કલ્યાણિકા/માલિકને દરબાર

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← અગમની ઓળખ કલ્યાણિકા
માલિકને દરબાર
અરદેશર ખબરદાર
સ્વયંપ્રકાશ →
* રાગ આસાવરી - તાલ ત્રિતાલ *





માલિકને દરબાર

• રાગ આસાવરી — તાલ ત્રિતાલ •


મારા માલિકને દરબાર રે કો લઈ જાઓ રે સંત !
એના ઉરમંદિર મોઝાર રે કો લઈ જાઓ રે સંત !— ( ધ્રુવ )


સોળ કીધા શણગાર શરીરે,
લાખ કીધાં કંઈ લટકાં ;
દસદિશ તાકી જોઉં બધે પણ
ક્યાં માલિકનાં મટકાં ?


મારી આંખ વહે ચોધાર રે કો લઈ જાઓ રે સંત !
મારા સાહેબને દરબાર રે કો લઈ જાઓ રે સંત ! ૧


તીરથ તીરથ સ્નાન કીધાં મેં,
કીધી દર્શનયાત્રા ;
વજ્ર સમાં વ્રત લીધાં તોપણ
મળી ન એકે માત્રા :


મને સૂઝે નવ કો સાર રે, કો લઈ જાઓ રે સંત !
મારા નાથ તણે દરબાર રે કો લઈ જાઓ રે સંત ! ૨


જોતાં જોતાં આંખ મીંચાઈ,
સુણતાં ખોયા કર્ણો :
જ્ઞાન ચઢી મુજ ખભાં દબાવે,
કેમ ચલાવું ચરણો ?


મારા તૂટે તનના તાર રે, કો લઈ જાઓ રે સંત !
મારા પ્રીતમને દરબાર રે કો લઈ જાઓ રે સંત ! ૩


“ફેંકી દે શણગાર તીરથ સૌ,
ભાર ભર્યા તુજ દેહે :
એ વાદળ વચમાં શાં વસમાં ?
આવ સરળ તુજ સ્નેહે !”—


મારા છૂટ્યા એ સૌ ભાર રે, કો લઈ જાઓ રે સંત !
મારા માલિકને દરબાર રે કો લઈ જાઓ રે સંત ! ૪