કલ્યાણિકા/અનિર્વાચ્ય પરતત્ત્વ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← ઊડવાં આઘાં આઘાં રે કલ્યાણિકા
અનિર્વાચ્ય પરતત્ત્વ
અરદેશર ખબરદાર
અગમની ઓળખ →





અનિર્વાચ્ય પરતત્ત્વ

• રાગ કેદાર — તાલ ત્રિતાલ[૧]


રે પ્રભુ ! કેમ તને બતલાવું ?
કેમ તને બતલાવું ?
રે પ્રભુ ! કેમ તને બતલાવું ?
લોક પૂછે પ્રભુ કેવો છે તે
કેમ કરી સમજાવું ?
રે પ્રભુ ! કેમ તને બતલાવું ?-(ધ્રુવ)

અગમ, અરૂપ, અગોચર, અનહદ :
શા અંકે અંકાવું ?
એક અકળ અંતરનો વાસી
ક્યમ શબ્દે ઉતરાવું ?
રે પ્રભુ ! કેમ તને બતલાવું ?


વેદ પુરાણ કુરાન અવસ્તા
શીખવે તે હું શિખાવું ;
પણ અક્ષર જ નથી તેને ક્યાં
કાનો માત્રા લગાવું ?
રે પ્રભુ ! કેમ તને બતલાવું ?

સૌ ઇંદ્રિયથી પર છે તેને
ક્યમ અનુબોધે લાવું ?
અલખ અકથ એવો ઉર આણું,
પણ કઈ વાણ વસાવું ?
રે પ્રભુ ! કેમ તને બતલાવું ?

સ્વપ્ન ન જોયું તે ક્યમ જાણે
સ્વપ્ન ઊગે છે આ’વું ?
અજન્મ ને અવિગત એવાને
શું કલ્પી કલ્પાવું ?
રે પ્રભુ ! કેમ તને બતલાવું ?

ખાટું, ખારું, તીખું, મોળું,
મધુરું, કડવું ગણાવું :
પણ જે સ્વાદ ન જાણ્યો જીભે,
તે કઈ રીત રસાવું ?
રે પ્રભુ ! કેમ તને બતલાવું ?


નિર્ગુણના શા ગુણ હું ગાઉં ?
કઈ ભાષા ઉપજાવું ?
એ અમી તો ચાખ્યે જ જણાતું :
અદ્દલ હું ક્યમ દર્શાવું ?
રે પ્રભુ ! કેમ તને બતલાવું ?

લોક પૂછે પ્રભુ કેવો છે તે
કેમ કરી સમજાવું ?
રે પ્રભુ ! કેમ તને બતલાવું ?

  1. " મો સમ કૌન કુટિલ ખલ કામી, " એ રાહ.