દ્વિરેફની વાતો/નવો જન્મ

વિકિસ્રોતમાંથી
← પહેલું ઇનામ દ્વિરેફની વાતો
નવો જન્મ
રામનારાયણ પાઠક
કપિલરાય →




નવો જન્મ


ખા ગામમાં સર્વત્ર હાહાકાર થઇ ગયો. ગામની વસ્તી માત્ર બે જ જગાએ હતી. પુરુષો સર્વે શ્મશાને ભેગા થયા હતા અને સ્ત્રીઓ સર્વે ઝમકુકાકીને આંગણે કૂટતી હતી. ગામમાંથી રૂપચંદની લાસ કાઢી ત્યારે ખરે બપોરે પણ ગામમાં પુરુષોની પોકના પડઘા પડ્યા હતા. દરેક મહોલ્લે છોકરાં ભય અને કુતૂહલથી ચકિત નયને આ દશ્ય જોઇ રહ્યાં હતાં. મહોલ્લાનાં કૂતરાં આ ભયંકર અમંગળ અવાજમાં પોતાનો અવાજ પૂરતાં હતાં. શ્મશાનમાં બીજા કોઇ મરણમાં તો માણસો ગામની વાતો કરે, કે મરનારની વાતો કરે, કે ભૂત ભવિષ્ય ઉખાળીને બેસે, સ્મશાન એ નાતનું કે ગામનું એક સ્વાભાવિક સભાસ્થાન છે-~પણ આજે તે વૃદ્ધો ચિતા સામું જોઇ અવાક્ બેઠા હતા, અને કેટલાક યુવાનો મડદું બાળવાના કામમાં અત્યંત વ્યાપૃત હતા તે સિવાય બીજાઓ માત્ર ઝમકુકાકીની, રૂપચંદની અને તેમના ઘરની જ વાતો કરતા હતા. ઝમકુકાકીના પતિ મૂળચંદ શેઠની જાહોજલાલી, તેની ઘરાકી, તેની ઉદારતા, કૈંક વાણિયાને ભીડના વખતમાં તેણે બચાવી લીધેલા, કંઇક બ્રાહ્મણોની દીકરીઓ પરણાવી આપેલી. અભ્યાગત તો તેમને ઘેરથી કદી પાછો ફરે જ નહિ; ઘેર ત્રણ દીકરા મોટા લથડબથડ શરીરવાળા, બે તો ઘોડીઓ, અને મોસમમાં ઘોડેથી જીન કદી ઊતરે નહિ; ફરતાં ચાળીસ ગામનો વહીવટ મૂળચંદ શેઠને ઘેર. મૂળચંદ શેઠ ભાવ કરે તે થાય, અને પંચમાં પૃછાય. પછી દહાડા ફર્યા. મૂળચંદ શેઠ ઉમ્મર થયે ગુજરી ગયા. છોકરાઓએ રૂડી ચોકડી કરી કરતાં ગામ જમાડ્યાં, એનો સામાન લાવતાં વચેટ કસળચંદ ઘોડીએથી પડ્યા, તે ફરીથી ઊભા થયા નહિ. મહિનાના ખાટલો ભોગવી બાપની પાછળ ગયો.

આખું કુટુંબ બેઠું હાય ત્યારે રૂડું ગોકળિયું લાગે. છોકરાંનાં છોકરાં રમતાં હોય અને ઝમકુકાકી રેશમી મગિયું પહેરી વહુવરોને કામ ચીંધતાં હોય. પણ કુટુંબ દાંતના માળખા જેવું છે. બત્રીસીમાંથી એક પડતાં આસપાસના બધા હાલવા લાગે અને એક પછી એક પડી જાય તેમ કુટુંબમાંથી એક જતાં બધાં ખસવા લાગે છે. પહેલો પ્લેગ થયો તેમાં મોટો દીકરો અને નાનો તથા નાની વહુ મરી ગયાં. પછી જાત્રાએ ગયાં ત્યાં રાત્રે એક ઘરમાં ઉતારો કર્યો હતો તે ઘર પડયું અને મોટાની વિવધવા, તેની એકની એક દીકરી અને નાનાનાં બે છોકરાં દટાઈ મુઆં. છેવટ વચેટની વહુ પણ નાના રૂપચંદને મૂકી મરી ગઈ. વરસ એક બીજાને ખાતાં આવે તેમાં ઘણી આસામીઓ તૂટી, છોકરાંની નાનમ પડી, ઘરમાં કાર્ય કરનાર નહિં, અને ઝમકુકાકી ઘરની રહી સહી સમૃદ્ધિ સાચવી, માત્ર આ એક કુળદીવા ઉપર નજર રાખી જીવનની અંધારી રાત કાઢતી હતી.

દુ:ખમાં પણ ઝમકુકાકીએ ધીરજ ઘણી રાખી. ઘરનું કોઇ દિવસ તેણે ખોટું દેખાવા દીધું નથી. કમાનાર નહિ, અને વેપાર બંધ થયો એટલે પહેલાં જેટલા મહેમાન તો હવે શેના આવે, પણ ઘરની પ્રતિષ્ઠા તેણે સાચવી રાખી, મહેમાનગતિ તેની તેવી ને તેવી જ હતી; ઘરમાં ક્યાંથી આવે છે તે ગામના કોઇ માણસને તેણે કદી જણાવા દીધું નહોતું. ઘરની પ્રતિષ્ઠા અને ડેાશીની સાલસાઇથી રૂપચંદની સગાઈ પણ પંદર વરસે થઈ. રૂપચંદ જૂના ચોપડા જોતો થયો હતો, નજર પહોંચે તે પ્રમાણે વેપાર કરતો હતો, ધીમે ધીમે તેના ઘરની અસલ જગા બહાર લેતો હતો. માત્ર ૧૬ મે વરસે પાલીતાણાની યાત્રાને નિમિત્તે જ તેનો વિવાહ બાકી રહેલો; ૧૬ વરસ પૂરાં થયાં, યાત્રા કરીને ષોશીને દીકરો પાછાં આવ્યાં, અને લગન લેવાની વાતો થાય છે, ત્યાં રૂપચંદને તાવ આવ્યો; પડખામાં સૂળ ચાલ્યું, અને વૈદોએ સન્નિપાત કહ્યો. ૨૧ દિવસની લાંઘણે તેને મગનું પાણી પાયું. ફરીથી ઝમકુકાકીનું મોં ઊજળું થયું. પણ રૂપચંદનું શરીર વળ્યું નહિ, ઝીણો તાવ લાગુ પડ્યો, અને તેમાંથી ક્ષયરોગ થયો. લોકોએ ઘરનું નામ રાખવા દીકરાને પરણાવી નાખવા સલાહ આપી પણ ઝમકુકાકીએ કહ્યું કે મારો દીકરો સાજો થશે ત્યારે જ પરણાવીશ. ઘણીએ માનતા કરી, દવાઓ કરી, બકરીના દૂધ ઉપર રાખ્યો, ખાટલા આસપાસ બકરાં બાંધ્યાં, પણ શરીર ઘસાતું જ ગયું અને છેવટે ઝમકુકાકીની અનેક આશાનો એ એક તંતુ પણ તૂટી ગયો.

