૂને મારી શકછ બાપ ? મુંહેં તો બાપ ! જરાક એક બૂડી અડુ ગી' છે, ત્યાં તો હુ ટાઢાબેાળ થઉ ગો સાં ! ને તેહિં રોમે રોમે રામબાણ વાગાં તોય આવડે જોર કીશેથી ?” શાદુળ ભગતની પાંપણ ધરતી ખોતરી રહી છે. એનો મદ ગળેલો જોઇને છેવટે આપા દાના બોલ્યા:

“જો બાપ શાદુળ ! દુ:ખ ધોખો લગાડીશ મા. તોંહેં એક વાત ભણવા આદો સાં. ગરીબ બચારાં લોકોના ઘરમાં વહુ આણો વળુને આવે, તયેં ભેળો એક ઢોલીઓ લાવી હોય. બીજો ઢોલીઓ કીસેથો હોય ? એમાં તું ઘરોઘરના ઢોલીઆ ભાંગતો ફરછ, ઇ કેટલો મોટો પાપ ! માણસ કેવા નિસાપા નાખે? એ બાપ અંતરમાં રંગાઉ જા. બહારનો તમાસો કેવા સારૂ કરવો ?”

શાદુળ ભગતનો ગર્વ ગળી પડ્યો. તે દિવસથી એણે ઢોલીઆ ભાંગવાનો ધંધો મૂકી દીધો.

૧૨

ગતના નિર્લોભી પ્રકૃતિનાં થોડાંએક દૃષ્ટાંતો મળી આવે છે. એક વાત એવી ચાલે છે કે ભાવનગરથી ઠાકોર વજેસંગજીએ, દાના ભગતની, સિદ્ધિઓની વાતો સાંભળી એની મશ્કરી કરવા માટે લાકડાનું બનાવટી નાળીએર બનાવી, લુગડામાં લપેટી, પોતાના મહોર સિક્કા સહિત જગ્યામાં ભેટ મોકલાવ્યું. ભગતે પોતાની મશ્કરીથી માઠું નહિ લગાડતાં, સહુ માણસો વચ્ચે એમ ને એમ નાળીએર હલાવીને પાણી ખખડતું બતાવ્યું. પછી એની એ સીલબંધ સ્થિતિમાં પાછું ભાવનગર મોકલી દીધું. ત્યાં શ્રીફળ સાચું નીકળ્યું. કહેવાય છે કે પછી ભાવનગરના ઠાકોરે ચલાળાની જગ્યામાં કરજાળું ગામ સમર્પણ કર્યું.

ભગતે જવાબ કહાવ્યો “ના રે બાપ ! સાધુને વળી ગામ કેવા? ઇ તો ખેડૂતનો સંતાપ હશે એટલે જ આપણને દેતા હશે."

ગામ ન લીધું. પણ ઠાકોરે મહા મહેનતે ભગતને મનાવીને છ સાંતી જમીનનો જગ્યામાં સ્વીકાર કરાવ્યો. બીજી વાત ગાયકવાડી સૂબા વિઠોબા વિષે બેાલાય છે. એમાં પણ ચમત્કારની વધુ પડતી ભેળ સેળ કરવામાં આવે છે. કહે છે કે ગરીબ બિચારો વિઠુ વડોદરા રાજનો એક ઘોડેસવાર હતો. એ જાતનો મહારાષ્ટ્રી બ્રાહ્મણ હતો. એક દિવસ એની વેળા વળી. ઘોડેથી એ હાથીની અંબાડીએ બેઠો. કાઠીઆવાડમાં ગાયકવાડનો સૂબો બનીને આવ્યો. કોઇ કાઠીને હાથીને પગે બાંધી છુંદતો, કોઇને દંડતો, પીટતો, એમ કાઠી કોમને જેર કરતો ચાલ્યો આવે છે. કાઠીઆવાડમાં હાક બોલી કે વિઠોબા આવે છે ! દાવાનળ આવે છે. પેશકશી ન ભરે તેનો ગરાસ આંચકી લઈ ધૂળ ચાટતા કરે છે.

કાઠી કોમના એ મહાકાળ જેવા વિઠોબાના ઓળા બગસરાના કાઠી દરબાર હરસુરવાળા ઉપર ઉતર્યા. હરસુરવાળાને અમરેલી લઇ જઇ પગમાં પાંચ શેરની બેડીઓ પહેરાવી કેદમાં પૂર્યો.

પરંતુ રાતે એક કૌતુક થાય છે. રાત વીતે, ને સવાર પડ્યે પહેરગીરો જુવે તે હરસુરવાળાની પગબેડી તૂટીને દૂર પડી હોય છે.

એક વાર, બે વાર, ને ત્રણ વાર બેડીઓ તૂટી ત્યારે વિઠોબાને કાને વાત પહોંચી. વિઠોબાએ આવીને પૂછ્યું :

“હરસુરવાળા ! તારી બેડીઓ કોણ તોડે છે !”

“મને ખબર નથી. હુ કાંઇ જાણતો નથી. ”

“તુ કાંઇ કરે છે ?”

“હા, મારા ઇષ્ટ દેવનું સ્મરણ કરૂં છું. ફક્ત બે દોહા બોલીને સુઉં છું કે -

જીરાણેથી જાગવે, સાજા કરે શરીર,
જડીયલ હોય જંજી૨, ભાંગે લઈ દાનો ભગત.
અને બીજો દોહો :
કાઠી કુળ ઉજ્વળ કર્યું, વધા૨ણ વાનાં
સંભાર્યે સુખ ઉપજે, દ:ખભંજણ દાના !

