ચિંતા કર્યે ચાલશે ના

વિકિસ્રોતમાંથી
ચિંતા કર્યે ચાલશે ના
રવિન્દ્રનાથ ટાગોર
અનુવાદ : મહાદેવભાઈ દેસાઈ




ચિંતા કર્યે ચાલશે ના

તારાં પોતીકાં જનો છોડી જાશે
તેથી કાંઈ ચિંતા કર્યે ચાલશે ના.

તારી આશાલતા પડશે તૂટી;
ફળ ભલે ઊતરશે ના -
તેથી કાંઈ ચિંતા કર્યે ચાલશે ના.

મધરસ્તે અંધારું થાશે
તેથી તું શું અટકી જાશે ?
વારંવારે ચેતાવજે દીવો,
ખેરને દીવો ચેતશે ના -
તેથી કાંઈ ચિંતા કર્યે ચાલશે ના.

શુણી તારી મુખની વાણી,
વીંટળાશે વનવનનાં પ્રાણી,
તોય કદી તારા ઘરના ઘરમાં,
પથ્થરો પીગળશે ના, -
તેથી કાંઈ ચિંતા કર્યે ચાલશે ના.

બારણાં સામે બંધ મળે,
એટલે આમ શું પાછો વળે ?
વારંવારે ઠેલવાં પડે
બારણાં તોયે હલશે ના, -
તેથી કાંઈ ચિંતા કર્યે ચાલશે ના.