સાંજે શ્મશાનેથી પાછા ફર્યાં. રસ્તામાં સ્ત્રીઓ કૂટતી હતી તે જોવા હું અવશ થઈ ઊભો રહ્યો. એ ભય, નિરાશા, કલ્પાન્ત, મૃત્યુ, અમંગળતાની એવી ઊંડી વિકરાલ છાપ મારા મનમાં પડી કે તે હજી ગઈ નથી.

ગામમાં ઝમકુકાકીના ઘરથી બીજે નંબરે અમારું ઘર. ગામની રીત મુજબ ઝમકુકાકીને અમે અમારે ઘેર ભડકું ખાવા લઈ આવ્યા. સાંજે એમણે તો શું પણ અમે પણ કોઇએ ખાધું નહિ. બચ્ચાંઓ પણ આ બનાવથી ચૂપ થઈ આખા દિવસના થાકથી ખાવાનું માગ્યા વિના ઊંઘી ગયાં. ચોફાળ પાથરી અમે સર્વ રાત ગાળવા સૂતા, ઊંધ્યા, પણ એ ઊંધ નહોતી મૃત્યુની પાંખ જાણે હતી. ઊંઘમાં પણ એક ચીત્કાર જાણે સતત લંબાતો હોય એમ લાગતું હતું. પડખેના ઓરડામાંથી ઝમકુકાકીના લાંબા નીસાસા અને વચમાં નામસ્મરણો, વળી રૂપચંદને આશ્વાસનનાં વચનો, તેને પરણાવવાના કોડ, એવું અસંબદ્ધ આવ્યા કરતું હતું. ઊંધમાં ત્રણ વાર તેમણે રડવાનું ઠૂંસકું મૂક્યું, એટલું લાંબું કે અમને ભય થયો કે ડોશીનો શ્વાસ વળશે નહિ અને ઠૂસકામાં જ કયાંક મરી જશે. પણ પહેલાંનું શરીર, આટલા દુ:ખ સામે પણ, અનિચ્છાએ પણ, વૈરીની ગરજ સારતું, ટકી રહ્યું હતું.

બીજે દિવસે ભડકું કર્યું. ડોશીને ખાવાનો આગ્રહ કર્યો. આપણું જીવન ભલે રૂઢિગ્રસ્ત હોય પણ કેટલીક રૂઢિઓમાં રહસ્ય છે, અર્થ છે. ઝમકુકાકીને અમે જમાડવા લઇ ન ગયા હોત તો પેાતાને ઘેર પોતાની મેળે તો કોણ જાણે કયારે ખાત. મારાં મા અને પત્નીના આગ્રહથી અને ખાસ કરીને તો ધાવણાં બચ્ચાંને ધાવણ નહિ આવે એ લાગણીથી ભડકું ખાવા બેઠાં પણ જીવ જાણે ખાવાની સામે એક અડગ વિરોધ કરતો હતો. તેમણે ખરાં થઇ કોળિયો મોંમાં તો મૂક્યા, પણ તે ગળે ન ઊતર્યો, મોંમાંથી ધૂંક જ ન નીકળ્યું, અને કોળિયો ગળામાં બાઝી રહ્યો, ડોશીનો શ્વાસ અટક્યો, ડોશી ખેંચાવા લાગ્યાં. મારી માએ મને બોલાવ્યો, ડોશીનું મોં નીયું કરી ઉપરથી ભાર દઈ મેં કોળિયો કાઢી નખાવ્યો, ત્યારે ડોશીએ શ્વાસ લીધો. ખાવાનું પડયું મૂક્યું. મેં ચા પીવાની સૂચના કરી પણ મારી માએ મને સમજાવ્યો કે તેમાં ખાંડ આવે માટે તે ન લેવાય. એ દિવસ આખો ડોશીએ ખાધા વિના કાઢ્યો. માત્ર બહારથી માણસો આવે તેની સાથે કુટે તે સિવાય ડોશીમાં જીવનની કશી નિશાની રહી નહોતી.

ડોશીને ઉપવાસનો ત્રીજો દિવસ થયો. ભૂખ્યા પેટમાં વાયુ થયો, ઓડકાર આવવા લાગ્યા, અને ગોળો ચઢ્યા જેવું થઇ ડોશી પડી ગયાં. અમે બધાં ચિન્તામાં પડ્યાં. મારી પત્નીને માટે ઘેર સોડા બનાવવાની ટીકડીઓ હું લાવેલો હતો તેમાં થાડું જિંજર નાખી મેં ડોશીને પાયું, ડોશીને શાંતિ વળી. હાશ કરીને બેઠાં થયાં. તે દિવસે તેમણે થોડું ખાધું.

ચોથે દિવસે ડોશીએ ઘેર જવા ઇચ્છા બતાવી. હું કુંચીઓ લઇ આગળ થયો. ધીમે રહી તાળું ઉઘાડ્યું. મોટાં ભારે વેણીબંધ કમાડ ધીમે પણ ગંભીરતાથી અવાજ કરતાં ઊઘડ્યાં. તેથી જાણે મૃત્યુની નીરવતા જાગૃત થઇ, રૂપચંદનો ખાટલો અને ઘરની એકેએક ચીજ મૃત્યુને જ તાજું કરી આપતી હતી. હું જાણે મૃત્યુની જ સમક્ષ આભો થઇ ઊભો રહ્યો. ડોશી તો ત્યાં આવતાં જ મારા આગળ ઢગલો થઇ પડયાં. ઘરમાંથી એમોનિયમ મંગાવી મેં સુંધાડ્યું અને ઘેરથી ગરમ મસાલાનો ચા કરી પાયો. રાત્રે ડોશીએ ખીચડી કરી પણ એકલા ઘરમાં ભાવી નહિ, કૂતરાંને નીરી દીધી.