“એ દાનો ભગત કોણ છે ?”

“ચલાળાનો કાઠી સંત છે.”

“મને મુલાકાત કરાવીશ ?”

“હું પૂછી આવું.”

હરસુરવાળો ચલાળે આવ્યેા. વિઠોબાની વાત કરી. બાળા ભોળા ભગતે જવાબ દીધો કે “ભણે બા ! માળે સૂબાની કાંઇ પડી નથ. હું સાધુ માણસ, સૂબાહીં મળવાનો મુંહે નો આવડે. આંહી ઠાકરની જગ્યામાં રસાલો રિયાસત કે છડી નિશાન ન હોય. ગરીબ સાધુડાં બી મરે."

“પણ બાપુ ! વિઠોબા આવ્યે અમને તમામને બહુ સારાવાટ થશે."

“તો ભણેં ભણ્ય યાને, કે સાદે પોશાકે એકલો આવવો હોવે તો આવે. ભેળા ચોપદાર ચપરાસી નો લાવે.”

દક્ષિણી બ્રાહ્મણને વેશે વિઠોબા ચલાળે આવ્યો. સત્તા અને સાયબી એણે ચલાળાના સીમાડા બહાર રાખી દીધાં. તે દિવસ શંકરાત હતી. બ્રાહ્મણો જગ્યામાં માગવા જતા હતા. વિઠોબા પણ એ ટોળામાં ભળીને ચાલ્યો. જાડપછેડીઓ સાદો ભગત, રોજની માફક, આજ પ્રભાતે પણ જયાને એાટે બેસીને જુવારના સુંડામાંથી બ્રાહ્મણ સાધુઓને ખેાબે ખેાબે જુવાર આપે છે. એને વિઠોબા દિવાન આવ્યાની જરાયે પરવા નથી. સહુની સાથે વડોદરાનો દિવાન પણ ઓટા સામે ઉભો છે. ભગત એના બોલાવ્યા વિના બોલતા નથી, એની સામે નજર પણ માંડતા નથી. વિઠોબાએ તો પોતાની સન્મુખ પ્રભુની સત્તાનો સુબો દીઠો.

સહુ બ્રાહ્મણ સાધુઓ ઝોળી ધરીને ભગતના ખોબામાંથી જુવાર લઇ રહ્યા છે, તે વખતે વિઠોબા પણ આવ્યો. સન્મુખ ઉભા રહીને એણે પોતાને દુપટ્ટો ધરી રખ્યો. બોલ્યા કે “બાપુ ! મને પણ આપો !”

“ભણેં બાપ ! વિઠોબા, તમુંહીં જાર આપાં ?”

“હા બાપુ ! હું પણ પરદેશી બ્રાહ્મણ છું. ખેાબો પાથરીને માગું છું. જાર માટે જ આ મુલકમાં આવ્યો છું.”

“તવ્ય તો ભણેં આલે વિઠોબા ! આ લે ! આ લે !આ લે !”

એમ પાંચ ખેાબા જુવાર નાખી, તોય વિઠોબા પાલવ તારવતો નથી. ભગત છઠ્ઠો ખોબો નાખવા જાય, ત્યાં પડખેથી એક કાઠી બોલ્યેા:

“આપા ! બસ કરો. કાઠી સારૂ કાંઇક તો રાખો ! બધી ય દઇ દેશો ?”

કાઠીએાની લૂંટફાટથી કોચવાયેલા ભગતે આંખ ફેરવી : “કાઠી સાટુ ! ભણેં, કાઠી ગરાસ ખાશે ! કાઠીના કરમમાં જાર માતાજી રે'શે ? ઠાકર જાણે ! ઠીક, હું તો અટકું છું.”

છઠ્ઠો ખોબો ભગતે સુડામાં પાછા નાખ્યો. અને વિઠોબાને કહ્યું “ભણેં વિઠોબા ! જા ભાઇ ! કોડીનારથી દ્વારકા સુધીની જાર ઠાકર તને-તારા રાજને અર્પણ કરે છે. નીયા કરીશ મા ભાઇ ! અને એટલેથી સંતોષ વાળજે.”

વિઠોબા ફોજ લઇને ઉપડ્યો. પાંચ મહાલ જીતીને પાછો આવ્યો.બોલ્યો : “આપા ! હું જગ્યાને પાણીઆ ગામ દઉ છું.”

“ના, બાપ ! બાવાને ગામ ગરાસ ન હોય. ઠાકર એમાં રાજી નહિ. બાવાઓ બાધી મરે. ”

“પણ ભગત ! મેં તો સંકલ્પ કરી નાખ્યો છે.”

“વૈષ્ણવના ગેાંસાઈને દે, એને ભોગ વાલો છે.”

“બાપુ ! સેાનારીયું આપું !”

“ના બાપ, ના ! સાધુ ગરાસનો ગળપણ ચાખે તો બ્હેકી જાય. અમારે ન ખપે. અમે તો આકાશ સામી મીટ માંડનારા.” ભગતને પગે પડી, આગ્રહ કરી, વિઠોબાએ સોનારીયાની સો વીઘા જમીન કાઢી દીધી, અને રૂ ઉપર મણે એક આનો જગ્યાનો લાગો ઠરાવી દીધા.

લોકો માને છે કે ભગતના હાથથી લીધેલા જુવારના પાંચ ખેાબા એને ભાખ્યા મુજબ બરાબર ફળી પડ્યા. અમરેલીના પાંચ મહાલ બંધાઇ ગયા.

