જાગને જાદવા

વિકિસ્રોતથી
સીધા આના પર જાવ: ભ્રમણ, શોધો
જાગને જાદવા
નરસિંહ મહેતા


જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા

તુજ વિના ધેનમાં કોણ જાશે ?

ત્રણસેં ને સાઠ ગોવાળ ટોળે મળ્યા

વડો રે ગોવાળિયો કોણ થાશે ? … જાગને


દહીંતણા દહીંથરા ઘી તણાં ઘેબરાં

કઢિયેલ દૂધ તે કોણ પીશે ?

હરિ તાર્યો હાથિયો, કાળી નાગ નાથિયો

ભૂમિનો ભાર તે કોણ વહેશે ? … જાગને


જમુનાને તીરે ગૌધણ ચરાવતાં

મધુરીશી મોરલી કોણ વહાશે ?

ભણે નરસૈંયો તારા ગુણ ગાઇ રીઝિયે

બૂડતાં બાંયડી કોણ સહાશે ? … જાગને

રચયિતા: નરસિંહ મહેતા