બીજે દિવસે હું જ ઘેરથી ચા લઇ ગયો. ડોશીએ પીધી. બપોરે પાછો ખીચડી લઇ ગયો. ખીચડીમાં ઘેરથી ઘી નાખીને લઇ ગયો હતો. આજ પાંચ દિવસે ડોશીએ 'આંધળાં આંતર' ભર્યાં. જમી રહ્યા પછી ડેાશીએ કહ્યું કે પેટમાં ભાર બહુ થઇ ગયો છે. મને લાગ્યું કે ઝાઝે દિવસે પેટ ભરીને જમ્યાં છે તે ક્યાંક પચશે નહિ. મેં ફરી જિંંજર પાયું અને સાંજે ગરમ ચા પાઈ.

હંમેશાં સવારે અમે ચા મેાકલવા માંડી. ડોશી હમેશ બપોરે આવી અમારા ઘેર બેસે ત્યારે તેને કાંઇક સાંત્વન મળે, ઘેર ડોશીને ભાવે જ નહિ. અમે છાની રીતે તેમને જમાડવા લાગ્યાં. દિવસો વીતવા લાગ્યા. દુઃખ કંઇક વીસારે પડવા લાગ્યું.

એક દિવસ ડોશીએ સોડા બનાવવાની ટીકડીઓ શેની બને છે એ પૂછ્યું. મારી માએ તે બનાવી આપવા કહ્યું, પણ ડોશીના મોંમાંથી સ્વાભાવિક રીતે ના જ નીકળી પડી. અમે પણ તેમને ખરાબ લાગે ધારી વધારે આગ્રહ કર્યો નહિ, પણ કલાક પછી ડોશીને ગોળો ચઢવા જેવું થયું અને તેમને જિંજર પ!વું પડયું, પીવું પડ્યું.

મને લાગ્યું કે ડોશીને આટલે વરસે ચાની અને જિંજરની ટેવ પડશે, પણ જે ડોશીના હાથથી નાનપણમાં મેં મીઠાઇ ખાધેલી, જેણે મને વારપરબે અનેક વાર ભાગ આપેલો, ઘણા જ વહાલથી મને ઘેર બેાલાવી અનેક પ્રસંગે જમાડેલો, તેમને વિશે આવી કલ્પના કરવી એ એકતરફથી અન્યાય અને બીજી તરફથી મારા માટે બહુ હીન લાગ્યું.

દોઢ બે માસ નીકળી ગયા.ડોશીનો જીવનતંતુ એ દુઃખમાં પણ આગળ ચાલવા લાગ્યો. મારે મુંબઇની પેઢીએ જવાનો સમય થયો. હું માબાપને પગે લાગી ચાલી નીકળ્યો.

વરસ થયે હું પાછો આવ્યો. અમારા ઘરનો નિયમ એવો હતો કે વારાફરતી ભાઇઓએ પિતાજીએ મુંબઇની પેઢીમાં રહેવું, બધાં બૈરાંને દેશમાં જ રાખવાં. છોકરાંને બારેક વરસ સુધી ગામડામાં જ કેળવવાં. છોકરાંઓના આંક અને શરીર ગામડાંમાં સારાં થાય એમ પિતા કહેતા અને મુસલમાનો રંગૂનમાં કમાય છે અને વરસ બે વરસે અહીં માસ બે માસ ગાળી જાય છે તેનો દાખલો દેતા. છતાં કહેતા કે ‘આ નિયમ મારો સવાઈલાલ અંગ્રેજી ભણે છે તે નહિ માને.' મેં કહેલું કે ‘ ત્યારે ભણાવો છો શા માટે ?' ત્યારે કહે : ‘ દેશકાળ પ્રમાણે ભણાવવા તો પડે. ' અને એ નિયમ મેં તોડ્યો પણ ખરો. બી. એ. થઈ ગયા પછી હું અધીરો થઇ ગયો. પત્નીની સાથે મુંબઈમાં ફરવાનો, તેને નવી દુનિયા દેખાડવાનો, સંસ્થાઓમાં બીજી સ્ત્રીઓ સાથે હળતી મળતી કરવાનો મને શોખ હતો. તેથી મારી પત્નીને લઈ ગયો હતો, પણ સીમન્ત આવતાં તેને પિતાજીના વચનને માન આપી દેશમાં મોકલેલી. અત્યારે ત્રણ વરસે પત્ની અને પુત્રને સાથે લઇ મુંબઇ તેડી જવાના ઈરાદાથી હું આવ્યો હતો.

સાંજે ગામ પહોંચ્યો. રાત્રે લઈ જવા સંબંધી સૌ. કમલાને વાત કરી. તેણે કહ્યું ઝમકુકાકીને સાથે લઈ જવાં એ ઠીક છે. અનુભવી માણસ માંદે સાજે કામ આવે, અને છોકરાંની દોરી ખેંચે. તે સાથે આવશે કે કેમ તે સંબંધી મેં શંકા બતાવી, પણ કમલાએ કહ્યું કે હું પૂછીશ તો આવવા હા પાડશે.

સવારે ચા પી કરીને જમવા વખતને થોડી વાર હતી ત્યારે હું નાહવા બેઠો. ઝમકુકાકી આવેલાં, ઘરમાં ફરતાં હતાં પણ મારું ધ્યાન નહિ. મેં માથે લગાડવાને છાશ માગી. અમારા ગામના પાણીમાં સાબુથી વાળ ચીકણા થઈ જાય છે. ઝમકુકાકીએ ‘લાવું' કરી પેટી ઉઘાડી. હું જોતો હતો. મને લાગ્યું કે કાકીને કંઈ વાર વધારે થઇ, તેઓ છાશ લઈને આવ્યાં. હું તેમના મોં સામું જ જોઇ રહ્યો. જાણે એ ઝમકુકાકી જ નહિ, તેમના સામું જોતાં મને વહેમ પડ્યો કે પેટીમાં મોં નીચું ઘાલીને છાશ કાઢતાં તેમણે માખણ ખાધું હશે. અમારા ઘરમાં તાજું માખણ છાશમાં સાચવી રાખવાનો રિવાજ છે. મેં જઇને જોયું તો કોઇએ આંગળીથી લીધેલું લાગ્યું. મેં તપાસ કરવા તરત ‘બા’ કહી બૂમ મારી, પણ મારી બા આવે તે પહેલાં કમલા આવી. માત્ર તેની મોટી અથવાહક આંખેાથી કશું ન કરવા તેણે મને સૂચવ્યું, મને હુકમ કર્યો. અને એ આંખોનો હુકમ હું કદી તોડી શક્યો નથી, થોડીવારે મારી બા આવી, તેણે પૂછ્યું: “કેમ શું છે ?” મેં કહ્યું: “બા, આ માખણ સરસ છે. જરા ચાખું ? ” “હંઅ, બાપુ! તું અને તારા બિન્દુ સારુ-જ છે. ગમે તેટલું ખાને. ઘણુંય છે." હું જૂઠું બોલ્યો. પણ એ આંખેાની ખાતર જે મેં કર્યું છે તેને માટે મને કદી પસ્તાવો થયો નથી.