૧૩

પાંચાળમાં થાન પાસે તરણેતર (ત્રિનેત્ર) નામનું શંકરનું તીર્થધામ છે. વરસોવરસ ત્યાં મેળો ભરાય છે. પાંચાળના બધા ભક્તો ભેળા થાય તેમાં ચલાળેથી આપો દાનો પણ દર વરસે આવી જેઠ મહિનાથી ભાદરવા મહિના સુધી મુકામ કરે છે. એક વખત ભગતે જાત્રાળુઓનો પોકાર સાંભળ્યો કે પાળીઆદ ગામના કાઠી પાતા મનનો દીકરો વીસામણ મન મોટો લૂંટારો જાગ્યો છે. વીસામણ વાટમાં ઓડા બાંધીને વટેમાર્ગુના જાનમાલ લૂંટી જાય છે. પાંચાળના રસ્તે રસ્તા એણે રૂંધી લીધા છે.

ભગતના મનમાં વિચાર થયા જ કરે છે કે “કોક દિ વીસામણને ને મારે ચાર આંખ્યું ભેળી થાય તો ઠીક.”

થાનનાં દેવળો પર ચડાવવાની ધજાઓ એક પોઠીઆ ઉપર લાદીને આપો દાનો પેાતાના સાધુઓ સાથે પંચાળ જાય છે. વનરાઇમાં ઝાંઝ પખાજ અને કડતાલોના નાદ સાથે હરિભજન ગવાતાં આવે છે.

માંડવના ડુંગરા જાણે હરિજન બનીને સાથે સાદ પૂરાવે છે. માંડવ ઉપર ઓડા બાંધીને બેઠેલા વિકરાળ ધાડપાડુ વીસામણે પોતાના કાઠીઓને કહ્યું કે “ જાવ, કોક રેશમીનો પોઠીઓ લાગે છે, લૂંટી લ્યો. ” તપાસ કરીને કાઠીઓ બોલ્યા “પણ આપા વીસામણ ! એની હારે ઓલ્યો દાનો લંગોટો છે. ઈ સાધુ કે'વાય.”

“તે એને લૂંટશો મા. ભેળાં જાત્રાળુઓ છે તે તમામને ખંખેરી લેજો.”

લૂંટારાએાએ ભક્તમંડળને ઘેરી લીધું. અને ત્રાડ પાડી કે “માલમત્યા મેલી દ્યો હેઠે.”

દાનો ભગત સહુની મેખરે આવીને પૂછવા લાગ્યા કે “ભાઇ ! પેલો મુંહે લૂંટો, પછે આ સહુને.”

“તું ખસી જા ભગત ! તુંને ન લૂંટવો એવી અમારા સરદારની આણ છે.”

“તવ્ય તો તમાળો સરદાર સાવ હૈયોવોણો નથ દેખાતો. કિસે છે તમારો સરદાર ?”

“સામેના ડુંગરા માથે.”

“ભલા થઉને મુંહે ત્યાં સુધી લઉ જાવ. પછે ખુશીથી આ સંઘને લૂંટુ લેજો !”

ભગત ડુંગરા ઉપર ગયા. અસુર જેવો લૂંટારો વીસામણ વાંકડી મૂછે ને વિકરાળ ચહેરે બેઠો છે. લૂંટનો માલ ઢગલા મોઢે પડેલો છે. અને એક મંગાળા ઉપર બે મોટાં હાંડલાં ચડેલાં છે. ખાવાનું રંધાતુ હોય તેવું લાગ્યું .

“ભણેં બાપ વીસામણ ! તું ભગવાનનાં જાત્રાળુહીં લૂંટતો છે બાપ ? હું તો કામધેનની ટેલ કરતો સાં.”

લૂંટારો બેપરવાઇથી બોલ્યો: “ભણેં ભગત ! હું ભગવાન બગવાનમાં કાણો ય સમજું નહિ. તું ને તાળા ટેલીયા હાલ્યા જાવ. બીજાં જાતરાળુહીં તો લૂંટવા જ જોશે.”

“બાપ વિસામણ ! ઇ તો તું જેવા ધાડપાડુનો ય ધરમ નથ. તાળી હારે હાલનારહીં તું લૂંટાવા દે ખરો ?” લૂંટારાની આંખોની બન્ને ભમર ખેંચાણી: “કમણ છે ઇમડો માટી, કે માળી હારે હાલનારહીં લૂંટે ?”

“તવ્ય બાપ ! માળી હારે હાલનારહીં હું કી લૂંટાવા દીયાં ? પેલાં મુંહે વીંધુને પછેં લૂંટો.”

લૂંટારા કાંઇક ખચકાયા. દાના ભગતે આગળ ચલાવ્યું : “બાપ વીસામણ ! મેં તો જાણ્યો'તો કે આ હાંડલાં ચડતાં સે, તે અમે ભૂખ્યા સાધુડા તાળી હારે શીરામણી કરશું. આ હાંડલીમાં કાણું એાર્યો સે ભાઈ ?”

લૂંટારો લજવાઇ ગયો. અંદર આખા એક ઘેટાનું માંસ રંધાતું હતું, જીભ ઉપર શરમ ચડી બેઠી. જૂઠો જવાબ દીધો કે “ચોખા ચડે છે.”

“ચોખા તુંહેં વા'લા છે બાપ ?”

“વાલા તો હોય જ ના !”

“ત્યારે બાપ ! આ ભૂખ્યાં દુઃખ્યાં જાત્રાળુહીં દીયે યાનાં કિમાં પેટ ઠરહે ! તુંહે દુવા દેવે ! લાવ્ય લાવ્ય બાપ, શીરાવીએં.”