ઝમકુકાકીને જેમ જેમ જોતો ગયો તેમ તેમ મને ઘણો જ વિચાર થવા માંડ્યેા. ઝમકુકાકી બદલાયાં કેમ લાગતાં હતાં તે મને સમજાયું. તેમના મુખ પર સખત, કઠોર, ભયંકર, અમંગલ રેખાઓ થઇ હતી. અસલની ઉદારતા, મૃદુતા, સૌજન્ય, સમભાવને બદલે ખાઉધરપણું અને આપણને સોંસરા મારી નાખે એવી નજર થઇ હતી. માણસનો સ્વભાવ બદલાય તે સાથે તેના ચહેરાની આકૃતિ પણ બદલાય છે એ હું સ્પષ્ટ સમજી શક્યો. દંતકથાઓની ડાકણ જેવું બિહામણું તેમનું મોં થઈ ગયું હતું. એક દીકરાને સંભારતાં, તે સિવાય તેમનામાં મેં માનવસ્વભાવ જોયો નથી. મૃત્યુ જ જાણે માનવજીવન અને તેની વચ્ચેની એક કડી હતી.

મેં કમલાને કહ્યું: ‘તેં મને ના પાડી પણ ડોશીએ માખણ ચોરીને ખાધું હતું."

"હું જાણતી હતી. તેમણે ખાધું અને તમે એ જોઇ ગયા તે પણ્ જોયું.”

"તેં કેમ જાણ્યું કે હું એટલા સારુ જ બાને બોલાવું છું."

“ તમે કેમ જાણ્યું કે હું તમને બોલાવવાની ના પાડું છું !"

મેં કહ્યું: “ ઠીક લે, પણ આવી ખાઉધર ડોશીને તું લઈ જઈને શું કરીશ ?"

“ તમને એની દયા યે નથી આવતી ?"

મેં કહ્યુંઃ "દયા તો આવે. પણ આવું ખાઉધરપણું શાથી થતું હશે ?"

"ઘડપણમાં કોક કોકને થાય." કમલાને આમાં કશી નવાઇ જ લાગતી નહોતી.

"પણ આટલું ? ”

"જુએ, તમે ભાયડા કેટલીક વાત સમજો નહિ. સૌને ખાવાનું મન થાય. તમને અને મને મળી રહે, આપનાર પીરસનાર હોય એટલે દેખાય નહિ. અને જેને ન મળે તેનું દેખાઈ આવે. તમે મહિનામાં કેટલી વાર વારપરબ, મહેમાન સેમાન કે કોઇ ને કોઈ બહાનાથી ખાઓ છો તેનો હિસાખ કર્યો છે?" હું વિચારમાં પડી ગયો. કદાચ એ સાચું હશે. તે દિવસ તો એ વાત એટલેથી રહી.

દિવસો જતા ગયા પણ મારા મનની ગૂંચ ઊકલી નહિં. છેવટે પિતાજી સાથે વાત કરવાનો દિવસ પાસે આવ્યો. એક વાર કમળા સાથે એ વાત કરી નાખવાનો મેં નિશ્ચય કર્યો. રાત્રે મેં કહ્યુંઃ

“ કમલા ! ડોશીમામાં આ ફેરફાર સાથી થયો તે તું જાણતી નથી. જ્યાં સુધી કુટુંબમાં કોઇ પણ હતું ત્યાં સુધી તેને જીવનથી પર, જીવનનું એક ધ્યેય હતું. કુટુંબ નાશ પામતાં, તેનામાંથી ધ્યેય ને આદર્શ બન્ને ઊડી ગયાં. હવે તે કેવળ પશુ થતી જાય છે. આટલી ઉમ્મરે બીજો કોઇ આદર્શ તેનામાં આવી શકે નહિ. અને પશુતાની કાંઇ સીમા નથી. એ આપણી સાથે પોસાય જ નહિ. તેનાથી આપણું સુખ પણ નહિ ખમાય.”

કમલાએ ઘણાં જ ગંભીર થઇ જવાબ આપ્યો: “ જુઓ હું સીમન્ત ઉપર અને આવી. બાએ તો કશો કમીનો રાખ્યો નહોતો. પણ મને ભાવ-અભાવ થાય તે હું તેમની પાસે કહી શકતી નહિ. એક દિવસ મને પૂડા ખાવાનું મન થયું. ઝમકુકાકીનો રૂપચંદ એ વખતે માંદો હતો. ઝમકુકાકીએ પૃડા કર્યા, મને કોઇ મિષે ઘરમાં બોલાવી ઘીથી ટપકતા પૂડા મને ખવરાવ્યા. એક બટકું પણ ડોશીએ મોંમાં મૂક્યું નથી. વધ્યું એટલું છોકરાંને બોલાવી ખવડાવી દીધું. એ ગુણ મારાથી ન ભુલાય, અને જુઓ ડોશીને સોગ મૂકવા જવાનું ઠેકાણું પણ નથી. બે દિવસ કયાંઇ જઇ આવે તો તેના જીવને શાંતિ વળે. હું દૂરની તેમના પિયરની સગી થાઉં છું. તેમને લઈ જઇશું. ઠામપલટાથી ડોશી સારાં થ્ઈ જશે. અને નાનું છોકરું હોય ત્યારે ઘરમાં ડોશી હોય તો સારું. ” તેના શબ્દે શબ્દે દયા ઝરતી હતી. મારાથી ના પડાઈ નહિ. હું વિચારમાં પડી ગયો. મને વિશેષ કુતૂહલ થયું. મેં પૂછ્યું: "પણ તેં ઝમકુકાકીને શી રીતે કહ્યુ ? ” “ એ તો એમ થયું કે અમે બપોરે બધાં બેઠાં હતાં. બાએ કહ્યું કે વહુએ બહુ જ સરસ પૂડા કર્યા હતા પણ એ બિચારીથી જરાયે ખવાયું નહિ. મેં તો ફક્ત ખાપુજી જેટલા જ કર્યા હતા. એમણે બહુ જ વખાણીને ખાધા હતા. મારાથી બોલાઇ જવાયું કે ના બા, એ તો તમે અમથાં વખાણો છો. ઝમકુકાકીના જેવા કોઇથી ન થાય. તે દિવસ ખાધા હતા તે મોંમાં સ્વાદ રહી ગયો છે. એ ઝમકુકાકી સમજી ગયાં."

મને થયું કે સ્ત્રીઓને જે કેટલાક ગહન અનુભવો થાય છે તેનો ખ્યાલ પણ પુરૂષને થવો અશક્ય છે.

બિન્દુને બ્રોંકોન્યુમોનિયાના આઠમો દિવસ હતો. ત્રણ દિવસથી મેં પેઢીએ જવું બંધ કર્યુ હતું. તાવને લીધે છોકરો તરફડતો હતો. હું જોઇ શકતો હતો કે એટલું નાનું શરીર પણ મૃત્યુ સામે મહાભારત યુદ્ધ મચાવતું હતું. બેભાનમાં પણ એ મારું કહ્યું કરતો એટલો મુંબઈમાં બિન્દુ મને હળી ગયો હતો. બિન્દુ દવા પીવા કે દૂધ લેવા ના પાડે અથવા તેનું ટેમ્પરેચર વધ્યું હોય ત્યારે કમલા મને પથારી પાસે બોલાવી જતી, તે સિવાય બધી સેવા કમલા અને ડોશી જ કરતાં. ડોશી જૂના જમાનાનાં, પણ ડૉકટરે કહ્યા પ્રમાણે બરાબર માવજત કરતાં હતાં. ફરીવાર જાણે પોતાના દીકરાની માવજત કરવા માંડ્યાં હોય તેમ પેાતાનું ખાવાપીવાનું પણ વીસારે નાખી પથારી પાસે બેસી રહેતાં અને ઘરનું કામકાજ કરવાને અને ઊંધવાને કમલાને વખત આપતાં. ડોશીમાં આટલા બધો બાલપ્રેમ ક્યાંથી ઓચિંતો આવ્યા તેનો હું વિચાર કરતો હતો એટલામાં કમલા આવી. મને ભય લાગ્યો કે કદાચ બિન્દુને વધારે હશે. પણ કમલા કંઇક કહેવા આવી હતી તે હું જોઇ શક્યો. કમલા મારી છેક નજીક આવી ને ધીમે સાદે બોલીઃ "ડોશી પાસે જાઓ. અત્યારે ડોશી મારી પાસે રોયાં. એમને એમ થાય છે કે એમના હાથ જ અપશુકનિયા છે, એમને લીધે છોકરો માંદો પડ્યો. દેશમાં ચાલ્યાં જવાની વાત કરે છે. તમે એમને સમજાવો.” હું તરત ઊભો થયો. ડોશી ચોધાર આંસુએ રડતાં હતાં. મેં મારા હાથે તેમનાં આંસુ લૂછ્યાં. તેમને સ્પર્શ કરતાં, મને ખવરાવતાં રમાડતાં તે ઝમકુકાકી પાછાં યાદ આવ્યાં. મેં કહ્યું: "કાકી, તમે અમથાં વહેમાઓ છો, ડૉક્ટરે કહ્યું છે કે તેને આ બે દિવસો ભારે છે. શહેરમાં બધે આ રોગના વાયરા છે. બિન્દુને જરા વધારે સખ્ત તાવ છે. ડૉક્ટર તો કહે છે કે સારી માવજત છે માટે જ છોકરો જીવે છે, નહિતો અત્યાર સુધી બચે નહિં. હવે એકાદ બે દિવસમાં એને વળતાં પાણી થશે. અને તમારે હાથ જશ છે. એમાં ગભરાઓ છો શું? તમારે તો ઊલટાં અમે ગભરાતાં હોઇએ તો અમને પણ ધીરજ આપવી જોઇએ.” મેં પાણી પાયું. એક બાળકની પેઠે મારી વાત માની, પાણી પી, ડોશી પાછાં પથારી પાસે ગયાં, કમલાને ચા કરવા ઉઠાડી. તે દિવસે અમે બધાંએ પથારી પાસે એક જ કુટુંબનાં માણસો તરીકે એટલી ચિન્તામાં પણ નવા જ સાત્ત્વનથી ચા પીધી. એક બે દિવસમાં બિન્દુને થોડા જ દિવસોમાં બિન્દુની માવજત કરતાં પણ તેને ખાતાં સાચવવાનું કામ વધારે આકરૂં થઈ પડ્યું.

બિન્દુ માંદો હતા એટલા દિવસ કમલા સેવિકામંડળમાં જઈ શકતી નહોતી, બિન્દુ તદ્દન સાજો થયો. અજવાળિયું ચાલતું હતું એ યોગ જોઈ કમલાએ ચાંદનીમાં ભેગાં થવા મંડળનાં બધાં સભ્યોને આમંત્રણ આપ્યું. સાંજ પડી ત્યારથી અમારા બંગલામાં મુંબઇનો અલબેલો સ્ત્રીસમાજ ઊભરાવા લાગ્યો. જાતજાતનાં વસ્ત્રો, જાતજાતના રંગો, જાતજાતની રીતભાતો અને વાક્છટાથી અમારા ચોક તરવરવા લાગ્યો. અર્ધ દેશી, અર્ધ અંગ્રેજી, અર્ધ સ્વાભાવિક, અર્ધ કૃત્રિમ રીતે સ્ત્રીઓએ કમલાને અને બિન્દુને યથાયોગ્ય અભિનન્દન આપ્યાં, રમાડયાં, સુખમનવો કર્યાં, એક પારસણ બાઇએ બિન્દુના હાથમાં બે રૂપયા મૂક્યા ક્મલાએ આ વખતે બિન્દુ બચ્ચાનો જશ ડોશીનો છે એમ કહી માનપુરઃસર ડોશીની ઓળખાણ કરાવી. થોડી વારે ચાંદની નીકળી એટલે સ્ત્રીઓએ રાસ લેવા શરૂ કર્યાં. ડોશી દૂર હતાં તેમને કમલા અને બીજી સ્ત્રીઓ આગ્રહ કરીને કુંડાળાની વચમાં લઈ આવ્યાં. ત્યાં તે બીજી કેટલીક સ્ત્રીઓની સાથે બિન્દુને લઇને બેઠાં. બિન્દુ સાજો થયો ત્યારથી ડોશીને બહુ હળી ગયો હતો.