હાંડલી પાસે જઈને ભગતે ઢાંકણી ઉઘાડી લૂંટારાના ભેાંઠામણનો પાર નહોતો. હતો ઘાતકી, પણ લાજ શરમ નહોતી છૂટી.

પરંતુ લોકો કહે છે કે માંસને બદલે ચોખાની ફોરમ છૂટી. હાંડલીના મ્હોંમાં ધેાળાફુલ ચેખા ઉભરાણા.

“બાપ વીસામણ ! જીમી આસ્થા, ઇમું ભગવાન આપતો સે. તાળી આસ્થા તો જબ્બર છે. તું તો રામદે પીરનો અવતાર ! અને તાળી આ દશા ?"

વીસામણ પગમાં પડી ગયો.

“તું બહારવટીયો છો. જીમી તાળી બરછી વાગતી છે ને, ઇમાં જ તાળાં વેણ વાગશે.”

“કિસે જાઉં ?” લૂંટારાના હૃદયબંધ તૂટી ગયા. “પાળીઆદ જા બાપ. ઠાકરના નામની ધજા બાંધજે. તુંહે ગળ ચોખા વા'લા છે ને, એટલે ગળ ચોખાનો સદાવ્રત બાંધજે બાપ ! ને કામધેનને સેવતો રે'જે.”

વીસામણે ત્યાં ને ત્યાં હથીઆર ભાંગ્યાં. ડોકમાં માળા નાખી. પાળીઆદમાં થાનક સ્થાપ્યું, દાના વીસામણની જોડલી ગવાવા લાગી.

દાનો વીસળ દો જણા, ભલકળ ઉગા ભાણ,
અંધારૂં અળગું કર્યું, જંપે સારી જાન.

પોથાં પોથાં ને ટીપણાં, વાંચે ચારે વેદ,
ભીતર દેતલ ભેદ, વચને અમૂલખ વીહળો.


૧૪

જડી ગામના કોઈ ગધૈની એક જુવાન દીકરી હતી. એનું નામ લાખુ : લાખુને રાણપર ગામે પરણાવેલી. પણ લાખુ પોતે જાડી મોટી, અને ધણી હતા છેલબટાવ : લાખુમાં એ લંપટનું મન ઠર્યું નહિ. મારી કૂટીને એણે લાખુને ઘરમાંથી કાઢી મૂકી. ચલાળામાં પોતાનું મોસાળ હતું ત્યાં આવીને લાખુ મામાની એાથે રહી. એના ધણીએ તેની નવી સ્ત્રી કરી, એટલે લાખુનાં મોસાળીઆંએ પણ વિચાર કર્યો કે આપણે લાખુને બીજે ક્યાંઈક દઇ દઇએ. પણુ લાખુએ ન માન્યું.

દુ:ખની દાઝેલી લાખુએ પોતાના જીવને ધર્મ કામમાં પરોવવા માટે આપા દાનાની જગ્યામાં ગાયમાતાઓની ચાકરી આદરી દીધી. પણ એ ભોળી જુવાનડી પોતાના મનમાં વિકારને છેવટે ન દબાવી શકી, જગ્યાના જ કોઇ હલકા બાવાના સમાગમમાં નિર્દોષ લાખુ ફસાઇ પડી.

લાખુને ઓધાન રહ્યું. ગામમાં અને પરગામમાં એની બદનામી થવા લાગી. લોકો બેાલતાં થયાં કે “રાંડને ઘરઘાવતાં ધરધી નહિ ને આપાના ખુંટડાઓમાં જઇને રહી.” સગા વ્હાલાંએ એને તિરસ્કાર દીધો. ધરતી પોતાને ક્યાંયે સંઘરે તેમ ન લાગવાથી છેવટે પાણીનો આશરો લઇ આપધાત કરવાનો મનસૂબો લાખુના અંતરમાં ઉપડવા લાગ્યો.

અધરાતે જગ્યાનાં સહુ માણસો ઝંપી ગયાં એટલે લાખુ કૂવા કાંઠે ગઇ, “ હે આપા દાના !” એવો નિસાસો નાખીને મંડાણેથી પડતું મેલવા જાય છે ત્યાં કોઇએ એનું કાંડું ઝાલ્યું.

કાંડું ઝાલનાર આપા દાના પોતે જ હતા, સહુ ઉંધી જાય ત્યારે આપાને જાગવાની અને જગ્યામાં આંટા દેવાની ટેવ હતી.

“લાખુ ! બેટા ! કુવામાં પડુને હાથ પગ શીદ ભાંગતી છો ? તાળા પેટમાં તો બળભદર છે. ઇ કોઇનો માર્યો નથી મરવાનો. નાહક શીદ વલખાં મારૂ રહી છો ?”

લાખુ રોઇ પડી : “ બાપુ ! હું ક્યાં જઇને સમાઉં ? જીવતાં મને કોણ સંઘરશે ?"

પંપાળીને ભગત બોલ્યા : “દીકરી ! ઠાકર તુંહે સંઘરશે. આ જગ્યામાં તાળા સાચા માવતરનો ઘર જ માનજે.”

ભગત લાખુનું રક્ષણ કરવા લાગ્યા. નવ મહિને એને દીકરો અવતર્યો. દીકરો છ મહિનાનો થયો એટલે ભગત પોતે જ મંડ્યા તેડવા ને રમાડવા. પોતે જ એનું નામ 'ગીગલો' પાડ્યું. સાત વરસની અવસ્થા થઇ ત્યાં ગીગલે વાછરૂ ચારવા મંડ્યા. એથી મોટો થયો એટલે મંડપે ગાયો ચારવા. એમ કરતાં ગીગલો બાવીસ વરસનો જુવાન જોદ્ધો બન્યો. રાત અને દિવસ ભૂખ તરસ જોયા વિના ગાયોનાં છાણ વાસીદાં અને પહર-ચારણમાં ગીગલો તલ્લીન બની ગયો છે. જોબનના કૂડા રંગ એને ક્યાંયે બેઠા નથી.