બધાંએ આગ્રહ કરીને કમલાને ગીત ઉપાડવાનું કહ્યું. કમલાએ ધીમેથીઃ

હરિ વેણુ વાય છે રે હો વનમાં

ગીત ઉપાડયું. કમલા ગામડામાં ઉછેરેલી છે એટલે તેના કંઠમાં લોકગીતની શુદ્ધ મીઠી હલક છે, સૌ સ્ત્રીઓથી તેની હલક જુદી પડતી હતી. ડોશી કુંડાળામાં બિન્દુને રમાડતાં રમાડતાં એ જ ગીત ગાતાં હતાં. પાસે વિજયા ખેઠી હતી તે ધ્યાન અને સાંભળતી હતી ગીત પૂરું થયું એટલે વિજયાએ સૌના સાંભળતાં કહ્યું: “કમલા બહેન, હું તો ધારતી હતી કે તમે જ સુંદર ગાઓ છો. પણ માજીનો કંઠ પણ તમારા જેવો મીઠો છે."

કમલાએ જવાબ આપ્યો :"હાસ્તો હું ચે શીખેલ એમની પાસેથી તો !"

ડોશીએ કહ્યું: “ ના બા, એવું જૂઠું ન બોલીશ. ગામડામાં તો સૌને આવડે. કોણ કોની પાસે શીખે ?"

કમલાઃ “ માજી, તમે ભૂલી જાઓ પણ હું કેમ ભૂલું. જગન્નાથજીનો ગરબો હું તમારી પાસે શીખી છું. હંમેશ તમારી પાસેથી વેણ લઇ જતી, સાંભરે છે ? "

ડોશીએ જવાબ આપ્યો: "હા, હા. મને સાંભર્યું. તું અને હીરાવહુ સાથે જ શીખતાં ખરું ? ” ડોશીની સરલતાથી બધી સ્ત્રીઓ હસી પડી. અને બે ચારે ડૉશી આગળ લાડ કરતાં કહ્યું: “ માજી, એ ગરબો અમને ગવરાવો."

ડોશીએ કહ્યું: “ બાપુ, એ ફરતાં ગવાય એવો નથી. એ તેા ઘંટીએ ગાવાનું ગીત છે. "

"ત્યારે બીજું કાંઈ ગવરાવો." બે ચાર અવાજો આવ્યા. કમલાએ એક બાઈ તરફ જોઇ બિન્દુ તરફ નિશાની કરી. તેણે બિન્દુને શીખવાડ્યું એટલે બિન્દુ ડાશી પાસે જઇને બોલ્યો “ મા, તમે ગાઓ. ” બધાં ફરી હસી પડ્યાં. વિજયાએ કહ્યું: “ માજી, બિન્દુને તમે સાજો કર્યો. આજ તો બિન્દુનો મેળાવડો કહેવાય, તેમાં તમારે ગાવું જોઇએ." માજી કહેઃ "હું ગાઈશ પણ તમારી સાથે ફરીશ નહિં, અને તમારા જેવું ધીમું ગાતાં મને નહિ આવડે, મારા જેટલું ઉતાવળું ગાઓ તો ગવરાવું.” બધી સ્ત્રીઓએ હા કહી. તરત રાસ ભેગો થયો. ડોશી બિન્દુને તેડીને ઊભાં રહ્યાં અને ઉપાડ્યું:

સુંદર વેણ વાગી, વેણ વાગી,
હું તો સૂતી નીંદરમાંથી જાગી
રે સુંદર વેણ વાગી, વેણ વાગી.

આટલાં ઘરડાં થયાં છે પણ ડોશીનો અવાજ અને તેનું માધુર્ય એવું ને એવું જ છે. તે એકલાં જ ગવરાવતાં હતાં પણ બે સ્ત્રીઓ સાથે ગાતી હોય એવો એમનો બુલંદ અવાજ હતો. રાસ ખૂબ ચઢ્યો. રાસ પૂરો થઇ ફરી વાર સ્ત્રીઓ ભેગી થઇ ત્યારે વિજયાએ કહ્યું: ‘ મા, સરસ ગાઓ છો. પણ તમારી સાથે ગાતાં તો થાકી જઇએ."

ડોશીએ કહ્યું: “ પણ મારાથી ધીમું ગવાય નહિં તે કેમ કરું ? અમારે આટલું ધીમું ગાવાનું હોય તો અમે થાકી જઇએ."

થોડી વાતચીત ચાલી, અને નવેક વાગે મીઠું મોં કરીને સમાજ વીખરાવા લાગ્યો. જતી વખતે બધી સ્ત્રીઓએ માજીને મંડળમાં આવવાનો ખાસ આગ્રહ કર્યો.

"આ ગીટ ગાંઢીજીને માતે જ બનાવિયું છે કે ?"

પહેરવેશમાં, વાળમાં, મૂછમાં, ચશ્મામાં ક્યાંક પણ જરા પણ ખોડ ન કાઢી શકો એવો ત્રીસ પાંત્રીસેક વરસનો એક પારસી ગંભીર થઇને મારી પાસે બેઠો હતો તેણે આ પ્રશ્ન પૂછ્યો.

મેં કહ્યું: “ ના." ગાંધીજી છૂટ્યા તે નિમિત્તે મંડળનો ઉત્સવ હતો અને તેમાં

આજની ઘડી તે રળીઆમણી,
મ્હારો વ્હાલો આવ્યાની વધામણી હો જી રે,
વધામણી હો જી રે,
આજની ઘડી તે રમળીઆમણી.

એ ગીત ગવાતું હતું.

ગીત ઝમકુકાકી બધાં સાથે ફરતાં ફરતાં ગવરાવતાં હતાં. સમાજ બહુરંગી હતો. અંદર કોઇ પારસી બાનુ અને કોઈ દક્ષિણી બાઇઓ પણ હતી. રાસડો જોતાં મને સમજાયું કે રાસમાં ગુજરાતી સ્ત્રીઓનો પહેરવેશ જેવો શોભતો હતો તેવો દક્ષિણીઓનો શેાભતો ન હતો. આપણા પહેરવેશો અને આપણા રીરિવાજોને કેટલો માર્મિક સંબંધ છે !

આપણા કણબીઓ વગેરે પહેલાં જે ફરતી ચાળવાળી ટૂંકી આંગડી પહેરતા તે પણ નૃત્યને માટે જ. કાઠિયાવાડની રાસમંડળીમાં એ આંગડી ગોળ ફરતાં કેટલી સુંદર દેખાય છે!

હું વિચાર કરતા હતા ત્યાં ફરી પ્રશ્ન આવ્યો:

“ટારે આ ગીટ કોન્નું બનાવેલું છે? ”

મેં જવાબ આપી દીધો: “ લોકગીત છે."

હું ફરી વિચારે ચઢ્યો. ગુજરાતનો રાસ આખા હિંદુસ્તાનમાં પ્રસરશે. દક્ષિણી સ્ત્રીઓ જે ગુજરાતમાં આવે છે તે ગુજરાતી રાસડા ગાય છે. પણ ઉત્તર હિંદ, બંગાળ, દક્ષિણ સર્વ એકસરખા તેના ઉપર મુગ્ધ થઇ ગયા છે.

"ટારે કોન્ને માટે બનાવિયું છે ?"

મને લાગ્યું કે કેટલાક માણસો ગભીર દેખાય છે તે વિચારનો લીધે નહિ, પણ વિચારશૂન્યતાને લીધે. મેં જવાબ આપ્યો: "કૃષ્ણને માટે."

"ટે એવન કહાંઠી આવેલા હૂટા ટેને માટે આ બનાવેલું ?"

આ પ્રશ્નને ડાહ્યો ગણો કે ગાંડો ગણો, કે મને ડાહ્યો ગણો કે ગાંડો ગણો, પણ જવાબ આપવો ઘણો જ અઘરો છે. કોઈ હિંદુને આ પ્રશ્ન ઊઠે જ નહિ. મેં જવાબ આપ્યો : “કોઇ ગોપીને ત્યાં કૃષ્ણ ગયેલા તે પ્રસંગનું છે."

એ ગૃહસ્થ કરી વિચારમાં પડ્યા, મને ભય લાગ્યો કે ગોપી કોણ, કૃષ્ણ એને શું થાય, કૃષ્ણ શા માટે ગયા કે એવા કોઇ પ્રશ્નો આવશે તો મારા શા હાલ થશે ! એ ગૃહસ્થે ફરી મારા સામું જોયું, પણ આ વખતે પ્રશ્ન નહોતો, સૂચના હતી.

“ટે ટમે લોકો ગાંઢીજીને કહીને એક ગુજરાટી ક્લાસિકલ ડિક્ષનેરી કાંય નહિ કરાવટા ?"

ગાંધીજી જે કામો કરે છે તેમાંના એકને માટે પણ્ તેઓ લાયક નથી એવી જેમ એક બાજુ માન્યતા છે, તેમ દુનિયાનાં જેટલાં કામો છે તે બધાં તેમણે જ કરવાં જોઈએ એવી એક બીજી બાજુની માન્યતા છે. મેં ધીરે રહી પતાવ્યું: "હા, બનાવવી જોઇએ." મેં મેં ધાર્યુ કે પ્રશ્નથી ઊલટું રૂપ સૂચનાનું છે એટલે હવે કાંઈ નવા વાર્તાલાપ ન થાય. ત્યાં તેમણે ઝમકુકાકી તરફ જોઇ ફરી પૂછ્યું:

“ ટે પેલાં ગવરાવે છે ટે ડોસી મેનેજર છે કે?"

મેં કહ્યું: "એ આ મંડળનાં અધ્યક્ષ છે. અને એમને સારું ગવરાવતાં આવડે છે એટલે ગવરાવે છે."

અને આજે ઝમકુકાકી અધ્યક્ષતરીકે કેવાં શોભતાં હતાં ! હું નાનો હતા ત્યારે, નાતજાતના કાર્ય માટે અવસરે માણસોની વ્યવસ્થા કરતાં, કામ કરાવતાં, હુકમો આપતાં, ભભકાભેર ફરતાં તે જેવાં દેખાતાં, તેવાં જ આજે પણ દેખાતાં હતાં. માત્ર ફેર એટલો કે ગામમાં મેં તેમને રેશમી લૂગડામાં જોયેલાં અને અહીં સાદી સફેદ ખાદીમાં જોયાં. પણ એ ખાદીમાં પણ તેમનો પ્રભાવ અછતો રહેતો નહોતો. હું ઝમકુકાકીના જ વિચારે ચઢ્યો. પ્રથમ તો, બિન્દુ કમલા સાથે આશ્રમમાં જવા હઠ કરે તે માટે તે આશ્રમમાં જવા લાગ્યાં. ત્યાં તેમને બીજી સ્ત્રીઓ સાથે એળખાણ થઇ-ખાસ કરીને તો તેમને સારું ગવરાવતાં આવડે છે માટે. તેમાંથી તેમને આશ્રમના કામનો શોખ લાગ્યો. બચ્ચાંની માવજત તો એમના જેવી કોઈક જ કરી શકતું. અને પંડોપંડ છડાં એટલે ખુશીથી બધે જઇ પણ શકે.

અને થોડા સમયમાં બધી સ્ત્રીસંસ્થામાં તે કેવાં પ્રસિદ્ધ થઈ ગયાં ! તેમાં એક કારણ ગીતનું, તેવું બીજું કાંતવાનું પણ ખરું. ગાંધીજી અસહકારની શરૂઆતમાં આવ્યા. તેમણે સ્ત્રીઓની ગંજાવર સભામાં બધાંને કાંતવાનું કહ્યું. બધી સ્ત્રીઓએ તે વખતે તે આવેશમાં આવી કાંતવા ઈચ્છા બતાવી અને કાંતવાનું શીખવનાર કોઇ માણસ માગ્યો. મહાત્માએ કહ્યું કે મારી સાથે વીણાબહેન છે. તેમણે જ મને પણ કાંતતાં શીખવ્યું છે. તમારામાંથી પાંચ જણને કાંતતાં શીખવે અને એ પછી તે પાંચ જણ જુદા જુદા સમાજમાં વહેંચાઇ બધાંને કાંતતા શીખવે. પ્રથમ તે। બધા સમાજોમાં કાંતવાની હરીફાઇ ચાલી. તેમાં ઝમકુકાકીને લીધે સેવિકામંડળ સૌથી આગળ પડ્યું. પછી ઉત્સાહ મંદ થઇ ગયો, પણ ઝમકુકાકીને માટે થયેલું માન પછીથી ઓછું થયું નહિ. આજે પણ દરેક જગ્યાએ મહાત્માજીની છબીને પહેરાવવાના હારનું સૂતર સેવિકા મંડળમાંથી બધા લઈ જાય. અને ઝમકુકાકીનો સ્વભાવ પણ એવો નિરહંકારી કે બધાને એ ગમી ગયાં.