એવે એક દિવસ પાળીયાદથી વીસામણ ભગત આપા દાનાના અતિથિ થયા છે. સવારને પહોર આપો વીસામણ અને આપો દાનો ઓટલે બેઠા બેઠા સાધુ બ્રાહ્મણને અને અપંગોને જુવાર આપે છે. સન્મુખ ગીગલો ગાયોનું વાસીદું કરે છે. માથા પર છાણના સુંડા ઉપાડી ઉપાડીને ગીગલો એક ઠેકાણે ઢગલો કરે છે. માથે મે વરસે છે, તેથી સૂંડલો ચુવે છે. છાણના રેગાડા ગીગલાના મ્હોં ઉપર તરબેાળ ચાલ્યા જાય છે, એ દેખાવ જોઇને આપો વીસામણ બોલ્યા “આપા દાના, હવે તો હદ થઇ. હવે તો ગીગલાના માથેથી સુંડો ઉતરાવો ને !”

“આપા, તમે ય સમરથ છો. અને આજ જગ્યાને આંગણે અતિથિ છો. તમે જ ઉતરાવોને !”

આપા દાનાએ ગીગાને સાદ દીધો “ભણેં ગીગલા ! સુંડો ઉતારૂ નાખ. આસેં આવુંને આપા વીસામણને પગે લાગ.”

“બાપુ ! મારા હાથ છાણવાળા છે. અવેડે ધોઇ આવું.”

“ના ના બેટા, ધોવાની જરૂર નથ. ઇં ને ઇં આવ.”

ભોંઠો પડતો પડતો ગીગલો બગડેલે હાથે આવ્યો. આઘેથી બેય સંતોને પગે પડવા લાગ્યો. ત્યાં તો આપા દાનાએ એના છાણવાળા હાથ પોતાના ગુલાબ સરખા હાથમાં ઝાલી લીધા ને કહ્યું “ગીગલા ! બાપ ! તારે બાવોજી પરસન છે. તું અમથી બેયથી મોટો. આજથી તું ગીગો નહિ, પણ ગીગડો પીર !”

પોતાને હાથે ભગતે ગીગાનું મ્હેાં લૂછી નાખ્યું. છાણના રેગાડા નીચે ઢંકાયલી વિભૂતિ ગીગાના મુખમંડળ પર રમવા લાગી. એના અંતરમાં નવાં અજવાળાં થઇ ગયાં. આત્માનાં બંધ રહેલાં કમાડ ઉઘડી ગયાં.

ભગતે ગીગાની માતાને સાદ કરી બોલાવી. તે દિવસ જુવારની રાબ કરાવી. એ નીચી જાતનાં ગણાતાં ગધૈ મા-દીકરાને પોતાના જ ભેળું એક જ થાળીમાંથી ખવરાવ્યું. આપો દાનો લાખુ ડોશીના પગમાં માથું ઢાળીને બોલ્યા કે “માતાજી ! આ તારો બેટડો : ઠાકરનો બંદો થઇ ગયો. તુ માં પાપ નો'તું. તું તો ઓલીઆની જનેતા હતી. તુંને દૂભવતલ દુનિયા મહા પાપમાં પડી. લે હવે દીકરાની સિદ્ધિ દેખીને આંખ્યું ઠાર્ય, માવડી !”

“અને બાપ ગીગલા ! આજ આપણે ભેળાં બેસીને રાબડી ખાધી. એટલે આજથી ધરમની ધજા બાંધીને તું ભૂખ્યાં દુઃખ્યાંને રાબડી દેતો જા !”

ગીગા ભગતની જુદી જગ્યા બંધાણી, રાબ રોટલા હડેડાટ હાલવા લાગ્યા. ગાયોનું પણ ધણ બંધાઇ ગયું. એવામાં ઉત્તર હિન્દુસ્તાનમાંથી વિકરાળ ખાખી બાવાની એક જમાત જાત્રા કરતી ચલાળે આવી ઉતરી, અને તે સમયના રિવાજ પ્રમાણે આ જૂલ્મી બાવાઓએ દાના ભગતની જગ્યામાં માલપૂવાની રસોઇ માગી. તે વખતે દાના ભગતનો દેહ છૂટી ગયેલો. પોતે તો જતિ પુરૂષ હતા, એટલે જગ્યાની ગાદી ઉપર પોતાના ભાઈનો વંશ ચાલતો. તેમના કુટુંબી દેવો ભગત ગાદીએ હતા. આ ભગત કાઢી કાઢીને જે કોઇ આવે તેને એમ જ કહેતા કે “જાઓ ગીગલા પાસે !” એ જ રીતે ખાખી બાવાઓને પણ આપા દેવાએ ગીગા ભગતની જગ્યામાં મોકલ્યા. ગીગાએ તો નિયમ પ્રમાણે જુવાર આપવા માંડી. ખાખીઓએ ખીજાઇને ભગતને બહુ કોચવ્યા, માર માર્યો, લૂંટી ઝુંટીને ખાઇ ગયા.

ચલાળામાં રહેવું હવે ઉચિત નથી એમ માની ગીગો ભગત ગાયો લઈને ચાલી નીકળ્યા. આંબા, અમરેલી, સીમરણ, અને ગિરમાં ચાચઈ, એમ જગ્યાઓ બાંધી બાંધીને છ વર્ષ કાઢી નાખ્યાં. ચાચઈમાં પણ દરબાર માણશીયાવાળાના ભાઇ વાજસૂરવાળાએ, ભગતની ગાયો પોતાની વાડીમાં પડવાથી ભગતના ટેલવાને માર્યો, તેથી ગીગા ભગતે સતાધાર નામના ગિર-ગામમાં જઇ જગ્યા બાંધી.

વીસાવદર ગામથી ત્રણ ગાઉ ઉપર ગિરના ડુંગરાની અને ગીચ જંગલની વચ્ચે કેવળ સતના આધારે સ્થાપેલા આ સતાધાર ધામમાં આપા ગીગાની કરૂણા બે ધારાઓ વાટે વહેવા લાગી. એક ગૌ-સેવા: ને બીજી ગરીબ-સેવા: ગિરના ડુંગરામાં ગાયો માટે ચરણને તોટો નહોતો. શ્રદ્ધાળુ ગામડીયાં “આપા ગીગા"ને નામે પોતાનું કંઇક કલ્યાણ થાતાં જ સતાધારને ખીલે ગાય ભેંસ કે ઘોડાં બાંધી જતાં અને તે જ રીતે છાશ દૂધ વિના દુઃખી થતાં દીનજનોને ભગત એ પશુ પાછા ભેટ દેતા. બીજી બાજુ આઘેથી ને એારેથી અપંગો, રકતપીતીઆાં અને અશક્તો આજારો પગ ઢરડીને સતાધાર, ભેળાં થઇ જતાં. એટલે ત્યાં એને કશી સૂગ વિના રાબરોટી અપાતાં. સતાધાર તો જૂના સમયનું અનાથ-આશ્રમ હતું. ગીગો માનવીને દેતો, તેમ ઇશ્વર પણ ગીગાને દઇ જ રહેતો. મુસલમાન જાતના એ ગધૈ સંતને જગતના જાતિભેદ તો ટળી ગયા હતા.

૧૫

લાળા ગામમાં ઉકા દોશી નામના એક વેપારી રહે. હાટમાં ન માય એટલા ઘીના કૂડલા : દોઢસો મણ તેલે ભરેલી લોઢાની કોઠી : ધીકતો વેપાર : હાટ તો જાણે હાંફ્યું જાય છે.

“આપા !” ઉકા દોશીએ ભગતને કહ્યું, “ આપા, અમને જગ્યાનું મોદીખાનું આપોને.”

“બહુ સારૂં ભણેં ઉકા ! પણ આ તો મૂંડીયાનો માલ ભણાય : તું બાપ ઝાઝો હાંસલ લેશ મા હો !”

“ના રે આપા, હાંસલની વાત તે હોય ! આ તો મલકમાં લુંટારાનાં ઘોડાં ફરે છે, તે અમે છાતી ઠોકીને કહી શકીએ કે અમે આપાના મુનિમ છીએ, એટલે અમને કોઇ લૂંટે નહિ.”

“તો ભલેં બાપ !” જગ્યાના મોદીખાનાનો ઉપાડ થવા લાગ્યો. બે મહિના થયા ત્યાં તો ઉકાએ આપાને કહ્યું “આપા ! આ હિસાબનો ગોટો સારો નહિ. ચોક્ખું કરી નાંખીએ !”

“તો ભલે બાપ !”

તૂર્ત ભગત દુકાન પર ગયા. ઉકાએ કહ્યું “આપા ! કોઇક તમારો સાખીઓ (સાક્ષી) તેડી આવશો ને ?”

“અરે ભણેં બાપ ! સાખીયા વળી કિસેથી લાવાં !”

એ જ વખતે ત્યાં એક ઉંદરડી નીકળી. એટલે તૂર્ત જ ભગત બોલ્યા :

“એ ભણેં આ ઉંદરડી આપડો સાખીઓ !”

ઉકાને દાંત આવ્યા : “ આપા ! શું બોલો છો ?”

“હા બાપ હા ! ઉંદરડી તો ગણેશનો વાહન : તાળો ય નો રાખે ને માળો ય નો રાખે. ઈ આપડો સાખીઓ. લે કર્ય હવે આંકડો.”

“આપા ! પાંસઠ કોરી લેણી થાય છે.”

ભગત સમજ્યા હતા કે વાણીઆએ પચીસ કોરી વધારી દીધી છે. તૃર્ત પોતે મૂઠી ભરીને કોરી કાઢી: 'લે બાપ ! ગણું લે. પણ ભણેં બાપ ઉકા ! આ ધર્માદાની કોરી આકરી છે હો !"

“હેં-હેં-હેં આાપા ! અમારે તો સુંવાળી ને આકરી મણ્યે ય સારી !” લુચ્ચો ઉકો હસ્યો.

આંકડા ચૂકાવીને ભગત તેની જગ્યામાં ગયા. અને આંહી વાળુ ટાણે ઉકો દોશી દુકાન વાસીને ઘેર ગયા.

બીડેલી દુકાનમાં દીવો બળે છે, (તે દિવસોમાં તો કોડીયામાં મીઠું તેલ પૂરીને વાટ પ્રગટાવવામાં આવતી.) તે ટાણે પેલી સાક્ષી બનેલી ઉંદરડી ત્યાં આવી. આવીને એણે સળગતી વાટ્ય ઉપાડી. ઉપાડીને કાપડની તાજી આવેલી ગાંસડીઓમાં ચાંપી દીધી. હાટ સળગ્યું. તેલની કોઠી, ઘીના કૂડલા, કાપડ, તમામના ભડકા આકાશે ચડ્યા. આગ દુકાનને આંટો લઇ વળી.