હું વિચાર કરતા હતા અને સાથે સાથે ગીતો, ભાષણો, બધા તરફ ધ્યાન રાખતો હતો. એટલામાં પેલા પારસી ગૃહસ્થને કરી પ્રશ્નપ્રેરણા થઇ આવી.

"ટે પેલાં ઊભાં છ ટેવન કોન છે ?"

મેં કહ્યું: ‘ કન્યાશાળાનાં સંગીતશિક્ષિકા વિજયાબાઇ. "

હું ફરી વિચારે ચઢ્યો. થોડાં વરસેામાં ઝમકુકાકીમાં કેવો ફેરફાર થઇ ગયો ! જાણે નવો જ જન્મ!

"અને પેલાં બીજા ટેવનની પાસે બ્લાઉઝ પહેરીને ઊભાં છ ટેવન બેન કોન છે?"

પ્રશ્ન આગળ ન ચાલે માટે મેં કહ્યું: “ હું નથી જાણતો."

ગીતો, ભાષણો, હવે પૂરાં થયાં હતાં અને ઔપચારિક કામ શરૂ થતાં હતાં. પણ હું તે મારું અધૂરું રહેલું વિચારસૂત્ર આગળ ચલાવવા માંડ્યો.

ઝમકુકાકી અને બીજી અનેક સ્ત્રીઓ આવાં કામમાં જોડાઈ છે. તેમાં આત્મમહિમા એ મૂળ કારણ નહિ હોય ? પણ આત્મહિમા શેમાં નથી હોતો ? ઝમકુકાકી નાતજાતમાં ફરતાં ત્યારે તેમનામાં જેવો ઉત્સાહ હતો તેવો અહીં પણ છે. માત્ર ભાવના ફરી ગઈ.

આપણે ભાવનાની વાત કરીએ છીએ, પણ એ પણ જિજીવિષાનું એક રૂપ નહિ હોય ? કોઇ માણસ જેમ જીવવા ખાતર દોરડાને વળગી રહે, તેમ આ જીવવાની ઇચ્છાથી માણસ ભાવનાને વળગી રહે છે એમ ન હોય ? ના, ના. ભાવના એ કોઇ ખાદ્ય વસ્તુ નથી; જીવનમાં અવ્યક્ત રહેલી કોઈ ચીજ છે. તેને વળગવું, એટલે તેની ખાતર જીવવું, એનો જ અર્થ આત્મસાધના-આત્મામાં અસિદ્ધ રહેલી વસ્તુને સિદ્ધ કરવી તે.

ત્યારે શું આમ કાંતવાથી કે બીજું ગમે તે કામ કરવાથી દેશભાવના સિદ્ધ થઇ જતી હશે?

ત્યારે મારી પેઠે કશું કર્યાં વગર માત્ર વિચારો કર્યાં કરવાથી અને વેપાર કરવાથી ભાવના સિદ્ધ થઇ જતી હશે ?

કોઇ પણ ભાવના સિદ્ધ કરવાને માટે તે ભાવનાના અંગનું કંઈક પણ કામ કરવું જોઇએ. પછી તે ભાવના ભલે ગમે તેવી ઉન્નત હાય અને આપણે કરી શકતા હોઇએ તે કામ ભલે ગમે તેટલું દીન અને સ્થૂલ હોય. કોઈ ભાવના માટે આપણે કરી શકતા હોઇએ તેમાંનું કશું ન કરીએ તો ભાવના હોય તોપણ જીવનના પોષણ વિના સુકાઇને ખરી પડે.

“ ટારે ડોસીની આય બાજુ ઊભાંછ ટેવન કોન ? ”

મેં કહ્યું: “ પેલાં આસમાની સાડી પહેરેલી છે તે ? તેમનું નામ ભદ્રાબાઇ."

“ અરે નહિ રે, કહુંછ, પેલાં ખાડી પહેરેલાં બહુ જ ટેસ્ટવાળાં*[૧], ગ્રેસફુલ*[૨], સાદાં છે ટેવન ?"

"એ રો। આ સભાનાં સેક્રેટરી છે."

:' એવનનું નામ સું ?"

"કમલા." “ એવનના ધનીનું સુ નામ ? હું ટમે લેાકોની સોસાયટીમાં*[૩] ભલવા માગુંછ ટેથી કરીને કેહુંછ. "

"સવાઈલાલ ઉજમશી, ધારશી વેલશીની પેઢીવાળા."

“ આ આભારપ્રડરસનમાં નામ આવિયું ટે ? ટેવન અહીં આવિયા છે ?"

“ મને જરા ઇન્ટ્રોડયૂસ કરી આપસો ?"*[૪]

“ એ તો હું પોતે."

મારા પાડોશી મને અનંત પ્રશ્નો પૂછી શકે એવા લાગતા હતા, પણ પોતાની મેળે જ તેઓ અંતિમ બિન્દુએ આવી ગયા. હવે તેમણે મારી સામું જોવું પણ બંધ કર્યું.

પણ મારા વિચારની દિશા કમલા તરફ વળી ગઇ.

ઝમકુકાકીને નવી ભાવના તરફ વાળનાર તો કમલા જ. તે પોતે તે નહોતી જાણતી નવું જીવન પ્રગટ કરવાને બુદ્ધિની જરૂર નથી હોતી, પણ પ્રેમની જરૂર હોય છે. બાળકથી માંડીને ઘરડાં સુધી સર્વને પ્રેમની જરૂર હોય છે.

ઝમકુકાકી જેવાં ઘણાંય બિચારાં પ્રેમને અભાવે વૃથા જીવન ગાળતાં હશે.

"બાપુજી !"

હું ચમકીને જાગ્યેા. સભાજનો ચાલવા માંડ્યાં હતાં. કમલા, ઝમકુકાકી અને બિન્દુ, જીવનની ત્રણ મૂર્તિઓ મારી સમક્ષ ઊભી હતી.


  1. ૧. ટેસ્ટ એટલે રસવૃત્તિ
  2. ૨. લાવણ્યમય
  3. ૧. સમાજ
  4. ૨. “ ઓળખાણ કરાવી આપશો?"