ઉકો આવ્યો. જોતાંની વાર જ બધું સમજી ગયો. લોકોને કહ્યું કે “ભાઈઓ ! કોઈ એાલવવાની મહેનત કરશો મા. એ નહિ ઓલવાય.”

ઉકો દોશી જગ્યામાં આવ્યો. સામે જ ભગત બેઠા હતા. ભગત બોલ્યા “અરેરે ભણે ઉકા ! તાળે તો મોટી નુકશાની ગઇ !”

“આપા ! એ તો તમારો સાખીઆએ સાચી સાખ પૂરાવી. મારાં કૂડ મને ઠીક નડ્યાં. હવે મને એનો ઓરતો નથી. પણ મારે મૂડીમાં દીકરો પેટ ન મળે ! બહુ મુંઝાઉ છું, વંશ નહિ રહે !”

“ભણેં બાપ ! કાશીએ જા ! તીરથ ન્હા.”

“અરે આપા ! ઇ સાડા સાત સો ગાઉ હું એકલે પંડે શી રીતે પોગું ?”

“તયીં બાપ ! દ્વારકા જઇ આવ. રણછેાડરાય દેશે.”

“ના રે આપા ! એટલે બધે ય ન પુગાય !”

“તો બાપ ! પ્રાચી જઇ આવ. સાવ એારું.”

“ના ના. ત્યાં યે હું ન પોગું.”

“તો તુળશીશ્યામ જા, લે ઠીક ? સાવ એારૂં. સવારે જઇને સાંજે પાછા વયો આવ્ય.”

“અરે આપા ! ઈ તો ગર્ય : વચમાં દીપડા ને બાઘડા આવે !”

“તયીં બાપ, કાંઈ તીરથ નાયા વિના દીકરા થાય ?”

ઉકો દોશી જગ્યાને અવેડે નહાયો. નહાઇને આવી આપા દાનાને ફરતા ચાર આંટા દીધા. આપાએ પુછ્યું :

“કાં બાપ ?” ઉકો બેાલ્યો :

ગંગા જમના ગોમતી, કાશી પંથ કેદાર;
અડસઠ તીરથ એકઠાં, દાન તણે દેદાર.

સાંભળીને આપાએ તુળસીનું પાંદડું લીધું. તોડીને એના રેસા તપાસ્યા. પછી બોલ્યા “ ભણેં ઉકા ! તાળા નસીબમાં ચાર દીકરા. માળી આશિષ છે.”

“પણ આપા ! એને ભોજનનું શું !”

“ચાર માંથી બે સારા, ને બે ગડગડઘાટ !”

*[૧] ઉકાને ચાર દીકરા થયા. તેમાંના બે, જેનો કુંડલે ને બગસરે પ્રવાહ ચાલ્યો, તે સુખી થયા. ને ચલાળે રહેનારા બેનો વંશ ગરીબ રહ્યો.


૧૬

બાપ વીસામણ ! હમણે હમણે તું આણોસરો કાણા સારૂ દેખાછ ? દિલમાં કાંઈ દુ:ખાવો છે ?”

“આપા ! દુ:ખાવો તો બીજો શો હોય ? બહુ પાપ કર્યાં છે, રૂંવાડે રૂંવાડે પાતક ભર્યા છે, મનમાં ઝંપ નથી વળતો. જાણે એક વાર ગંગાજી જઇને નહાઇ આવું એવું થયા કરે છે.”

“સાચું ભાઇ ! ગંગાજી તો તરણાતારણી ભણાય, સાચું.”

તરણેતરને મેળે જાતાં જાતાં આપા દાના અને વીસામણ વચ્ચે વારંવાર આવી વાતો થયા કરે છે. વારંવાર વીસામણનું દિલ ગંગાજી તરફ દોડ્યા કરે છે. આપા દાના પણ વારેવારે


  1. ** આ વાત બરાબર નથી. ઉકાને બે જ દીકરા હતા.
એના આ વિચારને “સાચું ! સાચું !” એવા શબ્દે વધાવી લે

છે. પણ કદિ ચોખી હા ના કહેતા નથી.

તરણેતરનો મેળો મળ્યો છે. માનવી માતાં નથી. માંડવના ડુંગરાનો પાણો પાણો સજીવન બની જાણે મેળાનાં ભજન કીર્તનમાં ટૌકા પૂરે છે. તે વખતે બન્ને જણા માંડવામાં ઉભા છે.

શ્રાવણ માસનાં સરવડા ઝીલતી ચોમેરની ધરતી લીલી એાઢણીએ મલકી રહી હતી અને ઠેકાણે ઠેકાણે ધેનુઓનાં ધણ, કંઠે ગુંજતી ટોકરીએ ને પગમાં રૂમઝુમતાં ઝાંઝરે ડુંગરડા ગુજવતાં હતાં.

આપા દાનાની આંખો દસે દિશામા રમવા લાગી. પાંચાળ પોતાની પ્યારી જન્મભોમ પાંચાળને આવી રળીઆમણી ભાળીને ભગતનો પ્રાણ ઈશ્વર પ્રતિ આભારે પીગળી પડ્યો. જગતના ભાર ઝીલનારી ધેનુએાના સુખ–કલ્લોલ નિહાળી આપાનાં નેત્રો જાણે સુખ–સમાધિના ઘેનમાં ઘેરાવા લાગ્યાં. વીસામણ એની બદલાતી મુખમુદ્રા સામે તાકીને જાણે પોતાના પાપાત્માની તરસ છીપાવવા મંડી પડ્યો. સુખના કેફમાં ભગત બેાલ્યા :

“બાપ વીસામણ ! આંહી માંડવમાં મારૂં દલ બહુ ઠરે છે. નાનપણમાં હું આંહી કામધેનુઓ ચારતો, એ સમો આજ સાંભરી આવે છે. ફરીવાર ઠાકર બાળાપણ આપે, બધુંય જ્ઞાન ભાન ભૂલી જવાય, જગત મને માનતું મટી જાય, ને હું સદાકાળ આંહી ગાવડિયું જ ચાર્યા કરૂં, માતાજીયું ને ખંજવાળ્યા જ કરૂં, ઇ તો મને મુગતી થકીયે મીઠેરૂં લાગે છે. ઓહો જીતવા ! ઇ દિ' તો ગયા. હવે તો આ મોટપની શિલા હેઠળ મનડું ભીંસાઇ મુવું ! ઠાકર ! ઠાકર ! ઠાકર ! હે ઠાકર !... ભગતનો આત્મા જાણે ઉંડી કોઇ ગુફામાં ઉતરી ગયો. નેત્રોમાંથી દડ ! દડ ! દડ ! દડ ! ધારા ચાલી.

“બાપ વીસામણ ! તુંને વાંભ દેતાં આવડે છે ?”

ભેાંઠો પડીને વીસામણ બેાલ્યો “ આપા ! મેં કુકર્મના કરનારે ગા ક્યાંથી ચારી હોય તે વાંભ દઇ જાણું ? કાગડાના મ્હોંમાં રામ ક્યાંથી હોય બાપુ !”

કાનમાં આંગળી નાખીને ભગતે પોતે જ વાંભ દીધી. નાનપણનો મ્હાવરો હતો, મીઠું ગળું હતું. ને આજ ગાયો ઉપર અંત:કરણ ઓગળી જતું હતું. ગોવાળ તે શું વાંભ દેશે ! એવી મીઠી, વિજોગી બાળક માને બોલાવવા વિલાપ કરે તેવી, મોરલો વાદળીને રોકવા મલ્લારના સૂર ટૌકે તેવી એક વાંભ દીધી.

થોડી વારમાં તો સીધા વાંકળા સોંસરવી એક કાળી – આખે અંગે કાળી રૂપાળી ગાય ચાલી આવે છે. પૂછડું ઉંચું કરીને માથે લઇ લીધું છે. કાન ઉભા થઇ ગયા છે. તાજી વીંયાઇ હોય એવું એનું આઉ ઝુલે છે. આવીને ગાય ઉભી રહી. ભગત એને “મા ! મા ! મા !” કરતા ખંજવાળવા લાગ્યા.

“વીસામણ ! દોતાં આવડે છે ?”

વીસામણ ફરી વાર ભોંઠો પડ્યો.

“વીસામણ ! ખાખરાનાં પાંદડાં તોડીને પડીયા કરવા માંડ.”

પાંચ પાંચ શેડ્યો પાડીને ભગત પડીયા ભરવા લાગ્યા.

“સહુ મનખ્યો ભલેં પરસાદી લીએ !"

માણસો આવી આવીને પડીયા પીતાં જાય છે.

“બાપ વીસામણ ! માતાજીને ડીલે હાથ તો ફેરવ્ય ! ઇ તો આવડશે ને ? લે આપણે બેય હાથ ફેરવીએ. માતાજી દુવા દેશે.”

શરમીંદા થતા વીસામણનો હાથ પોતે ઝાલીને ગાયના શરીર પર ફેરવ્યો. જેમ જેમ હાથ ફરતો ગયો તેમ તેમ ગાયનો દેહ કાળો મટીને સ્વેત સુંદર બનવા લાગ્યો. “ભણેં બાપ વીસામણ ! આ પંડ્યે જ ગંગાજી : આ જગતની તરણ-તારણી : સંસાર એનાં નીરમાં ન્હાઇને પોતાના મેલના થરેથર એમાં પધરાવે છે. પણ એ મેલ ધોવા માતાજી પોતે તો બાપડી સંતુની જ પાસે આવે છે હો બાપ ! ઇ તરણ– તારણીનાં યે મળ કાઢવા માટે માનવીનું મનડું સમરથ છે. માટે ભાઇ ! સાચી ગંગા તો આપડાં ધરમ પૂન્યની: સાચી ગંગા આપણા દલની ચોક્ખાઈની: આપણાં પાપના પસ્તાવાની.”

“જાઓ માતાજી ! હવે પાછાં પધારો ! તમને મોટો પંથ પડ્યો આજ માવડી !”

એટલું બોલીને ભગત ગાયના ચરણમાં પડી ગયા. ભગતને શરીરે ધેનુ ચાટવા લાગી. ચાટીને પાછી ચાલી નીકળી.

વીસામણ તે દિવસ પૂરેપૂરો ચેત્યેા.

સંવત ૧૮૭૮ પોષ વદ ૧૧ ના રોજ પ્રભાતે આપાનો દેહ પડ્યો.

એણે કોઇને દીકરા દીધા, દરિયે ડુબતાં વ્હાણમાં અંતરિક્ષમાંથી ગાબડું પૂર્યું, મરેલાંને જીવતાં કર્યા, આડસર વધાર્યું, વગેરે કહેવાતા કેટલાએક પરચા વાટે એના જીવનની કશી વિશેષ ઉચ્ચતા દેખાતી નથી. તેથી એ વિસ્તારપૂર્વક લખ્યા નથી.